એ જે અફવા હતી કથા છે હવે,
આવ, જોવા સમી દશા છે હવે.
રશીદ મીર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મિલિન્દ ગઢવી

મિલિન્દ ગઢવી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




कुछ त्रिपदियाँ – मिलिन्द गढ़वी

अक्सर दिल को समझाया है
झील में पत्थर मत फेंका कर
चाँद के सिर पे चोट लगेगी|

इस तनहाई से तंग आकर
जाने मैं क्या कर जाऊंगा
गालिब ने ग़ज़ले कह दी थी |

अपने आप से लड़ते लड़ते
कुछ लम्हों ने जान गँवा दी
बाकी सारे comma में है |

ताजा बर्फ के मौसम रखकर
मैंने एक पिटारी भेजी
आह! वो तुमने धूप मेँ खोली |

रात नहीं कटती है वरना
दिन तो कितने काट लिए हैं
तेरी यादों की कैची से |

चाँद की जेब से चोरी कर के
मैं कुछ किरनें ले आया हूँ
काश अमावस में काम आए |

मैंने इक अधमरी उदासी को
कितनी मुश्किल से जिंदगी दी थी
तुम हो की ‘वाह वाह’ करते हो |

एक कोने मेँ पड़ा है सूरज
और सवेरा शहर से गायब है
रात कुछ नागवार गुजरी है |

– मिलिन्द गढ़वी

ગુજરાતી કવિ મિલિન્દની કલમે કેટલીક હિંદી ત્રિપદીઓ. અવર ભાષા પર કવિની હથોટી તો અહીં સાફ દેખાય જ છે, પણ જે કલ્પનો-રૂપકો કવિએ અહીં પ્રયોજ્યા છે એની તાજગી તો કંઈક અલગ જ છે. આટલા Fresh metaphors અને આવી સશક્ત બાની આપણે બહુ ભાગ્યે જ જોઈએ છીએ. દરેક ત્રિપદી આરામથી મમળાવજો… જેમાંથી આ ત્રિપદીઓ લીધી છે એ સંગ્રહ ‘નન્હે આંસૂ’ આખો જ અદભુત થયો છે…

Comments (8)

ઉદાસી – મિલિન્દ ગઢવી

હું એટલે સમયની રફતારની ઉદાસી,
અજવાસની અણી પર, અંધારની ઉદાસી.

કહેવાય છે કે મનની, શાપિત છે હવેલી,
ભટકે છે આજ પણ ત્યાં મરનારની ઉદાસી.

એવું નથી કે આવે અઠવાડિયાને અંતે,
ઘેરી શકે છે વચ્ચે બુધવારની ઉદાસી.

તારા બધા દિલાસા નકશાની દીવાદાંડી,
અહીંયા વમળ વમળ છે મઝધારની ઉદાસી.

હું બારણું બનીને ઉભો છું ઉંબરામાં,
ઘરની બહાર ગઈ છે ઘરબારની ઉદાસી.

તાજા ખબરમાં એ કે ચગદાઈ ગઈ અચાનક,
આ ભીડભાડ મધ્યે બે-ચારની ઉદાસી.

મારી કિતાબને પણ મારી ચિતામાં હોમો,
ઓ પાર લઈ જવી છે, આ પારની ઉદાસી.

તારાં સ્મરણની રાતે કાળાશ વિસ્તરી છે,
જોયા કરે જૂનાગઢ ગિરનારની ઉદાસી.

લ્યો શબ્દ શબ્દ થઈને કાગળમાં ઊતરી છે,
ગઢવીની આંગળીથી ગુલઝારની ઉદાસી.

– મિલિન્દ ગઢવી

ઉદાસી કવિતાનો સદાબહાર રંગ છે અને અહીં તો ગઝલ જ આખી ઉદાસીની છે. આખી ગઝલ સ-રસ થઈ છે… એટલે કોઈ એકાદ શેર પર આંગળી મૂકવાને બદલે સાંગોપાંગ માણીએ.

Comments (1)

એની ઉદાસી છે – મિલિન્દ ગઢવી

લખ્યું છે બ્રેઈલમાં મારું મરણ, એની ઉદાસી છે,
ઉપરથી હાથ આપ્યા છે અભણ, એની ઉદાસી છે.

સરી ગઈ રાત સાથે ચાંદની પણ આંગળીમાંથી,
ન સચવાયાં હથેળીમાં કિરણ, એની ઉદાસી છે.

લીલાછમ ઘાસમાં વરસાદ વેરાયાની ક્ષણ વચ્ચે,
પગરખાં શોધવા નીકળ્યાં ચરણ, એની ઉદાસી છે.

સ્મરણની શ્વેત કાગળ-નાવ જ્યાં તરવા મૂકી જળમાં,
ચીરાયું વસ્ત્રની માફક ઝરણ, એની ઉદાસી છે.

હું જાણું છું કથા પણ તોય પાછળ દોડવું પડશે,
ફરે છે એક માયાવી હરણ, એની ઉદાસી છે.

– મિલિન્દ ગઢવી

લયસ્તરોના પ્રાંગણમાં મિલિન્દ ગઢવીના પ્રથમ ગઝલસંગ્રહ ‘રાઈજાઈ’નું સહર્ષ સ્વાગત છે.

ઉદાસીનો ઘેરો રંગ કવિતાને હંમેશ વધુ માફક આવ્યો છે. અહીં તો આખી ગઝલ જ ઉદાસીની છે, પણ ભાવકને એ ઉદાસ કરી દેતી નથી એ એની ખાસિયત છે. કવિએ ઉદાસીના નાનાવિધ પહલુઓ બખૂબી રજૂ કર્યા છે. મત્લા વાંચતાવેંત સૌમ્ય જોશીનો મત્લા ‘શું કરું ક્યાંથી ઉકેલું કેવો આ સંબંધ છે; તું લખે છે બ્રેઈલમાં ને હાથ મારો અંધ છે‘ યાદ આવ્યા વિના નહીં રહે. પણ મિલિન્દના મત્લાની ‘ફ્લેવર’ ખાસ્સી અલગ છે. ઉપરવાળાએ જન્મની સાથે જ દરેકનું મરણ લખી નાંખ્યું છે એ માન્યતાની સાથે જિંદગી કેટલી પળની છે એ કોઈ જાણતું નથીની વાસ્તવિક્તા કવિએ અહીં સાંકળી લીધી છે. આ ઉદાસી આ અજ્ઞાનની ઉદાસી છે.

પૈસો હાથમાં ન ટકે એને આપણે ‘આંગળાં જ કાણાં છે’ એમ કહેતાં હોઈએ છીએ. જન સામાન્યને તો ધન કે તક હાથમાંથી સરકી જવાની ઉદાસી હોય છે, પણ કવિની ઉદાસી અલગ છે. કવિને તો રાત, ચાંદ અને ચાંદનીમાં રસ છે. ચાંદનીનું ઐશ્વર્ય જ એનું ધન છે. રાતના કાળા અંધારાની વચ્ચેથી કવિ ચાંદનીના અજવાસને પકડે છે, જે રીતે વેદનાના અંધારા વચ્ચે શબ્દોના અજવાળાંને ઝાલે એમ જ. સમય સરતાં રાત આંગળાંમાંથી સરી ગઈ પણ ચાંદની સુદ્ધાં ટકી ન શકી એનો એને અફસોસ છે.

Comments

(शेर सुनाया करते हैं) – मिलिन्द गढ़वी

हम अपनी मस्ती में गाया करते हैं
दुनिया वाले आया-जाया करते हैं |

जब भी उनकी यादें मिलने आती है
आँसू अपना धर्म निभाया करते हैं |

तन्हाई पास आकर बैठा करती है,
हम भी उसको शेर सुनाया करते हैं |

– मिलिन्द गढ़वी

મૂળે ગુજરાતી પણ બધી ભાષાને છાતી ફાડીને ચાહી શકે એવો આ કવિ હિંદી ગઝલ પણ કેવી અફલાતૂન કહે છે તે જુઓ! મુક્તકથી થોડી વધારે અને ગઝલથી થોડી ઓછી કહી શકાય એવી માત્ર ત્રણ જ શેરની ગઝલ, ને તોય કેવી સર્વાંગ સંપૂર્ણ! કવિ એની મસ્તીનો માલિક છે. દુનિયા એને ચાહીનેય દખલ ન પહોંચાડી શકે. પહેલો શેર વાંચીએ ત્યારે બાળાશંકરની પંક્તિ યાદ આવ્યા વિના નહીં રહે: ‘નિજાનંદે રહેજે બાલ, મસ્તીમાં મજા લેજે.’

Comments (1)

(ઉદાસ થઈ જાશે) – મિલિન્દ ગઢવી

તું મળે તો ઉજાસ થઈ જાશે
આંખનો પણ વિકાસ થઈ જાશે

ચાલ તારા વિચારમાં આવું
એ બહાને પ્રવાસ થઈ જાશે

એમ માનીને રોજ જીવું છું
કાલે દુનિયા ખલાસ થઈ જાશે

એક દિ’ આ બધાં સ્મરણ તારાં
મારી ગઝલોના પ્રાસ થઈ જાશે

એને મંદિરની બ્હાર ના કાઢો
ખાલી ખોટો ઉદાસ થઈ જાશે

– મિલિન્દ ગઢવી

સાદ્યંત સંતર્પક ગઝલ. પ્રિયતમાના વિચારમાં જવા જેટલાથી પણ પ્રવાસ થઈ ગયો હોવાની વાત તો ગઢવી જ કરી શકે!!

 

Comments (6)

त्रिपदी – मिलिन्द गढवी

आज भी पार जा नहीं सकता,
आज भी तैरना नहीं आता।
सोच में रोज़ डूब जाता हूँ…

– मिलिन्द गढवी

ત્રણ જ પંક્તિ પણ કેવું ઉમદા કવિકર્મ! ત્રિપદીની પહેલી બંને પંક્તિની શરૂઆતમાં આવતું ‘આજ ભી’ ન માત્ર ‘નહીં’ને દોહરાવે છે, બલકે દ્વિગુણિત કરે છે. નાની અમથી લાગતી વાત માત્ર રજૂઆતના બળે કેવી મજાની બની શકે છે એનું ઉત્તમ ઉદાહરણ છે આ… કવિતા તો સ્વયંસિદ્ધ છે એટલે એના વિશે કંઈ બોલવાનું રહેતું નથી…

Comments (2)

મેં તો સૂરજને…- મિલિન્દ ગઢવી

મેં તો સૂરજને રોપ્યો છે આંગણે, મારા ફળિયાની કાંકરીયું ઝળહળે રે લોલ
મેં તો ચાંદાને મૂક્યો છે પાંપણે, મારા સપનાના દરિયાઓ ખળભળે રે લોલ…

હું તો કંકુના થાપામાં ખોવાતી જાઉં
બધી મમતાળી આંખ્યુથી જોવાતી જાઉં
મારી મહેંદીનો ગહેકે છે મોરલો, એને સાજણની આંગળીયું સાંભરે રે લોલ…

કોઈ આવીને ઓરતાને ઓરી ગયું,
મારી ઢીંગલીની નીંદરને ચોરી ગયું,
હું તો ઊભી છું ઉમરને ઉંબરે, મારા અંતરમાં ઘૂઘરીયું રણઝણે રે લોલ…

– મિલિન્દ ગઢવી

આજે અથવા કાલે આ યુવા કવિમિત્રના લગ્ન છે….હાર્દિક શુભેચ્છાઓ…..

Comments (1)

હું શમણાંઓને ગાળું છું – મિલિંદ ગઢવી

હું શમણાંઓને ગાળું છું એ ઘટનાઓને લૂંછે છે,
હું શબ્દ બનીને સળગું છું એ મૌન લખીને ઘૂંટે છે.

નિસ્તેજ થયેલી આંખોને સૂરજની વાતો યાદ નથી,
અફસોસ બીચારું અંધારું અહેસાસ ઉદયનો પૂછે છે.

તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે,
તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઉડે છે.

હું સ્વપ્ન ભલા ક્યાંથી વાવું ? જઈ પૂછ વિરહની રાતો ને,
અહીં રોજ નિરાશા ફણગે છે અહીં રોજ નિસાસા ઊગે છે.

– મિલિંદ ગઢવી

Comments (11)

ગઝલ – મિલિન્દ ગઢવી

શૂન્યતાનો રાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’
ભીંતનો અટ્ટહાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

એક ગમતી સાંજ ચાખ્યે કેટલાં વર્ષો થયાં
આંખનો ઉપવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

સાવ નિર્જન કોઈ ટાપુ છે હૃદયની મધ્યમાં
ત્યાં જ કારાવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

પાંગર્યું છે ઊર્મિલાનું મૌન મારી ભીતરે
જાતનો વનવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

– મિલિન્દ ગઢવી

ચાર જ શેરની પણ સાદ્યંત અદભુત ગઝલ લઈને ગ.મિ. આજે લયસ્તરોના આંગણે આવ્યા છે. રદીફમાં દોરવાની અને ‘તું નથી’ એવું લખવાની જે વાત કવિ કરે છે એ વાત જ પહેલી નજરે પસંદ પડી જાય છે પણ ગઝલના ચાર શેરમાં જે વિરહ-વિયોગ-પ્રતીક્ષા ઘૂંટાતી રહે છે એનો ઘેરો રંગ આ ગઝલનો ખરો પ્રાણ છે.

રાસ એ ટોળાંની કવિતા છે. પ્રેમીજનોની અંગે-સંગે મ્હાલવાની કળા છે. રાસ શબ્દ સાંભળતાવેંત આપણી આંખ સામે યમુનાકાંઠે વેણુ વગાડતાં શ્રીમુરારિ અને ગોપિકાઓ આવી ઊભે. પણ કવિનો રાસ તો શૂન્યતાનો રાસ છે. આ એક જ કલ્પન પર કવિ આફરીન આફરીન પોકારાવી દે છે. કેવી ઘેઘૂર અને ભરચક્ક શૂન્યતા હશે જે પ્રિયજનના વિરહમાં રાસે ચડી છે ! અને પછી ખાલી પડેલી ભીંતો અટ્ટહાસ્ય ન કરે તો બીજું શું! આંખનો ઉપવાસ અને સાંજને ચાખવાના કલ્પનનું નાવિન્ય પણ એવું જ હૃદયંગમ…

Comments (8)

ગઝલ – મિલિન્દ ગઢવી

પડદો હટાવી દઉં તો નહીં ઓળખી શકો
નાટક બતાવી દઉં તો નહીં ઓળખી શકો

પરછાઈને લીધે જ પરિચય છે આપણો
સૂરજ છૂપાવી દઉં તો નહીં ઓળખી શકો

રહેવા દો કૈંક ભેદ હવે દરમિયાનમાં
ધુમ્મસ બૂઝાવી દઉં તો નહીં ઓળખી શકો

ચહેરા ઉપરના સર્વ ઉદાસીના ભાવને
ઘરમાં સજાવી દઉં તો નહીં ઓળખી શકો

ભટક્યા છો ઠેર-ઠેર તમે જેની શોધમાં
એ ચીજ લાવી દઉં તો નહીં ઓળખી શકો

– મિલિન્દ ગઢવી

Comments (13)

રાત – મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

એક સપનાને ફરી વાવી તમે
રાતને સાચે જ અજમાવી તમે

ચાંદની ચીસો નીચે દાબી દઈ
રાતને સંદિગ્ધ નોંધાવી તમે

કઈ ઉદાસીનું પગેરું શોધવા
રાતને બેફામ ખોદાવી તમે

વાતને લંબાવવાની લાલચે
રાતને પણ સહેજ લંબાવી તમે

સૂર્યની જાહેરમાં નિંદા કરી
રાતને વિશ્વાસમાં લાવી તમે

છાની રાખી, હાથ ઝાલી ને પછી
રાતને ઘરમાંય બોલાવી તમે

આજ તો ભારે કરી નાખી ‘ગ.મિ.’
રાતને ગઝલોય સંભળાવી તમે

– મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

રાતના ભાતીગળ મણકાંઓ એક ધાગે પરોવી પેશ કરતી આ ગઝલને મુસલસલ ગણી શકાશે ?

આ ગઝલના એક-એક શેર હાથમાં લ્યો, સાહેબ… એક એકથી ચડિયાતાં અને તદ્દન “વર્જિન” કલ્પન ! રાત વિશે આવી ગઝલ કોઈએ આગળ લખી હોય તો હું જાત હારી જાઉં.

Comments (9)

શબ્દમાં – મિલિન્દ ગઢવી

તારો સતત અભાવ છે ‘આકાશ’ શબ્દમાં
પહેલાં સમું કશું નથી ‘ચોપાસ’ શબ્દમાં

અંદર ગયા પછી બહુ ભારે થતો ગયો
નક્કી જ ભેળસેળ છે કંઈ ‘શ્વાસ’ શબ્દમાં

એના ગયાના અર્થમાં ખાલી જગા હતી
ડૂમા વસી ગયા બધે ‘અવકાશ’ શબ્દમાં

સૂરજ ઠર્યો’તો સાંજના દીવા કર્યા તમે
શું શું બળી ગયું હશે ‘અજવાસ’ શબ્દમાં

હું ને અરીસો બેઉ જણ થીજી ગયાં ગ.મિ.
કેવી પડી તિરાડ આ ‘અહેસાસ’ શબ્દમાં

– મિલિન્દ ગઢવી

એક-એક શબ્દને પકડીને એના અર્થનું આકાશ ઉઘાડી આપતી નવતર જાતની ગઝલ… આજની યુવાપેઢી નવું નહીં આપશે તો બીજું કોણ આપશે? વાહ, કવિ…

Comments (12)

ઓછાબોલી – મિલિન્દ ગઢવી

એવામાં તો મોડાં મોડાં
અવસર લઈને આવ્યા ઘોડા
મેં કીધું કે, ‘લઈ લઉં થોડાં’, –
.                                       એ બોલી, ‘ઊંહું !’

‘कत्थई आँखों में क्या छल है ?
पलकों पे जो भीगा कल है
आँसू है या गंगाजल है ?’ –
.                                       वो बोली, ‘पानी!’

Relations went through recession
Time had come for alteration
When I stopped her at the station; –
.                                            She said, ‘Destiny!’

– મિલિન્દ ગઢવી

મરાઠીમાંથી ઊતરી આવેલ અંજની-ગીત આપણે ત્યાં શરૂથી જ બહુ પ્રેમાદર પામ્યું નથી. કાન્ત, બ.ક.ઠા. જેવા કવિઓથી માંડીને ઘણાખરા કવિઓએ એના પર હાથ અજમાવ્યો પણ વાત બહુ આગળ વધી નહીં. મનોજ ખંડેરિયાએ તો આખેઆખો સંગ્રહ અંજની-ગીતોનો આપ્યો પણ તોય અંજનીથી સર્જકો ખાસ અંજાયા નહીં. મને લાગે છે કે અંજનીનું બારીક પોત આ માટે જવાબદાર છે. ૧૬ માત્રાનો એક એવી સાડાત્રણ પંક્તિનો બંધ, જે આમ જોવા જઈએ તો દોઢ પંક્તિ જેટલો જ છે… એટલે એક બંધમાં ગઝલના એક આખા શેર કરતાં પણ ઓછી જગ્યા મળતી હોઈ કદાચ આ પ્રકાર આપણે ત્યાં વધુ પ્રચલિત થઈ શક્યો નથી.

મિલિન્દ આવા સંજોગોમાં ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ત્રણ ભાષાનું કોકટેલ કરીને એક અંજની લઈ આવે છે એ સુખદ નિશાની છે. કમાલની વાત એ છે કે મિલિન્દ અંજનીની આ સા…વ સાંકડી ગલીમાં ત્રણ ત્રણ ભાષાઓ બાથમાં ભરીને ખૂબ જ આસાનીથી ચાલી શક્યો છે. હા, જો કે એણે ત્રણેય બંધમાં અંત્યાનુપ્રાસ જાળવીને કામ કર્યું હોત તો વાત ઓર કમાલની થાત…

Comments (11)

વિલાનેલ : મનિયા

ધ્રુવપંક્તિ 1 (a1)                                આનાકાની કર મા, મનિયા !
પ્રાસયુક્ત પંક્તિ (b1)                         વ્હેણ સમજ ‘ને વહી જા સાથે
ધ્રુવપંક્તિ 2 (a2)                                સામા પૂરે તર મા, મનિયા !

પંક્તિ1 (a3)                                        શ્રદ્ધાને ખોતર મા, મનિયા !
પ્રાસયુક્ત પંક્તિ (b2)                        તર્કોના નખ ઝેરીલા છે
ધ્રુવપંક્તિ 1 (a1)                                આનાકાની કર મા, મનિયા !

પંક્તિ2 (a4)                                       લૂના રસ્તે ફર મા, મનિયા !
પ્રાસયુક્ત પંક્તિ (b3)                        મૃગજળ વચ્ચે જાત મૂકીને
ધ્રુવપંક્તિ 2 (a2)                                સામા પૂરે તર મા, મનિયા !

પંક્તિ3 (a5)                                       ચોરે તું ચીતર મા, મનિયા ! *
પ્રાસયુક્ત પંક્તિ (b4)                        ઘરની વાતો ઘરમાં શોભે
ધ્રુવપંક્તિ 1 (a1)                                આનાકાની કર મા, મનિયા !

પંક્તિ4 (a6)                                      દિવસે દીવો ધર મા, મનિયા !
પ્રાસયુક્ત પંક્તિ (b5)                       સૂરજભાનો અહમ્ ઘવાશે
ધ્રુવપંક્તિ 2 (a2)                               સામા પૂરે તર મા, મનિયા !

પંક્તિ5 (a7)                                      મે’માનો નોતર મા, મનિયા !
પ્રાસયુક્ત પંક્તિ (b6)                       બેસી એકલતાને તીરે
ધ્રુવપંક્તિ 1 (a1)                               આનાકાની કર મા, મનિયા !
ધ્રુવપંક્તિ 2 (a2)                              સામા પૂરે તર મા, મનિયા !

 

– મિલિન્દ ગઢવી

(* અંતરના ઊંડાણની વેધૂને કહેવાય,
ચોરે નૉ ચીતરાય ચિત્તની વાતું ‘શંકરા’
– શંકરદાનજી દેથા)

 

વિલાનેલ (Villanelle)એક એવો કાવ્યપ્રકાર છે જે 19મી સદીમાં ફ્રેન્ચ મોડૅલ્સમાંથી અંગ્રેજી ભાષા-કવિતામાં ઊતરી આવ્યો છે. આ શબ્દ ઇટાલિયન villanella પરથી આવ્યો છે જેનું મૂળ છે લૅટિન villanus (ગામઠી). વિલાનેલઓગણીસ લીટી લાંબું હોય છે, જેમાં પાંચ ત્રિપદી (a-b-a પ્રકારની)અને એક છેવટની ચતુષ્પદી(a-b-a-a પ્રકારની)નો સમાવેશ થાય છે.પ્રથમત્રિપદીની પહેલી અને ત્રીજી કડી ધ્રુવપંક્તિઓ હોય છે જે દરેક અનુગામી ત્રિપદીની ત્રીજી લીટી તરીકે એકાંતર પુનરુક્તિ પામે છે અને ચતુષ્પદીમાં દુપાઈ રૂપે અંતિમ બે પંક્તિ તરીકે સાથે આવે છે. તેની રચના બિન-રેખીય હોવાને કારણે, નૅરેટીવ ડેવલપમેન્ટ અટકાવે છે.વિલાનેલનુંકોઈ સ્થાપિત મીટર નથી. તેના આધુનિક સ્વરૂપનું સત્વ તેના પ્રાસ અને પુનરાવર્તનની વિશિષ્ટ પેટર્ન છે.

(મિલિન્દ ગઢવી)

Comments (15)

ગઝલ – મિલિન્દ ગઢવી

રે લોલ સૂરજ થઈ જવાના કોડમાં હાંફી ગયા
રે લોલ દીવાઓ બિચારા હોડમાં હાંફી ગયા

આજેય સૂના કાંગરે પડઘાય કેસરિયો સમય
રે લોલ તારી યાદના ચિત્તોડમાં હાંફી ગયા

ક્યાં એકપણ રસ્તો હવે લઈ જાય મારી ભીતરે
રે લોલ મારા શ્વાસ પણ ઘરફોડમાં હાંફી ગયા

છેવટ મળી બે ગજ ધરા સૌ ઝંખના દફનાવવા
રે લોલ આથમવા સુધીની દોડમાં હાંફી ગયા*

તું આવ ત્યારે અર્થનું આકાશ લેતી આવજે
રે લોલ શબ્દો કાગળોની સોડમાં હાંફી ગયા

ઊગ્યાં કરે છે જંગલોના જંગલો છાતી મહીં
રે લોલ જ્યાં એકવાર લીલાં છોડમાં હાંફી ગયા

– મિલિન્દ ગઢવી

માનવીની અતૃપ્ત એષણાઓમાંથી જનમતી પીડાની ગઝલ… રે લોલનો ઊઠાવ લઈ જે રીતે એ આગળ વધે છે અને બધા શેરમાં જે રીતે સળંગસૂત્રતા નજરે ચડે છે એ પરથી આને ગીત-ગઝલ પણ ગણી શકાય. આમ તો બધા જ શેર ઉત્તમ છે પણ મને ઘરફોડ જેવા અનૂઠા કાફિયાને કવિ જે રીતે કવિતાની કક્ષાએ લઈ ગયા એ આ ગઝલની ઉપલબ્ધિ લાગે છે. શ્વાસની એકધારી આવ-જા અંદર કશુંક શોધવાની મથામણ ન હોય જાણે ! અને ભીતરનો ખજાનો પામવા જાણે એ ચોરની જેમ ઘરફોડી ન કરતા હોય !

(* લિયૉ તોલ્સ્ટૉયની વાર્તા ‘How much land does a man need?’ પરથી)

Comments (8)

ગઝલ – મિલિન્દ ગઢવી

રેતમાં તરવા જવાની જીદમાં,
તરફડ્યા જળ ત્યાગવાની જીદમાં.

જાતથી નારાજ કેવા થઈ ગયા !
સૌને રાજી રાખવાની જીદમાં.

વાસણો દોર્યાં અભેરાઈ ઉપર
ખાલીપો સંતાડવાની જીદમાં.

લ્યો, વરસનાં વ્હાણ ડૂબ્યાં હાથમાં
હસ્તરેખા લાંઘવાની જીદમાં.

છેવટે ઘરને ય સળગાવી દીધું
આંગણું અજવાળવાની જીદમાં.

– મિલિન્દ ગઢવી

જિંદગીના કેટલાક મહાદૂષણૉમાંનું એક તે જીદ. જીવનમાં જીદ ન હોત તો કદાચ કેટકેટલા ઇતિહાસ સર્જાયા વિનાના રહી જાત. તો ક્યારેક જીદ આવી મજાની ગઝલ પણ સર્જાવી આપે.

 

Comments (12)

ગઝલ – મિલિન્દ ગઢવી

દિવસોનો કચરો બાળીને રાતે અજવાળાં રાખ્યાં છે,
તારો ખાલીપો સાચવવા સુઘરીના માળા રાખ્યા છે.

થોડો અવકાશ જરૂરી છે, સૌ જાણે છે, સૌ માને છે,
તેથી તો રેલના પાટા સમ સગપણમાં ગાળા રાખ્યા છે.

તું પણ બીજાની જેમ અરે! આંખોની પાર ન જોઇ શકી ?
આ ગરમાળાની પાછળ જે ઘેઘૂર ઉનાળા રાખ્યા છે !

તોરણમાંથી ટપકે રાખે છે આખા ઘરની નીરવતા,
ઘરડાં દ્વારોને યાદ નથી કે કોણે તાળાં રાખ્યાં છે.

ત્યાં દૂર ક્ષિતિજ પર સોનેરી એક ધજા ફરકતી રાખીને,
રસ્તાના અર્થો વિસ્તારી અમને પગપાળા રાખ્યા છે.

– મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

ગ.મિ.ની ગમી જાય એવી ગઝલ… આજની પેઢીમાં પોતીકો અવાજ લઈને ઝડપભેર નવી ભાત અંકિત કરતા આ કવિના ગરમાળાની પાછળના આ ઉનાળા વાંચતાવેંત ગમી જાય એવા છે…

Comments (20)