સમયની રેતમાં આ પગ પ્રતીક્ષાના દબાવીને
સતત રમવાનું બીજું નામ, યારો ! ત્રીજો કિનારો.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રઘુનાથ બ્રહ્મભટ્ટ રસકવિ

રઘુનાથ બ્રહ્મભટ્ટ રસકવિ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




શ્યામ તોહે બમ્બઈ મેં મિલ જાઉ – રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ

બમ્બઈ મેં મિલ જાઉ શ્યામ તોહે બમ્બઈ મેં મિલ જાઉ
મધુરાધર સે મુરલી છુડાકે વાયોલિન બજવાઉ
… શ્યામ

મોરમુકુટ બનમાલ ઉતારું
કૉલર ટાઈ પિન્હાઉ
મહી માખન કો સ્વાદ ભુલાકે
બિસ્કિટ પાઉ ખિલાઉ.
… શ્યામ

બિન્દ્રાબિન કો રસ ભુલાઉ
ફૅન્સી બોલ સજાઉ
રઘુનાથ પિયા તોપે તન મન વારું
લોર્ડ કન્હાઈ કહલાઉ.
…શ્યામ

– રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ

‘મુગલ-એ-આઝમ’ ફિલ્મના અતિપ્રસિદ્ધ ગીત ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે….’ના રચયિતા એક ગુજરાતી કવિ હતા એમ કહીએ તો કેવું આશ્ચર્ય થાય! હા… પણ વાત સાવ સાચી છે. આ કાળજયી ગીતરચનાના રચયિતા હતા કવિશ્રી રઘુનાથ ત્રિભુવનદાસ બ્રહ્મભટ્ટ (૧૮૯૨-૧૯૮૩). રસકવિ એમનું ઉપમાન.ગુજરાતી રંગભૂમિ માટે નાટકો લખતા અને નાટકોને વધુ લોકભોગ્ય બનાવવા એમાં એ ગીતો ઉમેરતા. ૧૯૧૯માં રજૂ થયેલ ‘છત્રવિજય’ નાટકનું આ નાટ્યગીત મહેફિલોમાંથી પસાર થતાં થતાં મુગલ-એ-આઝમ ફિલ્મ સુધી પહોંચ્યું પણ શકીલ બદાયૂનીના નામે. સુદીર્ઘ કાનૂની લડાઈ બાદ કવિને કવિ તરીકેનું માન મળ્યું… અનેક નાટકો અને અનેકાનેક ગીતોના રચયિતા રસકવિની કલમે આજે માણીએ સાવ જ નોખી તરેહનું આ ગીત…

મુંબઈને માયાનગરી પણ કહેવામાં આવે છે. કહે છે કે જે એકવાર મુંબઈ આવે, એ કદી મુંબઈ છોડી શકતો નથી. નિરંજન ભગતે ‘ઇન્દ્રજાલની ભૂલવે લીલા’ એવી મુંબઈ નગરી વિશે બહુ સરસ કવિતા લખી હતી: ‘ચલ મન મુંબઈ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી!’ મુરલીધર શ્યામ જો મુંબઈમાં આવે તો એની કેવી કાયાપલટ થઈ જાય એનું ખડી બોલી- વ્રજ બોલીમાં કવિએ સરસ મજાનું નિરૂપણ કર્યું છે.

Comments (7)

સાહ્યબો મારો ગુલાબનો છોડ -રઘુનાથ બ્રહ્મભટ્ટ ‘રસકવિ’

સાહ્યબો મારો ગુલાબનો છોડ,
                  વેલી હું તો લવંગની.
ઊડશું જીવનમાં જોડાજોડ,
                  પાંખો જેવી પતંગની.

આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી;
કેસરને   ક્યારડે   કસ્તૂરી   આ ભળી.
રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
                  મંજરી જેવી વસંતની.
સાહ્યબો સોહે કસુંબીનો રંગ,
                ઓઢણી ઓઢી ઉમંગની.

-રઘુનાથ બ્રહ્મભટ્ટ ‘રસકવિ’

Comments (1)