જીવ ! કૂદી જા હવે ‘ઈર્શાદગઢ’.
કેમ ગણકારે છે કાચી કેદને ?
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગુણવંત ઉપાધ્યાય

ગુણવંત ઉપાધ્યાય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




બહું થયું કિરતાર – ગુણવંત ઉપાધ્યાય

બહુ થયું કિરતાર,
હવે તો બહુ થયું કિરતાર
વહેણ વચાળે ડૂબવા લાગ્યા લોકો અપરંપાર !
હવે તો બહુ થયું કિરતાર !

સુખદુઃખનાં પલ્લામાં પગને કેમ કરી ટેકવવા?
મત્સ્યવેધની અહીં અપેક્ષા કેમ કરો ગિરધરવા?
કરવત જેવી તલવારોને બન્ને બાજુ ધાર !
હવે તો બહુ થયું કિરતાર !

આજકાલ તો બચી ગયેલાં પાંખ વગરનાં પંખી
ઉપરથી પહેરાવી એને એકલતાની બંડી
ચાર દીવાલો વચ્ચે મહોરે ધગધગતા અંગાર !
હવે તો બહુ થયું કિરતાર !

– ગુણવંત ઉપાધ્યાય

કોરોનાની મહામારી ગુજરાતી સાહિત્ય માટે રોજેરોજ વધુ ને વધુ હૃદયવિદારક બનતી જાય છે. વધુ એક કવિ એના ખપ્પરમાં હોમાઈ ગયા. ભાવેણાના કવિશ્રી ગુણવંત ઉપાધ્યાયે કોરોનાના કારણે આપણી વચ્ચેથી વિદાય લીધી.

મૃત્યુને જોઈને કવિહૃદય જે સંવેદના અનુભવે એનું આ અન્ય એક ઉદાહરણ છે. ૧૬ એપ્રિલના રોજ કવિએ કોરોનાના કારણે પોતાના નાના ભાઈને ગુમાવ્યો. બે દિવસ પછી ૧૮ એપ્રિલે, કવિએ ભાતૃવિરહમાં આ રચના લખી અને ૨૮ એપ્રિલે તો કવિ પોતે કોરોનાગ્રસ્ત થયા. અને અઠવાડિયાથી ઓછા સમયમાં, ૦૪-૦૫-૨૦૨૧ના રોજ તો કવિ પણ આપણને છોડી ગયા…

લયસ્તરો તરફથી કવિને નાનકડી શબ્દાંજલિ…

Comments (12)

ના જોઈએ – ગુણવંત ઉપાધ્યાય

નામની આગળ અને પાછળ કશું ના જોઈએ,
એ બધું છે કેટલું પોકળ, કશું ના જોઈએ.

રોજ તકલાદી સમય વેંઢારવો કોને ગમે ?
તૂટવું એ કાચનું અંજળ, કશું ના જોઈએ.

જિન્દગી જુગાર મોટો, આપણું હોવું નહીં,
હારવાનું ત્યાં બને પળપળ, કશું ના જોઈએ.

અર્ધથી ઉપરાંત આંસુ ખોઈ તો બેઠા છીએ,
ખોઈ બેઠા શ્વાસ પણ ચંચળ, કશું ના જોઈએ.

એકલો બસ, એકલો ચાલ્યા કરું છું ક્યારનો,
આજ કહે છે તું કે પાછો વળ, કશું ના જોઈએ.

– ગુણવંત ઉપાધ્યાય

આમ તો બધા જ શેર મજાના અને સ્વયંસ્પષ્ટ છે પણ મને તકલાદી સમય વધુ ગમી ગયો. સમયના તકલાદીપણાને કવિએ કાચના અંજળ ગણાવીને કમાલ કરી છે. છેલો શેર પણ જેટલી વાર વાંચો, વધુ ને વધુ ખુલતો જણાય છે…

Comments (6)

ગઝલ – ગુણવંત ઉપાધ્યાય

તમારા     શહેરની     આબોહવામાં
સતત  છું  વ્યસ્ત  આંસુ  લૂછવામાં.

તમારી  વ્યગ્રતા   વધવાનું  કારણ
તમે  નિર્મમ  છો સરહદ આંકવામાં.

સુસજ્જિત છો જ કાયમ આપ કિન્તુ
તમોને  રસ  ફકત  છે   તોડવામાં.

પ્રયત્નો  લાખ  એળે  જઈ  રહ્યા  છે
તમારા   મન   સુધી   પહોંચવામાં.

તમારી   જાતમાં   જાતે    સમાઉં
પછી  આગળ  કશું  શું બોલવાનાં ?

– ગુણવંત ઉપાધ્યાય

Comments (1)