એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ !
એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી!
ખલીલ ધનતેજવી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હસિત બૂચ

હસિત બૂચ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




રંગપિયાલો – હસિત બૂચ

રંગપિયાલો ચડ્યો, રગેરગ રંગપિયાલો ચડ્યો;
ક્ષણભર પણ વીંટળાઈ આપણે અમર માંડવો રચ્યો.

રૂં-રૂં ફૂલ થઈ મઘમઘિયાં,
સુરભિ શ્વાસ છવાઈ;
હોઠ મળ્યાં, ઉરપરણ લહરિયાં,
બજી મૌનશહનાઈ;
અહો, આપણા આશ્લેષે શો અમલ નિરાળો ધર્યો !

ગગન બારીએ ઝૂક્યું-હરખ્યું,
ક્ષિતિજ આંખ મલકાઈ;
અહો, ઓરડે કેસર વરસ્યું,
પીઠી અલખ લગાઈ;
અમી આપણે લૂંટ્યું-લુટાવ્યું, કાળે મુજરો ભર્યો !

– હસિત બૂચ

લયસ્તરો પર પ્રદ્યુમ્ન તન્નાનું એક મજાનું સ્પર્શકાવ્ય માણ્યું ને આ ગીત યાદ આવી ગયું…

આલિંગનનું આવું મજાનું ગીત કદી માણ્યું છે? ક્ષણભર બે જણ વીંટળાયા એમાં તો અ-મર માંડવો રચાઈ ગયો… કેવો છે આ માંડવો? રૂંવા-રૂંવા ફૂલ થઈને મઘમઘે છે ને એની સુવાસ શ્વાસમાં પ્રસરે છે… જ્યાં બે ઓષ્ઠદ્વય એક થયાં કે તરત હૈયાના પાંદડા લહેરવા માંડે છે અને મિલનની આ ક્ષણોમાં જે શહનાઈ માંડવામાં ગૂંજી ઊઠે છે તે વળી મૌનની શહનાઈ છે… દ્વૈતમાંથી અદ્વૈત થવાની ક્ષણે શબ્દોની શી આવશ્યક્તા? ત્યાં તો મૌન જ લહેરાશે… કેવો પ્રેમનો અમલ ! કેવું અમી ! ખુદ કાળ પણ લળી લળીને સલામ ભરે છે…

(રૂં-રૂં= રૂંવા-રૂંવા; ઉરપરણ= હૈયાનાં પર્ણ; અમલ= નશો; મુજરો = સલામ)

Comments (3)

નિરંતર – હસિત બૂચ

એક નિરંતર લગન ;
.       અમે રસ પાયા કરિયેં :
એકબીજામાં મગન :
.       અમે બસ ગાયા કરિયેં.

કોઈ ચાંગળું લિયે, પવાલું-
.       કુંભ ભરે, જો રાજી !
કોઈ કરે મુખ છોને આડું ,
.       કે ઈતરાજી ઝાઝી ,
.              છાંય હોય કે અગન ; -અમે 0

સફર મહીં હો ઉજ્જડ વગડો,
.       કે નગરો ઝળહળતાં,
યાળ ઉછાળે ખારો દરિયો,
.       કે ઝરણાં ખળખળતાં ;
.              હવે મુઠ્ઠીમાં ગગન ; -અમે 0

-હસિત બૂચ

આવી અદભુત ગીતરચના આટલા વરસો સુધી નજરમાં આવી જ નહીં ! આવી રચના વાંચવાની-ગણગણવાની-જીવનમાં ઉતારવાની બાકી રહી જાય તો આખો જન્મારો એળે ગયો જાણવો.

Comments (10)

બન્યા કરે – હસિત બૂચ

એવું તો ભઈ, બન્યા કરે
કે
સરલ મારગે પહાડ અચાનક ઊભો થાય.

ફૂલ અકારણ કાંટો થાય;
ભઈ
તેથી કંઈ
હતું ફૂલ, ન્હોતું કહેવાય ?
મળિયો મારગ તજી જવાય ?
એવુંયે અહીં બન્યા કરે;
પ્હાડ પડ્યા રહે, પગને ફૂટે પાંખો,
કાંટા પર પણ ઋજુ ફરકતી રમે આપણી આંખો;
ભલે
ન પળ એ રટ્યા કરાય !

ભલે
વિરલ એ;
વિતથ કેમ એને કહેવાય ?
એવું તો અહીં બન્યા કરે,
કે –
એવુંયે ભઈ, બન્યા કરે,
કે –

– હસિત બૂચ
(‘ઓચ્છવ’)

બન્યા કરે એ નિયતિના સ્વીકારનું કાવ્ય છે. આપણી અડધી જીંદગી બનેલાનો પ્રતિકાર કરવામાં જાય છે. જે બની ગયું છે – એ સત્યને સ્વીકારીને આગળ વધવું એ આપણો ધર્મ છે. આ સાદી વાત કવિએ બહુ મીઠી રીતે કરી છે.
( વિતથ = ખોટું, અસત્ય )

Comments (3)