સમાધાનોના ગુંદરથી કદી સંધાય ના સંબંધ,
કદી છૂટાં, કદી સંલગ્ન? ના, હાંફી ગયો છું હું.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ભોળાભાઈ પટેલ

ભોળાભાઈ પટેલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ત્રયી – દુર્ગાચરણ પરિડા (અનુ. ભોળાભાઈ પટેલ)

દુર્દમ નદીના વમળમાં
કૂદી પડે છે એક ફૂલ
એક તેજસ્વી ફૂલ
તે ફૂલ સાહસનું.

ઉન્મત્ત વાવાઝોડાના ઓઠ
ચૂમે છે
એક પાંદડું
એક લીલું પાંદડું
તે પાંદડું વિશ્વાસનું.

અંધકારની વેલ પર
ખીલે છે એક કળી
તે કળી પ્રકાશની.

-દુર્ગાચરણ પરિડા
અનુ. : ભોળાભાઈ પટેલ

જીવનના સંઘર્ષનો સામનો એમની સામે થઈને નહીં, પણ સાથે રહીને વધુ સારી રીતે કરી શકાય એ વાત અહીં કવિ કેવી ખૂબસુરતીથી કરે છે ! નદીના વમળથી ડરી જનારની સંખ્યા વધુ છે, એમાં ઝંપલાવી દેનારની જૂજ. અહીં કવિ ફૂલને વમળમાં ઝંપલાવતું કલ્પે છે. વમળ જેવી પ્રચંડ આપત્તિની સન્મુખ પુષ્પની કોમળતાને કવિ ગોઠવે છે. પણ કદાચ એવું બને કે ભલભલી તોતિંગ વસ્તુને ઓહિયા કરી જતું વમળ ફૂલને કિનારે પણ ઉતારી દે. વળી આ ફૂલ સાહસનું ફૂલ છે. ઉન્મત્ત વાવાઝોડું તોતિંગકાય વૃક્ષોને પણ જમીનદોસ્ત કરી દે છે પણ વાવાઝોડાંની સામે નહીં, સાથે ઊડનાર પાંદડાને એ શી હાનિ કરી શકે ? જુઓ, અહીં પાંદડું વિશ્વાસનું છે અને વળી લીલું છે, તાજગીભર્યું. વિશ્વાસ કદી પીળો ન પડી શકે. એમ જ અંધકારની વેલ પર જે ઉગવાની હિંમત કરે એ કળી તો પ્રકાશની જ હોય ને !

વમળ, વાવાઝોડું અને અંધકાર આપણાં જીવનનાં સનાતન સત્ય છે, ફૂલ, પર્ણ અને કળીની જેમ જ. સત્યનો સંપૂર્ણ સ્વીકાર જ હોઈ શકે, આંશિક નહીં. આપત્તિને સ્વીકારીએ, સમજીએ અને એની હારોહાર જીવતાં શીખીએ તો જ સાચું જીવાશે…

Comments (10)

વિશ્વ-કવિતા:૦૬: ત્રણ નિઃશ્વાસ (ઓડિયા) પ્રહરાજ નંદ, અનુ.:ભોળાભાઈ પટેલ

તારા પ્રથમ નિઃશ્વાસમાં
સહસ્ત્ર વસંતનો સ્પર્શ
અસંખ્ય પતંગિયાનું અરણ્ય
ઝરણાની વાયોલીનમાં ઝલકી જતી સ્વપ્નની રાગિણી
હું નિર્વાક્ !

તારા બીજા નિઃશ્વાસમાં
વૈશાખનો નિર્મમ પ્રશ્ન
વિદગ્ધ નીલિમાની વ્યાકુળતા
અશાન્ત પવનમાં વિપર્યસ્ત આંધીની મર્મર
અસ્તિત્વનો સમુદ્ર મારો જવલમાન !

તારા ત્રીજા નિઃશ્વાસમાં
કદંબરેણુની વર્ષા
વિસ્તારિત કેશકસ્તુરીની સૌરભ
અંધકારની કાળી શિલામાં ચંદ્રની અસમાપ્ત યંત્રણા
નિઃસંગ હું.

-પ્રહરાજ સત્યનારાયણ નંદ (ઓડિયા)
અનુ.: ભોળાભાઈ પટેલ

પ્રહરાજ નંદનું આ કાવ્ય વામનના ત્રણ પગલાંની યાદ અપાવે છે. વામન ભગવાને ત્રણ જ પગલાંમાં બલિરાજાનું સર્વસ્વ લઈ લીધું હતું ત્યારે સમર્પણની જે ચરમસીમા અનુભવાય છે એવી જ પ્રેમની ઉત્કટતા પ્રેયસીના ત્રણ નિઃશ્વાસ સાથે અહીં અનુભવી શકાય છે. પ્રિયતમાનો નિઃશ્વાસ દિવસ અને રાત બંનેને-એમ આખા અસ્તિત્વને સ્પર્શે છે. એમાં હજારો વસંતનો સ્પર્શ અને અસંખ્ય પતંગિયાના ભાતીગળ રંગો ઉપરાંત રાતના સ્વપ્નોનું સંગીત એવી રીતે સરકી જાય છે કે કવિની વાચા હરાઈ જાય છે. બીજા નિઃશ્વાસમાં વૈશાખની નિર્મમ ગરમી, ભસ્મીભૂત થયેલી નીલિમાની વ્યાકુળતા અને પવન સુદ્ધામાં આંધી બની પ્રસરી ગયેલી અશાંતિ કવિના આખેઆખા અસ્તિત્વને બાળી નાંખે છે જાણે. ત્રીજા નિઃશ્વાસમાં અંધારાનો વ્યાપ કદી સમાપ્ત ન થનાર યંત્રણાની માફક કવિને સંગહીન -એકલો- કરી દે છે. ત્રણ નિઃશ્વાસમાં ક્રમશઃ વસંતના રંગો, વૈશાખનો તાપ અને કદી ખતમ ન થનાર અંધકાર સુધી ભાવકને ખેંચી લઈ જઈ કવિ વેદનાની કાલિમાથી એના હૃદયને સાંગોપાંગ ભરી દે છે…

Comments (3)