જિંદગીને કેમ જીવવી જોઈએ ?
એ પરીક્ષામાં તો પૂછાતું નથી !
નિનાદ અધ્યારુ

અંજનીકાવ્ય – મનોજ ખંડેરિયા

આ ઘરની ભીંતો ને ઝાંપો
એને એવો ધક્કો આપો
આઘે દૂર ક્ષિતિજે સ્થાપો
.                      ત્યાર પછી જુઓ !

ઘરની આ સંકડાશ ન રહેશે
ઓછો કૈં અજવાશ ન રહેશે
ગૂંગળામણના શ્વાસ ન રહેશે
.                      ત્યાર પછી જીવો !

-મનોજ ખંડેરિયા

*

ગુજરાતી ભાષામાં અંજનીગીતો બહુ ઓછા લખાય છે, પણ મનોજ ખંડેરિયાએ તો ‘અંજની’ નામે આખેઆખો સંગ્રહ આપણને આપ્યો છે. આધુનિક ગીતકાવ્યસ્વરૂપમાં રસ હોય એ મિત્રોને આ કાવ્યસ્વરૂપ ચોક્કસ પસંદ આવશે. પ્રચલિત ગીતની સરખામણીમાં અંજનીગીત અત્યંત લાઘવ ધરાવતું કાવ્યસ્વરૂપ હોવાથી ગાગરમાં સાગર ભરવાનું કવિકૌશલ્ય અનિવાર્ય બની રહે છે. શબ્દોની કરકસર વડે ઉત્કટ ભાવોર્મિનું બારીક નક્શીકામ અંજનીગીતની પૂર્વશરત બની રહે છે. પ્રસ્તુત અંજનીગીત દરેક મોરચે પાર ઉતરે છે. કવિ ઘરના ભીંટ-ઝાંપાને ધક્કો દઈને દૂર ક્ષિતિજે લઈ જઈ સ્થાપવાની વાત કરે છે. મતલબ સાફ છે. આ કંઈ માત્ર ઈંટ-સિમેન્ટના બનેલા આપણા ઘરની સંકડામણ દૂર કરવાની વાત નથી. આ વાત તો છે આપણા મનની, આપણા જીવનની, આપણા સંબંધોની અને આપણા હોવાપણાની ક્ષિતિજો વિસ્તારવાની. ઉમાશંકરનો ‘વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી’નો શંખનાદ પણ અહીં સંભળાય છે. સંકુચિતતાનો ત્યાગ કરીએ, ત્યારે જીવનમાં ન તો અજવાસની ઓછપ રહેશે, ન તો શ્વાસ લેવામાં કોઈ ગૂંગળામણ અનુભવાશે. રાજેન્દ્ર શાહનું લઘુકાવ્ય પણ આ તબક્કે યાદ આવ્યા વિના નહીં રહે: ‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા.’*

અંજની કાવ્ય વિશે શ્રી રામનારાયણ વિ. પાઠક ‘બૃહત્ પિંગળ’માં આપેલી જાણકારીના હિસાબે એમ કહી શકાય કે જેમ સૉનેટ, હાઈકુ, ગઝલ એમ અંજની ગીત પણ આપણે ત્યાં અન્ય સાહિત્ય (મરાઠી)માંથી આયાત થયેલો કાવ્યપ્રકાર છે. ગુજરાતી ભાષામાં સૌથી પહેલું અંજની ગીત કાન્તે લખ્યું જણાય છે… (જો કે એ પહેલાં કાન્તના મિત્ર રાજારામ રામશંકરના ગુજરાતી ભાષાંતરમાં પણ અંજની કાવ્ય કહી શકાય એવી એક રચના જડી આવે છે)

અંજની ગીતમાં પહેલી ત્રણ પંક્તિઓ સોળ સોળ માત્રાની અને એક જ પ્રાસ ધરાવે છે. એમાં ચાર ચતુષ્કલ (ગાગા) સંધિઓ આવે છે. ચોથી પંક્તિ ટૂંકી છે, દસ માત્રાની છે, ઉપરના પ્રાસથી વિખૂટી છે. આની ખાસ ખૂબી એ છે કે ત્રીજી પંક્તિ પ્રાસથી આગલી બે પંક્તિ સાથે સંધાયેલી હોય છે, છતાં પઠનમાં એ ચોથી સાથે વધારે ગાઢ રીતે સંધાયેલી હોવાથી એક સુંદર ભંગીનો અનુભવ થાય છે. છંદના જાણકાર માટે અંજની ગીતની ઉત્થાપનિકા આ પ્રમાણે થાય:

દાદા દાદા દાદા ગાગા
દાદા દાદા દાદા ગાગા
દાદા દાદા દાદા ગાગા
દાદા દાદા દા –  —

18 Comments »

  1. મીના છેડા said,

    November 11, 2011 @ 3:10 AM

    વાહ! ખૂબ જ સુંદર ગીત…. એકવાર વાંચતા જ માણ્યું ને ત્યાર બાદ મિત્રની સમજાવટને આધારે ફરી માણ્યું … અંજની ગીત વિશેની જાણકારી બદલ પણ આભાર….

  2. Pushpakant Talati said,

    November 11, 2011 @ 5:26 AM

    વાહ ! ખુબ જ સરસ. મારા માટે આ એક અલગ જ પ્રકારનો કાવ્યપ્રકાર થી ભેટો થયો. મે ક્યારેય આ “અંજની કાવ્ય” બાબત સાંભળેલ ન હતું કે આ બાબતથી જરા પણ વાકેફ ન હતો. આજે આ લયસ્તરો દ્વારા નવા કાવ્ય-પ્રકાર ની જાણકારી મળી. તે બદલ હું લયસ્તરોનો આભાર માનુ છું

    તે ઉપરાન્ત કાવ્ય નાં massage / તેમાં આપવામાં આવેલ સંદેશ થી પણ ઘણોજ પ્રભાવીત થયો છું. બન્ને કડીઓ ની અંતિમ લીટીઓ નાં અંતિમ શબ્દો “જુઓ” તથા “જીવો” જેટલો જ મામુલી ફેરફાર કરી આખી જ રચનાને ચાર-ચાંદ લગાવી દીધા.

    ખરેખર ગ-ઝ-બ કહેવાય. શું કરામત છે આ ;-
    “ત્યાર પછી જુઓ !’ અને “ત્યાર પછી જીવો !” ની. ? ! !! ?

  3. Deval said,

    November 11, 2011 @ 6:21 AM

    @Meena ji & @Pushpakant ji : vadhu “Anjani Kavyo” aapne Manoj khandheria na samagrah kavita sangrah “VArso na varas laage…” ma mali aavshe… Shree Khandheria saheb ae “Anjani” naame matra Anajani kavyo no ek aakho sangrah pan pragat karelo chhe.

  4. વિવેક said,

    November 11, 2011 @ 7:54 AM

    @ દેવલ : પૂરક માહિતી બદલ આભાર…

    એક બીજા અંજની ગીત માટે કાલે આ સાઇટ ઉપર ફરી આવજે…

  5. pragnaju said,

    November 11, 2011 @ 8:22 AM

    સુંદર અંજની ગીત
    અને
    તેનાંથી સુંદર રસદર્શન
    ઘરને ‘આપણું’ કહેતાં પહેલાં
    આ ઘરની ભીંતો ને ઝાંપો
    એને એવો ધક્કો આપો.
    ‘આપણું’ શબ્દ વિરાટને છે.
    આઘે દૂર ક્ષિતિજે સ્થાપો
    ઘર :વિરાટ ટપકું. છે.!
    ગૂંગળામણના શ્વાસ ન રહેશે
    . ત્યાર પછી જીવો !

  6. Kanak said,

    November 11, 2011 @ 9:41 AM

    ખરેખર અત્યંત સુંદર અંજની ગીત છે. ત્યાર પછી જુઓ ! અને ત્યાર પછી જીવો !

    જુઓ અને જીવો બે શબ્દો ઉપયોગ કરીને ગાગરમાં સાગર કરેલ છે.ખરેખર ઉત્કૃષ્ટ

    રચના છે.

  7. himanshu patel said,

    November 11, 2011 @ 10:21 AM

    સરસ કવિતા.

  8. Milind Gadhavi said,

    November 11, 2011 @ 10:23 AM

    મનોજ સૌથી વ્હાલો, તેની કવિતાને વાંચી નથી બલ્કે તેના તો રીતસર પાઠ કર્યા છે… રોજ વાંચો ને રોજ કંઇક નવા જ અર્થ સુધી, કોઇ નવી દિશામાં જ લઇ જાય એવો અદભુત કવિ..

  9. Milind Gadhavi said,

    November 11, 2011 @ 10:25 AM

    સંજુભાઇ (સંજુ વાળા) ને ઘણી વખત કહું કે મનોજ જાણે મારી બધી જ પીડા લખીને ગયો છે એવું લાગ્યા કરે..!!

  10. pratik mor said,

    November 11, 2011 @ 3:51 PM

    ek vaar juna ghar maa khovayo hato hun. ne aaje e khander maa pan mane mali aavu chu hun.ek khuna maa muki ne mane. mari jaat ne bahaar sodhavaa gayo hato hun.

  11. લયસ્તરો » વિપ્રયોગ – કાન્ત said,

    November 12, 2011 @ 12:13 AM

    […] આપણે અંજની ગીત વિશે જાણ્યું. આજે આ કાવ્યના […]

  12. jigarjoshi 'prem' said,

    November 12, 2011 @ 12:18 AM

    આ બાબતે ગઇ કાલે જ દેવલ સાથે વાત થઈ. કાવ્ય પ્રકાર પણ સરસ છે અને કવિવર મનોજ વિશે તો શુઁ કહેવું ? મિલિન્દનેી વાતમાઁ હુ પણ્ સૂર પુરાવુ છુ…..

  13. dr.ketan karia said,

    November 12, 2011 @ 1:26 AM

    સાત અક્ષ્રરનું નામ…મનોજ ખંડેરીયા

  14. Deval said,

    November 12, 2011 @ 10:05 AM

    @Vivek sir: aatli nankadi vaat ma aabhaar mansho to amare to layastato no aabhaar manva ek navu “thank u layastato” kholavu padhse 😀

  15. શબ્દો છે શ્વાસ મારા · ભેટ said,

    September 8, 2012 @ 4:52 AM

    […] વિશે વધુ માહિતી આપ લયસ્તરો પર આ લિન્ક (https://layastaro.com/?p=7440) ઉપર જોઈ […]

  16. raksha shukla said,

    September 20, 2012 @ 11:41 PM

    liked much n got more pf the poetry writing.

  17. raksha shukla said,

    September 20, 2012 @ 11:41 PM

    liked much n got more of the poetry writing.

  18. Ashok Vavadiya said,

    March 19, 2015 @ 3:24 AM

    સુંદર મજાની સમજણ સાથેનું અંજની ગીત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment