હું ભણું છું એમનો ચહેરો, અને એ-
ક્લાસમાં ભૂગોળનું પુસ્તક ભણે છે.
શીતલ જોશી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દેવેન્દ્ર દવે

દેવેન્દ્ર દવે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




હૈયું મારું ઠારે રે! – દેવેન્દ્ર દવે

(મનહર)

સ્વર્ગ મધ્યે સુરગણો ભેળા થઈ ગર્વ કરે
સુખડ શું સુખ મળ્યું ભાર્યા થકી ભારે રે!
બ્રહ્મા કહે: ગૃહિણીએ શિરે લીધી ફરજ સૌ
એથી નિત રત રહું સર્જનમાં ત્યારે રે!
વિષ્ણુ વદ્યાઃ લક્ષ્મી મારે દ્વાર આવી ત્યાર કેડે
સૃષ્ટિ તણાં પાલનની ફિકર ના મારે રે!
મહાદેવ બોલ્યા: જુઓ ધણિયાણી અન્નપૂર્ણા,
પછી કોણ પેટ કાજે ભાઈ! ઘેટાં ચારે રે?!
કામદેવ થનગની સૂર કાઢે: રતિ રોજ
શય્યા મારી કુસુમોથી હોંશે શણગારે રે!
અચંબાથી બાઘા પેરે જોઈ રહું ચારે કોરે
હતપ્રભ મન ડૂબ્યું વમળ-વિચારે રે!
‘કેમ ભૂલે? ભાર્યા થકી ભોગવતો સુખ ચારે’
ઓચિંતાની ગેબી વાણી હૈયું મારું ઠારે રે!

– દેવેન્દ્ર દવે

દલપતરામના પ્રિય મનહર છંદમાં એમની જ નામરાશિવાળા કવિ દેવેન્દ્ર દવે મજાનું સૉનેટ લઈ આવ્યા છે. કવિતાના મૂળ સ્વભાવથી થોડું વિપરિત આ સૉનેટ ખાસ્સું મુખર છે પણ મુખરતા વાતને હળવી બનાવે છે અને ખૂંચતી નથી એટલે સૉનેટ આસ્વાદ્ય બન્યું છે. કવિ મજાની કલ્પના કરે છે. સ્વર્ગમાં ચાર મુખ્ય દેવો પોતપોતાની પત્નીનાં ગુણગાન ગાય છે. સરસ્વતીએ ઘરની જવાબદારી માથે લઈ લીધી હોવાથી બ્રહ્મા બેરોકટોક સર્જનકાર્યમાં પ્રવૃત્ત રહી શકે છે. લક્ષ્મીના લીધે વિષ્ણુ સૃષ્ટિના પાલનની ચિંતાથી મુક્ત થઈ ગયા છે. તો પાર્વતી અન્નપૂર્ણા હોવાથી શંકર ભગવાન કોઈ પણ જાતના કામકાજ કરવાના બદલે કૈલાસ પર ધૂણી ધખાવી શકે છે. કામદેવને તો રતિ જેવી પત્ની હોવાથી રોજેરોજ બખ્ખા જ છે. અને લાડુ હંમેશા પારકે ભાણે જ મોટો લાગે એ ન્યાયે કથક બાઘા જેવો પોતાની કમનસીબી અને દેવોના સદભાગ્યની તુલના કરતો દુઃખી થાય છે. એવામાં કોઈક ગેબી વાણી એનું હૈયું ઠારતાં કહે છે કે આ બધાને તો એક-એક પત્ની થકી એક-એક જ સુખ છે પણ તારે તો એક જ પત્ની થકી આ ચારેય સુખ છે. कार्येषु मन्त्री करणेषु दासी भोज्येषु माता शयनेषु रम्भाની આપણે ત્યાંની જાણીતી વિભાવના જ સૉનેટમાં જરા અલગ રીતે ઉપસી આવી છે.

Comments (2)

ના સહી યાતનાને?! – દેવેન્દ્ર દવે

(મંદાક્રાન્તા)

જાણી જોઈ નિજ કર થકી સ્વર્ગ શી આ અયોધ્યા
લંકાથીયે બદતર કરી! નાથને કાળ આંબ્યો!
જેનાં કાજે વચનદ્વય તેં માંગતાં માગી લીધાં
(કૂડાં કીધાં કરમ-કુલટા દાસીથી દોરવાણી…)
ત્યાગ્યો એણે વિભવ… વસિયો એકલો નંદિગ્રામે!
રામે માંડ્યાં ચરણ અડવાણે, વને વાસ વેઠ્યો!
શુંયે સૂઝ્યું કઠણ કરમે? કાં ન કાળોતરોયે
ડંખ્યો તુંને? પયસભર તેં પાત્રમાં ઝેર ઘોળ્યું?
છાનું વેઠી અવિરતપણે કોસતાં કાળ વીત્યો,
ભીનાં નેત્રે નિજ ભવનને શાંત એકાંત ખૂણે
બેઠી જાણે ભડભડ વને ચીખતી પંખિણી… ત્યાં
ઓચિંતાના પગરવ થતાં કાન માંડ્યા સફાળા.
પાયે વંદી, રઘુવીર કહે, ‘સારતી આંસુ શાને?
મારાથી તેં અધિકતર મા! ના સહી યાતનાને?!’

– દેવેન્દ્ર દવે

મંથરાની ચડામણીમાં આવી જઈને કૈકયી દશરથ પાસે બે વચન માંગી બેઠી. દશરથે પ્રાણ ગુમાવ્યા. રામ વનમાં જઈ વસ્યા અને ભરત રાજગાદી પર બેસવાના બદલે વૈભવ ત્યાગીને નંદિગ્રામ જઈ વસ્યો. સ્વર્ગ જેવી અયોધ્યા લંકાથી બદતર બની. દૂધ ભર્યા પાત્રમાં જાણે કૈકયીના હાથે ઝેર ઘોળાયું. આટલી વાર્તા આપણે સહુ જાણીએ છીએ. પણ આ કવિતા છે અને કવિતા આપણને એ દર્શન કરાવે છે જે આપણે સામાન્યરીતે જોઈ શકતા નથી. કવિના તો ચશ્માં જ અલગ. કવિનો હાથ ઝાલીને કવિતા અહીંથી કૈકયીના અંતઃકરણમાં પ્રવેશે છે. આપણને દેખાતી ઘટનાઓની પાછળ છૂપાયેલો કૈકયીનો પશ્ચાતાપ કવિ જુએ છે. બે વચન પછી ઘટેલી અનિચ્છનીય ઘટાનોની ઘટમાળે કૈકયીને વ્યથિત કરી દીધી છે. દશરથ તો ગયા, રામ વનમાં અને ભરત નંદિગ્રામમાં શેકાયા પણ કૈકયી તો આ તમામ વરસ પોતે કરેલી ભૂલના અહેસાસની અગનઝાળમાં બળતી રહી છે. ભડભડ બળતા વનમાં ફસાઈ ગયેલ પક્ષી કેવી ચીસો પાડે એમ એનું હૈયું આક્રંદ કરી રહ્યું છે. પણ કવિતાની ઊંચાઈ ત્યાં વધે છે જ્યાં વનવાસથી પરત આવીને રામ કૈકયીને મળવા આવે છે અને રડતી જોઈને આશ્વાસન આપતાં એને મા કહીને સંબોધે છે.  કવિતા તો આ ‘મા’ સંબોધનમાં જ સંપૂર્ણ થઈ જાય છે. રામ માને આશ્વસ્ત કરતાં કહે છે કે એમના કરતાં એમની મા -કૈકયીએ- વધારે યાતના સહી છે એ વાતનો એમને પૂર્ણ અહેસાસ છે… સામાના દુઃખને સમજવાની અનુકંપા સૉનેટને ઉત્તમની શ્રેણીમાં લઈ જાય છે.

Comments (3)

અસલ અમલે – દેવેન્દ્ર દવે

(શિખરિણી)

ઝડી સંગે ઝીણું મરમરી ગયું વ્હાલ નભનું !
હવામાં ફૉરાણી મખમલ સમી મ્હેક મધ-શી !
પછી તો પૃથ્વીનું પડ પલળી પોચું થયું જરી,
મયૂરોની કેકા, રજનીભરી દાદુર ડમક્યા !

ઉદાસીનાં ઘેરાં પડળ ખસક્યાં – કૈંક હળવા
મિજાજે માતેલી કુદરત રહી શ્વાસ નરવા
ભરી, લ્યો લીલેરી ખૂબસૂરત ઓઢી ચુનરીને
ધરાને અંગાંગે તૃણ તૃણત રોમાંચ ગરવા !

રહસ્યો આ કેવાં, પ્રહર પૂરવે પ્હાડ-વગડા
ધખેલા, અંઘોળે નભ શત કરે શીતળ કરે !
રહ્યા વાતા શીળા પવન, વન વૃંદાવન બન્યાં !
ઉમંગે ઓચિંતા પલટઈ ગયાં દૃશ્ય સઘળાં !

જુદાઈવેળાના જડ, કુરૂપ ચ્હેરા સજ ધજી
રહ્યા સૌંદર્યોના અસલ અમલે ઘૂંટ ભરવા…

-દેવેન્દ્ર દવે

વરસાદના નિતાંત સૌંદર્યસભર ભીનુંછમ્મ સૉનેટ. ઘડીક નભનું વહાલ ઝરમર ઝરી જાય છે એવામાં તો પોચી થયેલી પૃથ્વી મધ જેવી મખમલી સુગંધથી તો મોર અને દેડકાં પોતાના અવાજથી તારસ્વરે વાતાવરણને ભરી દે છે. માતેલી સૃષ્ટિ હળવા મિજાને નરવા શ્વાસ ભરે છે અને ઉદાસીના ઊંડા પડ ખસકી જાય છે. લીલી તૃણની ચાદર જાણે કે ધરતીનો રોમાંચ ન હોય! થોડી વાર પહેલાં ભડભડ બળી રહેલ પ્રકૃતિ અચાનક વનમાંથી વૃંદાવન બની જાય આ કેવું રહસ્ય છે! એક નાનકડો ઉમંગ શું આપણી જિંદગીના દૃશ્ય પણ સમૂચા બદલી નથી નાંખતો? ઉમાશંકરે ખરું જ કહ્યું છે ને કે સૌંદર્ય પી, ઉર ઝરણ પછી ગાશે આપમેળે…

Comments (9)