જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા
‘સૈફ’ પાલનપુરી

જિંદગીનો પ્રભાવ – કિશોર વાઘેલા

યાદ એની રોજ વાવી છે અહીં;
છાંયડો થઈ એજ આવી છે અહીં.

પાળિયાને પૂછ વાતો કાલની;
જિંદગી ઢસડીને લાવી છે અહીં.

કોણ ખોલી આપશે તારા વિના;
તું જ મારી એક ચાવી છે અહીં.

કેમ ચળકે હેમ જેવું પૂછ મા;
જાતને એણે તપાવી છે અહીં.

મોતનાં વાગે નગારાં તો ય તે;
જિંદગી કેવી પ્રભાવી છે અહીં.

-કિશોર વાઘેલા

25 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતભરના તબીબ-કવિમિત્રોના કવિસંમેલનમાં અચાનક એક હાથ ખભા પર લાગણી બનીને અડ્યો. “ડૉ. વિવેક ટેલર?,” મને પૂછ્યું. મેં પ્રશ્નાર્થ નજરે જોયુ એટલે જવાબ મળ્યો: “હું ડૉ. કિશોર વાઘેલા.લયસ્તરો નિયમિત વાંચું છું. મારો સંગ્રહ તમને મોકલ્યો છે, એકાદ-બે દિવસમાં મળી જશે.” કવિસંમેલનમાં સરસ રચના રજૂ કરી મેદાન મારી ગયેલા ભાવનગર ખાતે સ્ત્રીરોગવિશેષજ્ઞ તરીકે પ્રેક્ટિસ કરતા મૂળે અવાણિયા ગામના આ યુવાન તબીબ મજાની ગઝલો લખે છે. કવિતા ઉપરાંત કટારલેખન પણ કરે છે. (જન્મતારીખ: 13-09-1960, ગઝલ સંગ્રહ: “સૂર્યની શોધ પહેલાં”)
(લયસ્તરોને “સૂર્યની શોધ પહેલાં” ગઝલસંગ્રહ ભેટ આપવા બદલ ડૉ. કિશોર વાઘેલાનો આભાર!)

3 Comments »

  1. ધવલ said,

    March 11, 2007 @ 10:13 PM

    યાદ એની રોજ વાવી છે અહીં;
    છાંયડો થઈ એજ આવી છે અહી

    – સુંદર ! અને…

    યાદ એની રોજ વાવી છે અહીં;
    છાંયડો થઈ એજ આવી છે અહીં.

    સરસ વાત !

  2. kinjal said,

    March 16, 2007 @ 5:37 AM

    ખૂબજ સરસ

  3. કસુંબલ રંગનો વૈભવ said,

    March 18, 2007 @ 4:42 AM

    સરસ વાત………..યાદ એની રોજ વાવી છે અહીં;
    છાંયડો થઈ એજ આવી છે અહીં.

    પાળિયાને પૂછ વાતો કાલની;
    જિંદગી ઢસડીને લાવી છે અહીં.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment