ઘેર બેઠાં ડૂબાડે એવા છે,
તારા વિચાર છે કે રેવા છે?
- વિવેક મનહર ટેલર

ભક્તિ – મુકુન્દરાય પારાશર્ય

ઝૂંટી કૃષ્ણની મોરલી હઠ કરી રાધા કદંબે ચડી,
આનંદે અધરે ધરી સ્વરસુધા વ્હેતી કરી ના કરી :
ત્યાં તો એ સ્વર કૃષ્ણવાદિત ગણી ધ્યાનસ્થ જાતે થઈ
એ જોતાં ગળતા ગયા પ્રણયની સંતૃપ્તિમાં શ્રીહરિ.

– મુકુન્દરાય પારાશર્ય

શાર્દૂલવિક્રીડિત છંદમાં કેવળ ચાર પંક્તિનો શ્લોક. પણ કેવો અદભુત! રાધા-કૃષ્ણ કે ગોપી-કૃષ્ણની વાતો તો સેંકડો કવિઓએ હજારો કવિતાઓમાં ગાયે રાખી છે, પણ સાચો કવિ જ એ જે તમામ ઉપલબ્ધ અભિવ્યક્તિઓથી આગળ વધીને કંઈક નવી વાત કરે…

કૃષ્ણ પાસેથી એની મોરલી ઝૂંટવી લઈને હઠીલી રાધા કૃષ્ણ જે ઝાડ પર ચડીને સૂરાવલિ રેલાવી સૃષ્ટિ આખીને મંત્રમુગ્ધ કરતા, એ જ કદંબ વૃક્ષ પર ચડી ગઈ. આટલું અપૂરતું હોય એમ કૃષ્ણની જ અદામાં આનંદિત હૈયે મોરલીમાંથી સ્વરસુધા પણ એ વહેતી કરે છે… કૃષ્ણની મોરલીમાંથી રેલાતા સંગીતનો પ્રભાવ તો જુઓ! રાધા પોતે વેણુ વગાડી રહી હોવા છતાં વાંસળીમાંથી વહેતા સૂર કૃષ્ણવાદિત જ હોવાનું અનુભવે છે અને ધ્યાનસ્થ થઈ જાય છે. પ્રેમભક્તિની આ કેવી પરાકાષ્ઠા! સમર્પણનો આ કેવો જાદુ! શ્વાસ સમ સહજતાથી સ્વ ઓગળી જાય એ જ સાચી ભક્તિ! એ જ સાચો પ્રેમ! અને સ્વાર્પણની ચોટીએ બિરાજમાન રાધાને જોઈને શ્રીકૃષ્ણ પોતે પ્રણયની સંતૃપ્તિની અનુભૂતિમાં ઓગળી જવા લાગ્યા.

છેલ્લી બે પંક્તિઓને એક જ વાક્ય હોવાનું ગણી લઈએ તો એમ પણ અર્થ કરી શકાય કે ભક્તે ભગવાનનું રૂપ ધારી લીધું તો ભગવાનને ભક્તનું રૂપ લેવાની ફરજ પડી. પોતાની વાંસળી સાંભળીને જે રીતે ગોપ-ગોપિકા સાનભાન ભૂલી જતાં હતાં, અદ્દલોદ્દલ એ જ રીતે કૃષ્ણ પોતે રાધાના મુખેથી પોતાની વાંસળીના સૂર સાંભળી કૃષ્ણ હોવાનું વિસરી જઈ ધ્યાનસ્થ થઈ ગયા અને પ્રણયની સંતૃપ્તિમાં ઓગળવા લાગ્યા…

કેવી અદભુત કવિતા! કેવું વિશિષ્ટ કવિકર્મ!

7 Comments »

  1. Harihar Shukla said,

    March 25, 2022 @ 4:48 PM

    … પ્રણયની સંતૃપ્તિમાં શ્રીહરિ!
    સંતૃપ્ત થઈ ગયા એટલે હવે વધુની જગા જ નથી👌

  2. પ્રજ્ઞા વશી said,

    March 26, 2022 @ 6:44 AM

    ખૂબ સરસ કવિતા
    ચાર પંક્તિઓમાં મોરબીનો જાદું
    ભક્ત અને ભગવાનનું ઐક્ય , વાહ કવિ

  3. saryu parikh said,

    March 27, 2022 @ 2:01 AM

    વાહ્ અમારા ભાવનગરના, શ્રેી મુકુંદભાઈ, મારા મામા નાથાલાલ દવેના પરમમિત્ર. આ પંક્તિઓ સાથે ઘણી યાદો …
    સરયૂ પરીખ્

  4. DR. SEJAL said,

    March 27, 2022 @ 4:19 PM

    ખૂબ સરસ કાવ્ય…કૃષ્ણવાદિત ..વાહ

  5. Shah Raxa said,

    March 27, 2022 @ 6:33 PM

    વાહ..વાહ..કેવું સરસ કવિકર્મ…..વંદન…🙏

  6. Sangita Sunil chauhan said,

    March 27, 2022 @ 7:59 PM

    રાધાના દિવ્ય પ્રણયની સતત સાક્ષી રહેલી વાંસળી, સૂરોમાં જ પ્રાપ્ત થઇ જતો દિવ્યાનંદ…. ! એ જ પરમાનંદ!

  7. Poonam said,

    March 31, 2022 @ 10:39 AM

    ત્યાં તો એ સ્વર કૃષ્ણવાદિત ગણી ધ્યાનસ્થ જાતે થઈ
    એ જોતાં ગળતા ગયા પ્રણયની સંતૃપ્તિમાં શ્રીહરિ.

    – મુકુન્દરાય પારાશર્ય – surili kavita !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment