જિંદગીને કેમ જીવવી જોઈએ ?
એ પરીક્ષામાં તો પૂછાતું નથી !
નિનાદ અધ્યારુ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for યાદગાર ગઝલો

યાદગાર ગઝલો શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




આપણી યાદગાર ગઝલો : ૨૧ : સ્મરણને જીવતું રાખે – રઈશ મનીઆર

કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે,
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.

તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એમ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.

સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું,
વ્યથાના વાદળો વાતાવરણને જીવતું રાખે.

કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે?
જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે.

અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ, પણ –
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણને જીવતું રાખે.

‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું, હરણને જીવતું રાખે.

– રઈશ મનીઆર (જન્મ: ૧૯-૮-૧૯૬૬)

સ્વર: શૌનક પંડ્યા 

[audio:http://tahuko.com/gaagar/layastaro/Raeesh Maniar-Kinarao Alag-Shaunak Pandya.mp3]

સ્વર: ધ્વનિત જોષી

[audio:http://tahuko.com/gaagar/layastaro/Raeesh Maniar-Kinarao Alag-Dhwanit Joshi.mp3]

રઈશભાઈને એમની શ્રેષ્ઠ ગઝલો વિશે પૂછીએ તો એ તબક્કાવાર ‘આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું’, ‘સ્પર્શી શકાય ફૂલને ઝાકળ થયા પછી’ અને ‘મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું?‘ એમ ત્રણ ગઝલ પસંદ કરે છે. પણ જ્યારે એમની યાદગાર ગઝલોની વાત નીકળી ત્યારે મને, ધવલને અને ઊર્મિને -અમને ત્રણેયને આ જ ગઝલ ગમી. મરીઝ યાદ આવી જાય એવી સરળ બાનીમાં લખાયેલી આ ગઝલના બધા જ શેર ઉત્તમોત્તમ થયા છે….

‘લયસ્તરો’ની ચોથી વર્ષગાંઠ નિમિત્તે છેલ્લા દસ દિવસોમાં અમે ત્રણ મિત્રો -ધવલ, હું અને અમારી ખાસ મહેમાન મોના- એ રજૂ કરેલ આ એકવીસ યાદગાર ગઝલોના રસથાળમાં આપણી ભાષાના સેંકડો મોતીઓ હજી ખૂટે છે. અમારી સિમિત સમજણાનુસાર અમે આ ગઝલો પસંદ કરી છે… કોઈને આ પસંદગી યોગ્ય લાગે, કોઈને ન પણ લાગે… કોઈને આ કવિઓ યોગ્ય લાગે, કોઈને અન્ય કવિઓ પણ યાદ આવે – જે તદ્દન સ્વાભાવિક છે.  આખરે તો આ યાદી અમારા અંગત અભિપ્રાય સિવાય બીજુ કાંઈ નથી.

વાચકોની જેમ અમને પણ એમ લાગે જ છે કે આ યાદીમાં હજી ઘણા વધારે ગઝલો અને ગઝલકારો હોવા જોઈએ. ખાસ કરીને નવા યુગનાં, સક્રિય એવા ઘણા ગઝલકારોને આ સાવ ટૂંકી યાદીમાં સમાવી શકાયા નથી. અમારો ઉદ્દેશ વાચકોને ગુજરાતી ગઝલના ઈતિહાસની સફર કરાવવાનો પણ હતો એટલે અમે વિતેલા યુગની પ્રતિનિધિ ગઝલોને ચૂકી ન જવાય એનો ખ્યાલ જરા વધારે રાખી સમયની રેખાને સાચવવાનો પ્રયત્ન કર્યો હતો.  પરંતુ આ તો થોડી યાદગાર ગઝલોને ફરી એકવાર યાદ કરીને વર્ષગાંઠની ઉજવણી કરવાનો એક પ્રયોગ માત્ર હતો…  આ પ્રયોગને તો અમે અહીં સમેટી લઈએ છીએ પરંતુ ભવિષ્યમાં આ યાદીનો ભાગ બે કરવાનો વિચાર અમારા મનમાં ચાલી જ રહ્યો છે. એટલે કે યાદગાર ગુજરાતી ગઝલોની આ સફર અહીં અટકતી નથી માત્ર પોરો ખાય છે…

આપના અભિપ્રાયોની પ્રતીક્ષા રહેશે.

Comments (12)

આપણી યાદગાર ગઝલો : ૨૦ : સજનવા – મુકુલ ચોક્સી

શબ્દને શોભે નહીં આ કાગઝી વસ્ત્રો સજનવા
આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા

ખાલી હો તો પાછી તારી ઓઢણી લઈ લે સજનવા
ને હાથ સાથે હો તો કિંમત સો ગણી લઈ લે સજનવા

બે અમારા દૃ્ગ સજનવા, બે તમારા દૃગ સજનવા
વચ્ચેથી ગાયબ પછી બાકીનું આખુ જગ સજનવા

ક્યાં તો પીઝાનાં મિનારાને હવે પાડો સજનવા
નહીં તો મારી જેમ એને ઢળતા શિખવાડો સજનવા

સૂર્ય સામે એક આછું સ્મિત કર એવું સજનવા
થઈ પડે મુશ્કેલ એને ત્યાં ટકી રહેવુ સજનવા

આભને પળમાં બનાવી દે તું પારેવું સજનવા
થઈ જશે ભરપાઈ પૃથ્વીનું બધુ દેવું સજનવા

છે કશિશ કંઈ એવી આ કાયા કસુંબલમાં સજનવા
કે જાન સામેથી લુંટાવા ચાલી ચંબલમાં સજનવા

આજ કંઇ એવી કુશળતાથી રમો બાજી સજનવા
જીતનારા સંગ હારેલા યે હો રાજી સજનવા

ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા
આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા

– મુકુલ ચોક્સી (જન્મ: ૨૧ ડિસેમ્બર ૧૯૫૯)

મુકુલભાઈનું નામ આવે એટલે લાગણીથી લથબથ એવી એમની બે ગઝલો મને તરત જ યાદ આવી જાય; ‘સજનવા’ અને ‘ચૂમી છે તને’.  ‘સજનવા’ એ મુકુલભાઈનું દીર્ઘ-કાવ્ય છે, દીર્ઘ-ગઝલ છે.  અને સાંભળ્યું છે કે આ ગઝલનાં એટલા જુદા જુદા ભાગો છે કે કો’કવાર મુકુલભાઈ પાસે જ મારે એના કુલ શેરની સંખ્યા જાણવી પડશે. અને મુકુલભાઈ કદાચ મને કુલ પાનાનો આંકડો જ આપશે; કારણકે એવીયે ખબર પડી છે કે ‘સજનવા’નાં શેરનો ગણતરી કરવા કરતાં એનાં પાનાની ગણતરી કરવી જ સહેલી પડે… શેરનો આંકડો લગભગ 3 આંકડાની પાસે પાસે પહોંચી ગયો હોય તોય નવાઈ નહીં.  ‘સજનવા’ની વાત કરીએ તો એના દરેક મિસરામાં ‘સજનવા’ રદીફને લીધે આ મત્લા ગઝલ જેવી પણ લાગે છે, તો એ જ રદીફ કોઈ ધુર્વપંક્તિ જેવો લાગતો હોઈ આ ગઝલનાં ગીત હોવાનો પણ ભાસ થાય છે.  ગાલગાગાનાં ચાર આવર્તનોવાળી આ ગઝલનાં દરેક શેરનાં અલગ-અલગ કાફિયાને લીધે એને કદાચિત્ ગીતઝલ જેવું પણ કહી શકાય…?!

મુકુલભાઈને આ ગઝલનું પઠન* કરી આપવાની જ્યારે મેં ફરમાઈશ કરેલી ત્યારે મેં એમને બે સવાલો પણ પૂછાવ્યા હતા: ૧) તમે આ ગઝલ આટલી દીર્ઘ કેમ લખી?  ૨) આ ગઝલ લખવા પાછળ શું અને કોની પ્રેરણા હતી ? …તો લયસ્તરોને પાઠવેલી શુભેચ્છાઓ અને ‘સજનવા’નાં થોડા શેરનાં પઠનની સાથે મુકુલભાઈએ મારા સવાલોનાં જવાબો પણ મોકલાવ્યા છે, પણ એ હું તમને નહીં કહું.  એ તો તમારે જાતે જ સાંભળવાં પડશે !

સ્વર: મુકુલ ચોક્સી

શુભેચ્છાઓ…
[audio:http://urmisaagar.com/saagar/audio/layastaro-4th-hbd-shubhechha_by_mukul_choksi.mp3]

ઘોંઘાટીયા જગતનાં અવાજોની વચ્ચે પણ
કવિતાઓ વાંચી વાંચીને ક્યારેક કલરવું છું;
લયનાં સ્તરો ઘણા છે ને એને અનુભવું છું,
હું લયસ્તરોને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

મુકુલભાઈની વાત સાવ સાચી છે. ‘સજનવા’ કે પ્રેમની અનુભૂતિ વિશે તો જેટલું લખો એટલું ઓછું જ પડે.  એના વિશે આપણે જો કશુંક લખવા બેસીએ ત્યારે શેરોની સંખ્યા કે લીટીઓ નહીં ગણાય, નોટબુકનાં પાના પણ નહીં ગણાય અને આપણી લખવાની આધુનિક શૈલીને ધ્યાનમાં રાખીને કહું, તો એ લખવામાં તો કમ્પયુટરની કેટલી યાદદાસ્ત (RAM) વપરાય છે એ પણ નહીં ગણાય !  🙂  પ્રેમની અનુભૂતિ એ એક એવો અહેસાસ છે કે જેને માત્ર અને માત્ર અનુભવાય જ છે, જે શબ્દોથી ઘણી ઉપરની વાત છે… કાવ્ય લખવાની પ્રક્રિયા એટલે કે એ અનુભૂતિનાં એકાદ અંશને ફ્રેમમાં જડવાની કોશિશ માત્ર… જે કાયમ અધૂરી જ લાગ્યા કરે.  અને કોઈ કવિતાની ફ્રેમમાં જડ્યાં પછી પણ હંમેશા એમ જ થતું રહે કે હજી આનાથી પણ વધુ સુંદર ફ્રેમ બની શકત. કદાચ આ ‘અધૂરપ’માં જ એની પૂર્ણતા છે.  હવે ‘સજનવા’નું વધુ વિશ્લેષણ કર્યા વગર મુકુલભાઈએ જ પસંદ કરેલા ‘સજનવા’નાં થોડા શેરોને આપણે સાંભળીએ, માણીએ અને મમળાવીએ…

‘સજનવા’નું પઠન…

[audio:http://urmisaagar.com/saagar/audio/sajanva_pathan_by_mukul_choksi.mp3]

લયસ્તરો પર આગળ મૂકેલાં આ જ ગઝલનાં થોડા અલગ શેર પણ તમે અહીં માણી શકો છો… ધવલભાઈનાં કોલેજનાં સ્મરણો સાથે. 🙂

*ગઝલ-પઠનનો ઓડીયો બનાવીને સત્વરે મોકલવા બદલ મેહુલ સુરતી અને મુકુલભાઈનો ખૂબ ખૂબ આભાર…!

Comments (8)

આપણી યાદગાર ગઝલો : ૧૯ : ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી – જવાહર બક્ષી

ટોળાંની શૂન્યતા છું જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું હું છું ને હું નથી.

હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને,
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી.

શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું,
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી.

નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ,
હું ઢોલ છું,પીટો-મને કૈં થતું પણ નથી.

સાંત્વનના પોલાં થીંગડાંમાં સૂઈ ગઈ છે રાત,
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી.

– જવાહર બક્ષી (જન્મ: ૧૯ ફેબ્રુઆરી ૧૯૪૭)

[audio:http://tahuko.com/gaagar/layastaro/Jawahar Baxi-Tolani Shoonyata choon.mp3]

જવાહર બક્ષીએ જીવનના રંગને બહુ ઘૂટ્યા પછી ગઝલો લખી છે. સબળ વૈચારિક ભૂમિકા પર બંધાયેલી એમની ગઝલો એક તરફ એમના ઊંડા તત્વજ્ઞાનનો પરિચય આપે છે તો બીજી બાજુ એમના તીવ્ર સંવેદનની સાહેદી પૂરે છે. એમનો એકમાત્ર સંગ્રહ છે ‘તારાપણાના શહેરમાં’.

આ ગઝલ એવી છે કે એમા કવિ શું કહેવા માગે છે એના કરતા તમે શું સમજવા માંગો છો એનું વધારે મહત્વ છે. આ આત્મશોધનની ગઝલ છે. જાતને તપાસવાનું એક સાધન છે. પોતે ‘ખાલી’ હોવાનું કવિને જેટલું જ્ઞાન છે એટલું જ્ઞાન એમને પોતાના ‘ટોળાં’માં જકડાયેલા હોવાનું પણ છે. અને આ બંને હકીકત પોતાની જાતને કેટલી બૂઠ્ઠી બનાવી દે છે એ અહેસાસનો પડઘો આ ગઝલ છે. અર્થ વગરનાં અવાજો કરવા સિવાય આ ‘ખાલીપણું’ બીજા કોઈ કામનું નથી એવો – ચીસ જેવો – શેર મૂક્યા પછી કવિ એક તદ્દન અલગ વાત કરે છે. ઈસુ અને પોતાની જાત – બન્નેમાં શું સામ્ય છે ? – અવિરત પીડા (શૂળી ઉપર જીવું છું) અને ફકીરી (લંબાતો હાથ છું). જે દુ:ખોથી આપણે ત્રસ્ત છીએ એ જ ઈશ્વર સુધી જવાનો રસ્તો પણ છે એવો ઈશારો કવિ પોતાની રીતે કરી લે છે ! આ રગાશિયા જીન્દગી અને સંવેદનહીનતા પર છેલ્લા બે શેર લખીને કવિ પોરો ખાય છે. અહીં ગઝલ પૂરી થાય છે પણ વાચકનું કામ તો અહીં જ શરૂ થાય છે – એ કામ છે જાતને તપાસવાનું.

Comments (3)

આપણી યાદગાર ગઝલો : ૧૮ : માણસ ઉર્ફે – નયન હ. દેસાઈ

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે,
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈંક અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

– નયન દેસાઈ (જન્મ: ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૬)

સ્વર : આશિત દેસાઈ અને હેમા દેસાઈ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Nayan Desai-Manas urfe.mp3]

નયન દેસાઈની આ સીમાચિહ્નરૂપ ગઝલના સાત શેર મનુષ્યજીવનનું સપ્તરંગી ધનમૂલક ઈન્દ્રધનુષ છે. ઉર્ફે, એટલે, મતલબ, અથવા જેવા ઉભયાન્વયી અવ્યયો વડે ન માત્ર મનુષ્યની તરંગિત મનોદશાનો અર્થસભર ચિતાર અપાયો છે, એક પછી બીજું અને બીજા પછી ત્રીજું પડ એવી અસીમ સંભાવનાઓની વિભાવના અહીં દર્શાવાઈ છે. વળી આ અવ્યયોના આવર્તનો દ્વારા અહીં ભાવની ગતિ પણ સિદ્ધ થઈ છે. પ્રયોગાત્મક ગઝલોના ઉદભવના શરૂઆતના દિવસોમાં પરંપરાથી હટીને ભાવાભિવ્યક્તિમાં પ્રયોગ કરવા સાથે ‘ગાગાગાગા’ના ચાર નિયત આવર્તનો કરતાં એક આવર્તન વધુ લઈ કવિ છંદને વધુ ગતિશીલ બનાવવાનો પ્રયોગ પણ સફળતાપૂર્વક સાથે સાંકળી દે છે. નયન દેસાઈના કહેવા પ્રમાણે ત્રીસેક વર્ષ પૂર્વે જ્યારે એમણે કારકિર્દીની શરૂઆત રત્નકલાકાર તરીકે કરી હતી ત્યારે હીરા ઘસવાનું લેથ મશીન આઉટ થઈ જતાં માણસ એટલે રેતી એટલે ખૂટી જવાની વાત અંદરથી આ ગઝલ સ્વરૂપે પ્રગટી હતી.

લગભગ બધા જ શેરમાં કવિ એક વિભાવનામાંથી બીજીમાં અને ત્યાંથી ત્રીજીમાં એમ અનંત સુધી ભાવકને દોરી જાય છે.  માણસ શું છે ? સરી જાય એવી રેતી ? છલકાઈ જાય એવો દરિયો ? ડૂબી જવાય એવા ભાવવિશ્વની ઘટના ? ઘટના તો લોહીમાં વણાઈ જાય છે અને લોહી તો ઘટનાની જેમ, સમયની જેમ, દરિયાની જેમ, રેતીની જેમ વહેતી કે ઊડતી રહેવાની અને ક્યારેક ખૂટી પણ જવાની…

આંખો બારી જેવી ખરી પણ ખુલ્લી વિશેષણ અર્થની ચોટ લઈને આવે છે. ખુલ્લાપણું એટલે મોકળાશ. આવકારવાની શક્યતાઓ. ઊઘડવાની વાત. માણસ ખુલે તો જીવન જીવાય. દિવસ અને રાત વીતે. આંગળીના વેઢે ગણી શકાય એવા દિવસો તો પંખીની જેમ ઊડી જવાના છે. આપણું ખુલ્લાપણું જ આ દિવસોમાં ઊગવાને આથમવાના અર્થ ઊમેરી શકવાના છે.

વજ્ર જેવી જે છાતી આંસુના અડવાથી પણ પીગળતી નથી એ શું શું નથી ગુમાવતી ? આંસુ તો કોઈક સ્મરણના રણમાં ખીલેલો રણદ્વીપ છે. આંસુ યાદની પાંખે બેસાડી તમને વિસ્મૃત થયેલા બાળપણ તરફ લઈ જાય છે. અને  બાળપણના આ કૂવામાં તો આંખ મીંચીને કૂદી પડવાનું હોય નકર તો અવસ્થાનો થાક શી રીતે ધોવાય?

આપણે ચાલીએ છીએ ત્યારે શું ખરેખર આપણે જ ચાલીએ છીએ? કવિની  નજરે જોઈએ તો શું રસ્તો પોતે મુસાફરી નથી કરતો? આપણે તો છીએ ત્યાંના ત્યાં જ છીએ. જીવનનો માર્ગ પગલાંની જેમ ફૂતતો ને વધતો રહે છે અને એક રસ્તો, બીજો રસ્તો એમ ચારેબાજુ શક્યતાઓના ફૂલો ઊગી નીકળે છે. ક્યાંક પથ્થરો પણ નડે પણ પથ્થરમાંથી પણ ઊગી નીકળવાની ઘટના એટલે જ તો માણસ…

શમણાંના ઝુમ્મર જેવા સંબંધોને યોગ્ય સમયે યોગ્ય રીતે સાચવી લેવાની વાત કે દુઃખ-દર્દ-પીડા પીળા સૂરજની જેમ છાતીમાં પાકેલા ગૂમડા સમા બળબળ્યા કરે અને જીવનની મહેફિલનો ખરો આનંદ માણવા ન દે એ વાત ગઝલના તગઝ્ઝુલને ઓર ઘેરો બનાવે છે. આપણે આપણી ઓળખ ઉપર કંઈ-કઈ ચહેરા ચડાવી એમ જીવીએ છીએ જાણે આપણે સાચું શરીર નહીં, માત્ર પડછાયાઓ છીએ. આ પડછાયા, આ ચહેરાઓ, આ બનાવટી ઓળખાણો ભૂલી જવાની ઘટના ઉર્ફે જ તો….

Comments (6)

આપણી યાદગાર ગઝલો : ૧૭ : વરસોનાં વરસ લાગે – મનોજ ખંડેરિયા

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

– મનોજ ખંડેરિયા (જન્મ: ૬ જુલાઇ ૧૯૪૩ – મૃત્યુ: ૨૭ ઓક્ટોબર ૨૦૦૩)

સંગીત-સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય

[audio:http://tahuko.com/gaagar/layastaro/Manoj Khanderia-Kshano_Ne_Todva_Besu.mp3]

મનોજ ખંડેરિયાની શ્રેષ્ઠ ગઝલ શોધવી હોય તો નિમિષમાત્રમાં આ ગઝલ દોડતી આવે. ‘બેસું તો વરસોનાં વરસ લાગે’ જેવી લાંબી રદીફ, લગાગાગાના સુગેય આવર્તન ધરાવતી બહેર અને ક્ષણ અને વરસોના વિરોધાભાસથી અર્થનાવિન્યની ચમત્કૃતિ સર્જતી આ ગઝલ નિઃશંક મ.ખ.ની ગઝલોનું એવરેસ્ટ છે.

એક તરફ ક્ષણની વાત અને બીજી બાજુ વરસોની વાત… કવિ શું કહી રહ્યા છે? જીવન ક્ષણોનો સરવાળો છે પણ બધી ક્ષણ કંઈ જીવન નથી હોતી. જીવનમાં કેટલીક ક્ષણો એવી આવે છે જે મનુષ્યની જિંદગી આખી પલટી નાંખે છે. વાલિયો લૂંટારો એક ક્ષણમાં વાલ્મિકી બનવા તરફ પ્રેરાય છે તો બોધિવૃક્ષની નીચેની એક ક્ષણ સિદ્ધાર્થને બુદ્ધ બનાવે છે. રેલ્વેના ડબ્બામાંથી ફેંકાઈ જવાની એક ઘટના એક માણસને મહાત્મા ગાંધી બનાવે છે તો આવી જ કોઈ એક ક્ષણ પર કાબૂ ગુમાવવાના કારણે કોઈક આત્મહત્યા કરી પોતાનો જાન ગુમાવી શકે છે કે બીજાનો જાન પણ લઈ શકે છે. આવી કિંમતી ક્ષણોને તોડીને એનું વિચ્છેદન કરવું હોય, આત્મનિરીક્ષણ કરવું હોય તો શું વરસોના વરસ નહીં લાગે ? આવી ક્ષણોના સરવાળા સમી જિંદગીને આપણે જેવી છે એવી ક્યાં જીવીએ જ છીએ ? એક ચહેરો અને એની ઉપર હજાર મહોરાં… બુકાની છોડવાનું કામ તો ક્ષણભરનું પણ છીએ તેવા દેખાવું હોય તો ? આપણી સાચી ઓળખાણ ઉપરના આડંબરો ઉતારી દેવા હોય તો ? વાત ક્ષણની હોય કે બુકાનીની, વરસોના વરસ પણ કદાચ ઓછાં પડે…

…પણ બધા જ શેર વિશે વાત માંડવા બેસું તો વરસોના વરસ લાગે એટલે…

Comments (4)

આપણી યાદગાર ગઝલો : ૧૬ : હજો હાથ કરતાલ – રાજેન્દ્ર શુક્લ

હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.

લઈ નાંવ થારો સમયરો હળાહળ,
ધર્યો હોઠ ત્યાં તો અમીયેલ પાનક.

સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
તિલક કોઈ આવીને કરશે અચાનક.

અમે જાળવ્યું છે ઝીણેરાં જતનથી,
મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક !

છે ચણ જેનું એનાં જ પંખી ચૂગે આ,
રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.

નયનથી નીતરતી મહાભાબ મધુરા,
બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.

શબોરોઝ એની મહકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનલહક હો આનક !

-રાજેન્દ્ર શુક્લ (જન્મ: ૧૧ ઓક્ટોબર ૧૯૪૨)

સ્વર: સ્વ.પરેશ ભટ્ટ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Rajendra Shukla-hajo haath kartal.mp3]

આ ગઝલ અગાઉ લયસ્તરો પર મૂકી હતી ત્યારે લખ્યું હતું, રાજેન્દ્ર શુક્લ એ ગુજરાતી કવિતાના લલાટ પરનું જાજવલ્યમાન તિલક છે. આધુનિક ગઝલની કરોડરજ્જુને સ્થિરતા બક્ષનાર શિલ્પીઓના નામ લેવા હોય ત્યારે બાપુનું નામ મોખરે સ્વયંભૂ જ આવી જાય. કવિના પોતાના શબ્દોના આધારે ૧૯૭૮માં લખાયેલી આ ગઝલના સાત શેર માણીએ:

1. સંદર્ભ-નરસિંહ મહેતા: હાથમાં કરતાલ, ચિત્તમાં ભક્તિનો આવેશ અને ગિરનારની તળેટી નજીક રહેઠાણ હોય એવી અભીપ્સાનો ઉદગાર.

2. સંદર્ભ-મીરાંબાઈ: અનન્ય શ્રદ્ધાના પરિણામે વિષનું અમૃતમાં પરિવર્તન-ની અનુશ્રુતિનો સંદર્ભ. સમયના હળાહળનું, બાહ્ય જગતની પ્રતિકૂળતાઓનું સશ્રદ્ધ નામસ્મરણના પ્રતાપે પરમ અનુકૂળતામાં પરિણત થવાની અનુભૂતિનું કથન. ખાસ રાજસ્થાની ભાષાનો સંસ્પર્શ.

3. સંદર્ભ-તુલસીદાસ: શબ્દના અનન્યાશ્રય દ્વારા આરાધ્યના સ્વત: પ્રાકટ્યની તથા પરમ સાર્થક્યના અવશ્યંભાવિ અનુભવની દ્રઢ શ્રદ્ધાનું કથન. ‘ચિત્રકૂટકે ઘાટ પર ભઈ સંતનકી ભીર, તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે રધુવીર’.

4. સંદર્ભ-કબીર સાહેબ: વ્યવહારના સ્વીકાર છતાં વ્યવહારથી ન ખરડાવાની અસંગ નિર્લેપતા. જે કૈં છે, પ્રાપ્ત થયું છે તેને તેમનું તેમ જ યથાવત્ પરત કરવાની તત્પરતાનો સંકલ્પ. ‘દાસ કબીર જતન કરી ઓઢી, જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયાં’.

5. સંદર્ભ-ગુરુ નાનક: પ્રાસાનુરોધની અનિવાર્યતાને કારણે ‘નાનક’ એ વિશેષ નામનો અભિધામૂલક પ્રયોગ.  અનાસક્ત સ્વરહિત સાક્ષીભાવ તથા સર્વાત્મભાવની ચિત્તસ્થિતિનું પ્રરૂપણ. ‘રામકી ચિડિયા, રામકા ખેત, ખા લો ચિડિયા ભરભર પેટ’. પંજાબી ઉચ્ચાર લઢણોનો વિનિયોગ.

6. સંદર્ભ-ચૈતન્ય મહાપ્રભુ: અખંડ ગાન-નામસંકીર્તનની મધુરોપાસના દ્વારા આરાધ્ય સાથેની એકાત્મતા, મધુરાદ્વૈતના મહાભાવની અનુભૂતિની ઝંખના. સંદર્ભ: મહાપ્રભુ ચૈતન્યદેવ. નયનથી નીતરતી આદ્રતામાં દેહભાવનું વિગલન. બંગાળી ભાષાનો ઈષત સ્પર્શ.

7. સંદર્ભ-હઝરત મન્સૂર અલ હિજાજ: અંતર્મનમાંથી સાવ અણધાર્યો જ ઊપસી આવેલો આ અંતિમ શેર સમગ્ર કૃતિમાં પ્રસૃત અન્યથા ભજનસાદૃશ સામગ્રીને જાણે કે ગઝલના સ્વરૂપનો પુટ આપે છે, અરબી-ફારસી શબ્દો, સૂફી સાધનાધારાની પરિભાષા તથા હઝરત મન્સૂર અલ હિજાજની પ્રસિદ્ધ ઉક્તિ ‘અનલ હક’- અહં બ્રહ્માસ્મિ દ્વારા. રાત-દિવસ  પરમ તત્વનો અવિરત ગાઢ સંસ્પર્શ અને અનિર્વચનીય સમાધિના દિવ્યભાવની અવસ્થા. ‘આનક’- આનન – મુખ શબ્દ પરથી સિદ્ધ કરેલો શબ્દ. લુપ્તસપ્તમીનો પ્રયોગ, ‘આનક’ મુખમાં. અનલહક અહીં બ્રહ્માસ્મિનું જ રટણ રહો એવી અભીપ્સા.

(રાજેન્દ્ર શુક્લના 22/08/2007 પત્રના આધારે)

(ચાનક= આવેશ, જાગૃતિ; થાનક =સ્થાનક; નાંવ = નામ; સમયરો = સમયનું; અમિયેલ = અમૃત સીંચેલું; પાનક =પીણું, પેય; ચન = ચણ; હથ્થ = હાથ; ધૌત=ધોયેલું, (૨) સ્વચ્છ; ગૌડ = એ નામનો એક શાસ્ત્રીય રાગ; ગાનક = ગાન; શબોરોજ = રાત-દિન; મુસલસલ= લગાતાર, નિરંતર, ક્રમબદ્ધ; અનલહક = ‘હું બ્રહ્મ-પરમાત્મા છું’ એ અર્થ આપતો શબ્દ; આનક = આનન, મુખ)

Comments (18)

આપણી યાદગાર ગઝલો : ૧૫ : હસ્તાયણ – રમેશ પારેખ

હાથ સૂમસામ બની મેજ પર પડેલા છે,
અસંખ્ય ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે.

અડે અડે ત્યાં ઉઝરડા પડે છે સપનાંને,
હાથને ટેરવાં સાથે જ નખ મળેલા છે.

આંગળી નામની પાંચે છિનાળ પુત્રીએ,
સળંગ હાથને બેઆબરૂ કરેલા છે.

કોઈના હાથને પસવારે હાથ કોઈનો,
તો થાય: મારા હાથ આ જ છે કે પેલા છે?

એક તો હાથનું પોત જ છે સાવ તકલાદી,
ને એમાં હસ્તરેખાઓના સળ પડેલા છે.

‘રમેશ’, હાથતાળી દઈ ગયો ભીનો સાબુ,
ને હાથ ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે.

-રમેશ પારેખ

રમેશ પારેખની ગઝલોમાંથી એક જ ગઝલની પસંદ કરવાનું કોઈ કહે એ તો સ્વર્ગમાં જાવ ને ઈન્દ્ર તમને એક જ અપ્સરા પસંદ કરવાનું કહે એવી વાત છે 🙂 ખેર, આ ‘અન્યાય’ની વાત જવા દઈને આપણે ગઝલની વાત કરીએ.

દેવોનું રામાયણ હોય, માનવીઓનું હસ્તાયણ હોય. રામાયણ એ આદર્શની કથા છે; હસ્તાયણ એ વાસ્તવની વ્યથા છે.

ર.પા. આ ગઝલમાં હાથના રૂપકનો ઉપયોગ કરીને જે રીતે માનવ સ્વભાવની બારીકીઓનું ચિત્રણ કરે છે એ ગઝલને અનેક સ્તરે જુદા જુદા અર્થઆયામો પ્રદાન કરે છે. (વિજ્ઞાનની નજરે જુઓ તો ઉત્ક્રાંતિમાં સૌથી છેલ્લે જ્યારે હાથનો વિકાસ થયૌ ત્યારે જ વાનરમાંથી માણસ બન્યો. હાથ એ રીતે માણસ માટે બહુ ઉપયુક્ત રૂપક છે!)

ઝાંઝવાને સ્પર્શવા – એટલે કે અપ્રાપ્યની પાછળ દોડવા- થી થાકેલા, મેલા થયેલા માણસને તમે તમારી આજુબાજુ જોયો જ હશે. સપનાંને સપનાં રહેવા દેવાનુ માણસના સ્વભાવમાં નથી. સપનાંને વાસ્તવમાં ખેંચી લાવવની જીદને લીધે જ આપણે એમને ચારે તરફથી ઉઝરડી નાખીએ છીએ. ત્રીજા શેરમાં પાંચ છિનાળ પુત્રીઓ – એટલે કે આપણને પરવશ બનાવતી પાંચ ઈન્દ્રિયો – ને લીધે સતત બદનામ થયા કરવાના માનવજાતના શાપની વાત અદભૂત રીતે કરી છે. માણસના પોતાની બધી મર્યાદાઓને અતિક્રમિ જવાના એકમાત્ર રસ્તા – એટલે કે પ્રેમ – ની વાત એના પછીના શેરમાં બહુ નાજુક રીતે આવે છે. વારંવાર નસીબનો ટેકો લેવા દોડી જતા – હસ્તરેખા પરવશ – તકલાદી માણસો પ્રત્યે કવિએ જરા કટાક્ષ કરી લીધો છે. મેલા મનને સાફ કરવાનો રસ્તો ઝટ હાથ આવતો નથી એ તરફ ઈશારો કરીને કવિ ગઝલને સમેટી લે છે.

ર.પા.ની ગઝલોમાં આ ગઝલ એક સિમાચિહ્ન છે.

Comments (8)

આપણી યાદગાર ગઝલો : ૧૪ : પર્વતને નામે પથ્થર- ચિનુ મોદી

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’  (જન્મ: 30 સપ્ટેમ્બર, 1939)

ચિનુ મોદીની યાદગાર ગઝલ વિશે વિચારવાનું થાય તો ક્ષણાર્ધનાય વિલંબ વિના આ ગઝલ માનસપટ પર ઉભરી આવે. ખુદ ચિનુ મોદી ‘પ્રતિનિધિ ગુજરાતી ગઝલો’ના સંપાદનમાં આ તસ્બી ગઝલનું ચયન કરે છે. આંસુ ઉપર નખનો ઘસરકો પડવાનું કલ્પન એ કદાચ ગુજરાતી ગઝલમાં નજાકતનું એવરેસ્ટ શિખર છે. ગઝલના મિજાજને અનુરૂપ બે આવર્તનવાળા લયાત્મક છંદ (ગાગાલગા લગાગા X 2)ની પસંદગી, અને હમરદીફ-હમકાફિયા સ્વરૂપમાં ઘુંટાતો ચિનુ મોદીનો નવી ગઝલનો ઘેઘૂર અવાજ આ ગઝલને વધુ ને વધુ આસ્વાદ્ય બનાવે છે…

Comments (12)

આપણી યાદગાર ગઝલો : ૧૩ : આઘાત ચાલે છે – મનહર મોદી

ગયાં વર્ષો હવે આવ્યાંઅને આઘાત ચાલે છે,
સવારે કોણ જાણે કેમ એવી વાત ચાલે છે.

ઘણી વેળા મને થઇ જાય કે મારા ઉપર પડશે,
અચાનક આંખમાં ઊગીને કેવી રાત ચાલે છે !

બને તો એમને કહેજો કે ખુશબો મ્યાનમાં રાખે,
બગીચામાં બધાં ફૂલોની હમણાં ઘાત ચાલે છે.

હકીકતના બધા દરવાજા તાળું શોધવા લાગ્યા,
કોઇ ઊંઘી ગયું છે એનો પ્રત્યાઘાત ચાલે છે.

સમયનું નામ મઠ્ઠી હોય તો ખોલવી પડશે,
-અને ઘડિયાળમાં કાંટા દિવસ ને રાત ચાલે છે. 

-મનહર મોદી

(જન્મ: 15-4-1937 – મૃત્યુ: 23-3-2003)

ગુજરાતી ગઝલ ‘ગુજરાતી’ બની એ પછી લાંબો સમય નકરી પરંપરાની ગઝલ બની રહી. પરંપરાની ગુજરાતી ગઝલને નવો વળાંક આપવામાં જે થોડા નામોનું નોંધનીય યોગદાન છે એમાં મનહર મોદીનું નામ ભૂલી ન શકાય. પરંપરાની ગઝલો અને પછીથી આધુનિક ગઝલ અને છે…ક એબ્સર્ડ ગઝલો સુધી એમણે નોંધપાત્ર પદાર્પણ કર્યું. એમની ગઝલોનું ભાવજગત ક્યારેક અટપટું અને અસંદિગ્ધ પણ લાગે છે છતાં ચુસ્ત છંદ અને કાફિયા-રદીફની અવનવી રવાની વડે શેરિયત સિદ્ધ કરવામાં એ પાછા નથી પડ્યા. મનહર મોદી વિના યાદગાર ગઝલોની વાત અધૂરી જ ગણાય…

‘બગીચામાં ફૂલોની ઘાત ચાલે છે’ વાળો શેર મ.મો.નો બ્રાન્ડ-એમ્બેસડર શેર ગણી શકાય. ખુશબૂ જેવા અદેહી તત્ત્વને મ્યાન જેવી સાકાર સંજ્ઞા સાથે પ્રયોજવામાં કેવું અદભુત કવિકર્મ થયું છે ! અહીં આ શેરને આપ ફૂલ અને ફોરમના સંદર્ભે તો માણી જ શકો છો, સુરભિત જીવો સાથે પણ સાંકળી શકો છો. સત્કાર્યની સુવાસ ફેલાવતા જીવોને કળિયુગની ચેતવણી પણ ગણી શકાય. સજ્જન થવામાં બહુ સાર નથી એવી ચેતવણી પણ અહીં સંભળાય છે.

Comments (4)

આપણી યાદગાર ગઝલો : ૧૨ : મળે ન મળે – આદિલ મન્સૂરી

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

– આદિલ મન્સૂરી (જન્મ: ૧૮ મે ૧૯૩૬ – મૃત્યુ: ૬ નવેમ્બર ૨૦૦૮)

સ્વર-સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય

[audio:http://urmisaagar.com/saagar/audio/12 nadi ni ret ma MUSIC.mp3]

મૂળ નામ ફરીદ મહમ્મદ ગુલામનબી મન્સૂરી. પાસપોર્ટ વિના આદિલ મન્સૂરીના પિતા 1948માં અમદાવાદથી પાકિસ્તાન ગયા. આઠ વર્ષે અમદાવાદ પરત આવ્યા ત્યારે ખબર પડી કે ભારતીય નાગરિકત્વ ગુમાવી બેઠા છે. વીસ વર્ષ સુધી કોર્ટમાં નાગરિકત્વ પરત મેળવવા માટે કેસ ચાલ્યો. ખબર પડી કે હવે સરકાર પકડીને સામા કિનારે મૂકી આવશે જ્યાં પાકિસ્તાન સરકાર પાસપૉર્ટ સમય પર રિન્યુ ન કર્યો હોવાના ગુનાસર ધરપકડ કરશે. આ સંજોગોમાં લખાઈ આ ગઝલ… કોઈ એક ગઝલના કારણે કોઈ કવિને એમના દેશનું ગુમાઈ ગયેલું નાગરિકત્વ પરત મળ્યું હોય એવી ઘટના તો કદાચ વિશ્વભરના સાહિત્યજગતમાં નહીં બની હોય. આ ગઝલ પાછળનો આખો ઈતિહાસ આદિલસાહેબના સ્વમુખે જ સાંભળીએ…

[audio:http://urmisaagar.com/saagar/audio/Story of Maley na maley.mp3]

આદિલ મન્સૂરીની શ્રેષ્ઠ ગઝલ વિશે વિચારવાનું થયું ત્યારે અન્ય કોઈ કૃતિનો વિચાર જ ન આવ્યો. આ ગઝલ કલમથી નથી લખાઈ, વતન છૂટી જવાની વેદનાના વલોપાતભર્યા આંસુઓ અને બળબળતા હૈયાના ધગધગતા શોણિતથી લખાઈ છે અને એટલે જ આ ગઝલ આદિલસાહેબની સર્વશ્રેષ્ઠ ગઝલ છે.

Comments (17)

આપણી યાદગાર ગઝલો : ૧૧ : ઉદાસી આ સૂરજની આંખે ચડી છે – ભગવતીકુમાર શર્મા

ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.

મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચડી છે.

તમે નામ મારું લખ્યું’તું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.

જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભૂલાયેલ પંકતિઓ હોઠે ચડી છે.

– ભગવતીકુમાર શર્મા (જન્મ: 31 મે 1934)

આખી ગઝલમાં કવિએ ઉદાસીને ઘૂંટી છે અથવા ઉદાસીને ઉજવી છે એમ પણ કહી શકાય. અહીં કવિ કશું જ મોઘમ નથી રાખતા. શરૂઆત જ ઉદાસી શબ્દથી કરે છે જે આખી ગઝલમાં આવનારી ઉદાસીનાં એંધાણ આપી દે છે. પ્રિયતમની કંઈક એવી આતુરતાથી પ્રતિક્ષા થઈ રહી છે કે સ્વયં પ્રતિક્ષા જ હવે આતુર થઈ ઉઠી છે… અને ઝરૂખે ઊભા રહીને પ્રિયતમની રાહ જોતું પ્રિયજન જાણે કે ખુદ પ્રતિક્ષાનો જ એક પર્યાય બની ગયું છે, પરંતુ પ્રિયતમનાં આવવાનાં કોઈ એંધાણ નથી. અને આ પ્રતિક્ષા એટલે કંઈ થોડા કલાકોની કે થોડા દિવસોની પ્રતિક્ષા તો નથી જ. આ તો છે ચીર-પ્રતિક્ષા…! અને એનાં સમયનો ખ્યાલ આપણને ત્યારે આવે છે જ્યારે કવિ કહે છે જે ભીંત ઉપર એકવાર પ્રિયતમે મારું નામ લખ્યું હતું એના પર તો હવે મધુમાલતી છવાઈ ગઈ છે. અહીં ભીંત ખંડેર થઈ ગઈ છે એમ કવિ નથી કહેતા, પરંતુ નામ આખરે તો પ્રિયતમ દ્વારા લખવામાં આવ્યું છે એટલે જ કદાચ મધુમાલતી જેવો નાજુક અને સુગંધી શબ્દ વાપરે છે અને પ્રતિક્ષાની લંબાઈ સમજાવવા માટે તેઓ મધુમાલતીની વેલનાં ભીંતે ચડવા જેવો કોમળ વાક્યપ્રયોગ કરે છે. ઉદાસ ક્ષણોમાં જ્યારે ખાતરી થઈ જાય છે કે આ પ્રતિક્ષા પણ અનંત જ છે ત્યારે કવિ પ્રેમની પળોની યાદોની સભામાં ભૂલાયેલી પંક્તિને ગણગણવાની વાત કરે છે… જે પંક્તિ ખરેખર ભૂલાયેલી તો છે જ નહીં. અને આ પંકિત એટલે કે પ્રિયતમે કરેલી પ્રેમની વાતો. આમ પણ જ્યારે પ્રિયતમની પ્રતિક્ષા કરતાં હોઈએ ત્યારે તો ખાસ આપણું મન-હૃદય પ્રિયતમે કહેલી ઘણી વાતો અને ઘણા શબ્દો ઘૂંટવા અને ગણગણવા લાગી જાય છે; એ વાતો અને શબ્દો પ્રિયતમની હાજરીમાં તો કદાચ યાદ પણ નથી રહેતા. એક જ ભાવજગતમાં રહીને કવિ ચારેય શેરોમાં ડુસકાં, પ્રતિક્ષા, એકલતા અને યાદો દ્વારા જાણે કે આપણને ઉદાસીની પરિક્રમા કરાવે છે. એટલે જ ગઝલમાં માત્ર ચાર શેરો હોવા છતાં એ જરાય અધૂરી નથી લાગતી.

આ ગઝલનાં ભાગ-2 જેવી લાગતી એમની બીજી એક ગઝલ પણ આ જ રદીફ અને કાફિયા સાથે અહીં માણો.

Comments (11)

આપણી યાદગાર ગઝલો : ૧૦ : ખ્યાલ પણ નથી – હરીન્દ્ર દવે

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

મારું સ્વમાન રક્ષવા જાતાં કદી કદી,
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

વાતાવરણમાં ભાર છે મિત્રોનાં મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

– હરીન્દ્ર દવે
(1930 – 1995)

સ્વર-સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

[audio:http://tahuko.com/gaagar/layastaro/Harindra Dave – Aansu ne Pee Gayo Chhun.mp3]

1962માં લખાયેલી આ ગઝલનો “ગયો છું, મને ખ્યાલ પણ નથી” જેવો લાંબો રદીફ ગઝલનાં ભિન્ન ભિન્ન શેરનાં અલગ અલગ ભાવજગતને જબરદસ્ત રીતે જકડી રાખે છે. અને સાથે જ અનેક અર્થો, શક્યતાઓ અને સંભાવનાઓનું આકાશ પણ ઉઘાડી આપે છે.  પ્રેમમાં ભૂલી-કરગરી-કહી “ગયો છું” જેવું કહીને કરેલા સહજ સ્વીકારની સાથે જ કવિની આ બધું કર્યાનો તો “મને ખ્યાલ પણ નથી” જેવી બાળ-સહજ અભિવ્યક્તિ બિલકુલ એક ગીતની ધ્રુવપંક્તિ જેવી લાગે છે… અને એનાથી જ કવિ ગઝલનાં મિજાજનું સુંદર રીતે જતન કરીને ગઝલને ગરિમા બક્ષે છે.  પ્રેમમાં મજબૂરીથી પોતાના પ્રિયજનને ભૂલી જવાના પ્રયત્નો કરવા જતા ઘણીવાર ખરેખર ‘એમને ભૂલી ગયા છે’ ની હકિકતનો ખ્યાલ પણ રહેતો નથી, કારણ કે ખાસ તો ‘પ્રિયજનને ભૂલી જવાની વાત’ જ બિલકુલ ભૂલાતી નથી. ભૂલવાની વાત તો ઘૂંટાયા કરે છે અને આમ પ્રેમનું ચક્ર ફર્યા જ કરે છે. ઘણીવાર પ્રેમમાં સ્વમાન અને સમર્પણ વચ્ચેની પાતળી ભેદરેખા પરખાતી નથી, અને સર્મપણની જગ્યાએ પ્રિયજનની આગળ પ્રેમી ક્યારે પોતાના સ્વમાનને ઠોકરને મારી દે છે એનો ખ્યાલ પણ એને નથી રહેતો.  કરગરવું એ પ્રેમની દર્દનાક અવસ્થા છે.  પ્રેમમાં કરગરવું પડે એવી પરીસ્થિતિ જ પ્રેમની ગરિમાને ઝાંખી પાડે છે અને એનો ખ્યાલ કવિને છે જ, પરંતુ કરગરવાની ક્રિયા ક્યારે થઈ જાય છે, બસ એનો ખ્યાલ નથી રહેતો.  જીવનમાં ઘણા સંબંધો ફૂલો જેવા હોય છે, જે અનુકૂળ વાતાવરણમાં આપોઆપ મ્હોરે છે. પરંતુ ઘણા સંબંધો કંટકો જેવા હોય છે જેને દુનિયાદારી નિભાવવા માટે પણ ક્યારેક નિભાવવા પડે છે અને એની માવજત પણ કરવી જ પડે છે.  આવી દુનિયાદારી નિભાવવામાં આપણે જ્યારે ગળાડૂબ હોઈએ ત્યારે ઘણીવાર આપણને ખ્યાલ પણ નથી રહેતો કે ફૂલ જેવાં કોઈ સુગંધિત સંબંધની સાવ નજીક પહોંચી જઈને અજાણ્યે એને સ્પર્શી પણ લઈને પછી એમાં બંધાયા વગર અજાણ્યે જ આપણે પાછા વળી જઈએ છીએ. અને એ ફૂલ જેવા સંબંધમાં ન બંધાઈ શકવાની ખબર હોવી કે ન હોવી, બંને પરીસ્થિતીમાં પ્રાધાન્ય તો લાચારીનું જ છે… જે ‘મને ખ્યાલ પણ નથી ‘ દ્વારા છતી થાય છે.  છેલ્લા શેરમાં કવિએવાતાવરણમાં મિત્રોનાં મૌનનાં ભાર તરફ આંગળી ચીંધીને પોતાના મિત્રોની થોડી ફરિયાદ પણ કરી લીધી. પરંતુ મિત્રો આખરે તો અંગત અને પ્રિય છે, એટલે ફરી અહીં કવિએ “હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી” કહીને મિત્રોની વાતને મોઘમ જ રાખી અને આમ એમણે મિત્રતા પણ નિભાવી લીધી.  વર્ષો પહેલા લખાયેલી આ ગઝલમાં કવિએ એવી ચમત્કૃતિ સર્જી છે કે આજે વર્ષો પછી પણ આ ગઝલ એટલી જ તરોતાજા લાગે છે.

Comments (9)

આપણી યાદગાર ગઝલો : ૦૯ : ઓ હૃદય, તેં પણ ભલા ! કેવો ફસાવ્યો છે મને? – બેફામ

ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને?
જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને!  

સાથ આપો કે ના આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.

સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.

મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.

હોત દરિયો તો હું તરવાની ય તક પામી શકત,
શું કરું કે ઝાંઝવાંઓએ ડુબાવ્યો છે મને.

કાંઈ નહોતું એ છતાં સૌએ મને લુંટી ગયા,
કાંઈ નહોતુ એટલે મેં પણ લુંટાવ્યો છે મને.

એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.

તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.

છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.

આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.

સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.

એ બધાં બેફામ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.

– બરકત વીરાણી ‘બેફામ’
(1925 – 1994)

સ્વર-સંગીત : મનહર ઉધાસ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Befam-O_HRIDAY.MP3]

ચૌદ વર્ષની ઉંમરે પ્રથમ ગઝલ લખનાર બેફામસાહેબ ‘શયદા’સાહેબનાં જમાઈ હતા.  એમની એક ગઝલને પસંદ કરવાનું અઘરું કામ કર્યું તો ખરું, પણ આ ગઝલની પસંદગી કરીને બીજી ઘણી ગઝલોને અન્યાય કર્યો હોય એવું પણ લાગ્યું.  ફરી જો એક યાદગાર ગઝલ પસંદ કરવા બેસું તો 100%  ગઝલ બદલાઈ જ જાય… એવી એવી સુંદર અને સ-રસ ગઝલોની એમણે ગુજરાતી સાહિત્યને ભેટ આપી છે.  એમની મોટાભાગની ગઝલોનાં મક્તાનાં શેરમાં એમણે મોતને જ ઉજવ્યું છે.  આ ગઝલનો મત્લા, મક્તા અને બીજા થોડા અશઆર ખૂબ જ લોકપ્રિય થયેલા છે.  ત્રીજા શેરમાં અન્યનાં પ્રેમમાં જાતને ભૂલી જવાની એમની ‘સાવ સહેલી વાત ‘ હૃદયને ખૂબ જ સ્પર્શી જાય છે. અને પછી પ્રેમીને ગુમાવવાની વેદના વ્યક્ત કરીને તરત જ ‘એણે પણ ગુમાવ્યો છે મને’ ની હૂંફ મૂકી દઈને કવિએ કમાલ કરી છે…!  જીવનમાં મળેલાં દર્દોની કવિએ ખુદા આગળ ફરિયાદ નથી કરી, ઊલટાનું દર્દ અને ખુશીઓને જીવનમાં સમતોલ રાખવાનાં ખુદાનાં ન્યાયને સાવ સહજ તરીકે સ્વીકારીને જાણે ખુદાનાં વકીલનું કામ કરતા હોય એમ લાગે છે.  અને આમ જોઈએ તો આખી ગઝલમાં જીવનમાં મળેલા દર્દોની કવિ દ્વારા કોઈ ફરિયાદ જ નથી… માત્ર વેદનાનો સહજ અને બખૂબી સ્વીકાર છે.

Comments (12)

આપણી યાદગાર ગઝલો : ૦૮ : ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં – સૈફ પાલનપુરી

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,
શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં.           

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી – કંઈ રસ્તા પણ બદનામ હતાં.

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.

પેલા ખૂણે બેઠા છે એ “સૈફ” છે મિત્રો જાણો છો ?!
કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા ! 

 – સૈફ પાલનપુરી
(1923 – 1980)

સ્વર-સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય 

[audio:http://tahuko.com/gaagar/layastaro/Saif Palanpuri-Khushboo Na Khilela Phul.mp3]

સૈફુદ્દીન ગુલામ અલી ખારાવાલા…. એટલે કે આપણા પ્રિય ગઝલકાર ‘સૈફ’ પાલનપુરી. પોતાને ‘શયદાશિષ્ય’ તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવતા સૈફ સાહેબનું  ગુજરાતી ભાષાની મુશાયરાપ્રવૃત્તિના વિકાસમાં ખૂબ જ નોંધનીય યોગદાન રહ્યું છે.  અને એમની કોઈ યાદગાર ગઝલની પસંદગી વાત આવે એટલે યાદ કરવાનો પ્રયત્ન કર્યા વગર આ ગઝલ તરત જ મગજમાં આવી જઈ જાતે જ છવાઈ જાય.  એક એકથી ચડિયાતા શેરવાળી એમની આ ગઝલ ખૂબ જ લોકપ્રિય થયેલ છે. 

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં“… ફૂલ તો આમેય ખુશ્બૂમાં જ ખીલતું હોય છે, એ જ રીતે ખીલવાનો એનો સ્વભાવ છે. પરંતુ કવિ મત્લાનાં શેરમાં જ આપણને પ્રણયનાં ચાર તબક્કાની સફર કરાવી દે છે. પ્રેમનાં સાન્નિધ્યમાં ખીલવાનું એટલે કે ‘કંઈક થયું છે ‘નો પ્રથમ તબક્કો. અને બીજો તબક્કો એટલે પ્રેમથી છલોછલ અને લાગણીથી ભરપૂર એવા નશાનો જાજરમાન તબક્કો… પરંતુ પછી મોટા ભાગની પ્રેમકથામાં કહાનીમેં ટ્વીસ્ટ ની જેમ આવતો ત્રીજો તબક્કો…! એટલે કે અશ્રુઓનાં સમીકરણોથી લખાતો આંસુઓનો ભૂતકાળ… જે અધૂરી ઈચ્છાઓની લાશો અને અનાથ સ્વપ્નોનાં ખંડેરોથી ભર્યો ભર્યો હોય… અને વળી એ એક એક આંસુઓનાં નામો પાડી શકાય એટલો અકથ્ય વિરહ એટલે કે પ્રણયનો ચોથો અને પરિપક્વ તબક્કો… (અને કુલ કેટલા તબક્કાઓ હોય છે, એ તો દરેક પ્રણયકથા પર અંગત-આધારિત હોય છે!) આવી રીતે મને તો એમ જ લાગે છે કે આ એક જ શેરમાં કવિએ જાણે આખી પ્રણયકથા કહી નાંખી છે.      

મનુષ્યમાત્રને જેટલું જીવન હોય એટલું ઓછું જ લાગે. આપણે હમણાં કોઈને પૂછીએ તો મોટાભાગનાં લોકો લગભગ એમ જ કહેશે કે અત્યારે મોત આવે તોય મને જરાય વાંધો નથી. પરંતુ જો કોઈ જ્યોતિષ આપણને ખાનગીમાં કહે કે આવતા ફલાણા દિવસ સુધી તમારા માથે ભારે ઘાત છે તો એના નિવારણ માટે આપણે લગભગ બધું જ કરી છૂટીએ… અને જો મોતનાં સમયની સાચે જ ખબર પડે અને યમદેવતા સાથે જો વાત કરવાનો મોકો મળે તો આપણે બધા 100% એમ જ કહીએ કે બેચાર કામ પતી જાય પછી અમને તમારી સાથે આવવામાં બિલકુલ વાંધો નથી… વળી સાથે સાથે થોડી શિકાયતો અને ખુલાસાઓ બાકી રાખ્યા હોય તો એનો હિસાબ પણ પતાવવાનો તો હોય જ. અને આ બધી તો આપણા બધાની સાવ સીધી, સાદી ને સાચી વાત છે, જેમાંથી લગભગ કોઈ જ બાકાત નથી. પરંતુ કવિએ આ જ સહજ વાતને એકદમ સહજતાથી સ્વીકારીને આપણને એક અસહજ શેરની ભેટ ધરી દીધી છે.

માણસ ભલે અંદરનાં અજવાળે સફર કરતો હોય પરંતુ જ્યારે ખુદ મંઝિલ અને એ મંઝિલ ઉપર પહોંચવાના બધા રસ્તાઓ જ બદનામ હોય તો એની સફર ગમે તેટલી સ્વચ્છ હોય, પણ એ સફર વિશે જાતજાતની અફવાઓ તો નક્કી ઉડવાની જ. અને જ્યારે આ લખું છું ત્યારે મને વિચાર આવે છે કે નેક ઈરાદાવાળા ગણ્યાંગાંઠ્યા થોડા સારા માણસોની અત્યારે બિલકુલ આવી જ દશા હશે, કે જેઓ આપણાં દેશનાં રાજકારણની ગંદકી સુધારવા માંગે છે.

જખ્મોવાળો પ્રખ્યાત શેર તો બધાને સાવ પોતીકો લાગે છે… સૌને જાણે એમના માટે જ કવિએ લખ્યો હોય એમ જ લાગે છે. જો કે, વાતેય સાવ સાચી છે. જીવનની સમી સાંજે જો આપણે આપણને મળેલા જખ્મોથી યાદી તપાસવા બેસીશું, તો જખ્મો આપવાવાળાઓનાં નામો યે કદાચ નામ લઈ પણ નહીં શકાય એવાં સાવ અંગત અંગત જ નીકળશે… અને જો અંગત ન હોય તો એમનું નામ જખ્મોથી યાદીમાંયે શું કામ આવે?! એમ પણ કોઈકે સાચું જ કહ્યું છે કે આપણને સૌથી વધુ દુ:ખ આપવાની શક્તિ માત્ર એમનામાં જ હોય છે કે જેમને આપણે સૌથી વધુ પ્રેમ કરીએ છીએ.

આપણે આપણી જાતથી અલગ થઈને કેટલી વાર સ્વને ચકાસીએ છીએ?  કવિએ મક્તાનાં શેરમાં તો ખરેખર કમાલ કરી છે. જેમ આપણે અન્ય લોકોનું આસાનીથી અવલોકન કરી શકીએ છીએ, બસ એવી જ રીતે કવિની જેમ જો જાતને અવલોકીશું તો ખબર પડશે કે આપણું સાચું મ્હોરું કયું છે અને કયું લગાવીને હંમેશા ફર્યા કરીએ છીએ…!

ઉર્દુનાં ગઝલકાર સૈફ ગુજરાતીનાં ગઝલકાર કેવી રીતે બન્યા?!… એ વાત એમના જ શબ્દોમાં વાંચો !

(ઓત્તારી… ગઝલ વિશેનાં મારા વિચારો પ્રગટ કરવા જતાં આ તો હારો નિબંધ જ લખાઈ ગયો…!  🙂 )

Comments (4)

આપણી યાદગાર ગઝલો : ૦૭ : તમારા પ્રતાપે બધા ઓળખે છે – શૂન્ય પાલનપુરી

પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી, અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો, મને તારું સૌ મયકદા ઓળખે છે.

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ, કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની, મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા, નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં, તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે, કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને, દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

– શૂન્ય પાલનપુરી

સ્વર-સંગીત : મનહર ઉધાસ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Shoonya Palanpuri-Parichay Chhe Mandir Ma Devo Ne.mp3]

જીવનમાં એક એવી પણ દશા આવે છે જ્યારે માણસને કહેવાનું થાય કે, તમારા પ્રતાપે બધા ઓળખે છે. મંદિર-મસ્જીદ-સુરાલય-સાગર બધાની વારંવાર મુલાકાત લેવાની થાય છે. કોઈ એને વ્યથાની દશા કહે પણ કવિ તો આ દશાને પણ પોતાની રીતે માણી રહ્યા છે. પોતાની જાતમાંથી બહાર નીકળીને જાતને જોવી, અને એ પણ વ્યથાના સમયમાં, એ બહુ મોટી વાત છે. એ અહીં કવિએ અજબ ખુમારી સાથે કરી બતાવે છે – નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે ! તબીબોને તો એમના સૌથી પ્રખ્યાત શેરમાથી એક છે. છેલ્લા શેરમાં વ્યથાનો સામનો કરવાના ચાર હથિયાર (ધીરજ, વફા, દયા અને ક્ષમા)ની વાત એમણે બહુ સરસ રીતે કરી છે.

Comments (8)

આપણી યાદગાર ગઝલો : ૦૬ : આવ્યો ન ખુદા યાદ – મરીઝ

રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ,
બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ.

પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,
દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ.

એ તો ન રહી શકતે મહોબ્બતના વિના યાદ,
હો વિશ્વના વિસ્તારમાં એક નાની જગા યાદ.

મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.

મર્યાદા જરા બાંધો જુદાઈના સમયની,
નહિતર મને રહેશે ન મિલનની ય મજા યાદ.

માગી મેં બીજી ચીજ, હતી એ જુદી વસ્તુ,
બાકી હો કબૂલ એવી હતી કંઈક દુઆ યાદ.

આ દર્દ મહોબ્બતનું જે હરગિઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.

એકાંતમાં રહેવાનું ન કારણ કોઈ પૂછો,
છે એમ તો કંઈ કેટલી પ્રેમાળ સભા યાદ.

કિસ્મતમાં લખેલું છે, જુદાઈમાં સળગવું,
ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ.

ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.

હો મૌન જરૂરી તો પછી બન્ને બરાબર,
થોડોક પ્રસંગ યાદ હો, યા આખી કથા યાદ.

ચાલો કે ગતિની જ મજા લઈએ કે અમને,
મંઝિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.

મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.

– મરીઝ
(1917 – 1983) 

સ્વર: મન્ના ડે

[audio:http://tahuko.com/gaagar/layastaro/Mariz-Raheshe aa mane mari.mp3]

મરીઝની ઓછામાં ઓછી પાંચ ગઝલો આ યાદીમાં લઈ શકાય એવી છે. મરીઝે પોતાના ‘ગળતા જામ’ જેવા જીવનને હંમેશા ગઝલથી છલકતું રાખ્યું. ગઝલની ગુણવત્તામાં એમની સરખામણી હંમેશા ગાલિબ સાથે થાય છે. અને ગાલિબનો એમની રચનાઓ પર પ્રભાવ પણ દેખાઈ જ આવે છે. જીવનના કડવા સત્યોને બે લીટીમાં બયાન કરી દેવાની એમને ઈશ્વરી દેન હતી. એમને ગુજરાતી ગઝલના શ્રેષ્ઠ ગઝલકાર કહેવામા કોઈ અતિશયોક્તિ નથી.

Comments (7)

આપણી યાદગાર ગઝલો : ૦૫ : શાનદાર જીવ્યો છું – ઘાયલ

શબ્દની આ૨પા૨ જીવ્યો છું,
હું બહુ ધારદાર જીવ્યો છું.

સામે પૂરે ધરાર જીવ્યો છું,
વિષ મહીં નિર્વિકાર જીવ્યો છું.

ખૂબ અંદ૨ બહા૨ જીવ્યો છું,
ઘૂંટે ઘૂંટે ચિકા૨ જીવ્યો છું.

મધ્યમાં જીવવું જ ના ફાવ્યું,
હું સદા બારોબાર જીવ્યો છું.

મંદ ક્યારેય થઈ ન મારી ગતિ,
આમ બસ મા૨મા૨ જીવ્યો છું.

આભની જેમ વિસ્તર્યો છું સતત,
અબ્ધિ પેઠે અપાર જીવ્યો છું.

બાગ તો બાગ સૂર્યની પેઠે,
આગમાં પુરબહા૨ જીવ્યો છું.

હુંય વરસ્યો છું ખૂબ જીવનમાં,
હુંય બહુ ધોધમાર જીવ્યો છું.

આમ ‘ઘાયલ’ છું અદનો શાયર પણ,
સર્વથા શાનદાર જીવ્યો છું.

– અમૃત ઘાયલ

ઘાયલ એટલે ખુમારી. ઘાયલ એટલે વાવાઝોડું. ઘાયલ એટલે ધારદાર. ઘાયલની ગઝલમાંથી એકની પસંદગી કરવી બહુ અઘરી છે. આ ગઝલ એમના મિજાજનો બખૂબી પરિચય આપે છે અને ‘ઘાયલની ગઝલ’નો ‘ટ્રેડમાર્ક’ જુસ્સો પણ ધરાવે છે. પોતાના ઉપનામનો એમણે હંમેશા જ બહુ સરસ ઉપયોગ કર્યો છે. એમણે ગઝલક્ષેત્રે અવનવા પ્રયોગો પણ બેશૂમાર કરેલા. એક ઘાયલ જ બુલંદ અવાજે કહી શકે, સર્વથા શાનદાર જીવ્યો છું !

Comments (5)

આપણી યાદગાર ગઝલો : ૦૪ : દિવસો જુદાઈના જાય છે – ગની દહીંવાલા

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી. 

ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

– ગની દહીંવાલા
(1908 – 1987)

સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર : મુહમ્મદ રફી

[audio:http://tahuko.com/gaagar/layastaro/Gani Dahiwala-DIVASO JUDAI.mp3]

ગનીચાચાની આ ગઝલ કદાચ ગુજરાતી ગઝલની સૌથી પ્રસિદ્ધ ગઝલ છે. એમનું ભણતર નજીવું અને ઘંઘો દરજીનો. માત્ર હૈયાઉલકતના સહારે એમણે ગુજરાતી સાહિત્યની કેટલીક સર્વોત્તમ કૃતિઓનું સર્જન કર્યુ. માણસ તરીકે એકદમ પારદર્શક. એમને મળો તો ઓળખાણ તો પછી થાય પણ પહેલા એમના ચહેરા પર સ્મિત છલકાઈ જાય. એમની કૃતિઓમાં પણ એમના સ્વભાવનો પડછાયો જોઈ શકાય છે. ગઝલકારો તો ઘણા આવ્યા અને આવશે પણ બીજા ગનીચાચા મળવા અશકય છે.

Comments (6)

આપણી યાદગાર ગઝલો : ૦૩ : ન જાય ઘરમાં, ન બહાર આવે – શયદા

જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.

હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.

વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે – ન મારા દિલને કરાર આવે.

કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે.

ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.

વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.

તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.

હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે.

– શયદા
(1892 -1962)

ગુજરાતી ગઝલને પોતીકુ રૂપ આપવાનુ શ્રેય શયદાને જાય છે. એમણે મુશાયરાની પરંપરાને જીવંત કરીને ગઝલને ગુજરાતમાં લોકપ્રિય બનાવી. ગઝલમાં ફારસી શબ્દોનો ઉપયોગ ઓછો થયો અને ખરેખર ‘ગુજરાતી’ ગઝલ લખાતી થઈ.  શયદાની ગઝલના વિષયો આજે પરંપરાગત લાગે પણ એમની શબ્દો પાસે ધાર્યુ કામ લઈ શકવાની આવડત છાની રહી શકે એમ નથી. ગુજરાતી ગઝલના પિતામહ શયદાની આ ગઝલ એમના મિજાજ અને શૈલીની સારી ઓળખાણ આપે છે.

Comments (4)

આપણી યાદગાર ગઝલો : ૦૨ : જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે – કલાપી

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

વધુ આગળ વાંચો…

Comments (18)

આપણી યાદગાર ગઝલો : ૦૧ : ગુજારે જે શિરે તારે – બાલાશંકર કંથારીયા

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે!

દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!

કચેરી માંહીં કાજીનો, નથી હિસાબ કોડીનો.
જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!

જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે.
નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!

વધુ આગળ વાંચો…

Comments (13)