નથી બારણું ક્યાંય પાછા જવાનું,
સ્મરણને ફક્ત દ્વાર છે આવવાનું.
– રવીન્દ્ર પારેખ

સુખદ સ્વપ્ન – સ્વામી વિવેકાનંદ

(ખંડ હરિગીત)

જો કાંઈ પણ મંગલ- અમંગલ થાય,
ને હર્ષ પણ થૈ બેવડો
જો મુખપરે છવરાય,
અથવા શોકનો ઊછળે સમંદર
એક એ તો સ્વપ્ન – એ એ એક જાણે નાટ્ય !
હા, નાટ્ય ! – મહીં પ્રત્યેકને કરવો રહે જ્યાં પાઠ,
ને પ્રત્યેકના છે વેશ,
જેવી ભૂમિકા નિજની પ્રમાણે
હાસ્ય હો કે હો રુદન !
હોય તડકી-છાંયની આવાગમન !
ઓ સ્વપ્ન ! રે, સુખાળવા ઓ સ્વપ્ન !
દૂર કે સામીપ્યમાં પ્રસરાવી દે
તારું ધૂસર એ દૃશ્ય પટ,
તીવ્ર ધ્વનિઓને ધીમા કર,
રૂક્ષ ભાસે તેહને કર કોમળા,
તારા મહીં શું ના દીસે કોઈ ઇલમ ?
તવ સ્પર્શથી પથરાય
લીલીકુંજ તો વેરાનમાં,
ભેંકાર સૌ ગર્જન-મધુરતમ ગાનમાં !
આવી પડેલું મોત પણ
શી મિષ્ટતમ મુક્તિ બને !

– સ્વામી વિવેકાનંદ
(અનુવાદ – ? ભાનુપ્રસાદ પંડ્યા)

આજે બારમી જાન્યુઆરી સ્વામીજીની જન્મજયંતી એટલે સાર્ધ શતાબ્દિનો મંગલ દિન છે. સ્વામીજી આજે પણ એટલાજ contemporary છે. આ કવિતા એમણે ૧૭મી ઓગસ્ટ, ૧૯૦૦ના રોજ પેરીસમાં લખી સિસ્ટર ક્રિસ્ટાઇનને મોકલાવ્યું હતું.

જીવનની તડકી-છાંયડી એ એક સ્વપ્ન કે નાટક માત્ર છે એમ કહી સ્વામીજી દરેકને પોતપોતાનો ‘રોલ’ ભજવી લેવા આહ્વાન કરે છે. અને જિંદગી નામના સ્વપ્ન પાસે જ એની રૂક્ષતા, ભેંકારતાનો ઇલાજ પણ માંગે છે. ઇશ્વરપ્રેમનો સ્પર્શ આ સ્વપ્નને મળે તો વેરાન પણ લીલુંછમ બને અને મૃત્યુ પણ મીઠી મુક્તિનો માર્ગ બને.

સ્વામીજીની એક બીજી મજાની રચના – વહેલાં ખીલેલાં વાયોલેટ ફૂલને – પણ આપ લયસ્તરો પર માણી શકો છો.

7 Comments »

  1. vijay joshi said,

    January 12, 2013 @ 6:25 AM

    એ એ એક જાણે નાટ્ય !
    હા, નાટ્ય ! – મહીં પ્રત્યેકને કરવો રહે જ્યાં પાઠ,
    ને પ્રત્યેકના છે વેશ,
    જેવી ભૂમિકા નિજની પ્રમાણે
    હાસ્ય હો કે હો રુદન !
    યાદ આવી………..
    All the world’s a stage, and all the men and women merely players: they have their exits and their entrances; and one man in his time plays many parts, his acts being seven ages.
    William Shakespeare

  2. Bhadresh Joshi said,

    January 12, 2013 @ 7:34 AM

    Thanks for bringing this excellent work to us.

    And, thanks and Salam to Shri Bhanubhai Pandya for the translation. He brought this to us, by putting it in a language that we understand, though originally authored by Swamiji.

  3. pragnaju said,

    January 12, 2013 @ 9:53 AM

    સરળ સહજ શૈલીમા ગૂઢ જ્ઞાન કરાવતી સ્વામી વિવેકાનંદની આ રચના બદલ ધન્યવાદ
    તવ સ્પર્શથી પથરાય
    લીલીકુંજ તો વેરાનમાં,
    ભેંકાર સૌ ગર્જન-મધુરતમ ગાનમાં !
    આવી પડેલું મોત પણ
    શી મિષ્ટતમ મુક્તિ બને !
    અનુભૂતિની અ દ ભૂ ત વાત

  4. jjugalkishor said,

    January 12, 2013 @ 10:10 PM

    એમના જન્મદિન નિમિત્તે મુકાયેલી રચના માટે આનદ અને આભાર.

  5. Maheshchandra. Naik said,

    January 13, 2013 @ 11:31 PM

    સ્વામી વિવેકાનંદજીને કોટી કોટી વંદના………..

  6. Vijay joshi said,

    January 14, 2013 @ 8:11 AM

    The problem today is not that there are problems but that the society is paying just a lip service to the ideas and ideals of Swamiji .

  7. ravindra Sankalia said,

    April 5, 2016 @ 10:00 AM

    સ્વામી વિવેકાનન્દ કવિતા રચતા તે તો આજેજ ખબર પડી ને જે કવિતા વાન્ચવા મળી તે પણ કેવી ઉત્તમ ગીતાનો શ્લોક સુખ દુખે સમે ક્રુત્વા યાદ આવે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment