શિલ્પીન થાનકી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
August 1, 2026 at 11:21 AM by વિવેક · Filed under ગઝલ, શિલ્પીન થાનકી
હર સુંવાળા શબ્દ પર પેશાબ કર,
બેધડક પેશાબ કર, પેશાબ કર.
હો બુઝુર્ગી બોર્ડ – ‘મૂતરવું નહીં’-
એ જ સ્થળ પર તાઉમર પેશાબ કર.
શ્વેત અધિવેશન થશે કર્બુર જરા,-
મંચ પર તું રાત ભર પેશાબ કર.
આ પરબ! આહા પરબ! ઓહો પરબ!
મન થયે શામોસહર પેશાબ કર.
બાઅદબ મધુમેહિયા સાહિત્ય પર
યૂરિયાથી તરબતર પેશાબ કર.
– શિલ્પીન થાનકી
શિલ્પીન થાનકી . મૂળ નામ લલિતકુમાર પુરુષોત્તમ થાનકી. લયસ્તરો પર આ કવિની હોવી જોઈએ એટલી રચનાઓ નથી, પણ એમાં કવિનો નહીં, અમારો જ વાંક છે. કવિનું ભાષાકર્મ અને વિષયવિવિધ્ય –બંને ધ્યાનાર્હ છે. આ ગઝલ જુઓ. આજથી લગભગ પાંચ દાયકા પહેલાં ૧૯૭૯ની સાલમાં લખાયેલી ગઝલ હકીકતમાં કાલાતીત છે. આજેય એ એટલી જ સમસામયિક લાગે છે, જેટલી પચાસ વર્ષ પહેલાં હશે. ગુજરાતી ગઝલે આવી ભાષા ભાગ્યે જ જોઈ હશે. સાહિત્યની દુનિયામાં જુગુપ્સાપ્રેરક લાગે એવી પેશાબ કરવાની પ્રક્રિયા ગઝલના કેન્દ્રમાં છે. પાંચ શેરની ગઝલમાં કવિએ સાતવાર પેશાબ કરવાની સૂચના આપી છે. સૂચના ગણો તો સૂચના અને આદેશ ગણો તો આદેશ, પણ એ બીજા માટે ઓછો અને સ્વયં માટે વધુ છે. ગુજરાતી કવિતાને શરૂઆતથી જ સુષ્ઠુ સુષ્ઠુ વલણ જ વિશેષ માફક આવ્યું છે. કડક વિવેચકો થયા જ નથી, એમ નહીં, પણ એમની સંખ્યા એક હાથની આંગળીઓના વેઢાય વધી પડે એટલી ઓછી રહી છે. કવિ આવા સુંવાળા વલણ સામે તીવ્રતમ આક્રોશ વ્યકત કરવા આહ્વાન કરે છે. બુઝુર્ગી બૉર્ડ વાંચતા જ પગ કબરમાં લટકતા હોવા છતાં પદપિપાસા ત્યાગી ન શકનાર જમાત નજર સામે તરવરે. કડવા સત્યને સંતાડી રાખી અદબપૂર્વક મધમીઠા જૂઠાણાં પીરસતા મધુમેહિયા સાહિત્ય પરનો હલ્લો પચાસ વરસોમાં તો અસર કરી શક્યો નથી, હવે કરે તો રચના સાર્થક થાય…
Permalink
June 23, 2022 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શિલ્પીન થાનકી
એકલો ચાલું, સહારો ના ખપે;
માર્ગ છો ભૂલું, સિતારો ના ખપે.
પાનખરને આવકારું હર્ષથી,
કાયમી કેવળ બહારો ના ખપે.
વેગળી મંજિલ રહે મંજૂર છે,
રાહમાં એકે ઉતારો ના ખપે.
સાગરે ડૂબું ભલે મઝધારમાં-
સાવ પાસે હો કિનારો, ના ખપે.
– શિલ્પિન થાનકી
ચાર જ શેરની નાનકડી લાગતી મોટી ગઝલ. મત્લા વાંચતા જ રૉબર્ટ ફ્રોસ્ટની કવિતા ‘રૉડ નોટ ટેકન’ યાદ આવે- ‘Two roads diverged in a wood, and I— I took the one less traveled by, And that has made all the difference.’ બીજાની સહાય લીધા વિના નિજની કેડી નિજ કંડારવાની વાત કવિએ બે પંક્તિમાં કેવી સ-રસ રીતે કહી છે!
Permalink
January 16, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મીના છેડા, શિલ્પીન થાનકી
(કચ્છી)
મીણ જેડા થઈ વિયા પથ્થર ડિસે,
સ્પર્શ જે ગુલ્મોરજો અવસર ડિસે.
આંગણે મેં લાગણી રેલાઈ વઈ,
અંકુરિત હાણે સઘન ઉંબર ડિસે.
ભાલજો સિન્દુર હી સૂરજ સમો,
આભલેં મઢ્યો અસાંજો ઘર ડિસે.
મઘમઘેંતી મેડિયું મધરાતજી,
સાંસમેં સાયુજ્યજો અત્તર ડિસે.
ઓયડેજી શૂન્યતા ખન્ડિત હુઈ,
રુનઝુનિત આશ્લેષજા ઝાન્ઝર ડિસે.
એકતારો હી વજે અદ્વૈત જો –
સત્ત સાગર સામટા ભીતર ડિસે.
– શિલ્પિન થાનકી
ભાષાને અતિક્રમીને પણ જે અડી જાય એ ખરી કવિતા. સાથે આપેલો ભાવાનુવાદ વાંચતા પહેલાં આ ગઝલ એમ જ ત્રણ-ચાર વાંચો. તરત તમારા દિલને અડી ન જાય તો કહેજો…
*
મીણ જેવા થઈ ગયેલા પથ્થર દેખાય છે
ગુલમહોરના સ્પર્શનો અવસર દેખાય છે
આંગણામાં લાગણી રેલાઈ ગઈ
હવે આખું આંગણું અંકુરિત દેખાય છે
કપાળનું સિન્દુર સૂરજ સમાન છે
આભલે મઢ્યું અમારું ઘર દેખાય છે
મધરાતની મેડીઓ મઘમઘે છે
શ્વાસમાં સાયુજ્યના અત્તર દેખાય છે
ઓરડાની શૂન્યતા ખંડિત થઈ
રણઝણિત આશ્લેષના ઝાંઝર દેખાય છે
અદ્વૈતનો આ એકતારો વાગે છે
સાત સાગર સામટા ભીતર દેખાય છે.
– ભાવાનુવાદ: મીના છેડા
Permalink
November 5, 2005 at 5:19 PM by ધવલ · Filed under ગઝલ, શિલ્પીન થાનકી
સહુ કહે છે: ‘મંદિરે ઈશ્વર નથી’,
હું કહું છું: ‘ત્યાં ફ્ક્ત પથ્થર નથી’.
સહુ કહે છે: ‘ઝાંઝવાં છે રણ મહીં’,
હું કહું છું: ‘ત્યાં નર્યા મૃગજળ નથી’.
સહુ કહે છે: ‘પાનખર છે ઉપવને’,
હું કહું છું: ‘ત્યાં ધરા ઊષર નથી.’
સહુ કહે છે: ‘શૂન્ય છે આકાશ આ’,
હું કહું છું: ‘સૂર્ય આ જર્જર નથી.’
સહુ કહે છે: ‘ક્ષણ સમી છે જિન્દગી’,
હું કહું છું: ‘પ્રાણ મુજ નશ્વર નથી.’
-‘શિલ્પીન’ થાનકી
(ઊષર = ખારાશવાળું)
Permalink