મુંઝાઇ જઇશ હું, મને રસ્તા ના બતાવો,
રહી ગઇ છે હવે તો મને બસ એક દિશા યાદ.
સૈફ પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કિશોર વાઘેલા

કિશોર વાઘેલા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




નહીં મળું – કિશોર વાઘેલા

આ પથ ઉપર ફરી હું સફરમાં નહીં મળું;
અર્થો તરફ ગયો છું, શબદમાં નહીં મળું.

એવું બને કે સ્પર્શ થતાં હું ખરી પડું,
આકારના જગતની જણસમાં નહીં મળું.

આધીન તમારે કંઠ બધા હો ભલે સૂરો,
ગાઈ શકો સહજ એ તરજમાં નહીં મળું.

આ સૂર્યના કિરણને પ્રસવ આપજે હવે,
ચમકાર છું જીવનના તમસમાં નહીં મળું.

શોધી શકો કદાચ હવામાં અવાજમાં,
હું સત્ય છું કદીય ભરમમાં નહીં મળું.

– કિશોર વાઘેલા

Comments (3)

જિંદગીનો પ્રભાવ – કિશોર વાઘેલા

યાદ એની રોજ વાવી છે અહીં;
છાંયડો થઈ એજ આવી છે અહીં.

પાળિયાને પૂછ વાતો કાલની;
જિંદગી ઢસડીને લાવી છે અહીં.

કોણ ખોલી આપશે તારા વિના;
તું જ મારી એક ચાવી છે અહીં.

કેમ ચળકે હેમ જેવું પૂછ મા;
જાતને એણે તપાવી છે અહીં.

મોતનાં વાગે નગારાં તો ય તે;
જિંદગી કેવી પ્રભાવી છે અહીં.

-કિશોર વાઘેલા

25 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતભરના તબીબ-કવિમિત્રોના કવિસંમેલનમાં અચાનક એક હાથ ખભા પર લાગણી બનીને અડ્યો. “ડૉ. વિવેક ટેલર?,” મને પૂછ્યું. મેં પ્રશ્નાર્થ નજરે જોયુ એટલે જવાબ મળ્યો: “હું ડૉ. કિશોર વાઘેલા.લયસ્તરો નિયમિત વાંચું છું. મારો સંગ્રહ તમને મોકલ્યો છે, એકાદ-બે દિવસમાં મળી જશે.” કવિસંમેલનમાં સરસ રચના રજૂ કરી મેદાન મારી ગયેલા ભાવનગર ખાતે સ્ત્રીરોગવિશેષજ્ઞ તરીકે પ્રેક્ટિસ કરતા મૂળે અવાણિયા ગામના આ યુવાન તબીબ મજાની ગઝલો લખે છે. કવિતા ઉપરાંત કટારલેખન પણ કરે છે. (જન્મતારીખ: 13-09-1960, ગઝલ સંગ્રહ: “સૂર્યની શોધ પહેલાં”)
(લયસ્તરોને “સૂર્યની શોધ પહેલાં” ગઝલસંગ્રહ ભેટ આપવા બદલ ડૉ. કિશોર વાઘેલાનો આભાર!)

Comments (3)