ગિરીશ પરમાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
November 6, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ગિરીશ પરમાર
રોજ કનડે છે તમારી યાદ પણ.
બારમાસી છે અહીં વરસાદ પણ.
લાખ વાતો આપણી તો થાય છે,
આપણી વચ્ચે નથી સંવાદ પણ.
આપ આવો- ના જ આવો સાંજ પર,
મેં કરી છે ક્યાં કશી ફરિયાદ પણ?
ચોતરફ છે આપનું હોવાપણું,
આપના ચાલ્યાં ગયાંની બાદ પણ.
મુક્ત પંખી જેમ હું જીવ્યા કરું,
આપની બાબત હજી અપવાદ પણ.
– ગિરીશ રઢુકિયા
ખરી કવિતા જ એ જે સાંપ્રત સમયના પડઘા ઝીલે… આપણે ભણતાં હતાં ત્યારે ચોમાસુ ચાર મહિનાનું ગણાતું અને વરસાદ પણ પાઠ્યપુસ્તકની શિસ્તનું પાલન કરતો. પણ હવે વારે-તહેવારે સમુદ્રમાં સર્જાતા દબાણોના પ્રતાપે વિદેશોની જેમ આપણે ત્યાં પણ વરસાદ ગમે ત્યારે આવતો થઈ ગયો છે. આ વરસે તો હજી એની બેટિંગ પૂરી થતી નથી. બારમાસી થઈ ગયા જણાતા વરસાદને કવિએ મત્લામાં આબાદ ઝીલી બતાવ્યો છે. વાત તો બારેમાસ રોજેરોજ વરસતા રહી તરબતર રાખતી પ્રિયજનની યાદોની છે, પણ રૂપક તરીકે કવિએ ઋતુરાજની પ્રવર્તમાન પરિસ્થિતિને ખપમાં લીધી છે… દસેક વર્ષ પહેલાં લયસ્તરો પર કવિની જ એક ગઝલ પ્રગટ કરી હતી… એમાં વરસાદ માપસર પડતો ન હોવાની ફરિયાદ હતી. આજના આ બારમાસી વરસાદ સાથે એ વરસાદને પણ સાથોસાથ સરખાવી જોજો.
વાત અને સંવાદ વચ્ચેનો તફાવત પણ કવિએ કેવી હળવાશથી સમજાવ્યો છે! વાત સમ-વાત ન થાય ત્યાં સુધી બધું નકામું. બે જણ વચ્ચે વાત નહીં, સમ-વાદ થાય ત્યારે સાથે હોવું સાર્થક થાય. ચોથો શેર પણ મત્લાની જેમ સ્મૃતિલોકનો જ મહિમા કરે છે.
Permalink
December 1, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ગિરીશ પરમાર
ક્યાં જઈ કરવી કહો ફરિયાદ પણ ?
માપસર વરસ્યો નહીં વરસાદ પણ.
હું તને ભૂલી ગયો છું ક્યારનો,
એમ બોલીને કરું છું યાદ પણ.
કેટલા વર્ષો પછી નજરો મળી,
હોઠ મરક્યા, ના થયો સંવાદ પણ.
સેંકડો પંખી હણાતાં જાય છે,
કોઈએ છેડ્યો નહીં વિવાદ પણ.
છે રઢુ વ્હાલું અમોને, છે જ છે,
એટલું વ્હાલું જ અમદાવાદ પણ.
– ગિરીશ પરમાર ‘રઢુકિયા’
રઢુ ગામના ગિરીશ પરમારે જે કાબેલિયતપૂર્વક “પણ” જેવી સંભાવનાસૂચક રદીફ યથાર્થ વાપરી છે એ સાચે જ કાબિલે-દાદ છે. એક પણ શેરમાં રદીફ લટકી પડી નથી બલકે શેરના અર્થમાં ભાવપૂર્ણ ઉમેરણ કરવામાં સફળ નિવડી છે. વાહ, કવિ!
Permalink
March 6, 2009 at 1:53 AM by વિવેક · Filed under ગઝલ, ગિરીશ પરમાર
કોઈની યાદો જવાથી શું થશે ?
પાંપણો ભીની થવાથી શું થશે ?
સ્હેજ તણખો જોઈએ ભડભડ થવા,
એકલી ખાલી હવાથી શું થશે ?
વ્હેમના પર્યાય જેવો રોગ છે,
લાખ આપો, પણ દવાથી શું થશે ?
ખૂબ ઊંડા ઘાવ જેવો છે કૂવો,
એક ટુકડો રાસવાથી શું થશે ?
છેવટે થંભી જવાની બીકથી,
એક ડગલું ચાલવાથી શું થશે ?
-ગિરીશ પરમાર
દર્દની આછી ઝાંયથી ભીની-ભીની ગઝલ… સળગવા માટે ખાલી હવાનું હોવું શું પર્યાપ્ત છે? ભીતર એક તણખો પણ અનિવાર્ય છે. વ્હેમનો કોઈ ઈલાજ નથી એ વાત પણ કેવી સરસ રીતે કહેવાઈ છે ! કેટલાક ઘા એટલા ઊંડા કૂવા જેવા હોય છે કે એક રાસ જમીન સિંચવામાત્રથી એ ખાલી નહીં થઈ જાય…
Permalink