એક વ્યક્તિ હવે નદી થઈ ગઈ,
માર્ગમાં એને કેમ અટકાવું?
– ભરત વિંઝુડા

તરાપો – ડૉ. મનોજ જોશી ‘મન’

હજી છોડી શક્તો નથી હું તરાપો,
મને ડૂબવા કોઈ વરદાન આપો.

તમે કર્મના ઘેર મારો જો છાપો,
મળે પુણ્ય પાછળ છુપાયેલ પાપો.

મને કૈંક શાતા વળે રોમેરોમે,
ભીતર આગ એવી હવે કો’ક ચાંપો.

કબીરાની માફક મેં રાખ્યું યથાતથ,
નથી કોઈ ડાઘો, નથી ક્યાંય ખાંપો.

ભલે, ભાગ્ય પહોંચાડશે દ્વાર લગ પણ,
પછી તો પ્રયત્નો જ ખોલે છે ઝાંપો.

– ડૉ. મનોજ જોશી ‘મન’

ગઝલકારોના અડાબીડ ફાટી નીકળેલા જંગલમાં બહુ જૂજ ઝાડવાં એવાં છે જે જંગલની શાન બની શકે એવાં છે. મનોજ જોશીનું નામ આ યાદીમાં ચોક્કસ મૂકી શકાય.  પ્રસ્તુત હમરદીફ-હમકાફિયા ગઝલમાં એમણે જે રીતે કાફિયા પ્રયોજ્યા છે એ જોઈએ એટલે તરત જ આ વાત સમજી શકાય. છેલ્લો શેર તો કાળાતીત થવા સર્જાયો છે…

12 Comments »

  1. Labhshankar Bharad said,

    August 6, 2011 @ 6:57 AM

    “તમે કર્મના ઘેર મારો છાપો….” ખૂબ સુંદર- ચોટદાર શેર !

  2. sudhir patel said,

    August 6, 2011 @ 12:13 PM

    ખૂબ સુંદર ગઝલનો મત્લા અને આખરી શે’ર દમદાર છે!
    સુધીર પટેલ.

  3. ધવલ said,

    August 6, 2011 @ 10:29 PM

    મને કૈંક શાતા વળે રોમેરોમે,
    ભીતર આગ એવી હવે કો’ક ચાંપો.

    કબીરાની માફક મેં રાખ્યું યથાતથ,
    નથી કોઈ ડાઘો, નથી ક્યાંય ખાંપો.

    – વાહ !

  4. P Shah said,

    August 7, 2011 @ 1:16 AM

    મને કૈંક શાતા વળે રોમેરોમે,
    ભીતર આગ એવી હવે કો’ક ચાંપો.

    સુંદર રચના !

    વિવેકભાઈ
    કોમેન્ટ બોક્ષમાં પહેલાની માફક ગુજરાતીમાં લખી શકાતું નથી.
    લખીએ તો આમ લખાય છે- લ્aય્aસ્sત્aર્ોo મ્aન્ેe ગ્aમ્ેe cચ્hહ્ેe
    વર્ડમાં લખીને કોપી-પેસ્ટ કરવું પડે છે. જોઈ જશો.
    -પ્રવિણ શાહ

  5. Dr Niraj Mehta said,

    August 8, 2011 @ 4:11 AM

    વાહ મનોજભાઈ ફરી આ ગઝલ અહીં વાંચી આનંદ થયો.

    કબીરાની માફક મેં રાખ્યું યથાતથ,
    નથી કોઈ ડાઘો, નથી ક્યાંય ખાંપો.

    વાહ ક્યા બાત હૈ!!!!!!

  6. મીના છેડા said,

    August 8, 2011 @ 9:39 AM

    ભલે, ભાગ્ય પહોંચાડશે દ્વાર લગ પણ,
    પછી તો પ્રયત્નો જ ખોલે છે ઝાંપો.

    વાહ!!!

  7. ડૉ.મહેશ રાવલ said,

    August 8, 2011 @ 12:39 PM

    સરસ ગઝલ…
    અને રચનાની નીચે પોસ્ટ થયેલ વાત સાથે હું પણ સંમત…
    બધા જ શેર સુંદરરીતે અભિવ્યક્ત થયા છે.

  8. shriya said,

    August 9, 2011 @ 12:33 PM

    ભલે, ભાગ્ય પહોંચાડશે દ્વાર લગ પણ,
    પછી તો પ્રયત્નો જ ખોલે છે ઝાંપો…

    ખુબ સરસ!!!

  9. jigar joshi 'prem' said,

    August 9, 2011 @ 11:50 PM

    વાહ ! બહુ જ સુઁદર ગઝલ છે….કાફિયાઓ બ-ખૂબી નિભાવ્યા છે…મજા આવી ડો. સા’બ

  10. Jayraj H. Thaker said,

    August 10, 2011 @ 5:43 AM

    મનોજભાઈ સાથેનો પરિચય ૧૯૮૨ ના જુન સાથે શરુ થયો. તેઓ રફિસાહેબના ગિતો બહુ સારા ગાતા.ઘણિ વાર ફ્રિ પિરિયડમાઁ સાઁભળ્યા છે.

    ઉપરોક્ત ગઝલ માટે તો ” દુબારા દુબારા “.

  11. અશોક ચાવડા બેદિલ said,

    August 10, 2011 @ 7:41 AM

    ભાઈશ્રી જયરાજભાઈ ઠાકરની કોમેન્ટ વાંચી સાનંદ આશ્ચર્ય થયું. વાસ્તવમાં પ્રસ્તુત રચના જામનગરના જાણીતા તબીબ ડૉ. મનોજ જોશી ‘મન’ની છે. અને તેમણે જે વાત કરી છે તે રાજકોટના પ્રો. મનોજ જોશીની છે. આટલી સ્પષ્ટતા વાચકો માટે જરૂરી લાગી એટલે કરી છે. આમાં કોઇની લાગણી દુભાવવાનો કોઈ ઇરાદો નથી.
    બાકી આ રચના સ્વયં સ્પષ્ટ કવિનાં કર્તૃત્વની શાખ પૂરે છે એટલું જ કહેવું છે.

  12. Jayraj H. Thaker said,

    August 13, 2011 @ 4:39 PM

    પૂજ્ય અશોકભાઈ,
    પ્રણામ.
    કુશળ હશો.
    મારી કોમેન્ટ અઁગે આપે કરેલી સ્પશ્ટતા વાઁચકો અને મારા બઁને માટે જરૂરી હતી જ એટલે લાગણી દુભાવાનો સવાલ જ નથી. મારા સહપાઠી મનોજભાઈએ ડોક્ટરેટ કર્યુઁ કે કેમ એ પણ મને ખબર નથી કારણ કે અમે વરસોથી સઁપર્કમાઁ નથી.
    ડો.મનોજ જોશીજીને તેમની ઉત્તમ રચના માટે ફરીથી અભિનઁદન.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment