સમર્પણ – ‘નજર’ કાણીસવી
(શિખરિણી)
નવાં વર્ષે પાછાં શરદઋતુના શીત સ્પરશે
વનોમાં કુંજોમાં તરુવર બધાં પાનખરને
વધાવે ઉલ્લાસે કુદરતે ક્રમે વસ્ત્ર બદલી.
અને મૃત્યુમાંયે દધીચિઋષિ શાં સૌમ્ય સ્વરૂપે
પીળાં-રાતાં પર્ણો અગન-ભભક્યા રંગ ધરીને
સજાવે સૃષ્ટિને મનવિલસતાં ચિત્રફલકે.
પ્રભો ! માંગું એવું, મુજ જીવનની અંતઘડીઓ
હજો એવી રીતે અવર જનના શ્રેય કરતી.
– ‘નજર’ કાણીસવી
કવિના નામ સાથે આ રચના એ મારો પહેલો પરિચય. પણ કવિતા વાંચતા જ એમનું તખલ્લુસ ‘નજર’ સ્પર્શી ગયું. કેવી વેધક નજર ! શિયાળે પાનખર આવે અને વૃક્ષો રંગ-રૂપ બદલે અને તમામ પાંદડાંનો ત્યાગ કરે એ નાની-શી ઘટના – જે અમેરિકા જાવ તો વધુ સારી રીતે અનુભવી શકાય – એ ઘટનાને કવિ સાવ અલગ જ નજરથી જુએ છે અને કેવી સ-રસ રીતે આખરી ઓપ આપી રચનાને સુંદર કવિતાના સ્તરે લઈ જાય છે !