ખેતરને શેઢેથી – મનહર જાની
ખેતરને શેઢેથી ખૂટી લીલાશ
. અને ખીજડાનું મન થયું ખાલી
સુગરીના માળામાં સૂનમૂનતા મેલીને
. કલરવતા દન ગયા હાલી.
થાંભલાની જેમ સ્થિર ઊભો વખત
. નથી પાંદડુંય હલતું કે ચલતું
ઝાંખરામાં ઝરડાતી તેતરની પાંખ
. નથી ધોરિયાનું નામે ઊકલતું
ચાડિયાએ સંકેલ્યું વાદળિયું આભ
. અને પીળું વેરાન ગયું ફાલી… ખેતરને શેઢેથી…
અધખેડ્યાં ખેતરમાં આળોટે આમ-તેમ
. તડકાનાં નાગોડિયાં છોરાં
રાફડાની કોરમોર ઊંઘે બોલાશ
. લઈ બપોરી વેળાનાં પોરાં
થોરિયાની વાડ મહીં બેઠો સૂનકાર
. સાવ પંડ્ય હેઠ પડછાયો ઘાલી… ખેતરને શેઢેથી…
– મનહર જાની
આમ તો ચોમાસાના ડાકલાં વાગવાં શરૂ થઈ ગયાં છે, પણ ગરમી તો હજીયે ત્રાહિમામ પોકારાવે એવીને એવી જ પડી રહી છે. પણ આવી કાળઝાળ ગરમીમાં પણ સરસ કવિતા વાંચવા મળે તો રુદિયે ટાઢક થઈ જાય… જુઓ, આ ગીત… આખું ગીત જ અદભુત થયું છે. અધખેડ્યાં ખેતરમાં તડકાના નાગુડિયાં છોકરાંઓ આળોટતાં હોય એ કલ્પન કેવું જીવંત થયું છે! ભરબપોરે પડછાયા ન દેખાય એ વાતને કવિએ થોરિયાની વાડ ખુદનો પડછાયો ખુદમાં સંતાડીને બેઠી હોવાના રૂપકથી તાદૃશ કરી દેખાડે છે. બપોરે પડછાયો નહિવત થઈ જાય એ મુજબનું કલ્પન મનોહર ત્રિવેદીના બે ગીત – ‘પંખી બેઠું ડૂંડે’ તથા ‘તડકા! તારાં તીર’ –ની યાદ અપાવે છે.
