આ છાતી વચોવચ છે રજવાડું રણનું,
મળ્યું નામ, ક્યાં તોય ‘મેહુલ’ થવાયું ?
– મેહુલ એ. ભટ્ટ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કમલેશ શાહ

કમલેશ શાહ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સંબંધ નામના વૃક્ષની જાતકકથા – કમલેશ શાહ

તારી પાનીની ઠેસ વાગ્યા પછી
જેની પહેલી કૂંપળ ફૂટી હતી,
તે અશોકવૃક્ષને પાંદડે પાંદડે
મેં તારું નામ કોતરાયેલું જોયું.

તારા એ નામની બાજુમાં મેં
મારું નામ કોતરવાનો પ્રયત્ન કર્યો
અને એટલામાં તો
અશોક વૃક્ષ આકાશ થઈ ગયું.
મારી ભૂલ પર પસ્તાતો હું
ત્યાં જ સૂઈ ગયો.

હું જાગ્યો ત્યારે મારી ઉપર
બોધિવૃક્ષ
શ્વાસ લેતું હતું.

– કમલેશ શાહ

કોઈકે કહ્યું છે સંબંધનું analysis શક્ય નથી, એની માત્ર autopsy જ થઈ શકે. જે સંબંધને મૂલવવો પડે એ તો ક્યારનો ય મરી જ પરવાર્યો હોય છે. છતાં આ ‘સંબંધ’ નામના પતંગિયાના પડછાયાને પકડવાની રમત ચાલ્યા જ કરે છે. અહીં સંબંધવિચ્છેદ વધુ ‘સમજણ’માં પરિણામે છે એની વાત કરી છે. એક રીતે આ વાત તદ્દન ખરી લાગે છે પણ બીજી રીતે જુઓ તો… દિલ કે બહેલાને કો ગાલિબ યે ખયાલ અચ્છા હૈ જેવી લાગે છે. વધુ તો તમે જાણો !

Comments (6)

સૂરજના સાત ઘોડા – કમલેશ શાહ

સૂરજના સાતમાંથી છ ઘોડાનાં નામ
સરસ્વતીના ચમચાઓને લાંચ આપીને
ચમન જાણી લાવ્યો છે.

ચિંતા, દુ:ખ, રોગ, એકવિધતા, શૂન્યતા ને કંટાળો.

સરસ્વતી સુધી લાગવગ લગાડવા છતાં
સાતમા ઘોડાનું નામ
ચમનને જાણવા મળ્યું નથી.

સૂરજના એ સાતમા ઘોડાનું નામ
સુખ હશે, એમ માનીને
ચમન જીવ્યે રાખે છે.

– કમલેશ શાહ

કેટલીક કવિતાનો અર્થ દરેક વાંચક માટે અલગ અલગ હોય છે. તમારે મન સૂરજના સાતમા ઘોડાનું નામ શું છે ?

Comments (3)