યુગોના વળગણોને છોડવામાં વાર લાગે છે,
જૂની હો તોય સાંકળ તોડવામાં વાર લાગે છે.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for April, 2017

એક ગીત – હેલન મારિયા વિલિયમ્સ (અનુ. વિવેક મનહર ટેલર)


નાના અમથા ખજાનામાંથી,
મારો પ્રિયતમ લાવે પણ શું?
દિલ દઈ દીધું, એથી વધીને
વર અવર કોઈ, ભાવે પણ શું?


દિલનો દોલો, એની દોલત
મારે હૈયે કંપ જગાવે,
મેં માંગ્યું જ્યાં સુખ ધરાનું,
ચાહ્યું’તું બસ, સ્નેહ એ લાવે.


મારા માટે કંઈક લાવવા
કાંઠે કાંઠે ઘુમી રહ્યો છે,
શા માટે એ જ્યાં-ત્યાં ભટકે,
પ્રેમને જ્યાં મેં સકળ કહ્યો છે?


સસ્તું ભોજન, ભોંય તળાઈ,
તારા સાથથી ધન્ય થયાં હોય,
આ ઝીણકી પરમ કૃપા પણ
વધુ છે મુજ મન, દોલતથી કોઈ.


કરે છે એ સર દુર્ગમ દરિયા,
આંસુ મારાં વૃથા વહે છે,
દયા છે શું શ્રદ્ધાહીન લહરમાં,
મુજ ઉર જેને વ્યથા કહે છે?


રાત છે ઘેરી, પાણી ઊંડા,
હા, મોજાંઓ ઊઠે હળવાં:
હાય! રડું હર વાયુઝોલે,
છે આંધી મારી ભીતરમાં

– હેલન મારિયા વિલિયમ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

*

દિલની ખરી દોલતનું ગીત છે. પ્રેમનું આ ગીત ખરા સોના જેવું છે, જેટલું વધારે વાપરો, વધુ ચળકે. પ્રિયતમ પાસે કોઈ સવિશેષ દોલત નથી. એણે દિલ દઈ દીધું એથી વિશેષ કોઈ વરદાન કાવ્યનાયિકાને અપેક્ષિત પણ નથી. પ્રિયજનના સદગુણો જ એના હૈયાને ધડકાવે છે. એણે સુખ મતલબ સ્નેહ માંગ્યો પણ પ્રિય દુન્યવી અર્થની તલાશમાં દૂર દેશાવર નીકળી પડ્યો. પ્રેમ જ સર્વસ્વ છે એમ કહેવા છતાંય કસ્તૂરીમૃગ જેવો કઈ કસ્તૂરીની શોધમાં આ દેશ-પેલે દેશ રઝળી-રખડી રહ્યો છે? સ્નેહીના સાથનું ઐશ્વર્ય હોય તો હલકી ગુણવત્તાનું ભોજન કે પલંગના બદલે ભોંય પર પાથરેલી રજાઈ પણ ધન્ય થઈ જાય. પ્રિયાએ કહેલા સુખની તલાશમાં એ દુર્ગમ સાગરો સર કરી રહ્યો છે ને અહીં આંખેથી દરિયા વહી નીકળ્યા છે. પ્રિયજનને સલામત રાખવા જેટલી દયા પ્રિયા એ મોજાંઓ પાસે માંગે તો છે પણ શું એમની પાસે એ દયા-માયા છે ખરી? કાળી રાત જેવી મુસીબતો અને ઊંડા પાણી જેવા દુશ્મનોથી બચીને શું એ પરત ફરશે ખરો? ભીતરનું તોફાન એવું પ્રબળ બન્યું છે કે હવાનો નાનો અમથો હડસેલો પણ કંપાવી દે છે…

*

A Song

I

No riches from his scanty store
My lover could impart;
He gave a boon I valued more —
He gave me all his heart!

II

His soul sincere, his generous worth,
Might well this bosom move;
And when I asked for bliss on earth,
I only meant his love.

III

But now for me, in search of gain
From shore to shore he flies;
Why wander riches to obtain,
When love is all I prize?

IV

The frugal meal, the lowly cot
If blest my love with thee!
That simple fare, that humble lot,
Were more than wealth to me.

V

While he the dangerous ocean braves,
My tears but vainly flow:
Is pity in the faithless waves
To which I pour my woe?

VI

The night is dark, the waters deep,
Yet soft the billows roll;
Alas! at every breeze I weep —
The storm is in my soul.

– Helen Maria Williams

Comments (6)

(આવ જા કરે) – ગૌરાંગ ઠાકર

ખુલ્લું હૃદય છે કોઈ ભલે પારખાં કરે,
પણ બારણું નથી કે બધા આવ જા કરે.

દુશ્મન તો એક પણ મને જીતી શક્યો નહીં,
હારી હું જાઉં એમ કોઈ મિત્રતા કરે.

આથી વિશેષ કૈં જ મને જોઈતું નથી,
દરરોજ સૂર્ય જોઉં તો વિસ્મય થયા કરે.

દીવો ભીતર વિલાસમાં જીવી રહ્યો હશે,
નહીંતર ન બંધ બારણે હુમલો હવા કરે.

મરજી પડે તો મોજથી અજવાળું અવગણું,
પણ શી મજાલ રાતની કે બાવરા કરે.

– ગૌરાંગ ઠાકર

સાદ્યંત સુંદર રચના… મત્લામાં કવિનો ખરો મિજાજ પકડાય છે.

Comments (12)

(પસંદ કરી) – ઉદયન ઠક્કર

મેં પલાંઠી અચલ પસંદ કરી,
શ્વાસોએ દડમજલ પસંદ કરી.

કેટલે જાશો લાખા વણજારા?
સાંઢણીઓ વિકલ પસંદ કરી.

ઊભી પળપળ ધરીને વરમાળા,
ને અમે પણ સકલ પસંદ કરી.

આપણે ચેલકા હુડિનીના,
એટલેસ્તો ગઝલ પસંદ કરી!

સ્હેજ એવી ને સ્હેજ તેવી તું!
તોય અદલોઅદલ પસંદ કરી.

– ઉદયન ઠક્કર

આપણું ભીતર આપણા બહાર સાથે બહુધા તાલમેલ ધરાવતું નથી એમાંથી જ અશાંતિ ઉત્પન્ન થતી હોય છે. આપણી અંદર કોઈક ઠરીઠામ થઈ સ્થિર થવા ઇચ્છે છે પણ જિંદગી દડમજલના રસ્તે ઘસડી જાય છે. અશક્ત થઈ ગયેલી ઇચ્છાઓ લઈને આપણે ક્યાં સુધી પહોંચી શકીશું એ વાત લાખા વણજારાના ઐતિહાસિક પ્રતિક સાથે કવિએ સ-રસ સાંકળી છે. પણ ખરી કમાલ તો દુનિયામાં સર્વકાલીન શ્રેષ્ઠ જાદુગર ગણાતા હુડિનીના કમાલ સાથે ગઝલને juxtapose કરીને કરી છે. જીવનમાં જે ક્ષણ આવી એ તમામને વધાવી લેવાની વાત કરતો શેર તો શિરમોર થયો છે.

Comments (6)

(તમને ગમે તો પહેરો) – હરીશ મીનાશ્રુ

ઝાકળ ન તાણે તંબુ, સાધુ ન ડારે ડેરો
સુરભિ સદા અજન્મા, વાયુ ફરે ન ફેરો

સપડાઈ ગયા છે સૌ સગપણ અને સમજણમાં
ઘર ઘર મટીને સહસા થઈ જાય સખત ઘેરો

પડછાયો પગ તળેથી છટકીને ક્યાં જવાનો ?
ધોળે દહાડે શાને સૂરજનો ચોકીપહેરો ?

દરિયા કનેથી ઈંડાં માગે છે જ્યાં ટિટોડી
મોતી બધાંય મીંડાં, લજ્જિત બધીય લહેરો

નગરી ઉજેણી, એમાં આ શબ્દનું સિંહાસન
હું બેસવા જઉં ત્યાં પૂતળી પુકારે ઠહેરો

શંકાનું એક ટીપું, મનની મટોડી કાળી
ભાષાનો ભેદ તસ્કર કરતાં ગુપત ને ઘેરો

હું બરતરફ કરું છું શાહીનો ચન્દ્ર નભમાં
આ વાત પર અમાસે મારી દીધો છે શેરો

ખખડ્યા કરે છે અંદર ઈશ્વરની એ ઈમારત
નકશામાં કોણ કરતું, ખંડેરનો ઉમેરો ?

કંપે છે એકસરખાં ધડ ને અરીસા સૌના
ડરને અને ઈચ્છાને છે એકસરખો ચહેરો

કાચી કબરના માપે મેરાઈએ સીવ્યો છે
માટીનો એક ડગલો, તમને ગમે તો પહેરો

– હરીશ મીનાશ્રુ

કેટલાક છંદદોષને નજરઅંદાજ કરીએ તો મજાની દ્વિખંડી ગઝલ. પ્રાચીન ગુજરાતીના દોહા કે સુભાષિતો સાંભળતા હોઈએ એવી ગેરુઆ બાનીની ગઝલ. બધા જ શેર મનનીય થયા છે.

Comments (9)

(મરી શકતો નથી) – કુમાર જૈમિની શાસ્ત્રી

એક એકલતા મને તારા સુધી લઈ જાય છે
પણ પછી હું એકલો પાછો ફરી શકતો નથી

તું કહે તો યાર સાતે સાગરો ખેડી શકું
માત્ર તારી આંખમાં સહેજે તરી શકતો નથી.

કાળના ખાલીપણાનો પણ પુરાવો એ જ કે –
કોઈના અવકાશને ક્યારેય ભરી શકતો નથી.

તું જશે તો આ જગત જાણી જશે તારા વગર
હું જીવી શકતો નથી ને હું મરી શકતો નથી.

સ્વપ્ન છું કે અશ્રુ છું બસ આ દ્વિધાને કારણે
બોજ છું પાંપણ ઉપર, તો પણ સરી શકતો નથી.

– કુમાર જૈમિની શાસ્ત્રી

મત્લાનો અભાવ અને એકાદ જગ્યાએ નજીવા છંદદોષને બાદ કરીએ તો નખશિખ આસ્વાદ્ય રચના. પહેલા શેરમાં એકલતાની જે વિભાવના કવિ રજૂ કરે છે એ કદાચ પ્રણયમાં વિરહની સર્વોત્કૃષ્ટ અભિવ્યક્તિ છે.

Comments (7)

કલાધર્મ – સ્નેહી પરમાર

હવાને કહોને હવાધર્મ પાળે
ભલે બારણાં, બારણાધર્મ પાળે

કદી બ્હાર આવે, કદી જાય ભીતર
આ વૈરાગ પણ કાચબાધર્મ પાળે

બધાં જળને પોતાનું થાનક ગણે છે
ઘણાં એ રીતે માછલાધર્મ પાળે

એ બોલ્યું જો બદલે, નવાઈ ન પામો
ઊંચા માણસો તો ધજાધર્મ પાળે

ન આદત છૂટે ડંખવાની કદાપી
ભલે માણસો કંઈ વડાધર્મ પાળે

પીડાને એ પટરાણી માની નવાજે
કલમ પણ વધુ શું કલાધર્મ પાળે !

– સ્નેહી પરમાર

ધર્મ પ્રત્યય લગાડીને કવિએ તો કાફિયાનો રંગ જ સમૂચો બદલી નાંખ્યો. બારણાં ભલેને બારણાંનો ધર્મ પાળે, ભલેને બંધ રહે, હવાએ પોતાનો ધર્મ-તિરાડમાંથી પણ વહી નીકળવાનો ભૂલવો ન જોઈએ. એક શેર યાદ આવ્યો: ભીડ્યાં હો શક્યતાનાં ભલે દ્વાર ચસોચસ; હું તો હવા છું, મારે તો તિરાડ બસ હતી. સમય વર્તીને કાચબો પોતાનું આખું શરીર ક્યારેક એની પીઠની ઢાલમાં સંકોરી લે, ક્યારેક બહાર કાઢે એ ગુણધર્મ સાથે આપણા સ્મશાનવૈરાગ્યને સાંકળીને કવિ ભારોભાર કટાક્ષ પણ કરી જાય છે. અંતિમ શેર પણ કળા અને પીડાનો અવિનાભાવી સંબંધ સુપેરે ઉજાગર કરી શક્યો છે.

તાજા સમાચાર મુજબ કવિના પુસ્તક ‘યદા તદા ગઝલ’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું વર્ષ 2015 માટેનું દ્વિતીય પારિતોષિક મળ્યું છે એ માટે કવિને ટીમ લયસ્તરો તરફથી અઢળક મબલખ સ્નેહાભિનંદન !

Comments (15)

(જુદો છે) – ભરત વિંઝુડા

કાલ કરતાં વિચાર જુદો છે
આજ થોડોક પ્યાર જુદો છે

એ જ છે કે સિતાર જુદો છે
અથવા એમાં જ તાર જુદો છે

સામસામે ફૂલો જ ફેંકેલાં
પણ પછીનો પ્રહાર જુદો છે

હું જે સમજું છું તે અલગ છે ને
તું કહે એનો સાર જુદો છે

ચાહવું તે ન ચાહવા જેવું
પ્રેમનો આ પ્રકાર જુદો છે

લોહી નીકળે તો સૌને દેખાડું
પણ અહીં મૂઢમાર જુદો છે

મારે અડવું નથી જરાય તને
મારા મનમાં વિકાર જુદો છે

– ભરત વિંઝુડા

સાવ સહજ સરળ ભાષા પણ એક-એક શેર પાણીદાર… ધીમેધીમે ખોલવા જેવા… વાહ કવિ!

Comments (10)

મારા માધવને દીઠો છે ક્યાંય? – હરીન્દ્ર દવે

વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદંબની છાંય
મારગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય?

યમુનાનાં વહેણ તમે મૂંગાં છો કેમ? અને રાધાની આંખ કાં ઉદાસ?
વહી જતી આ લેરખી વ્યાકુળ કરે અહીં, સરતી આ સાંજનો ઉજાસ.
બ્હાવરી વિભાવરીનાં પગલાંની લાગણીથી રાતરાણી ઝાકળથી ન્હાય..
મારા માધવને…

ઊડતું આવે જો અહીં મોરપિચ્છ તો તો અમે સાચવશું સુંવાળા રંગ,
મારી તે મોરલીના આભમાં ઊગે છે એક શ્યામના તે નામનો મયંક.
જળમાં તે તેજ એવું એવું રેલાય હવે પાતાળે હરિવર પરખાય..
મારા માધવને…

– હરીન્દ્ર દવે

મૂળથી અળગાં થઈ ગયાની વેદના ઉજાગર કરતું મજાનું ગીત. સૂર વાંસળીથી, ભક્ત ઈશ્વરથી અને કવિ શબ્દથી અળગાં થઈ જાય ત્યારે આવી પીડા થાય. કૃષ્ન સાથે સંલગ્ન પ્રતીકો વિરહવ્યથાના પોતને ઘાટો કરતા જાય છે. પ્રભુના પ્રેમની ટપાલ લઈને મોર્પિચ્છ ઊડતું આવે તો જીવનમાં શ્યામ નામનો ચંદ્રોદય થાય છે અને એનું તેજ ભીતર એવું રેલાય છે કે તળિયે ખોવાઈ ગયેલો હરિવર પણ જડી આવે છે… વાત મૂળથી છૂટાં થઈ જવાની સમજ અને તરણાંના સહારે ભવસાગર પાર કરી જવાની તત્પરતાની જ છે.

Comments (6)

શ્વાસ નામે પાંદડાં – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

શ્વાસ નામે પાંદડાં ખરતાં રહ્યાં
હા, ક્ષણેક્ષણ આપણે મરતા રહ્યા

જીવવા જેવું કશુયે ક્યાં હતું
જિંદગી લાદી ખભે ફરતા રહ્યા

આંખમાં અવઢવ રહ્યો આઠે પ્રહર
પાંપણોમાં પ્રેત તરવરતાં રહ્યાં

આયખાના સાવ કાણા પાત્રમાં
આંધળું હોવાપણું ભરતા રહ્યા

ક્યાં હતી ઠંડી… હવા પણ ક્યાં હતી..?
એ છતાં ‘નારાજ’ થરથરતા રહ્યા….

– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

કવિતાની ખરી મજા જ એ છે કે જે વાત આપણે વર્ષોથી જાણતાં જ હોઈએ એ જ વાત અલગ રીતે રજૂ કરવામાં આવે તો મોં અને દિલમાંથી એકીસાથે આહ અને વાહ – બંને નીકળી આવે… સફરજન તો વૃક્ષનો જન્મ થયો ત્યારથી જ નીચે પડતા હતા પણ ન્યૂટને એની પાછળનો નિયમ રજૂ કર્યો અને દુનિયાની શિકલ બદલાઈ ગઈ. આપણે બધા જ જાણીએ છીએ કે દરેક શ્વાસ આપણને અફર મૃત્યુ તરફ લઈ જાય છે પણ આ જ વાત જ્યારે ચંદ્રેશ મકવાણા આ ગઝલના મત્લામાં લઈને આવે છે ત્યારે મરવું પણ મીઠું લાગી આવે, નહીં?! મત્લાના શેરનું સહજ સૌંદર્ય એટલું બધું અદભુત છે કે વિવેચનાનો નાનો અમથો સ્પર્શ પણ પતંગિયાની પાંખ હાથમાં લઈએ ને રંગ ઊતરી જાય એમ આ સૌંદર્યમાં ડાઘ લગાડવા બરાબર છે એટલે એને એમ જ માણીએ.

આખી ગઝલ મૃત્યુનો સંસ્પર્શ લઈને આવી છે અને બધા જ શેર નિતાંત આસ્વાદ્ય થયા છે.

Comments (8)

શું શું સાથે લઈ જઈશ હું? – ઉમાશંકર જોશી

શું શું સાથે લઈ જઈશ હું?

કહું ?

લઈ જઈશ હું સાથે
ખુલ્લા ખાલી હાથે
પૃથ્વી પરની રિદ્ધિ હૃદયભર-

વસન્તની મ્હેકી ઉઠેલી ઉજ્જ્વલ મુખશોભા જે નવતર,
મેઘલ સાંજે વૃક્ષડાળીઓ મહીં ઝિલાયો તડકો,
વિમળ ઊમટ્યો જીવનભર કો અઢળક હૃદય-ઉમળકો,
માનવજાતિ તણા પગમાં તરવરતી ક્રાન્તિ
અને મસ્તકે હિમાદ્રિશ્વેત ઝબકતી શાન્તિ,
પશુની ધીરજ, વિહંગનાં કલનૃત્ય, શિલાનું મૌન ચિરંતન,
વિરહ-ધડકતું મિલન, સદા-મિલને રત સંતન
તણી શાન્ત શીળી સ્મિતશોભા,
અંધકારના હૃદયનિચોડ સમી મૃદુ કંપિત સૌમ્ય તારકિત આભા,
પ્રિય હૃદયોનો ચાહ
અને પડઘો પડતો જે ‘આહ!’
મિત્રગોઠડી મસ્ત, અજાણ્યા માનવબંઘુ
તણું કદી એકાદ લૂછેલું અશ્રુબિન્દુ,
નિદ્રાની લ્હેરખડી નાની-કહો એક નાનકડો
સ્વપ્ન-દાબડો,
(સ્વપ્ન થજો ના સફળ બધાં અહીંયા જ)
– અહો એ વસુધાનો રસરિદ્ધિભર્યો બસ સ્વપ્ન-સાજ!-

વઘુ લોભ મને ના
બાળકનાં કંઈ અનંત આશ-ચમકતાં નેનાં
લઈ જઈશ હું સાથે
ખુલ્લા બે ખાલી હાથે
ખુલ્લા બે ‘ખાલી’ હાથે ?

– ઉમાશંકર જોશી

જવાનો સમય આવી ગયો છે. સવાલ છેઃ સાથે શું લઈ જવું? સિકંદર ખાલી હાથે ગયેલો. પોતાની સંપત્તિમાંથી કશું સાથે નહોતો લઈ જઈ શકેલો. કવિ પણ ખાલી હાથે જ જવાનું મુકરર કરે છે. પણ શહેનશાહ અને કવિમાં એક ફરક છે – કવિ ખાલી હાથ સાથે પણ પોતિકી બધી ય સંપત્તિ સાથે લઇ જવા સમર્થ છે. કારણ કે કવિની સંપત્તિ જ અલગ જાતની છે. કવિની સંપત્તિનું મોહક વર્ણન વાંચીને તમને પણ એક વાર મરવા તૈયાર થઈ જાવાનું મન ન થઈ જાય તો પૈસા પાછા !

(તસ્વીર સૌજન્યઃ વેલરી એવરેટ)

Comments (7)

(થેલો) – શૈલેન રાવલ

ચાલ ઊભો થા અને ઉઠાવ થેલો,
કોણ કોનો છે ગુરુ ને કોણ ચેલો ?

મન પછી સોળે કળાએ ખીલશે; જો –
દાયકાથી બંધ છે તે ખોલ ડેલો !

ઘાસ માફક ઝૂકવું ડહાપણ ભરેલું;
વાયરો ફૂંકાય છે માથા ફરેલો.

જળને જો, પડવું છતાં વહેવું મજાથી-
સત્ય નોખું શીખવે વરસાદી રેલો.

પોતપોતાનું અલગ છે જૂઠ મિત્રો !
પૂછશો ના કોણ સમૃદ્ધ આ કે પેલો ?

– શૈલેન રાવલ

ગુરુ કોણ ને ચેલો કોણની કડાકૂટમાં જ આપણું જીવન વીતી જાય છે. ખરી વાત તો થેલો ઉપાડવાની અને ચાલતા-વહેતા થવાની છે. આગળ વધવું એ જ ખરી જિંદગી છે. બંધ ડેલો જ્યાં સુધી ખૂલે નહીં ત્યાં સુધી તાજી હવાની લહેરખી અને તાજી કૂંપળનું ખીલવું શક્ય ક્યાંથી બને ? સરવાળે અખી ગઝલ આસ્વાદ્ય…

Comments (2)

ભીંત ઉપર – રાધિકા પટેલ

મને ભીંત જરા પણ પસંદ નથી;
કારણ કે મને આકાશ ગમે છે..!!
હું કઈ કીડી નથી કે ચાલ્યા કરું – હારબંધ.
હું ગરોળી પણ નથી કે રાહ જોયા કરું.
હું ફેંકી દઉં મારા કપાળનો સૂરજ આ ભીંત પર તો-
ક્ષણમાં રાખ
બધુંય.
મારે ભીંત પર ટકોરા પાડવાની જરૂર નથી;
હું મારા અવાજથી ખેરવી શકું છું-
ફક્ત પોપડી જ નહિ-રંગ, રેતી, ઈંટ અને સિમેન્ટ સુધ્ધાં..!!
હું મારા નખથી ખોતરી શકું છું – એમાં બારી અને દરવાજો.
પાણી બતાવું એને તો તરવા લાગે-એ.
કે પછી કેશ વડે ઝાટકી નાખું-આખું ચોમાસું એના પર…!!
હું એક દરિયો ચીતરી શકું છું એના પર – નજર ફેરવીને.
મારી આંગળીના ટેરવેથી હું ઉગાડી શકું છું, બગીચો-ભીંત પર.
મને ફૂંક મારી એમાંથી પંખી ઉડાડતા આવડે છે..!!
જો હું એના પર હથેળી ફેરવું…
પ્રેમથી….
તો, છૂટી જાય એનું-
ભીંતપણું..!
સારું છે કે મેં હજુ સુધી એને ચૂમી નથી-
નહીંતર….!!
હું બીજું ઘણુંય કરી શકું છું.
મારામાં હજુય મોજુદ છે-
મારુ પીપળાપણું…!!

– રાધિકા પટેલ

કલ્પનોની તાજગી અને નાવીન્યસભર રજૂઆત એ નવા સર્જકો તરફથી મળતું મોટામાં મોટું સુખ છે. ફેસબુક જેવા સોશ્યલ મિડિયા પરથી સારા સર્જકો સતત મળતા રહે છે. રાધિકા પટેલનું નામ કદાચ આવી યાદીમાં ઊમેરી શકાય.

ભીંત સ્થિરતાનું, વિભાજનનું, જડતાનું પ્રતીક છે એટલે જ કાવ્યનાયિકાને ભીંત જરા પણ પસંદ નથી. ‘જરા પણ’ વચ્ચે ઊમેરીને નાપસંદગીને જે રીતે દૃઢતાપૂર્વક કવયિત્રી પ્રગટ કરે છે એની પણ મજા છે. આકાશ એને પસંદ છે કેમકે આકાશ ગતિશીલતા, ખુલ્લાપણા અને સજીવતાનું પ્રતીક છે. આકાશમાં અવકાશ છે. આરપાર જઈ-જોઈ શકાય છે. ભીંત પર કતારબંધ કે રાહબંધ જીવન વ્યતિત કરતાં કીડી-ગરોળી હોવાનો પણ નાયિકાને સાફ ઈન્કાર છે. હનુમાનને પોતાની તાકાત યાદ કરાવવા માટે જાંબુવાનની જરૂર હતી પણ નાયિકા જાત વિશે સ્પષ્ટ છે. ગુસ્સાથી, અવાજથી, નખથી, વાળ ઝાટકતાં ઊડતાં પાણીથી નાયિકા ભીંતને હતી-ન હતી કરી દેવા સક્ષમ છે. ભીંત પર બગીચો ઊગાડી, પંખી વસાવી એ નિર્જીવમાં પણ પ્રાણ પૂરી શકે છે. અને સુપેરે માહિતગાર છે પોતાના પ્રેમની તાકાતથી પણ કે પ્રેમભર્યા એક સ્પર્શ માત્રથી ભીંતનું ભીંતત્ત્વ જ ખતમ થઈ જશે અને કશું જ કારગત ન નીવડે તો પીપળાની જેમ પોતાને ભીંત ફાડીને ઊગી નીકળતાય આવડે છે…

સરવાળે કોઈપણ પરિસ્થિતિમાં હાર ન માનવાનો, ગુસ્સાથી લઈને પ્રેમ સુધી અને અવાજથી લઈને સ્પર્શ સુધી, ચુંબનથી માંડીને મૂળિયાં નાંખીને ચીરી નાખવા સુધી – યેનકેન પ્રકારે ભીંત જેવા જડ સંબંધોમાં પણ પ્રાણ પૂરી શકવાનો સ્ત્રીગત જુસ્સો અને આત્મવિશ્વાસ આ કવિતાનો સાચો પ્રાણ છે… ભીંત તો માત્ર પ્રતીક છે.

Comments (11)

પડદો પડી ગયો ! – લલિત ત્રિવેદી

જાગી ઊઠ્યા ને જાત પર પડદો પડી ગયો
કાલે જીવ્યાની વાત પર પડદો પડી ગયો !

પડદો હલ્યો ને ભીંત પરનું ચિત્ર સળવળ્યું,
પડદાની એક નિરાંત પર પડદો પડી ગયો !

પરદાનશીન થૈ ગયો મારી સમક્ષ હુંય
મારી બધી મિરાત પર પડદો પડી ગયો !

પડદો ખૂલ્યો ને ગૃહમાં અંધારું થૈ ગયું
પ્રત્યેક જણની જાત પર પડદો પડી ગયો !

પડદો પડ્યો ને ગૃહમાં અજવાળું થૈ ગયું
ખુરશીની કાયનાત પર પડદો પડી ગયો !

સૂરજ ઊગ્યો ને પાત્ર સૌ સન્મુખ થૈ ગયાં…
પડદો પડ્યા-શી રાત પર પડદો પડી ગયો !

રિહર્સલોની જેમ ના ઘટના કશી બની
નાટકની એક વિસાત પર પડદો પડી ગયો !

– લલિત ત્રિવેદી

પડદો પડી જવાની એક જ ક્રિયાને કવિ અલગ અલગ શેરમાં અલગ અલગ અર્થમાં કેવી બખૂબી વર્ણવે છે એ જ ગઝલનું ખરું સૌંદર્ય છે.

Comments (5)

યાદી – અશ્વિની ધોંગડે

ચોખા પાંચ કિલો
ઘઉં દસ કિલો
ખાંડ દસ કિલો
ગોળ બે કિલો

દિવસે દિવસે ભાવ ભડકે બળે છે
યાદીમાં થોડી કાપકૂપ કરવી પડશે.

મગની દાળ ત્રણ કિલો
તુવેર દાળ બે કિલો

વીજળીનું બિલ ભરવાનું છે
એલ.આઇ.સી.નો ચેક લખવાનો છે.

સાબુના લાટા બે
જીરુ સો ગ્રામ
રાઇ એક કિલો

કેટલા વર્ષો સુધી કર્યા કરવાની
એની એ જ યાદી

કંટાળો એક કિલો
ત્રાસ બે કિલો

– અશ્વિની ધોંગડે

એક ગૃહિણી ખરીદીની યાદી લખતી જાય છે. અને સાથે મન વિચાર કરતું જાય છે. વર્ષોનો ક્રમ છે. રોજનું રુટિન છે. વર્ષોથી એકસરખી યાદી છે. હવે છેલ્લે છેલ્લે માત્ર બે ચીજ ઉમેરાયેલી છેઃ કંટાળો અને ત્રાસ.

જીવનની ક્રૂર ઘરેડનું કડવુંવખ ચિત્ર.

Comments (6)

પરિચય છે -‘સૈફ’ પાલનપુરી

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન ઘણા વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું એટલે હમણાં તો ચૂપ છું પણ,
ખુદા તારા વિશે મારાય મનમાં સહેજ સંશય છે.

મને જોઈને નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.

– ‘સૈફ’ પાલનપુરી

Comments (4)

અજાણ્યો નાગરિક -ડબ્લ્યુ. એચ. ઑડેન (અનુ.: વિવેક મનહર ટેલર)

(જે.એસ./07એમ378
આ આરસનું સ્થાપત્ય
રાજ્યસરકાર વડે ઊભું કરાયું છે)

એના વિશે અંકશાસ્ત્રના ખાતા દ્વારા તપાસમાં જણાયું છે કે
એની સામે કોઈ અધિકૃત ફરિયાદ નહોતી,
અને એના વર્તન વિશેના બધા જ અહેવાલો સહમત છે એ વાતે
કે, એક જૂનવાણી શબ્દના આધુનિક સંદર્ભમાં,
એ એક સંત હતો,
કેમકે એણે જે બધું કર્યું, એણે સમાજની સેવા જ કરી.
એ નિવૃત્ત થયો ત્યાં સુધીમાં, એક યુદ્ધને બાદ કરતાં,
એ ફેક્ટરીમાં કામ કરતો હતો અને કદી છૂટો કરવામાં આવ્યો નહોતો,
પણ સંતોષ્યા હતા, ફજ મોટર્સ ઇન્ક.ના માલિકોને.
એ એની દૃષ્ટિએ બદમાશ કે વિચિત્ર નહોતો,
કેમ કે એના યુનિયને રિપોર્ટ કર્યો છે કે એણે બધું કર્જ ચૂકવી દીધું હતું,
(એના યુનિયન વિશેનો અમારો રિપોર્ટ કહે છે કે એ યોગ્ય હતું)
અને અમારા સામાજિક મનોવિજ્ઞાન કાર્યકર્તાઓ શોધ્યું હતું કે
એ એના સાથીઓમાં પ્રિય હતો અને એને શરાબ ગમતો હતો.
અખબારોને ખાતરી છે કે એ રોજ અખબાર ખરીદતો હતો
અને જાહેરખબરો વિષયક એના પ્રતિભાવો દરેક રીતે સામાન્ય હતા.
એના નામ પર લેવાયેલી પોલિસી સાબિત કરે છે કે એણે પૂર્ણપણે વીમો ઉતરાવ્યો હતો,
અને એનું આરોગ્ય-પત્રક સૂચવે છે કે એ એકવાર હૉસ્પિટલમાં દાખલ થયો હતો પણ સારો થઈને છોડી ગયો હતો.
બંને સંશોધન તથા ઉચ્ચ-સ્તરીય જીવન નિર્માતાઓ જાહેર કરે છે કે
એ હપ્તા પદ્ધતિના ફાયદાઓથી સંપૂર્ણપણે વાકેફ હતો
અને આધુનિક માનવીને આવશ્યક તમામ ચીજો એની પાસે હતી,
મોબાઇલ, રેડિયો, કાર અને રેફ્રિજરેટર.
અમારા જાહેર મંતવ્યના સંશોધકો એ વાતે સંતુષ્ટ છે
કે એ સમસામયિક ઘટનાઓ અંગે યોગ્ય અભિપ્રાયો ધરાવતો હતો;
જ્યારે શાંતિ હોય, એ શાંતિના પક્ષમાં રહેતો; યુદ્ધ થાય ત્યારે એ માટે જતો.
એ પરિણીત હતો અને વસ્તીમાં પાંચ બાળકોનો એણે ઉમેરો કર્યો હતો,
જે વિશે અમારા સુપ્રજનનશાસ્ત્રી કહે છે કે એની પેઢીના મા-બાપ માટે યોગ્ય આંકડો હતો.
અને અમારા શિક્ષકો કહે છે કે એ કદી એમના શિક્ષણ અંગે દખલ કરતો નહોતો.
શું એ આઝાદ હતો? શું એ ખુશ હતો? પ્રશ્ન જ અસંગત છે:
જો કંઈક ખોટું હોત, તો અમે ચોક્કસ એ વિશે સાંભળ્યું જ હોત.

-ડબ્લ્યુ. એચ. ઑડેન
(અનુ.: વિવેક મનહર ટેલર)

સત્તાધીશો-રાજકારણીઓની નજરે સામાન્ય નાગરિકની હકીકતમાં શી કિંમત છે એ બતાવતું, છરીની જેમ સીધું જ કલેજાની આરપાર નીકળી જતું કાવ્ય…

Comments (5)