તમે પકડવા જશો કાનથી તો નહીં પકડાય,
અમારા દર્દ તણા સૂર-તાલ નોખા છે.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શ્લોક

શ્લોક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ના જાઓ – -અજ્ઞાત (અનુ.: મકરંદ દવે)

(શાર્દૂલવિક્રીડિત)

‘ના જાઓ!’ વચનો અમંગળ, ન હેતાળ ‘લ્યો, આવજો!’
રોક્યે મોટપ, ને ‘ગમે ત્યમ કરો!’ એમાં ઉદાસીનતા;
‘જો જો હો! નહિ જીવશું તમ વિના’ — એ તો બને ના બને
તેથી કૃષ્ણ, ખરાં વિદાયવચનો જાતાં મને શીખવો.

-અજ્ઞાત
(સંસ્કૃતમાંથી અનુવાદ : મકરંદ દવે)

ચાર પંક્તિનું નાનકડું મુક્તક અને એમાંય સૉનેટમાં જેમ આખરી પંક્તિમાં આવીને ચોટ લાગે એમ છેક છેલ્લી પંક્તિમાં જઈને ખબર પડે કે ગોકુળ છોડીને જતા કૃષ્ણ સાથેનો રાધાનો આ એકતરફી સંવાદ છે. કૃષ્ણ પોતાને છોડીને જઈ રહ્યા છે અને એને કઈ રીતે રોકવા એ રાધાને સમજ નથી પડતી. કોઈને ના જાઓ એમ કહેવું એ તો અમંગળ ન ગણાય? લ્યો, આવજો કહીએ એમાં પ્રેમનો અભાવ વર્તાય છે. રોકી દઈએ તો એમાં જનારની સામે પોતાની મોટાઈ દેખાઈ આવે, અને કૃષ્ણથી મોટા દેખાવું એ તો કેવળ અહંકારનો આવિર્ભાવ નહીં?! તમને જેમ ઠીક લાગે એમ કરો એવું કહીએ તો એમાં સામા તરફની પોતાની ઉદાસીનતા છલકાતી અનુભવાય. કશું ન સૂઝે અને જો જો, અમે તમારા વગર જીવી નહીં શકીએ એમ કહી દઈએ પણ સામાના ચાલ્યા ગયા બાદ જીવી ગયા તો એ વચન ખોટું ન પડે? તો કરવું શું? ખરી કવિતા તો છેલ્લી પંક્તિમાં છે, જ્યાં રાધા કૃષ્ણને જ કહે છે, કે તમને શું કહીને રોકી શકાય એ તમે જાતે જ અમને શીખવાડો… યે બાત! સદીઓ જૂના કોઈક સંસ્કૃત શ્લોકનો સિદ્ધ કવિ મકરંદ દવે એ કરેલ આ અનુવાદ છે…

લયસ્તરોના સૌથી નિયમિત વાચક પ્રજ્ઞાજુએ મૂળ સંસ્કૃત શ્લોક શોધી આપ્યો છે, જે આભાર સહ અહીં પૉસ્ટ કરું છું:

मा गच्छ!’ वचनाः अशुभाः, न उपक्रमिताः आगच्छ!’ इति।
रोक्ये मोताप, ’यथेच्छसि तथा कुरु॑ इति उदासीनता;
‘यदि एव ! नहि जीवशु तं विना ‘-तत् शक्य न शक्य
अतः श्री कृष्ण, मे सत्य विदाई शिक्षित ।।

Comments (8)

ભક્તિ – મુકુન્દરાય પારાશર્ય

ઝૂંટી કૃષ્ણની મોરલી હઠ કરી રાધા કદંબે ચડી,
આનંદે અધરે ધરી સ્વરસુધા વ્હેતી કરી ના કરી :
ત્યાં તો એ સ્વર કૃષ્ણવાદિત ગણી ધ્યાનસ્થ જાતે થઈ
એ જોતાં ગળતા ગયા પ્રણયની સંતૃપ્તિમાં શ્રીહરિ.

– મુકુન્દરાય પારાશર્ય

શાર્દૂલવિક્રીડિત છંદમાં કેવળ ચાર પંક્તિનો શ્લોક. પણ કેવો અદભુત! રાધા-કૃષ્ણ કે ગોપી-કૃષ્ણની વાતો તો સેંકડો કવિઓએ હજારો કવિતાઓમાં ગાયે રાખી છે, પણ સાચો કવિ જ એ જે તમામ ઉપલબ્ધ અભિવ્યક્તિઓથી આગળ વધીને કંઈક નવી વાત કરે…

કૃષ્ણ પાસેથી એની મોરલી ઝૂંટવી લઈને હઠીલી રાધા કૃષ્ણ જે ઝાડ પર ચડીને સૂરાવલિ રેલાવી સૃષ્ટિ આખીને મંત્રમુગ્ધ કરતા, એ જ કદંબ વૃક્ષ પર ચડી ગઈ. આટલું અપૂરતું હોય એમ કૃષ્ણની જ અદામાં આનંદિત હૈયે મોરલીમાંથી સ્વરસુધા પણ એ વહેતી કરે છે… કૃષ્ણની મોરલીમાંથી રેલાતા સંગીતનો પ્રભાવ તો જુઓ! રાધા પોતે વેણુ વગાડી રહી હોવા છતાં વાંસળીમાંથી વહેતા સૂર કૃષ્ણવાદિત જ હોવાનું અનુભવે છે અને ધ્યાનસ્થ થઈ જાય છે. પ્રેમભક્તિની આ કેવી પરાકાષ્ઠા! સમર્પણનો આ કેવો જાદુ! શ્વાસ સમ સહજતાથી સ્વ ઓગળી જાય એ જ સાચી ભક્તિ! એ જ સાચો પ્રેમ! અને સ્વાર્પણની ચોટીએ બિરાજમાન રાધાને જોઈને શ્રીકૃષ્ણ પોતે પ્રણયની સંતૃપ્તિની અનુભૂતિમાં ઓગળી જવા લાગ્યા.

છેલ્લી બે પંક્તિઓને એક જ વાક્ય હોવાનું ગણી લઈએ તો એમ પણ અર્થ કરી શકાય કે ભક્તે ભગવાનનું રૂપ ધારી લીધું તો ભગવાનને ભક્તનું રૂપ લેવાની ફરજ પડી. પોતાની વાંસળી સાંભળીને જે રીતે ગોપ-ગોપિકા સાનભાન ભૂલી જતાં હતાં, અદ્દલોદ્દલ એ જ રીતે કૃષ્ણ પોતે રાધાના મુખેથી પોતાની વાંસળીના સૂર સાંભળી કૃષ્ણ હોવાનું વિસરી જઈ ધ્યાનસ્થ થઈ ગયા અને પ્રણયની સંતૃપ્તિમાં ઓગળવા લાગ્યા…

કેવી અદભુત કવિતા! કેવું વિશિષ્ટ કવિકર્મ!

Comments (7)

हम आप के हैं कौन ? – અમરુ (ભાવાનુવાદ: વિવેક મનહર ટેલર)

बाले नाथ विमुञ्च मानिनि रुषं रोषान्मया किं कृतम्
खेदोऽस्मासु न मेऽपराध्यति भवान्सर्वेऽपराधा मयि ।
तत्किं रोदिषि गद्गदेन वचसा कस्याग्रतो रुद्यते
नन्वेतन्मम का तवास्मि दयिता नास्मीत्यतो रुद्यते ॥५७॥
– अमरू

આજે ‘વેલેન્ટાઇન ડે’ પર લયસ્તરોના વાચકવૃંદ માટે એક વિશેષ પ્રસ્તુતિ:

આશરે તેરસો-ચૌદસો વર્ષ પૂર્વે થઈ ગયેલ અમરુનું ‘અમરુશતકમ્’ વિશ્વસાહિત્યમાં ટોચે બિરાજમાન થવાની લાયકાત ધરાવે છે. અગાઉ આપણે એમના કેટલાક મુક્તકો આસ્વાદ્યા છે. પ્રસ્તુત મુક્તક સંવાદકાવ્યમાં શ્રેષ્ઠતમ લેખી શકાય એવું છે. શાર્દૂલવિક્રીડિત છંદમાં લખાયેલી ચાર પંક્તિઓના સાવ નાનકડા ઘરમાં કવિએ સ્ત્રી-પુરુષ સંબંધ અને પ્રેમનું આખેઆખું આકાશ ખીચોખીચ ભરી દીધું છે જાણે.

પુરુષ : બાળા.
સ્ત્રી : નાથ!
પુરુષ : રોષ ત્યાગ, માનુનિ.
સ્ત્રી : ગુસ્સા વડે મેં શું કર્યું?
પુરુષ : અમને ખેદ થાય છે.
સ્ત્રી : આપનો તો કોઈ જ દોષ નથી. બધા દોષ મારામાં જ છે,
પુરુષ : તો પછી રુંધાયેલી વાણીથી કેમ રડી રહી છે?
સ્ત્રી : કોની આગળ રડી રહી છું?
પુરુષ : અરે! મારી આગળ.
સ્ત્રી : હું તમારી કોણ થાઉં છું?
પુરુષ : દયિતા.
સ્ત્રી : નથી. માટે તો રડી રહી છું.

(ભાવાનુવાદ: વિવેક મનહર ટેલર)

ચાર પંક્તિમાં કેટલી ગહન વાત! પોતાની પ્રિયાને પુરુષ બાળા કહીને સંબોધે છે અને સ્ત્રી એને નાથ કહીને. આ બે જ શબ્દોમાં સંબંધના આખા આકાશનો સંપૂર્ણ ઊઘાડ થઈ જાય છે. પુરુષ માટે પોતાની પ્રિયા બાળક સમાન છે. એના માટે આ સંબંધ સાવ હળવો છે એટલે એ પ્રિયાને લાડમાં બોલાવે છે. પણ સ્ત્રી માટે એ ભગવાન છે, સર્વસ્વ છે. સ્ત્રી આ સંબંધમાં સમાનતા નથી અનુભવતી એટલે એ પુરુષના લાડભર્યા સંબોધનના પ્રત્યુત્તરમાં ‘નાથ’ જેવો ઠંડો ઉદગાર કાઢે છે.

ક્ષણાર્ધપૂર્વે લાડ કરતો પુરુષ આ ઠંડોગાર જવાબ મળતાં જ રંગ બદલે છે. એ સ્ત્રીને માનિની અર્થાત્ માનભૂખી, અભિમાની સંબોધીને ગુસ્સાનો ત્યાગ કરવા કહે છે. સ્ત્રી સામું પૂછે છે કે રોષે ભરાઈને મેં શું કર્યું? મે ંતમને તો કોઈ નુકશાન પહોંચાડ્યું નથી. પુરુષ ‘અમને ખેદ થાય છે’ એમ કહે છે ત્યારે પોતાના માટે માનાર્થે બહુવચન વાપરે છે. એક આત્મસંબોધન માત્રથી પુરુષનું સ્વામિત્વ –superior sex- કવિએ કેવું બખૂબી છટું કર્યું છે!

સ્ત્રી કહે છે કે આપનો તો કોઈ વાંકગુનો છે જ નહીં, પછી આપ શા માટે ખેદ અનુભવો છો? જે કંઈ દોષ છે એ બધા તો માત્ર મારામાં જ છે. નાયિકા પક્ષે પુરુષપ્રધાન સંસ્કૃતિનો આ સહજ સ્વીકાર છે. એ પોતાના દુઃખનું કારણ જે છે, એને દોષીકરાર આપવાના બદલે દોષનો અંચળો પોતાના પર ઓઢી લે છે. પ્રણયની, રિસાવાની આ અદા જાણીતી છે. પણ એનો અવાજ રુંધાયેલો છે. એનો કંઠ બોલતાં-બોલતાં ડૂસકાંઓના કારણે ગદગદ થઈ જાય છે એ અછતું રહેતું નથી એટલે પુરુષ ફરી પૂછે છે કે તો પછી આ રુંધાયેલી વાણી શા માટે? રડે છે શા માટે? સ્ત્રીનો વળતો સવાલ, કે ‘કોની આગળ રડી રહી છું’ સાવ rhetorical question છે, એમાં ભારોભાર ઉપાલંભ છે. સામેનો પુરુષ પથ્થર છે અને પોતાના આંસુ પથ્થર પર પાણી છે એનો ઠંડો ડામ એ પુરુષને દીધા વિના રહેતી નથી. નાયક મારી આગળ એવો જવાબ તો આપે છે પણ એના આ જવાબમાં સ્નેહની ઉષ્મા વર્તાતી નથી. નાયિકા પૂછે છે કે હું તમારી કોણ થાઉં છું? નાયક એક શબ્દમાં દયિતા યાને કે પ્રાણપ્યારી, પત્ની એવો જવાબ આપે છે પણ આ એક શબ્દના સીધાસપાટ જવાબમાં પુરુષની સ્ત્રી પરત્વેની સંવેદનશૂન્યતા છતી થયા વિના રહેતી નથી. નાયિકા વળતો ચાબખો વીંઝે છે. કહે છે, કે હું સાચા અર્થમાં તમારી વહાલી હોત, પ્રાણપ્રિયા હોત, પત્ની હોત તો મારે આમ રોષે ભરાવાની કે રડવાની જરૂર જ શી હોત? તમારો પ્રેમ મારા પર હવે રહ્યો નથી, હું હવે તમારી વહાલી હોવાનો અનુભવ કરતી નથી એ કારણે તો મારાથી રડી પડાય છે.

કેવું અદભુત મુક્તક!

Comments (13)

અમરુશતક – અમરુ (અનુ. વિવેક મનહર ટેલર)

आलोलामलकावलीं विलुलितां बिभ्रच्चलत्कुण्डलं
किञ्चिन्मृष्टविशेषकं तनुतरैः स्वेदाम्भसः शीकरैः ।
तन्व्या यत्सुरतान्तदीप्तनयनं वक्त्रं रतिव्यत्यये
तत्त्वां पातु चिराय किं हरिहरस्कन्दादिभिर्देवतैः ॥३॥

વીંખાયેલ લટો, હલે સહજ જે કાને ધર્યાં કુંડળો,
ભૂંસાયો મુખલેપ ભાલ પરની પ્રસ્વેદ બુંદો થકી
આંખો વિહ્વળ મૈથુનાંત થઈ છે એ તન્વીનું મોઢું જ
દેશે રક્ષણ દીર્ઘકાળ, શું હરિ, મા’દેવ, સ્કંદાદિથી?

तद्वक्राभिमुखं मुखं विनमितं दृष्टिः कृता पादयो-
तस्यालापकुतूहलाकुलतरे श्रोत्रे निरुद्धे मया
पाणिभ्यां च तिरस्कृत सपुलकः स्वेदोद्गमो गण्डयोः
सख्यः किं करवाणि यान्ति शतथा यत्कंचुके संधयः ॥११॥

સન્મુખે મુખ જોઈ મેં મુખ નમાવ્યું, દૃષ્ટિ કીધી પગે,
તેના સાદપિપાસુ કાન ફટ ઢાંક્યા મેં અને હાથથી
સંતાડ્યો પસીનો કપોલ પરનો રોમાંચથી જે થયો,
સૈ! સો બાજુથી કંચુકીની કસ તૂટે; શું કરું, તું કહે.

दंपत्योर्निशि जल्पतोर्गृहशुकेनाकर्णितं यद्वच-
स्तत्प्रातर्गुरुसंनिधौ निगदत: श्रुत्वैव तारं वधूः ।
कर्णालम्बितपद्मरागशकलं विन्यस्य चञ्चवा: पुटे
व्रीडार्ता प्रकरोति दाडिमफलव्याजेन वाग्बन्धनम् ॥१६॥

પ્રેમાલાપ થયો હતો યુગલનો રાતે, શુકે એ સુણી
પ્રાતઃ સૌની સમક્ષ તારસ્વરથી એ બોલવા માંડતા,
કાઢીને મણિ કાનથી તરત એની ચાંચમાં મૂકી દૈ
લાજેલી વહુએ અનારભ્રમથી રોકી દીધી બોલતી.

दृष्ट्वैकासनसंस्थिते प्रियतमे पश्चादुपेत्यादरा
देकस्या नयने निमील्य विहितक्रीडानुबन्धच्छलः
ईषद्वक्रितकंधरः सपुलकः प्रेमोल्लसन्मानसा
मन्तर्हासलसत्कपोलफलकां धूर्तोऽपरां चुम्बति ॥१९॥

જોઈ એક જ આસને પ્રિયતમા બેને, પૂરા માનથી
આંખો પાછળથી જઈ રમતના બા’ને બીડી એકની
ઢાળી ડોક જરા અને પ્રણયના ઉલ્લાસ-રોમાંચ ને
હાસ્યે ફુલ્લ કપોલવાળી અપરાને ધૂર્તે ચૂમી લીધી.

एकस्मिञ्शयने पराङ्मुखतया वीतोत्तरं ताम्यतो-
रन्योन्यं हृदयस्थितेऽप्यनुनये संरक्षतोगौरवम् ।
दंपत्योः शनकैरपाङ्गवलनान्मिश्रीभवंच्चक्षुषो
र्भग्नो मानकलिः सहासरभसं व्यावृत्तकण्ठग्रहः ॥२३॥

બંને એક જ સેજ પે અવળું મોં રાખી, જવાબો વિના
મૂંઝાતા, હૃદયે મનામણું છતાંયે ગર્વ રક્ષી સૂતાં.
થોડી આંખ ફરી, મળી નજર ને ટંટો હતો બેઉમાં
એ આલિંગન સાથ તુર્ત જ તૂટ્યો આવેગથી હાસ્યના.

तस्याः सान्द्रविलेपनस्तनयुगप्रश्लेषमुद्राङ्कितं
किं वक्षश्चरणानतिव्यतिकरव्याजेन गोपाप्यते ।
इत्युक्ते क्व तदित्युदीर्य सहसा तत्संप्रमार्ष्टुं मया
साश्लिष्टा रभसेन तत्सुखवशात्तस्याश्च तद्विस्मृतम् ॥२६॥

જે વિલેપન તેણીના સ્તનપુટે આલિંગતાં લાગ્યું છે
છાતીએ, ચરણે પડી શીદ છુપાવે એ બહાનાં તળે?
કે’તાં આવું, હું તુર્ત ‘ક્યાં છે’ વદતો એ લેપને ભૂંસવા
આલિંગ્યો સહસા, સુખે મગન થૈ તે વાત એ ભૂલી ગૈ.

प्रस्थानं वलयैः कृतं प्रियसखैरस्त्ररैजस्रं गतं
धृत्या न क्षणमासितं व्यवसितं चित्तेन गन्तुं पुरः ।
यातुं निश्चितचेतसि प्रियतमे सर्वे समं प्रस्थिता
गन्तव्ये सति जीवित ! प्रियसुहृत्सार्थः किमु त्यज्यते ॥३५॥

ચાલ્યાં કંગન, આંસુ દોસ્ત સમ પૂંઠે એકધારાં વહે,
ને ધૈર્યે ન ક્ષણાર્ધ ટક્યું, મન તો પે’લાં જ માંડ્યું જવા,
કીધો નિશ્ચય જ્યાં જવા પ્રિયતમે, ચાલ્યાં બધાં સાથમાં,
છે નક્કી જવું સૌનું તો, હૃદય! શા માટે ત્યજે સંઘ તું?

तयाभूदस्माकं प्रथममविभक्ता तनुरियं
ततो न त्वं प्रेयानहमपि हताशा प्रियतमा ।
इदानीं नाथस्त्वं वयमपि कलत्रं किमपरं
मयाप्तं प्राणानां कुलिशकठिनानां फलमिदम् ॥६९॥

હતી પ્રીતિ એવી, તન ઉભયના એક જ હતા
તમે પ્રેમી થૈ ગ્યા, હું થઈ ગઈ આશાહીન પ્રિયા,
તમે બન્યા સ્વામી, હુંય ફકત પત્ની થઈ રહી.
અરે! નક્કી આ વજ્ર સમ મુજ પ્રાણોનું ફળ છે.

સેક્સનું નામ પડતાં જ આપણા નાકના ટેરવાં ચઢી જાય છે. સેક્સને દૂષણ કહેતી વખતે આપણે ભૂલી જઈએ છીએ કે કામદેવ અને રતિ તો આપણા આરાધ્યદેવ છે! આપણી સંસ્કૃતિ વીર્યવાન સંસ્કૃતિ છે. આખી દુનિયામાં કદાચ આપણી પ્રજા જ એકમાત્ર એવી પ્રજા હશે જે પૂર્ણોત્થ શિશ્ન અને સંભોગરત યોનિની પૂજા કરે છે… ખજૂરાહો, કામસૂત્ર, શૃંગારશતક, અમરુશતકનો આ દેશ છે… આપણી સાચી સંસ્કૃતિ મૂળભૂતપણે ખુલ્લી, નિખાલસ અને નિર્ભીક છે. આજે સંસ્કૃતિના નામે આપણે આજે જે ‘ઇનટોલરન્સ’ (અસહિષ્ણુતા) ફેલાવી છે એના જ દુષ્પરિણામે શેરી-શેરીમાં માસૂમ બાળાઓ વાસનાભૂખ્યા શિકારીઓના હાથે પીંખાઈ રહી છે.. આવા સમયે ૧૩૦૦-૧૪૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા સંભોગશૃંગારરસના કવિ અમરુના સુપ્રસિદ્ધ અમરુશતકનું અલ્પ આચમન યથાર્થ બની રહે છે…

અમરુશતકના આ મુક્તકોના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરવા વિનંતી છે…

Comments

આત્મષટક – આદિ શંકરાચાર્ય (અંગ્રેજી: સ્વામી વિવેકાનંદ) (ગુજરાતી : ગૌરાંગ ઠાકર)

मनौबुद्धिय् अंहकार चितानि नहम
न च श्रोत्रः जि्व्हे न च घ्रणा नेत्र
न च व्योम भुमिर न तेजो न वायु
चिदानन्द रुपाः शिवोहं शिवोहं

I am neither the mind, nor the intellect, nor the ego, nor the mind-stuff;
I am neither the body, nor the changes of the body;
I am neither the senses of hearing, taste, smell, or sight,
Nor am I the ether, the earth, the fire, the air;
I am Existence Absolute, Knowledge Absolute,
Bliss Absolute; I am He, I am He. (Shivoham, Shivoham).

નથી હું અહંકાર મન બુધ્ધિ કે ચિત્ત
નથી કાન હું જીભ કે નાક આંખો
નથી વ્યોમ ભૂમિ અગન કે પવન હું
ચિદાનંદ છું હું શિવોહમ શિવોહમ

*

न च प्राणसञ्ज्ञो न वै पञ्चवायुः
न वा सप्तधातुर्न वा पञ्चकोशः
न वाक्पाणिपादौ न चोपस्थपायू
चिदानन्द रुपाः शिवोहं शिवोहं

I am neither the Prâna, nor the five vital airs;
I am neither the materials of the body, nor the five sheaths;
Neither am I the organs of action, nor object of the senses;
I am Existence Absolute, Knowledge Absolute,
Bliss Absolute; I am He, I am He. (Shivoham, Shivoham).

ન હું પ્રાણ કે ના હું છું પાંચ વાયુ
ન હું સાત ધાતુ ન હું પાંચ કોષો
ન વાણી, ગુદા, હાથ,પગ નહિ કે જનનાંગ
ચિદાનંદ છું હું શિવોહમ શિવોહમ.

*

न मे द्वेषरागौ न मे लोभमोहौ
मदो नैव मे नैव मात्सर्यभावः ।
न धर्मो न चार्थो न कामो न मोक्षः
चिदानन्द रुपाः शिवोहं शिवोहं

I have neither aversion nor attachment, neither greed nor delusion;
Neither egotism nor envy, neither Dharma nor Moksha;
I am neither desire nor objects of desire;
I am Existence Absolute, Knowledge Absolute,
Bliss Absolute; I am He, I am He. (Shivoham, Shivoham).

મને દ્વેષ કે રાગ નહિ લોભ કે મોહ
અને હું અભિમાન, ઇર્ષા વગરનો
ન મારે ધરમ, અર્થ નહિ કામ કે મોક્ષ
ચિદાનંદ છું હું શિવોહમ શિવોહમ

*

न पुण्यं न पापं न सौख्यं न दुःखं
न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञाः ।
अहं भोजनं नैव भोज्यं न भोक्ता
चिदानन्द रुपाः शिवोहं शिवोहं

I am neither sin nor virtue, neither pleasure nor pain;
Nor temple nor worship, nor pilgrimage nor scriptures,
Neither the act of enjoying, the enjoyable nor the enjoyer;
I am Existence Absolute, Knowledge Absolute,
Bliss Absolute; I am He, I am He. (Shivoham, Shivoham).

મને સુખ અને દુખ નથી પુણ્ય કે પાપ
ન મારે તીરથ, મંત્ર, વેદો કે યજ્ઞો
હું ભોજન નહીં અન્ન કે ક્યાં છું ભોક્તા
ચિદાનંદ છું હું શિવોહમ શિવોહમ.

*

न मे मृत्युशंका न मे जातिभेदः
पिता नैव मे नैव माता न जन्म ।
न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः
चिदानन्द रुपाः शिवोहं शिवोहं

I have neither death nor fear of death, nor caste;
Nor was I ever born, nor had I parents, friends, and relations;
I have neither Guru, nor disciple;I am Existence Absolute,
Knowledge Absolute, Bliss Absolute; I am He, I am He. (Shivoham, Shivoham).

મને મૃત્યુનો ભય નથી જાતિનો ભેદ
અહીંયા ન મારે પિતા માત કે જન્મ
ન મારે અહીં ભાઇ, ગુરુ,શિષ્ય કે મિત્ર
ચિદાનંદ છું હું શિવોહમ શિવોહમ.

*

अहं निर्विकल्पो निराकाररूपो
विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणाम् ।
सदा मे समत्वं न मुक्तिर्न बन्धः
चिदानन्द रुपाः शिवोहं शिवोहं

I am untouched by the senses, I am neither Muktinor knowable;
I am without form, without limit, beyond space, beyond time;
I am in everything; I am the basis of the universe; everywhere am I.
I am Existence Absolute, Knowledge Absolute,
Bliss Absolute; I am He, I am He. (Shivoham, Shivoham).

ન સંકલ્પ મારે ને હું છું નિરાકાર
બધી ઇન્દ્રિયોમાં અને હું બધે છું
હું સમભાવ છું મારે નહિ મુક્તિ બંધન
ચિદાનંદ છું હું શિવોહમ શિવોહમ.

– આદિ શંકરાચાર્ય
(અંગ્રેજી અનુવાદ- સ્વામી વિવેકાનંદ)
(ગુજરાતી પદ્યાનુવાદ – ગૌરાંગ ઠાકર)

આદિ શંકરાચાર્યના અમર આત્મષટક અથવા નિર્વાણષટકના છ શ્લોકનો ગૌરાંગ ઠાકરે ગુજરાતીમાં સમશ્લોકી અનુવાદ કર્યો છે જે કાબિલે-દાદ છે. સાછંદ પદ્યાનુવાદ એવો તો સરળ, સહજ અને સર્વાંગસંપૂર્ણ થયો છે કે એવું જ લાગે જાણે શંકરાચાર્યે જાતે ગુજરાતી ભાષામાં જ આત્મષટક લખ્યું ન હોય!

રસિકજનો માટે ખાસ vintage value ધરાવતો સ્વામી વિવેકાનંદે કરેલો અંગ્રેજી ભાવાનુવાદ પણ અહીં રજૂ કર્યો છે.

Comments (9)

શ્રી મનના શ્લોક – સમર્થ સ્વામી રામદાસ (મરાઠી) (અનુ. મકરંદ મુસળે)

man na shlok

*

લગભગ ચારસો વર્ષ પૂર્વે (ઈ.સ. ૧૬૦૮માં) મહારાષ્ટ્રમાં જન્મેલા સમર્થ રામદાસ (મૂળ નામ નારાયણ ઠોસર) માત્ર છત્રપતિ શિવાજીના ગુરુ હોવાના નાતે નહીં પણ એમના श्री मनाचे श्लोक (શ્રી મનના શ્લોક)ના કારણે વધુ વિખ્યાત છે. છેલ્લી ચાર-ચાર સદીઓથી આ શ્લોક મરાઠી માનુષના આત્મસંસ્કારનું સિંચન-ઘડતર કરી રહ્યા છે. મકરંદ મુસળે આ શ્લોકોનો સાછંદ પદ્યાનુવાદ લઈ આપણી પાસે આવ્યા છે…

એક-એક શ્લોક ખરા સોના જેવા…

*

मना जे घडी राघवेवीण गेली।
जनीं आपुली ते तुवां हानि केली॥
रघूनायका वीण तो शीण आहे।
जनी दक्ष तो लक्ष लावूनि पाहे॥४६॥

વિના રામના નામની પળ વિતે જો
ઘડી વ્યર્થ ગઈ એમ માની જ લેજો
પ્રભુને ન જાણે તે વ્યાકુળ ફરે છે
પ્રભુને પિછાણે તે આશ્વસ્ત રે’ છે ॥૪૬॥

मना कल्पना कल्पितां कल्पकोटी।
नव्हे रे नव्हे सर्वथा रामभेटी॥
मनीं कामना राम नाही जयाला।
अती आदरे प्रीती नाही तयाला॥५९॥

કરો મોહની કલ્પનાઓ કરોડો
નહીં રે નહીં રામનો થાય ભેટો
ન હો ચિત્તમાં રામની જેને માયા
મળે કઈ રીતે એમને પ્રેમ પ્યાલા? ॥૫૯॥

मना राम कल्पतरु कामधेनु।
निधी सार चिंतामणी काय वानू॥
जयाचेनि योगे घडे सर्व सत्ता।
तया साम्यता कायसी कोण आता ॥६०॥

મના કલ્પનું વૃક્ષ કે કામધેનુ?
પ્રભુ સમ છે શું રૂપ ચિંતામણીનું?
મળે પૂર્ણ સામર્થ્ય જેના ઈશારે
નથી રામની સામ્યતા કોઈ સાથે ॥૬૦॥

उभा कल्पवृक्षा तळीं दु:ख वाहे।
तया अंतरीं सर्वदा तेचि आहे॥
जनी सज्जनी वाद हा वाढवावा।
पुढें मागता शोक जीवीं धरावा॥६१॥

ભલે હો ઊભા કલ્પવૃક્ષોની છાંયે
મળે એજ છે, જે વિચારો છો માંહે
મના સંત-સંવાદ સુખ આપવાના
વિવાદોમાં રાચ્યા તો દુઃખ પામવાના ॥૬૧॥

– સમર્થ સ્વામી રામદાસ (મરાઠી)
(અનુ. મકરંદ મુસળે)

Comments (7)

વિરહિણી – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)

નિશ્ચે એની રડી રડી હશે આંખ સૂજી ગયેલી,
ફીકા લૂખા અધર અરુણા ઉષ્ણ નિશ્વાસ નાખી;
હાથે ટેક્યું મુખ જરી જરી કેશમંથી જણાતું
મેઘે છાયું કલુષિત દિસે બિંબ શું ચન્દ્રમાનું !

બેઠેલી એ નજર પડશે દેવપૂજા વિશે કે,
કલ્પી મારી કૃષ છબી, હશે કાઢતી ચિત્રમાંહે,
કિવા હોશે પૂછતી મધુરું બોલતી સારિકાને,
સંભારે છે અલિ ! તું પિયુને લાડકી બ્હૌ હતી તે !

ઝાંખા અંગે વસન ધરીને અંકમાં રાખી વીણા,
મારા નામે પદ રચી હશે ઇચ્છતી, સૌમ્ય ! ગાવા;
તંત્રી ભીની નયનજળથી લૂછી નાખી પરાણે,
આરંભે ને ઘડી ઘડી વળી મૂર્છના ભૂલી જાયે.

પેલાં બાંધી અવધ મહીં જે માસ બાકી રહેલા,
બેઠી હોશે ગણતી, કુસુમો મૂકીને ઉંબરામાં,
કિંવા હોશે ઝીલતી રસમાં કલ્પી સંયોગ મારો,
હોયે એવા પિયુવિરહમાં કામિનીના વિનોદો.

(મેઘદૂત – ઉત્તર મેઘ, શ્લોક: ૨૪-૨૭)

– કાલિદાસ
અનુ. કિલાભાઈ ઘનશ્યામ

લગભગ બેએક હાજર વર્ષ પૂર્વે કવિ કાલિદાસે રચેલ મેઘદૂત વિરહનું મહાકાવ્ય છે. કુબેરના શ્રાપના કારણે વિરહ પામેલો અર્ધમાનવ-અર્ધદેવ સમ યક્ષ રામગિરિના આશ્રમોમાં ભટકે છે અને અષાઢના પહેલા દિવસે આકાશમાં ઘેરાયેલા વાદળો મારફતે પોતાની પ્રિયાને  પ્રેમસંદેશ મોકલાવવા જે સંવાદ કરે છે એ પ્રણયોર્મિની કાલાતીત અને શાશ્વત કવિતા છે.

પ્રસ્તુત ચાર શ્લોકોમાં કવિ યક્ષને એની પ્રિયાનું વિરહાસન્ન ચિત્ર દોરતો બતાવે છે.

હાથ ઉપર ટેકવેલું મોઢું વિખેરાઈ ગયેલા વાળ (વિરહવ્યાકુળ સ્ત્રી કેશગુંફન કરેય કોના માટે?) વચ્ચેથી જરા-જરા દેખાતું હશે, જાણે મેઘછાયા કાળા વાદળો વચ્ચેથી ડોકાતો ચન્દ્ર ! આંખોય રડી રડીને સૂજી ગયેલી હશે અને લાલ હોઠ પણ ફીકા-લૂખા પડે ગયા હશે.

યક્ષને ખાતરી છે કે વિયોગની આ વસમી ઘડીઓનો વેળાસર અંત આવે એ માટે એ પ્રોષિતભર્તૃકા બહુધા દેવપૂજામાં જ એનો સમય વ્યતીત કરતી હશે. અથવા એના વિના હું કેવો કૃષ થઈ ગયો હોઈશ એની કલ્પના મારું ચિત્ર દોરી કરતી હશે કે પછી પાંજરામાં પૂરેલ સારિકાને પૂછતી હશે કે તું તો એમની બહુ લાડકી હતી ને ? હવે એમને યાદ કરે છે ? આ સારિકા દેહના પંજરામાં કેદ આત્મા હોઈ શકે ?

અંગ પર એણે વસ્ત્રો પણ ઝાંખા જ પહેર્યા હશે… વિરહાસક્ત સ્ત્રી શણગાર પણ કોના માટે સજે ? અને ખોળામાં વીણા મૂકી એ મારા નામના પદ રચીને ગાવા ઇચ્છતી હશે પણ એકધારા વહેતા આંસુઓના કારણે તાર ભીનાં જ થયા કરતા હશે. વળી વળીને તાર લૂછીને એ ગાવું આરંભતી પણ હશે પણ આરોહ-અવરોહ સઘળું ભૂલી જતી હશે…

શાપ મુજબ વિરહની બાંધી મુદત પૂરી થવામાં કેટલા મહિનાની વાર છે તે એ ઉંબરે બેસીને ફૂલો ગોઠવીને ગણે છે. પ્રતીક્ષાની ચરમસીમાનું ઉત્કટોત્તમ ચિત્ર કવિ અહીં દોરે છે. મિલન થવા આડે તો હજી કેટલાય મહિના બાકી છે પણ એ તો અત્યારથી જ ઉંબરા પર જઈ બેઠી છે !

(અરુણા= લાલ, કલુષિત= મલિન, કૃષ= નિર્બળ, હોશે= હશે, વસન= વસ્ત્ર, તંત્રી=વીણાનો તાર, મૂર્છના=સાત સ્વરોનો ક્રમસર આરોહઅવરોહ કે થાટ, અવધ=અવધિ)

Comments (10)

ગઝલમાં ગીતા – જ્યોતીન્દ્ર દવે

મજહબ મયદાન ક્રુરુક્ષેત્રે, મળ્યા પાંડવ કૌરવ.
જમા થઇ શું કર્યું તેણે? બિરાદર બોલ તું સંજય!

નિહાળી ચશ્મથી લશ્કર, કંઇ દુશ્મનનું દુર્યોધન
જઇ ઉસ્તાદ પાસે લફ્ઝ કહ્યા તે સુણ દોસ્તેમન!

બિરાદર દોસ્ત ને ચાચા, ઊભા જો! જંગમાં સામા,
કરીને કત્લ હું તેની, બનું કાફિર, ન એ લાજિમ.

ન ઉમ્મિદ પાદશાહતની, ન ખ્વાહિશ છે ચમનની યે
કરું શું પાદશાહતને, ચમનને ! અય રફિકે મન!

ધરી ઊમ્મિદ જે ખાતિર જિગરના પાદશાહતની.
ઊભા તે જંગમાં મૌજુદ ગુમાવા જાન દૌલતને.

લથડતા જો કદમ મારા, બદન માંહી ન તાકત છે;
ન છૂટે તીર હાથોથી, જમીં પર જો પડે ગાંડીવ!

– જ્યોતીન્દ્ર દવે

જ્યોતીન્દ્ર દવે હાસ્ય લેખો માટે પ્રસિદ્ધ છે, પણ તેમણે થોડી કવિતાઓ પણ લખેલી છે . તે ઘણા નહીં જાણતા હોય. જો તે આ ક્ષેત્રમાં પડ્યા હોત તો, તે પણ તેમણે સર કરી નાંખ્યું હોત, તે ઊપરની ગઝલ પરથી જોઇ શકશો.
જે લેખમાં આ ગઝલ તેમણે મૂકી છે તે ધર્મનિરપેક્ષતા પ્રસારવાનો ઉદ્દેશ્ય પણ સર કરે છે. જેમણે આખો લેખ વાંચવો હોય તે તેમનું પુસ્તક ખરીદીને વાંચે !!!

Comments (9)