મૌન સામે ના ટકી આખર સુધી,
અફવા તો પહોંચી હતી ઘરઘર સુધી.
– પ્રમોદ અહિરે

મીણબત્તી – કૃષ્ણલાલ શ્રીધરાણી

ક્યા ખૂણામાં નગર તણા આ
શી ગમ મુજને થાય ?
વીજળી તેલ તપેલું ખાલી
તાર સૂકી હોલાય.

ઓઢી અંધારાનો લાભ
દીવાસળી દે ચુંબન દાહ
મીણબત્તીને, આળસ પાળ
જેવે, ટાઢે હોઠ કપાળ.

એણે નાખ્યો નિશ્વાસ,
પછી લીધો એક શ્વાસ,
ને આપ્યો ઉજાસ.

– કૃષ્ણલાલ શ્રીધરાણી

‘લાઈટ’ જતી રહી હોય એ મોકાનો લાભ લઈને દીવાસળી મીણબત્તીને ચુંબન કરે – એ કલ્પના જ કેટલી રોમાંચક છે ! વળી, ચુંબન પછી – એક નિશ્વાસ (હવે બળવાનો વખત આવ્યો !)…એક શ્વાસ (હવે જ મીણબત્તીનું ખરું ‘જીવન’ આરંભાય છે !) … અને છેલ્લે ઉજાસ !

અમારા અમેરિકામાં તો આ મૂઈ લાઈટ પણ કદી જતી નથી, એનું શું કરવું ? 🙁

9 Comments »

  1. P Shah said,

    May 16, 2011 @ 10:41 PM

    રોમાંચક કલ્પના વણી લેતું શાન્તિનિકેતનના સ્નાતક કવિ
    શ્રી કે. શ્રીધરાણીની એક ઉત્તમ રચના !
    આભાર ધવલભાઈ !

  2. Kirtikant Purohit said,

    May 17, 2011 @ 12:51 AM

    એક સદીપછી પણ તાજી રહેતી અને તાજી રહેશે તેવી રચના.

  3. Pancham Shukla said,

    May 17, 2011 @ 3:50 AM

    અદભૂત કલ્પન.

    દુરારાધ્ય કવિ/વિવેચક બ.ક.ઠા.ને શ્રીધરાણીના કેટલાક ઉત્તમ કાવ્યો એમના સમકાલીન ઉ.જો. અને સુંદરમથી કોઈક રીતે ચડિયાતા જણાયા છે. પણ એ શા કારણે તેની બહુ સ્પષ્ટતા સાંપડતી નથી. શું એ શ્રીધરાણીનું વિશિષ્ટ ભાષાકર્મ અને નવીન કલ્પન રીતિ હશે?

    આળસ પાળ કે આરસ પહાણ ? ચોપડીમાં મુદ્રણદોષ હોય એવું લાગે છે. કોઈ જાણકાર ‘કોડિયા’નો પ્રકાશ પાથરે એવી આશા રાખીએ.

  4. pragnaju said,

    May 17, 2011 @ 7:08 AM

    દીવાસળી દે ચુંબન દાહ
    સુંદર
    ત્યારના જમાનામા આવી કલ્પના રજૂ કરવાની હિંમત ઘણા ઓછામા હતી.
    પછી આ વાક્યનો પ્રયોગ થતો.તું વિરહનો દાહ ચુંબનને ન પૂછ!
    આ દાહ માતાહરીની વાતમા વંચાતો.તે પેરિસમા સાડી પહેરી નૃત્ય કરી ,પ્રેમી જર્મન-જાસૂસ વતી જાસૂસી કરતા ફ્રાંસમાં પકડાઈ અને ફાંસીની સજા પામી.તે વાત વિસરાઈ ગઈ પણ મીણબતીની જ્યોતમા પરવાના શહિદ થાય તેમ તેણે ચુ બ ન દા હમા રાજકારણીઓ એવં લશ્કરના વડાઓને સ્વાહા કર્યા તે ઇતિહાસમા અમર થયો

  5. ધવલ said,

    May 17, 2011 @ 7:13 AM

    પંચમ, ફરી જોઈ જોયું. ‘આળસ પાળ’ જ છે. આમ તો મહેન્દ્રભાઈ મેઘાણીની ચોપડીમાં મુદ્રણદોષની શક્યતા ઓછી. વધુ તો ‘કોડિયા’ની કોપી કોઈની પાસે પડી હોય તો જોઈને કહેશો.

  6. Rajendra Trivedi, M.D. said,

    May 17, 2011 @ 7:21 AM

    દીવાસળી દે ચુંબન દાહ.
    સુંદર

  7. Bharat Trivedi said,

    May 17, 2011 @ 2:55 PM

    સૌથી અચરજ પમાડે તે વાત તો એ છે કે કઈ સાલમાં કવિએ આ કવિતા કરી હતી? ગુજરાતી કવિતા આજની તારીખે પણ ત્યાં સુધી પહોંચી છે ખરી? ઉત્તમ કવિ પણ પોતાના સમય દરમ્યાન સુપેરે ના પણ પાંખાય ! પણ એ બધું તો સમય નક્કી કરતો હોય છે. એટલે જ આ માર્ગમાં કોઇયે પણ હરખાઈ કે પછી નીરાશ થવાને કારણ જ નથી. વિશ્વ ખૂબ જ વિશાળ છે ક્યારેક તો કોઈ જગાયે પ્રતિભાની યોગ્ય કદર તો થવાની છે.

  8. DHRUTI MODI said,

    May 17, 2011 @ 3:24 PM

    મઝાની રચના અને ગજબની કલ્પના.

  9. sureshkumar vithalani said,

    May 20, 2011 @ 1:15 PM

    Amazingly wonderful poetry, indeed! THANKS, DHAVALBHAI ! What a wonderful imagination of the great man and the great poet KRISHNALAL SHRIDHARANI. He also wrote a very good book ‘ MY INDIA, MY AMERICA ‘ during his stay in America before indian independance and also championed the cause of freedom of india in america.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment