તારા વિચારમાંય કોઈ તડ પડી ગઈ
મોજું સભાનતાનું અટકતું નથી હવે
– જવાહર બક્ષી

પરમ સખા મૃત્યુ :૦૪: બધાં મરણ – હરમન હૅસ – અનુ.હરીન્દ્ર દવે

હું બધાં જ મરણ મરી ચૂક્યો છું
અને હું બધાં જ મરણ ફરીથી મરવાનો છું
વૃક્ષમાં હું લાકડાંનું મરણ મરીશ
પથ્થરનું મરણ મરીશ પથ્થરમાં
પૃથ્વીનું મરણ રેતીમાં
પાંદડાનું મરણ ખખડતા ગ્રીષ્મના ઘાસમાં
અને રંક લોહિયાળ મનુષ્યનું મૃત્યુ હું મરીશ.

હું ફરી પાછો જન્મીશ, ફૂલો
વૃક્ષ અને ઘાસ થઈને
માછલી અને હરણ, પંખી અને પતંગિયું
થઈને ફરી પાછો જન્મીશ.
અને પ્રત્યેક સ્વરૂપમાંથી
ઝૂરાપો મને ખેંચશે ઉપરના દાદરને રસ્તે
ઠેઠ અંતિમ યાતના લગી,
મનુષ્યોની યાતના લગી.

એકમેક તરફ વળવા માટે
જયારે ઝંખનાની આક્રમક મુઠ્ઠી
જીવનના બંને ધ્રુવ તરફ જોહુકમી બજાવતી હોય છે
ત્યારે તું થાય છે ધ્રુજતી તંગ પણછ.
તોપણ અનેકવાર, કેટલીયે વાર
તું મને મૃત્યુથી જન્મ લગી શિકારીની જેમ ખેંચી લાવશે,
સર્જનના યાતનાભર્યા રસ્તે, સર્જનના ભવ્ય પંથ પર.

 

હરમન હૅસ બુદ્ધત્વના રંગે રંગાયેલો જીવ હતો. તેણે લખેલું પુસ્તક ‘ સિદ્ધાર્થ ‘ વિશ્વપ્રસિદ્ધ છે. ઉપરોક્ત કાવ્યમાં પણ ભગવાન બુદ્ધના સંદેશની સ્પષ્ટ છાંટ વર્તાય છે.

મૃત્યુ વિષે વાતો ચાલે છે તો એક વાત નિખાલસતાથી કહેવાની ઈચ્છા છે- મને અંગત રીતે મૃત્યુનો અત્યંત ભય લાગે છે-મારાં પોતાના તેમ જ અંગત સ્વજનોના…. મૃત્યુને વધાવવાની,તેને પ્રેમ કરવાની,તેનાથી નિર્લેપ હોવાની….ઇત્યાદિ વાતો મારે માટે પોથીમાંનાં રીંગણાથી વિશેષ કંઈ જ નથી.

9 Comments »

  1. વિવેક said,

    December 7, 2011 @ 1:55 AM

    હરમન હેસની મૂળ કવિતાનું અંગ્રેજી ભાષાંતર:

    ALL DEATHS

    I have already died all deaths,
    And I am going to die all deaths again,
    Die the death of the wood in the tree,
    Die the stone death in the mountain,
    Earth death in the sand,
    Leaf death in the crackling summer grass
    And the poor bloody human death.

    I will be born again, flowers,
    Tree and grass, I will be born again,
    Fish and deer, bird and butterfly.
    And out of every form,
    Longing will drag me up the stairways
    To the last suffering,
    Up to the suffering of men.

    O quivering tensed bow,
    When the raging fist of longing
    Commands both poles of life
    To bend to each other!
    Yet often, and many times over,
    You will hunt me down from death to birth
    On the painful track of the creations,
    The glorious track of the creations.

    – James Wright

  2. Lata Hirani said,

    December 7, 2011 @ 6:11 AM

    શ્રી હરીન્દ્રભાઇની લાગણી એ મારી યે..

  3. pragnaju said,

    December 7, 2011 @ 8:15 AM

    તું મને મૃત્યુથી જન્મ લગી શિકારીની જેમ ખેંચી લાવશે,
    સર્જનના યાતનાભર્યા રસ્તે, સર્જનના ભવ્ય પંથ પર.
    સુંદર
    ભગવાન બુધ્ધની વાણી યાદ
    બુદ્ધે કહ્યું : ‘બેન, મેં તને એટલા માટે જ મોકલી હતી. સંસારનો પ્રત્યક્ષ અનુભવ કરાવી તારી ખાતરી કરાવવા કે દુનિયામાં જે જન્મે છે તે મરે છે. એ જ ક્રમ છે. એ ક્રમ બધે ચાલી રહ્યો છે. કોઈ અમર નથી. શરીરનો ત્યાગ કરી એક દિવસ સૌએ વિદાય થવાનું છે. તારો પુત્ર પણ એ જ રીતે વિદાય થયો છે. માટે તું એનો શોક કરવાનું છોડી દે. ધારો કે કોઈક ઉપાયથી એને જીવતો કરી દેવામાં આવે તો પણ, એક દિવસ તો એનું મરણ થવાનું; કારણ મરવું એ સંસારનો સ્વાભાવિક ક્રમ છે. માટે વધારે સારું તો એ છે કે મૃત્યુના શોકનો ત્યાગ કરીને તું સંસારની અસારતાને સમજી લે. એટલે મિથ્યા મોહ અથવા તો

    અજ્ઞાનને લીધે ઉત્પન્ન થયેલો તારો શોક દુર થશે, અને તને શાંતિ વળશે. બીજો કોઈ જ માર્ગ નથી.’

  4. praheladprajapatidbhai said,

    December 7, 2011 @ 9:03 PM

    ઝૂરાપો મને ખેંચશે ઉપરના દાદરને રસ્તે
    અતિ સુન્દર

  5. gunvant thakkar said,

    December 13, 2011 @ 1:32 AM

    મને અંગત રીતે મૃત્યુનો અત્યંત ભય લાગે છે…..મને પણ લાગે છે તીર્થેશભાઈ ,અને એટલેજ અહી મરણ વિષે મુકેલી બધીજ રચનાઓ ઉતમ હોવા છતાં મને એ પ્રશ્ન થાય કે વરસગાંઠ જેવા ઉલ્લાસ પૂર્ણ અવસરને આપણે માત્ર મરશિયા ગાઈને શા માટે ઉજવવો જોઈએ ?

  6. Chandrakant Lodhavia said,

    December 13, 2011 @ 9:54 PM

    December 7, 2011 at 12:30 am by તીર્થેશ · Filed under અછાંદસ, મૃત્યુ વિશેષ, હરમન હૅસ, હરીન્દ્ર દવે

    હું બધાં જ મરણ મરી ચૂક્યો છું
    અને હું બધાં જ મરણ ફરીથી મરવાનો છું

    કહેવાય છે કે પારસી લોકો તેની વર્ષગાંઠને દિવસે આનંદ માણવાને બદલે શોકમય રહે છે, કારણ આયુષ્યમાં ૧ વર્ષનો ઘટાડો થયો. એટલે કે આપણે દર વર્ષે આ રીતે મૃત્યુની સમીપે જઈએ છીએ.

    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  7. ધવલ said,

    December 13, 2011 @ 10:40 PM

    સરસ !

  8. gunvant thakkar said,

    December 14, 2011 @ 2:11 AM

    મારો ગ્લાસ તો અડધો ખાલી થઈ ગયો.નો શોક મનાવા કરતા, મારી પાસે તો હજી અડધો ગ્લાસ ભરેલો છે ની વિચાર ધારા જિંદગીને ખુબસુરત રીતે આગળ લઈ જવામાં વધુ મદદ રૂપ સાબિત થાય છે, એવું મારું માનવું છે.અલબત આપણી ભારતીય પરંપરા કષ્ટદાયક જીવન પદ્ધતિજ ઉર્ધ્વ ગતિ તરફ લઈ જાય છે ની વિચાર ધારા ને વરેલી છે એટલે આપણા વિચારોમાં એનો પડઘો પડે એ સ્વાભાવિક છે.

  9. gunvant thakkar said,

    December 14, 2011 @ 2:48 AM

    હું બધાં જ મરણ મરી ચૂક્યો છું
    અને હું બધાં જ મરણ ફરીથી મરવાનો છું.. ખરેખરતો હર્મન હેસ ની આ પંક્તિઓજ પેલી પારસી વિચાર ધારાનો છેદ ઉડાડ્નારી છે .ખોટા પડવાની સંભાવના સાથે .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment