સાવ જ નવું હો સ્થળ ને છતાં એમ લાગતું,
પહેલાંય આ જગાએ હું આવી ગયેલ છું.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અખો

અખો શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




લાજ ન રહીએ – અખો

લાજુ લાજ ન રહીએ, સહી એ
.             ઐસા લાગ ગયા ન આવે રે!
નીડર હોકર જે જઈ લાગે,
.             સો શામ અનેરા પાવે રે!
.                             લાજુ, લાજ ન રહીએ!

ગલે બાંહાંકા સુખ જયુનૂં નહીં દેખ્યા,
.             સો બાહાર ફરે બુધ્યહીણી રે,
ચતુરપણાં મૂરખ હોય નીમડ્યા,
.             જો તું વાત ન સમજી ઝીણી રે
.                             લાજુ, લાજ ન રહીએ!

બારે માસ રહે ઘૂંઘરટી,
.             મન જાણે હું જાગી રે,
જાગણ તેરા નીંદ સરીખા,
.             જો તું સાથી કંઠ ન લાગી રે!
.                             લાજુ, લાજ ન રહીએ!

ચલે સહિજ મેં હરતી ફરતી
.             લેવે લ્હાવા – પણ લૂખી રે,
આછા અંગ દેખાવે લોકા
.             પણ ભોગ બીના તું ભૂખી રે!
.                             લાજુ, લાજ ન રહીએ!

લટકા લાલાલનકા લ્હાવા,
.             લીના નહિ જશ નારે રે,
સો ભૂલી ભામ્યની મહાભૂંડી,
.             કહ્યા બહોત સુનારે રે!
.                             લાજુ, લાજ ન રહીએ!

– અખો

અખાને આપણ્રે એના ચાબખા ફટકારતા છપ્પાઓ વડે જ ઓળખીએ છીએ, પણ અખા પાસેથી એ સિવાય પણ ઘણી કવિતાઓ મળે છે. અખો ક્રમશઃ અદ્વૈતવાદી બન્યો હતો અને જીવ-શિવ એકાકારની માન્યતા ધરાવતો હતો. તત્કાલિન ‘લાજુ’ સંબોધન આપણને પ્રવતમાન ‘લાજો’ની યાદ અપાવે છે. સખી રે (સહી એ)ને સંબોધીને અખો કહે છે કે બહુ લાજશરમમાં રહેવાની જરૂર નથી. આવો લાગ (મનુષ્ય તરીકેનો જન્મ) ગયો તો ફરી મળશે નહીં, એટલે ડર મૂકીને જે ગળે લાગી એકાકાર થઈ જશે એ જ અનેરા શ્યામને પામી શકશે.

જેણે આલિંગનનું સુખ નથી જોયું, એ બુદ્ધિહીન સમા બહાર આંટા માર્યા કરે છે. ઝીણી વાત અર્થાત્ સૂક્ષ્મ જ્ઞાન- બ્રહ્મનું જ્ઞાન ન સમજનાર કહેવાતાં ચતુર પણ ખરેખર મૂરખ છે. જ્ઞાન અને અજ્ઞાન, જીવ અને શિવને જે સમજતાં નથી, એનું જીવન ઘૂંઘરટી (ઊંઘરેટી) અવસ્થા છે, જે જાગવા છતાં ઊંઘ્યા બરાબર છે.

જ્ઞાની હોવું અને જ્ઞાનનો અનુભવ હોવો – એ બે અલગ વાત છે. જ્ઞાની થઈ ફરવું એ દેહનો આછોપાતળો દેખાડો કરવાથી વિશેષ કંઈ નથી. ભોગ (પ્રત્યક્ષ જ્ઞાનાનુભવ) વિનાનો જ્ઞાની ભૂખ્યો જ ગણાય. લાલનના લટકાનો લહાવો લેવાનો જશ પ્રાપ્ત ન થયો હોય એ ભૂંડી ભામિની (જીવ) ભૂલો પડેલો જીવે છે. આમ, અખા સુનાર (સોની)એ થોડામાં બહુ વધારે કહી દીધું છે. જ્ઞાનને ગળે લાગવા માટે લાજનો (અજ્ઞાનનો, મોહનો, અહમનો) ઘુંઘટ હટાવવો જ પડે… (કબીર યાદ આવે: ઘુંઘટ કે પટ ખોલ, તોહે પિયા મિલેંગે)

Comments (9)

છપ્પા – અખો

તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાકયાં ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ;
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખાતોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ;
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન;
તે તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?

જો જો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ.
અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા;
ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી, કહે અખો એ વાતો અમે જાણી.

(ખેડે=ગામમાં, ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી= ઘાણી એટલે તેલી બી પીલી તેલ કાઢવાનું સાધન; કોદરા જુદા હોય તો એની ઘેંશ થાય અને તલ જુદા હોય તો પીલીને તેલ કાઢી શકાય. પણ જો બંને ભેગા થયા હોય તો ન ઘેંશ બની શકે, ન તેલ કાઢી શકાય. અર્થાત્ કશા કામના નહીં )

દેહાભિમાન હૂતો પાશેર, તે વિદ્યા ભણતાં વધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.

(પાશેર=સવાસો ગ્રામ, શેર=પાંચસો ગ્રામ, તોલો=પાંચ કિલોગ્રામ, મણ=વીસ કિલોગ્રામ )

સસાશિંગનું વહાણ જ કર્યું, મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
વંધ્યાસુત બે વાણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં.
જેવી શેખસલીની ચાલી કથા, અખા હમણાં ને આગળ એવા હતા.

(સસલાના શિંગડાનું વહાણ, મૃગજળમાં તરવું, વાંઝણીના પુત્રો અને આકાશનાં ફૂલો- અશક્ય અને તરંગી વાતોના દૃષ્ટાંત વડે અગાઉ અને આજે કેવા જૂઠાણાં ચાલ્યા કર્યાં છે એ વાત અખાએ અવળવાણી વડે વેધકતાથી સમજાવી છે.)

આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.
ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું-સાંભળ્યું સર્વે ફોક.

( સરંગટ=ઘૂમટો તાણેલી, બોક= ડોલ )

અખો ભગત (આશરે ૧૫૯૧ થી ૧૬૫૬) અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા. વ્યવસાયે સોની. દુનિયાના દંભ અને પાખંડ દેખીને એમનો માંહ્યલો ઊકળી ઊઠતો હતો. કડવા અનુભવોના કારણે એમણે વૈરાગ્ય લઈ ગુરુની શોધ આદરી હતી પણ ધર્મસ્થાનોમાં ય આડંબર જ મળ્યો, સાચા ગુરુ ન મળ્યા. ચોપાઈ છંદમાં લખેલા એમના કાવ્યો છ પદ (ચરણ)ના હોવાથી છપ્પા તરીકે ઓળખાય છે. (છપાઈ ઉપરથી છપ્પો, ‘પાઈ’ એટલે પાય, ચરણ, પગ, પંક્તિ) આ છપ્પામાં તીખી-તમતમતી વાણીમાં એમણે આત્માને વીંધી નાંખે અને આંખના પડળ ઉઘાડી દે એવા મર્મવેધી કટાક્ષ કર્યા છે. અખા ભગત આપણી ભાષાના ઉચ્ચ કોટિના જ્ઞાની કવિ છે. આત્માના અનુભવને અને જ્ઞાનને એમણે ‘અખેગીતા’ , ‘પંચીકરણ’, ‘ગુરુ-શિષ્ય સંવાદ’, ‘ચિત્તવિચાર સંવાદ’ અને ‘અનુભવબિંદુ’ જેવી કાવ્યરચનામાં કલાત્મકરીતે નિરૂપ્યાં છે.

Comments (21)