ક્યાં ફૂલો પધરાવશો ‘ઈર્શાદ’નાં ?
ઝાંઝવામાં કાંઈ પણ તરતું નથી.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શેર

શેર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે….

કવિતાનો વણલખ્યો નિયમ છે કે એમાં દર્દ વધુ અને ખુશી ઓછી જ હોય છે. મિત્રતાને લગતા શેર વાંચીએ ત્યારે પણ આમ જ થતું હોવાનું અનુભવાય છે. પણ કેટલાક એવા પણ કવિ છે જેમનો મૈત્રીમાં વિશ્વાસ કાયમ રહ્યો છે.

ગની દહીંવાલાના એવા જ એક સુંદર શેરથી શ્રીગણેશ કરીએ:

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મને હથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ચિનુ મોદી ‘ઈર્શાદ’નો પણ મિત્રમાં વિશ્વાસ હજી અકબંધ છે:

દોસ્ત ! તારા દિલ સુધી પ્હોંચ્યા પછી
સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ?

પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?

મરીઝ મિત્રતાના કાવ્યનિરૂપણના રૂઢિગત ભાવથી પ્રભાવિત છે:

રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ,
મેં મુસીબતમાં મદદ માંગી નહીં.

ફરીથી દોસ્તી કરવી નથી મગર પૂછું,
તમારી સાથે હતી મારી દોસ્તી કે નહિ.

હમદર્દ બની જાય, જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.

જઈને વતનમાં એટલું જોયું અમે ‘મરીઝ’,
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.

કૈલાસ પંડિત પણ આ જ સૂરમાં સૂર પુરાવે છે:

ઘણું સારું થયું, આવ્યા નહીં મિત્રો મને મળવા
અજાણે આમ હાલતની, ઘણાએ લાજ રાખી છે.

જ્યારે શોભિત દેસાઈ એના મિત્રને હજી પણ ‘મીસ’ કરે છે;

એક વખત મિત્ર બેસતો’તો અહીં,
ભાર વર્તાય એનો સ્કંધોને.

મનોજ ખંડેરિયા મિત્રતાના સ્વાંગ સચીને આવનારથી એટલા ત્રસ્ત છે કે પોતાની જાત સુધી પણ બેળેબેળે પહોંચી શકે છે:

બુકાની બાંધીને ફરનારાનું આ તો છે નગર, મિત્રો !
મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પહોંચી છે.

વધુ આગળ વાંચો…

Comments (21)

કિરણોત્સવ – કિરણસિંહ ચૌહાણના ચૂંટેલા શેર…

મૂળ વરિયાવનાં પણ હવે સુરતના જ કિરણસિંહ ચૌહાણ ગુજરાતી કવિતાની આજ અને આવતી કાલ છે. વિવેચકોએ એકીઅવાજે એમને આવનારી પેઢીના પ્રતિનિધિ કવિ તરીકે વધાવી લીધા છેં. જીવનના અભાવમાંથી કવિપણાના સ્વભાવ સુધીની મજલ કાપનાર કિરણ માર્દવ કંઠ પણ ધરાવે છે. એમના વ્યક્તિત્વની સાલસતા અને ઋજુ મનની પ્રામાણિક્તા જ્યારે કવિ-સંમેલનમાં ગઝલ બનીને ગળામાંથી વહી નીકળે છે ત્યારે શ્રોતાઓએ મંત્રમુગ્ધ થયા વિના બીજું કશું કરવાનું રહેતું નથી. એમની ગઝલમાં છંદની ચીવટાઈ અને અર્થની ઊંડાઈ ભાષાની સરળતા સાથે સુપેરે સરી આવે છે. કિરણના થોડા શે’ર અહીં માણીએ…
(જન્મતારીખ: 07-10-1974, ગઝલસંગ્રહ: સ્મરણોત્સવ, હઝલસંગ્રહ: ફાંફાં ન માર)

ઘણીવાર આ પ્રશ્ન જાગે છે મનમાં,
ખરેખર જીવું છું કે જીવ્યા કરું છું ?

કેમ રિસાયા કરે છે તું ?
મારા પ્રત્યે પ્રેમ છે કે શું ?

રોજનીશી હું લખીને શું કરું ?
જો બધું નોંધાય તારા ચોપડે !

તો હવે તારેય લખવી છે ગઝલ ?!
સાહ્યબી વચ્ચે તડપતા આવડે ?

સતત દોડીને તૂટી જાય, હાંફી જાય… અંતે શું ?
બધાં જીવે છે આખી જિંદગી જાણે મરણ માટે.

આ મિલનનો અંત તો બસ, આપમેળે આવશે,
સાંજને તેડી જશે આ સૂર્ય રાબેતા મુજબ.

બંધ ઘરની એ ઉદાસીઓ બધી પી જાય છે,
એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે.

કહોને; કોઈ કોને ક્યાં સુધી ને કેટલું ચાહે ?
ભલા, ક્યારેક તો બદલાય ને વાતાવરણ મનમાં !

આયનાની એક મર્યાદા અહીં ખુલ્લી પડી,
એક પણ પ્રતિબિંબને એ સાચવી શકતો નથી.

જિંદગીમાં જે અધૂરી ઝંખના રહી જાય છે,
થોડું જો ચિંતન કરો તો એ કવિતા થાય છે.

થોડા ઝઘડા છે છતાં પરવા નથી,
આપણી વચ્ચે મહોબત ક્યાં નથી !

વિશ્વ ના પામી શક્યાનું દુઃખ ન કર,
એ મળી પણ જાત તો તું શું કરત ?

એટલો ઊંચે ગયો હું એટલો ઊંચે ગયો….
કે પછી તો સાવ પડછાયા વગરનો થઈ ગયો.

પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,
‘હું’ અને ‘તું’ એટલું કાફી નથી ?

વધુ આગળ વાંચો…

Comments (14)

ગઝલમાં દર્દ અને દવા – ૨

આજે પહેલી જુલાઈ એટલે ડોક્ટર્સ ડે. એક તબીબ હોવાના નાતે આજે મારે લયસ્તરોના વાંચકોને શેનું પ્રિસ્કીપ્શન આપવું? ગઝલમાં દર્દ અને દવાનો બીજો ડોઝ આપી દઉં, ચાલશે? અગાઉ લયસ્તરો પર આપ પહેલો ભાગ વાંચી ચૂક્યા છો.

જેનું નામ જ મરીઝ છે એમનાથી શરૂઆત કરીએ તો? મરીઝને વાંચતા એટલો અહેસાસ જરૂર થાય છે કે આ માણસ નીલકંઠથી પણ આગળ છે. શંકરે તો માત્ર ગળા સુધી ઉતાર્યું હતું ઝેરને, મરીઝે તો આખા જીવનને!

તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહિ,
થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે.

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.

હો પ્રેમમાં જ ફક્ત દર્દ એ રિવાજ નથી,
મળે ન તક તો હવસનો ય કંઈ ઈલાજ નથી.

દિલના અનેક દર્દ અજાણે મટી ગયાં,
એ પણ ખબર પડી નહિ ક્યારે દવા મળી !

પ્રણયના દર્દનું બસ નામ છે નહિ તો ‘મરીઝ’,
અનેક દર્દ છે, જેની દવા નથી મળતી.

છે નિરાશામાં એક નિરાંત ‘મરીઝ’,
હો બધા દર્દની દવા જાણે.

આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણાં ભલે કહું છું દવા હોવી જોઈએ.

કદાચિત હતાં દર્દ કારણ વગર,
કે મટતાં રહ્યા એ નિવારણ વગર.

ના, એવું દર્દ હોય મોહબ્બત સિવાય ના
સોચો તો લાખ સૂઝે-કરો તો ઉપાય ના

હજાર દર્દની એક જ દવા છે અવગણના,
જખમ રૂઝાય રહ્યા છે ને સારવાર નથી.

સુરતના કવિઓને પૂછીએ? ડૉ. રઈશ મનીઆર કયો ઈલાજ લઈને આવ્યાં છે?:

એય સાચું કે મારું દર્દ ગઝલ,
એ ય સાચું કે છે ઈલાજ ગઝલ.

વધુ આગળ વાંચો…

Comments (12)

ગુજરાતી ગઝલમાં “કાવ્યસર્જનની પ્રક્રિયા- ૨”

કાવ્યસર્જનની પ્રક્રિયા એ કદાચિત્ મૃત્યુ જેવી ઘટના છે. બંનેને સમજવાની કોશિશ મનુષ્ય શરૂઆતથી જ કરતો આવ્યો છે પણ બંને જેટલી નક્કર અને અફર છે એટલી જ કદાચ અકળ. એક જ ફરક છે, બંનેમાં. મૃત્યુને અનુભવ્યા પછી કોઈ પાછું વળીને આવતું નથી, પણ કવિઓ પોતાની સર્જનક્રિયા અંગે આપ-બયાની આપી શકે છે.

નખશિખ સુરતી ભગવતીકુમાર શર્મા લોહીથી લખવાની વાત કરે છે:

તૂટી કલમ તો આગળીનાં ટેરવે લખ્યું,
તેથી જ રાતી ઝાંય છે મારા બયાનમા.

મારો અવાજ શંખની ફૂંકે વહી જશે,
મારી કવિતા શબ્દનાં છીપલાંનું ઘર હશે.

આંસુભર્યા તળાવમાં કાગળની હોડીઓ,
સ્ફુરે ગઝલ એ ચંદ્રકિરણનો પ્રસંગ છે.

સુરતના જ નયન દેસાઈ આંગળીનો ભરાવો ઠાલવવાની વાત લઈને આવે છે:

શબ્દને વીટળાયેલો આ બ્રહ્મ બ્રહ્માંડોનો સ્પર્શ,
આંગળી ભરચક્પણું ખાલી કરે તે છંદ છે.

શ્યામ સાધુ અલગ ચીલો ચાતરે છે. એ સર્જનની વાતમાં વેદનાને સ્થાને હર્ષ અનુભવે છે:

સાવ પાસેથી ગઝલને સાંભળો,
જિંદગીનો ખુશનુમા ચહેરો હશે !

વધુ આગળ વાંચો…

Comments (5)

ગુજરાતી ગઝલમાં “કાવ્યસર્જનની પ્રક્રિયા- ૧”

ગઝલ શી રીતે લખાય છે એ પ્રશ્ન કોઈને પૂછો તો શો જવાબ મળે? સુરતના ડૉ. મુકુલ ચોક્સીને પૂછી જોઈએ?

ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ.

ઉન્માદ! કાવ્યમાં ક્યાં રહ્યો કોઈ ડર ?-કહો
વાત આપણી જ આપણા ઉલ્લેખ વગર કહો.

કવિતા કદાચ અંતઃસ્ફુરણાની વાત છે. કવિ જેમ કવિતા રચે છે, એજ પ્રમાણે કવિતા પણ કવિને સતત રચતી રહે છે. મરીઝ ગુજરાતના ગાલિબ ગણાય છે. ગઝલ લખવાની પ્રક્રિયા અંગે એમની પ્રતિક્રિયા તપાસીએ:

હૃદયનું રક્ત, નયનનાં ઝરણ, જીવનનો નિચોડ,
ભળે તો ગઝલોમાં આવે છે તરબતર બાબત.

હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ ‘મરીઝ’,
ગઝલો ફક્ત લખાય છે દિલની ઝબાનમાં.

‘મરીઝ’ હું તો ગઝલ મારી ગમે ત્યારે લખી લઉં છું,
સમયની હો જે પાબંદ, તે પ્રતિભા થઈ નથી શકતી.

વધુ આગળ વાંચો…

Comments (9)

શેર – રમેશ પારેખ

આમ તો આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય,
એક કાગળની બની હોડી તરે વરસાદમાં.

જાત અટકી તોય ના અટકી પીડાની જાતરા,
જો અમે પથ્થર થયા તો ટાંકણા સામા મળ્યાં !

કેટલી કાચી ઉંમરમાં જ્ઞાન આ પામ્યા, રમેશ
દર્દને સમજી શકો તો એ બની જાતું જણસ.

-રમેશ પારેખ

Comments

શેર – બેફામ

આજે પેશ છે બેફામસાહેબના ચંદ ચુનંદા શેર.

જિંદગીને   મોતનો   જો ભેદ  ના રાખો તમે,
જેના ખાલી હાથ છે એ સૌ સિકંદર લાગશે !

ફક્ત જીતવી  નથી  મારે તો  રચવી છે   નવી  દુનિયા,
કવિ મુફલિસ છું પણ છું એક કદમ આગળ સિકંદરથી !

અનુભવથી ના જીવન ઘડ, અનુભવમાં તો લાંછન છે,
તમાચાની  નિશાની   કાંઈ   લાલી  થઈ નથી શકતી !

પથ્થરોને   જે   ઘડે  એ   હો   કલાકારો  ભલે,
બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો !

– બેફામ

Comments (13)

વિરહના ત્રણ શેર

રાત મેં એક વિતાવી હતી ખાલી ઘરમાં
ખૂણે ખૂણાના પ્રસંગો મને ભરપૂર મળ્યા
-સૈફ પાલનપુરી

તારાં સ્મરણો ભીની ખુશ્બો
મારું અંતર બળતો ધૂપ.
-ઘાયલ

તારા મિલનમાં તારા વિરહની ગઝલ કહી
એ તારો ભ્રમ હતો કે હું તારો નથી રહ્યો.
-હરીન્દ્ર દવે

Comments (2)

શેર -રાજેન્દ્ર શુક્લ

આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.

લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું !

-રાજેન્દ્ર શુક્લ

Comments

પગલાં -‘બેફામ’

એકેક વ્હેંત ઊંચાં બધાં ચાલતાં હતાં,
તારી ગલીમાં કોઈના પગલાં પડ્યાં નહીં.

-‘બેફામ’

Comments (3)

જગા પુરાઈ ગઈ ! -ઓજસ પાલનપુરી

મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ
આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ !

-ઓજસ પાલનપુરી

Comments (4)

દાદ -બેફામ

મને ઓ કલ્પનાનાં ઉડ્ડયનની દાદ તો આપો,
કે મેં પિંજર મહીં હોવા છતાં પાંખો પ્રસારી છે !

-બેફામ

Comments (2)

સૂની પડી સાંજ

સૂની પડેલી સાંજને સમજવા મથતા મારા પ્રિય ત્રણ શેર પ્રસ્તૃત છે.

એક  પડછાયો  પીધો તેનો નશો છે લોહીમાં,
આમ બસ હર એક સાંજો લડખડતી જાય છે.
-નયન દેસાઈ

ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા  વિના  સાંજ  ડૂસકે ચડી છે.
-ભગવતીકુમાર શર્મા

બોલ મારા આ જનમના ને તે જનમના ભાગિયા,
કોણ  ઉમ્બર  પર  અધૂરી  સાંજ  આ  નાખી   ગયું.
-નયન દેસાઈ

(વધારાની માણવા જેવી હકીકત એ છે કે બન્ને કવિ મારા શહેર સૂરતના છે! )

Comments (5)

‘ગાલિબ’ના ચૂંટેલા શેર

પકડે જાતે હૈ ફરિશ્તોંકે લિખે પર નાહક
આદમી કોઈ હમારા દમે-તહરીર ભી થા ?

બનાકર ફકીરોંકા હમ ભેસ ‘ગાલિબ’,
તમાશા-એ-અહલે-કરમ દેખતે હૈ !

તેરે વાદે પર જિએ હમ, તો યહ જાન જૂઠ જાના,
કિ ખુશીસે મર ન જાતે, અગર ઐતબાર હોતા !

‘ગાલિબ’, તેરા અહવાલ સુના દેંગે હમ ઉનકો,
વહ સુનકે બુલા લેં, યહ ઈજારા નહીં કરતે !

બેખુદી બે સબબ નહીં, ‘ગાલિબ’
કુછ તો હૈ જિસકી પર્દાદારી હૈ.

મુજ તક કબ ઉનકી બઝમમેં આતા થા દૌરએજામ;
સાકીને કુછ મિલા ન દિયા હો શરાબ મેં !

યે મસઈલે તસવ્વુફ, યે તેરા બયાન ‘ગાલિબ’;
તુઝે હમ વલી સમઝતે, જો ન બદાખાર હોતા !

કોઈ મેરે દિલ સે પૂછે તેરે તીરે-નીમકશ કો,
યહ ખલિશ કહાંસે હોતી, જો જિગરકે પાર હોતા !

મિલના તેરા અગર નહીં આસાં, તો સહલ હૈ.
દુશ્વાર તો યહી હૈ, કિ દુશ્વાર ભી નહીં.

લાજમ થા, કી દેખો મેરા રાસ્તા કોઈ દિન ઔર;
તનહા ગયે ક્યોં; અબ રહો તનહા કોઈ દિન ઔર.

ન તીર કમાંમેં હૈ, ન સૈયાદ કર્મીમેં;
ગોશેમેં ક્ફસકે મુઝે આરામ બહોત હૈ.

મૈને મજનૂપે લડકપનમેં અસદ;
સંગ ઉઠાયા થા કિ સર યાદ આયા.

ચલતા હું થોડી દેર હરેક તેજરૌકે સાથ;
પહેચાનતા નહી અભી રાહબરકો મૈ.

Comments (3)

એક ઉઝરડે -‘અમર’ પાલનપુરી

ધોઈ નાખ્યાં હાથ સ્વજનથી, કોણ હવે શત્રુમાં ખરડે ?
ઊંડા ઘા તો કંઇક સહ્યા, પણ જાન ગયો છે એક ઉઝરડે.

-‘અમર’ પાલનપુરી

Comments (5)

-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ – હેમેન શાહ

-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.

– હેમેન શાહ

Comments (1)