આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન-
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના !
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પંકજ વખારિયા

પંકજ વખારિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




તને માફક નહીં આવે – પંકજ વખારિયા ‘પ્રેમકમલ’

ત્યજી દે સત્વરે કાગળ, તને માફક નહીં આવે,
ગઝલ છે ભેજવાળું સ્થળ, તને માફક નહીં આવે.

ભલેને સાવ છે નિર્મળ, તને માફક નહીં આવે
જરા ખારું છે અશ્રુજળ, તને માફક નહીં આવે.

કદી તું ગણગણી લે શામે-ગમનાં ગીત, અલગ છે વાત,
આ રહેવું કાયમી વિહવળ, તને માફક નહીં આવે.

તું ટેવાયો છે ચોક્કસ રાહ પર રહેવાને અગ્રેસર,
ભટકવું કોઈની પાછળ, તને માફક નહીં આવે.

તું તારા ફાર્મહાઉસમાં લગાવી દે ફૂવારાઓ,
વરસતી હેલી ને ખળખળ તને માફક નહીં આવે.

તું ઝુમ્મરની જ ઝાકમઝોળથી કર તારું ઘર રોશન,
મીંચેલી આંખનું ઝળહળ તને માફક નહીં આવે.

ગમે તે પી લઈને તર થવાને નામે ડૂબી મર,
તરસની નાવ ને મૃગજળ તને માફક નહીં આવે.

ચળકતી ચાંદનીમાં શબ્દની, બેફિક્ર બેઠો રહે,
ઉકળતા લોહીની ચળવળ તને માફક નહીં આવે.

તું ચાવ્યાં કર ફકત પીળાં પડેલાં પાન ગ્રંથોના,
વિકસતી તાજી આ કુંપળ તને માફક નહીં આવે.

– પંકજ વખારિયા (પ્રેમકમલ)

(ડૉ. અશરફ ડબાવાલાની પંક્તિ ‘શબદની કેદ કે કાગળ તને માફક નહીં આવે’ની જમીન પર)

નવશેરની નવરંગ ગઝલ. તને માફક નહીં આવે જેવી ભાતીગળ રદીફ બખૂબી નિભાવીને કવિએ સરસ ચાબખા માર્યા છે. કવિઓને સંબોધીને લખાયેલ પ્રથમ અને આખરી શેર તો હૃદયમાં મઢાવી રાખવા જેવા…

Comments (6)

ત્યારે – પંકજ વખારિયા

ભલે ત્યારે,
ઘડાવ હવે આભૂષણો
પરંતુ
ઘણી બૂમ પાડેલી તને
અને છેલ્લે નિ:શબ્દ ચિત્કાર પણ.
જેની લાશ ધીમે ધીમે સડીને
હવે સુવર્ણની થઈ રહી છે,
એ નદીએ
મારી ભીતરથી બહાર ફૂદીને
આપઘાત કરેલો
ત્યારે તું ક્યાં હતી ?

– પંકજ વખારિયા

સાવ નાનું અમથું બે જ વાક્યનું આ અછાંદસ બે ‘ત્યારે’ની વચ્ચે બુલેટ ટ્રેનની ઝડપથી વર્તમાન અને ભૂતકાળની મુસાફરી કરાવે છે. નાયિકા નાયકને ત્યજીને ચાલી નીકળે છે ત્યારે વિખૂટા પડવાની આ ક્ષણે નાયક એને રોકવા માટે ઘણી બૂમ-આજીજી કરે છે, પણ નાયિકા રોકાતી નથી… જેને શબ્દોની અસર નથી એના પર નિઃશબ્દ ચિત્કાર તો શું કામ કરવાના? પ્રણયવિચ્છેદની તીવ્રતા સર્જન સ્વરૂપે બહાર આવે છે… ભીતરની લાગણીની નદી કાગળ પર કવિતારૂપે ઉતરી આવે છે એને કવિ નદીની આત્મહત્યા ગણાવે છે… લાગણીનો ખરો પ્રાણ તો એ હૈયામાં હોય એ જ છે. સ્વથી સર્વ સુધી આવેલી લાગણી તો લાગણીની લાશ જ કહેવાય ને! કવિની ખ્યાતિ વધી રહી છે. લાગણીની લાશ આમ તો સડી રહી છે પણ ધીમે ધીમે એ સોનાની થઈ રહી છે અને હવે નાયિકાને આ પ્રસિદ્ધિ લલચાવી રહી છે. એ નાયકની જિંદગીમાં પરત ફરવાની ફિરાકમાં છે… પણ નાયક હવે મનથી દૂર ચાલ્યો ગયો છે, ભલે ને નાયિકા હવે નાયકની પ્રસિદ્ધિની વહેતી ગંગામાં હાથ ધોવા માંગતી કેમ ન હોય !

Comments (5)

મત્લા ગઝલ – પંકજ વખારિયા

સદરહુ લોહીથી સઘળું લખાવ, બાબતમાં
બયાન પથ્થરે માંગ્યું છે ઘાવ બાબતમાં

પ્રવાસી ગૂમ થવાના બનાવ બાબતમાં
કશુંક જાણે છે ૨સ્તો, પડાવ બાબતમાં

વિચારીએ હવે તો બસ, બચાવ બાબતમાં
વિલાપ વ્યર્થ છે ડૂબેલ નાવ બાબતમાં

નદી, કરે શું નિવેદન એ વાવ બાબતમાં
અહો !અહો ! જે કરે છે તળાવ બાબતમાં

સરળ છે આમ એ પર્વત,ચઢાવ બાબતમાં
ઉતરવું અઘરું છે જો કે લગાવ બાબતમાં

તમારી ચૂક થઇ છે ઠરાવ બાબતમાં
કરો ના રાવ હવે મારા દાવ બાબતમાં

બધાને માટે છું એક જ હું ભાવ બાબતમાં
અલગ છું વ્યક્તિ પ્રમાણે વટાવ બાબતમાં

– પંકજ વખારિયા

Comments (9)

ભીંજાઈએ – પંકજ વખારિયા

છે દિવસ ઓછા, હજી પણ ચલ, પ્રિયે! ભીંજાઈએ
આ છલોછલ આંખના છે સમ તને, ભીંજાઈએ

સાવ સૂકીભઠ્ઠ ધરા જેવા અધર પર લીલાંછમ
ગીત ઊગી જાય પાછાં એ હદે ભીંજાઈએ

મેહ વરસે છે સરાજાહેર તો શા કારણે
ખાનગીમાં, એકલાં છૂપાઈને ભીંજાઈએ?

પીઢ લોકોને ભલે રહી ના પલળવાની ગરજ,
પણ ફરજ છે આપણી તો, આપણે ભીંજાઈએ.

બે ઘડી શંકા-દુવિધાને ફગાવી દઈ, ચલો
કોઈ અનરાધારે અનહદ ભીંજવે, ભીંજાઈએ

રહી ગયા રંક ઓરડાની કોરીકટ ભીંતો સમા
દે ખુદા ! વરસાદ છપ્પર ફાડકે, ભીંજાઈએ

– પંકજ વખારિયા
(૧૩-૦૭-૨૦૧૬)

આવું-આવું કરીને વરસાદ સતત હાથતાળી દઈ જતો હોય એવામાં આવી જ ગઝલ સૂઝે ને? બધા જ શેર સરાબોળ ભીંજવી જાય એવા. આવી પાણીદાર મેઘ-મલ્હારી ગઝલ વાંચીને પણ જો વરસાદ આપણને ભીંજવવા ન આવે તો જ નવાઈ…

Comments (3)

ગઝલ – પંકજ વખારિયા

સાંજ પડતા બસ, સ્મરણ તારું થયું
ને પછી, અંધારું ઝળહળતું થયું

આ સ્મરણ છે કે કોઈ સંજીવની ?!
ઝંખનાનું શબ ફરી બેઠું થયું.

આપણાંથી છેટાં શખ્સોને લીધે
આપણી વચ્ચે જરી છેટું થયું

હર વખત નડતી શરમ જેની તને
બોલ, અંતે કોણ એ તારું થયું ?

કંઈ પ્રસંગોપાત હો તો ઠીક છે
દર્દ આ તે કેવું રોજિંદું થયું

નામ લેતાં પણ ડરું છું સૂર્યનું
એવું માથાભારે અંધારું થયું

આંખથી કાજળ ગયું બસ, તારું તો…
મારું તો આખું જીવન કાળું થયું

-પંકજ વખારિયા

શાનદાર ગઝલ…

Comments (5)

॥ अथ श्रीमद् गज़ल ॥ – પંકજ વખારિયા

Pankaj_book_cover

પદ, પ્રતિષ્ઠા કે પૈસાની પાઈનીય પરવાહ કર્યા વિના નિતાંત ગઝલપરસ્તિમાં જીવતા અસ્સલ હુરતી પંકજ વખારિયાનો સંગ્રહ આખરે આવ્યો ખરો… ગુજરાતી કાવ્યસંગ્રહ માટેના આ વર્ષના તમામ પુરસ્કારો માટે આનાથી વધુ લાયક બીજો કોઈ સંગ્રહ આ વરસે નહીં જ આવી શકે એવી ઊંડી ખાતરી સાથે પંકજનું સ્વાગત અને શુભકામનાઓ…
*

કેટલાક શેર આપના રસાસ્વાદ માટે…

સપનું ઊડી ગયા પછી બાકીમાં કંઈ નથી
અડધી પથારી ખાલી છે, અડધીમાં કંઈ નથી
હા, પહેલાં જેવું બળ નથી પાણી કે આગમાં
એવું નથી કે આંખ કે છાતીમાં કંઈ નથી

તમન્ના હોય છતાં કંઈ જ થઈ નથી શકતું,
પડી રહ્યા છે પતંગો પવન નથી એથી.
હજીયે ધસમસી આવે છે આંખમાં પાણી,
હજી આ દર્દનું અમને વ્યસન નથી એથી.

ધરતીમાં ઊંડે, આભમાં ઊંચે ગયો હશે
એમ જ તો કોઈ માનવી પુષ્પિત થતો હશે

દ્વારથી પાછા જવાનું મન થતું
એવી એની આવ કહેવાની કળા

એનો કોઈ તો ઘાટ હશે મોક્ષદા જરૂર,
આંસુને આરે આરે રઝળપાટ આપણો.

ક્યાંય બોલાયું નહીં એ નામ આખી વાતમાં,
રીત દુનિયાથી અલગ છે આપણી ગુણગાનની.

રણની તમામ શુષ્કતા આજે ખરી ગઈ,
કેકટસને બેઠું ફૂલ, ને રોનક ફરી ગઈ.
છાતીની વંધ્યા વાવમાં પાણી પ્રગટ થયાં,
બત્રીસલક્ષણા કોઈ પગલાં કરી ગઈ.

જે સમજવા ચાહે તે સમજી શકે,
સત્ય બાકી કોણ સમજાવી શકે ?

કાશ કે ચાલ્યા જનારાની સ્મૃતિ,
કોઈ એની સાથે દફનાવી શકે.

હોય છે હૈયું તો મુઠ્ઠી જેવડું,
થાય ખુલ્લું તો ગગન થઈ જાય છે.

લાગશે એ શહેર બસ, બે પળ નવું,
જાવ હાંસિલપુર મુરાદાબાદથી.

સાંજના સોફે ટીવીનો હાથ મેં
હાથમાં લીધો અને તનહાઈ ગઈ.

તોય વધતું જાય અંધારું સતત,
બત્તી તો લાખો બળે છે શહેરમાં.

ફરી એ જ હત્યા, કરપ્શન, અકસ્માત,
ઊઠે છે સવાલ : આ તે છાપું કે પાછું ?

રહેશે ન માથે છાંયડો કાલે આ વૃક્ષનો,
હા, વારસામાં એક સરસ બાંકડો હશે.

ધીમી તો ધીમી યાદ છે તારી અગન સમી,
ને અખરે આ હોવું બરફનું મકાન છે.

જીરવી પળ પ્રાણઘાતક, પણ પછી,
જિંદગી વીતે છે, જિવાતી નથી.

દૃશ્યનું ફોલ્લું ફોડવા માટે,
આંખ મીંચ્યા વિના ઉપાય નથી.

જિંદગી સાથે કોઈ ઝઘડો નથી,
બસ, હું ઊઠી જાઉં છું, રમતો નથી.

એક-બે વાતો અધૂરી રાખીએ,
બીજી તો શી પાછાં મળવાની કળા ?

– પઁકજ વખારિયા

Comments (17)

ગઝલ -પંકજ વખારિયા

સપનું ઊડી ગયા પછી બાકીમાં કંઈ નથી
અડધી પથારી ખાલી છે, અડધીમાં કંઈ નથી

આપી જશે આ ભીંતને વધુ એક ચોકડી
આજેય બીજું સૂર્યની ઝોળીમાં કંઈ નથી

જન્મારો વેઠે છે અહીં નોંધારો ખાલીપો
લૂંટી શકે તો લૂંટ, હવેલીમાં કંઈ નથી

બસ, બે’ક બુંદ જેટલો સંસાર એનો છે
શબ્દો કે સૂર જેવું ઉદાસીમાં કંઈ નથી

હા, પહેલાં જેવું બળ નથી પાણી કે આગમાં
એવું નથી કે આંખ કે છાતીમાં કંઈ નથી

– પંકજ વખારિયા

આમ તો આખી ગઝલ જ ગઝલકાર પંકજની તાસીર મુજબ સશક્ત છે પણ હું મત્લાના શેરથી આગળ વધી જ શકતો નથી. વાત ખાલી એક સપનું તૂટી જવાની છે કે આપણી આખી જિંદગીની ?

Comments (6)

ગઝલ – પંકજ વખારિયા

Pankaj Vakharia_Chhie paraspar sau nirbhar

(‘લયસ્તરો’ માટે ફરી એકવાર પંકજ વખારિયાના હસ્તાક્ષરમાં એક અક્ષુણ્ણ ગઝલ)

*

છીએ પરસ્પર સૌ નિર્ભર,
આપ, અમે ને સચરાચર

ઊઠે શ્વાસો ને સંયોગ
છંદોના પર્ણે મર્મર

શબ્દો સ્વાહા સ્વાહા થાય
કાગળ પ્રગટ્યો વૈશ્વાનર

ઝૂક, બરાબર ઝૂક અને –
સાંભળ કીડીનાં ઝાંઝર

મારો ‘હું’ પોઢી જાશે
તું વિસ્તર ને થા બિસ્તર

– પંકજ વખારિયા

પંકજની ગઝલો અમરપટો લખાઈને આવેલી ગઝલો છે. દરરોજ એક નવો ગઝલકાર ગુજરાતી કાગળ પર ફર્લાંગ ભરવી શરૂ કરે છે પણ મોટાભાગના સમયની ખીણમાં લુપ્ત થઈ જશે. પંકજ આ આખી ભીડમાં એક સુખદ અપવાદ છે. એની ગઝલો લોકો સુધી પહોંચે એ માટે આજે મિત્રોએ એને ધક્કો મારવો પડે છે પણ એટલું નક્કી છે કે આ ગઝલો એકવાર લોકો સુધી પહોંચી જશે પછી એ પંકજ પાસે નહીં આવે… એ લોકોની બની જશે!!

Comments (12)

ભગવતી-વિશેષ : તરહી મુશાયરો… (ભાગ- ૧)

એકત્રીસમી મેના રોજ શહેરના મૂર્ધન્ય કવિ શ્રી ભગવતીકુમાર શર્માએ જીવનની છોત્તેર વસંત પૂરી કરી એ ઉપલક્ષમાં એમની અલગ અલગ ગઝલો ઉપર અલગ અલગ કવિઓ પોતપોતાની રચના રચે અને વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ એક સુંદર અનૂઠો તરહી મુશાયરો એમને જન્મદિવસની ભેટ તરીકે આપે એવું અમે વિચાર્યું હતું. મેં અને ગૌરાંગ ઠાકરે મળીને ભગવતીકુમાર શર્માની ગઝલોના અલગ-અલગ પુસ્તકોમાંથી કવિશ્રીએ પ્રયોજેલા મોટા ભાગના છંદ આવરી લેવાય એ પ્રમાણે કાવ્યપંક્તિઓ પસંદ કરી સત્તાવીસ જેટલા કવિઓને ફાળવી.

અનિવાર્ય સંજોગાનુસાર એ કાર્યક્રમ 30મી મેના બદલે છઠ્ઠી જુને યોજી શકાયો… આ કાર્યક્રમની સચિત્ર ઝલક બે ભાગમાં પ્રસ્તુત કરીએ છીએ:

IMG_4733[1]
(ડાબેથી ભગવતીકુમાર શર્મા, ગૌરાંગ ઠાકર અને વિવેક ટેલર)

કાર્યક્રમની શરૂઆત ‘કાવ્યગોષ્ઠી’નો પરિચય તથા શ્રી ભગવતીકુમાર શર્માની સર્જનયાત્રા અને સર્જક તરીકે શ્રી ભગવતીકુમાર વિશેનું મારા મંતવ્ય પ્રગટ કરીને મેં કરી હતી.

*

IMG_4772

શ્રી ભગવતીકુમાર શર્માએ એમના જન્મદિવસના ઉપલક્ષમાં યોજાયેલા આ કવિસંમેલન વિશે કૃત્કૃત્યતા પ્રગટ કરી સહુને આશીર્વચન આપ્યા હતા… અને પછી કવિઓએ શ્રી ભગવતીકુમાર શર્માની અલગ અલગ પંક્તિઓ ઉપર ગિરહ મારીને રચેલી પોતાની રચનાઓ રજૂ કરવી શરૂ કરી હતી…

*

IMG_4744

હૈયામાં એમના ભલે સ્થાપિત ન થઈ શક્યો,
ઉતરું નજરથી, એટલો ત્રાહિત ન થઈ શક્યો.
ખૂંચે છે એ જ શૂળ જો નીકળું છું બાગથી,
પુષ્પોમાં હું રહ્યો ને સુવાસિત ન થઈ શક્યો.

– રઈશ મનીઆર

*

IMG_4740

છે રામના રખોપાં એવું હું કહું અને
મંદિરની સીડી પર થતી હું નાસભાગ છું.
માની લીધું નજીવું છે મારું વજૂદ પણ
કોઈ વિરાટ યોજનાનો હુંય ભાગ છું.

– બકુલેશ દેસાઈ

*

IMG_4755

બંધ મુઠ્ઠી ખોલું ત્યારે છળ મળે,
સાત ભવ માગું ને કેવળ પળ મળે.
દોસ્તો, સુંદર ગઝલ કહેતા બધા,
ઇચ્છું કે મારી કલમને બળ મળે.

– દિલીપ મોદી

*

IMG_4759

ઘૂંટી ઘૂંટીને શોકને ઉજળો કર્યો છે મેં,
માણસ થવા જતાં હું થયો પુણ્યશ્લોક છું.
મૃત્યુને કારણે જ હું જુદો છું બાકી તો –
હું પૃથ્વીલોક છું અને હું દેવલોક છું.

– રવીન્દ્ર પારેખ

*

IMG_4701

બીજાંની જેમ એણે પણ કસબ એ કેળવી લીધો,
કહે છે વાત સઘળી પણ કરે છે વાત વાળીને.
હૃદયના એક ફળિયે લાગણીનું ઘર જરા સળગ્યું,
હવે એ જંપશે જોજો ને! આખું ગામ બાળીને.

-હેમાંગ જોષી (ભરૂચ)

*

IMG_4705

નથી તું, છતાં મહેંક તારી ભરી છે,
અહીં રોમરોમે ખીલી ગુલછડી છે.
તને પાંપણે કેદ રાખું છતાંયે
બની આંસુ, તારી હયાતી દડી છે.

-સ્મિતા પારેખ

*

IMG_4720

પતનનો થાય છે આરંભ ઉચ્ચ સ્થાનેથી,
પડે છે છાપરું પહેલાં પછી દીવાલ પડે.
મળે છે આખરી ઉત્તર તો હોય કેવળ મૌન,
થતાં જ શૂન્યની સન્મુખ, બધા સવાલ પડે.

-પંકજ વખારિયા

(ભાગ-૨ આવતીકાલે)

Comments (11)

ગઝલ – પંકજ વખારિયા

Pankaj Vakharia_Zanzat tamam padti muki bes thodi vaar
(પંકજ વખારિયાના હસ્તાક્ષરમાં ‘લયસ્તરો’ માટે એક અપ્રગટ કૃતિ)

*

ઝંઝટ તમામ પડતી મૂકી, બેસ થોડીવાર
સાંભળ ભીતરનો સાદ જરી, બેસ થોડીવાર

લોલક સમી છે મનની ગતિ બેસ, થોડીવાર
જંપી જા મધ્યે, છોડ અતિ, બેસ થોડીવાર

જોવાં- ન જોવાં જેવું ઘણું જોયું બસ હવે
જોઈ લે ખુદને આંખ મીંચી, બેસ થોડીવાર

અસ્તિત્વ તારું ડૂબી રહ્યું અંધકારમાં
અંતરમાં એક દીવો કરી, બેસ થોડીવાર

ત્યારે સમસ્ત વિશ્વમાં ઓગળશે તારો ‘હું’
સર્વત્ર રહેશે ‘એક તૂ હિ’, બેસ થોડીવાર

– પંકજ વખારિયા

નવી પેઢીના ગઝલકારોમાં કદાચ પંકજ મારો પ્રિયતર કવિ છે.  એની ગઝલોમાં સપાટી પર રમતો શેર શોધી કાઢવાનું કામ દોહ્યલું છે.  બેસ થોડીવાર જેવી મજાની રદીફ એણે પાંચેય શેરમાં બખૂબી નિભાવી બતાવી છે…

Comments (16)

ગઝલ – પંકજ વખારિયા

Pankaj Vakharia_shikhvi gayi kaik parda Ni kala
(ખાસ લયસ્તરો માટે પંકજ વખારિયાના પોતાના અક્ષરોમાં એક અક્ષુણ્ણ ગઝલ)

*

શીખવી ગઈ કૈંક પરદાની કળા
દૃશ્યથી પર થઈને જોવાની કળા

દ્વારથી પાછા જવાનું મન થતું
એવી એની આવ કહેવાની કળા

ક્યાં હવે એ બાજુથી થઈએ પસાર ?!
યાદ ક્યાં છે રસ્તો ભૂલવાની કળા

કેટલાં દિવસે મળી બારીમાં સાંજ !
તાજી થઈ પાછી ઝૂરાપાની કળા

દોસ્ત ! તું પણ લખ ગઝલ, અઘરી નથી
આમ જોકે શ્વાસ લેવાની કળા

શબ્દની કરતાલમાં રણકી ઊઠી
જિંદગી નામે ભરોસાની કળા

એક-બે વાતો અધૂરી રાખીએ
બીજી તો કઈ પાછા મળવાની કળા

-પંકજ વખારિયા

દુલા ભાયા કાગની પંક્તિ યાદ છે?- હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે… પણ આજે જમાનો જરા જુદો છે.  આજે ‘આવ’ માંથી ‘ભાવ’ સાવ જ નીકળી ગયો છે. અપેક્ષાથી વિપરીત સૂકો અને સૂનો આવકાર મળે ત્યારે દરવાજેથી જ પાછા વળી જવાનું મન ન થાય ?

Comments (12)

ગઝલ – પંકજ વખારિયા

Pankaj Vakharia_Dharti ma unde aabh ma uncho gayo hashe

(પંકજ વખારિયાના હસ્તાક્ષરમાં ‘લયસ્તરો’ માટે એક અપ્રગટ કૃતિ)

ધરતીમાં ઊંડે, આભમાં ઊંચે ગયો હશે
એમ જ તો કોઈ માનવી પુષ્પિત થતો  હશે

જંગલનું વૃક્ષ પાઠવે છે શહેરી વૃક્ષને
પાણી ઘણું છે વનમાં, ત્યાં તડકો ઘણો હશે

આતુર થઈને સૂંઘી વળે નાનાં છોડવાં
એનાય નામે કોઈએ ટહુકો લખ્યો હશે

ધબકે અવર-જવર છતાં એકાંત ના તૂટે
ઘરમાં કવિના વૃક્ષ સમો ઓરડો હશે

સંગીત લીલું લીલું આ કાયમ નહીં રહે
ખખડાટ કોઈ વેળા સૂકાં પાનનો હશે

દુઃખ પાનખરમાં આમ તો વૃક્ષોને કંઈ નથી
છાંયો ઘટી પડ્યાનો જરા વસવસો હશે

રહેશે ન માથે છાંયડો કાલે આ વૃક્ષનો
હા, વારસામાં એક સરસ બાંકડો હશે

– પંકજ વખારિયા

પંકજની ગઝલ જ્યારે જ્યારે વાંચું છું ત્યારે એ એક એક શેર પર એક એક ગઝલ જેટલી મહેનત કરે છે એવી મારી માન્યતા વધુ ને વધુ દૃઢીભૂત થતી રહે છે. વૃક્ષ ઉપર લખાયેલી આ મુસલસલ ગઝલ જ જોઈ લ્યો. એક-એક શેર કાબિલે-દાદ થયા છે. માનવમાંથી મહામાનવ બનવાની આખી યાત્રાને માત્ર બે લીટીમાં સમાવી લેતો આ ગઝલનો મત્લા આપણી ભાષાનો સર્વકાલીન યાદગાર શેર થવા સર્જાયો છે. મૂળ ધરતીમાં ઊંડે ખોડાયેલા રહે અને ડાળ આકાશ ભણી ગતિ કરતી રહે, ઉર્ધ્વગતિ જેમ વધુ થતી રહે એમ મૂળ વધુ ઊંડે ઊતરતા રહે અને આ બે વિરુદ્ધ દિશાનો સુમેળ થાય ત્યારે જ તો પુષ્પિત થવાતું હોય છે ! કેવી ઊંચી વાત! માત્ર બે પંક્તિમાં?!

ગઝલ નામના કાવ્યપ્રકારની ઠેકડી ઊડાવનારાઓ… ક્યાં છો તમે?

Comments (15)

ગઝલ – પંકજ વખારિયા

મળી છે પાંખ પરંતુ ગગન નથી એથી,
ખરી રહ્યાં છે પીંછા ઊડ્ડયન નથી એથી.

તમન્ના હોય છતાં કંઈ જ થઈ નથી શક્તું,
પડી રહ્યા છે પતંગો પવન નથી એથી.

પડી છે સંપદા ભીતરમાં પણ, ધરા ઉજ્જડ
નથી ખણકતા ખજાના ખનન નથી એથી.

ઉડાઉ હાથે વ્યથા કેમ ખર્ચી નાંખે છે ?
પસીનો પાડી કમાયેલું ધન નથી એથી ?

હજીયે ધસમસી આવે છે આંખમાં પાણી
હજી આ દર્દનું અમને વ્યસન નથી એથી.

-પંકજ વખારિયા

પંકજ વખારિયા સુરતના ભંડકિયામાં સંતાઈ રહેલ એક અદભુત પ્રતિભા છે. વિશિષ્ટ કલ્પનોનો શિસ્ત પ્રયોગ અને અરૂઢ પ્રતીકોનો અનૂઠો ઉપયોગ એ પંકજની ગઝલોની ખાસિયત છે. સંસારમાં રહીને સંસારથી થોડો વેગળો ચાલતો આ કવિ ‘બાઝાર સે ગુઝરા હૂઁ, ખરીદદાર નહીં હૂઁ ‘ જેવી ફાકા-મસ્તી સાથે જીવે છે. ગઝલ ઓછી લખે છે પણ દરેકેદરેક શેર પર એક આખી ગઝલ જેટલી મહેનત કરે છે. છંદની સફાઈ પર જેટલું ધ્યાન આપે છે એટલું જ શેરમાંથી ઉપસી આવતી કવિતા પર પણ ધ્યાન આપે છે. અહીં આ પાંચ શેરમાંથી કોઈ એક પસંદ કરવો હોય તો અઘરું પડી જાય એમ નથી લાગતું ?

Comments (18)

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૧

હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે

-ગનીચાચાના જન્મશતાબ્દી વર્ષની ઉજવણીનો દબદબાભેર પ્રારંભ-

અહેવાલ: રઈશ મનીઆર, વિવેક ટેલર

કોઈપણ કળાકારને સાચી અંજલિ શી રીતે આપી શકાય આ પ્રશ્નનો ઉત્તર તા. 21મી સપ્ટેમ્બરે, રવિવારે સાંજે રાષ્ટ્રીય કળા કેન્દ્ર હસ્તક સુરતના કળાપ્રેમી શ્રોતાઓને સાંપડ્યો. પ્રસંગ હતો 17 ઑગસ્ટ, 1908ના રોજ જન્મેલા સુરતના શાયર શ્રી ગનીભાઈ દહીંવાલાના શતાબ્દી વર્ષની દબદબાભેર કરાનારી ઉજવણીનું પ્રથમ સોપાન અને ઉજવણીની રીત હતી ગુજરાતભરમાં કદાચ સર્વપ્રથમવાર યોજાયેલ વિશિષ્ટ પ્રકારના તરહી મુશાયરાની. શહેરના 24 જેટલા નામાંકિત અને નવોદિત ગઝલકારો એકસાથે એક જ મંચ પર બિરાજમાન થાય અને ગનીચાચાની ગઝલોની અલગ-અલગ 24 જેટલી પંક્તિઓ પર પાદપૂર્તિ કરીને ગઝલો કહેવા ઉપસ્થિત થયા હોય એવો પ્રસંગ કદાચ ગઝલગુર્જરીના આંગણે પ્રથમવાર આવ્યો હતો…

ganichacha4

તમારા અહીં આજ પગલાં થવાના, ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓ ને ફૂલોનીય નીચી નજર થઈ ગઈ છે.

-ગનીચાચાની આ અમર પંક્તિઓ વડે ડૉ. રઈશ મનીઆરે શ્રોતાજનોનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રીય કળાકેન્દ્રના પ્રમુખ  શ્રી રૂપિન પચ્ચીગરે આવકારવચન કહી ગની જન્મ શતાબ્દિ પ્રસંગ ઉજવણીની આ પહેલી કડીની આલબેલ પોકારી હતી. ભારત સાહિત્ય અકાદમી પુરસ્કૃત જૈફ સાહિત્યકાર શ્રી રતિલાલ અનિલે ગનીચાચા સાથેની પોતાની સ્મૃતિઓ વાગોળી હતી અને છે…ક 1943ની સાલમાં યોજાયેલ ગનીચાચાના સર્વપ્રથમ મુશાયરાને તાદૃશ્ય કર્યો હતો. અને એ મુશાયરામાં ગનીચાચાએ રજૂ કરેલ ગઝલનો શેર 86 વર્ષની ઉંમરે યાદદાસ્તના બળે રજૂ કરી શ્રોતાઓને ચકિત કર્યા હતા:

મારવાને જ્યાં મને કાતિલ ધસ્યો,
લાગણી વળગી પડી તલવારને.

અમર પાલનપુરી, ચંદ્રકાંત પુરોહિત તથા ભગવતીકુમાર શર્માએ પણ ગનીચાચા સાથેના મજાના સંસ્મરણો તાજા કર્યા હતા. મુરબ્બી શ્રી ભગવતીકાકાએ ગનીચાચાના વિનય, પ્રેમબાની અને તરન્નુમથી છલકાતા સમૂચા વ્યક્તિત્વને સુપેરે વ્યક્ત કરતા એમના જ શેર વિશે શ્રોતાજનોને સવિસ્તર સમજાવ્યું હતું:

‘ગની’ ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ,
વિનયથી સજ્જ એવી પ્રેમબાની લઈને આવ્યો છું.

વિનયથી સજ્જ પ્રેમબાનીથી ગુજરાતને ગૂંજતું કરનાર આ મહાન શાયરને એમની જન્મશતાબ્દિ પર એમની જ ગઝલો પર પાદપૂર્તિ કરી કાવ્યાત્મક અંજલિ આપવાનો  મનોહર ઉપક્રમ શરૂ કર્યો અને ગનીપ્રેમી અને ગઝલપ્રેમી શ્રોતાજનોનુ હૈયું ડોલાવી મૂક્યુ.

ganichacha3
(ડાબેથી વિવેક ટેલર, સંચાલક રઈશ મનીઆર અને ગૌરાંગ ઠાકર)

જિંદગીનો એજ સાચેસાચો પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.

આ શેર પરથી રચાયેલી ગઝલથી મુશાયરાની શમા ફરતી થઇ અને એક પછી એક શાયર ગનીચાચાની અલગ અલગ છંદ, અલગ અલગ રદીફ-કાફિયાથી બંધાયેલી પંક્તિ ઉપર ગિરહ લગાવીને રચેલી પોતાની ગઝલ રજૂ કરતા ગયા અને શ્રોતાજનોને રસતરબોળ કરતા ગયા: ખાસ કરીને ડૉ. હરીશ ઠક્કર, ડૉ.વિવેક ટેલર અને પંકજ વખારિયાની સાદ્યંત સુન્દર ગઝલો સભાગણ અને પીઢ કવિઓની પ્રશંસા મેળવી ગઇ.

પંકજ વખારિયા:
સરે છે અર્થ શું સગવડથી, કોણ સમજે છે?
ઉજાગરા નથી જોયા, પલંગ જોઈ ગયા.
સ્વયંની રંગછટાને વિશે છે મૌન હવે,
ગગનની રંગલીલાને પતંગ જોઈ ગયા.

વિવેક ટેલર:
જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો,
જગતના વ્યાપને એ રીતે વધારીએ, આવો.
સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.

હરીશ ઠક્કર:
તમે સંભવામિ યુગે યુગે, અમે રોજ મરીએ ક્ષણે ક્ષણે,
હું અબુધ ભક્ત ના જઈ શકું એ વચનના અર્થઘટન સુધી.
તું અધૂરી છે, તું મધુરી છે, તને ચાહવાની પળેપળે,
ઓ હયાતિ ! તું તો કળાકૃતિ, હું મઠારું છેલ્લા શ્વસન સુધી.

મુકુલ ચોક્સી:
નહીં ગવાયેલા સઘળા સ્વરોને હાશ થઈ,
તમારી આંખના બે જલતરંગ જોઈ ગયા.

રવીન્દ્ર પારેખ:
અમારા માર્ગ પર મુશ્કેલીનું વળવું હતું નક્કી,
બધાય માર્ગ ક્યાંક્યાંથી જુઓ, ફંટાઈને આવ્યા.

અમર પાલનપુરી:
અત્તર કહો છો જેને એ ફૂલોનું લોહી છે,
એ કારણે હું લેતો નથી છાંટવાનું નામ.

(ક્રમશઃ)

Comments (15)

ગઝલે સુરત (કડી-૨)

ગઈકાલે આપણે ‘ગઝલે સુરત’ પુસ્તિકામાં સમાવિષ્ટ કુલ 41 શાયરોના પ્રતિનિધિ કલામ કડી-1 અંતર્ગત જોયા. સુરતની ગઝલ-ગલીઓમાંની આપણી અધૂરી રહી ગયેલી યાત્રા આજે આગળ વધારીએ…

શ્વાસ પર નિર્ભર રહે છે,
ને હવાને રદ કરે છે.
-મનસુખ નારિયા

ત્યાગ તારાં શસ્ત્ર, જીતની ખેવના ના રાખતો
હારની પીડા ખમી લે તે જ ઊંચે સંચરે…
-દિલીપ ઘાસવાલા

રંકની જલતી રહી જ્યાં ઝૂંપડી,
ત્યાં જ બેઠું એક ટોળું તાપણે.
-‘ગુલ’ અંકલેશ્વરી

માનીએ કોને પરાયા આપણે ?
એક માટીથી ઘડાયા આપણે.
-રમેશ ગાંધી

સુખની ગઝલો લખવા મેં,
ફેલાવી અંતે ચાદર.
-જનક નાયક

બિંબને જોતાં જ હું ચમકી ગયો
યાદને પણ કેટલાં દર્પણ હતાં !
-મહેશ દેસાઈ

આકાશમાં રહીને એ કંકોતરી લખે;
જૂઈને માંડવે એ વધાવાય, શક્ય છે.
-ડૉ. પ્રફુલ્લ દેસાઈ

ઊગે પણ આથમે ન ક્યારેય જે,
એક એવી સવાર શોધું છું.
-પ્રજ્ઞા વશી

આંખ જો ખુલી તો એની શોધ આરંભી દીધી,
જોઉં ઓશિકા ઉપર શમણાં પડેલાં ક્યાં મળે ?
-યામિની વ્યાસ

હું હલેસું સઢ-પવન-હોડી બનું તો શું થયું ?
તું તરાપો મોકલે ત્યારે અવાતું હોય છે !
-રીના મહેતા

વધુ આગળ વાંચો…

Comments (16)