અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?
કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?
સુંદરમ્

ગઝલ – શયદા

હાથ આવ્યું હતું, હરણ છૂટ્યું
હાય, મારું એ બાળપણ છૂટ્યું

એમનું પણ હવે શરણ છૂટ્યું,
જિંદગી છૂટી કે મરણ છૂટ્યું!

ના નથી એમનું શરણ છૂટ્યું,
મુખ્ય મુજ કાવ્યનું ચરણ છૂટ્યું.

પગથી છૂટી જવાની પગદંડી
એમનું જો કદી રટણ છૂટ્યું

મદભરી આંખ એમની જોતાં
છૂટી વાણી ને વ્યાકરણ છૂટ્યું

કોઈની આશને ઘરણ લાગ્યું
કોઈની આશનું ઘરણ છૂટ્યું

પણ હતું, એમનાથી નૈં બોલું,
મોતની બાદ પણ, ન પણ છૂટ્યું.

સ્વપ્નમાં એમનાથી રસ-મસ્તી
નીંદ છૂટી ન જાગરણ છૂટ્યું

એમના પગ પખાળવા કાજે
આંખથી ફૂટીને ઝરણ છૂટ્યુ.

તું અને પાર પામશે એનો?
બુદ્ધિ તારી ન ગાંડપણ છૂટ્યું.

કોણ ‘શયદા’ મને દિલાસો દે ?
ચાલ, તારું જીવન-મરણ છૂટ્યું

– શયદા

તમે હરજી લવજી દામાણી બોલો તો કોણ ઓળખે? પણ જો ધીમેથી શયદા બોલ્યા તો? આખી મહેફિલમાં એક માનભર્યું મૌન ન છવાઈ જાય?! આંખોમાં ખુમારી, ચાલમાં નફકરાઈ, કવનમાં કમનીયતા અને પઠનમાં માર્દવતા – શાયરોના શાયર ગણાતાં શયદા (24-10-1892 થી 30-06-1962) મુશાયરાઓની જાન હતા. અભ્યાસ ફક્ત ચાર જ ચોપડી પણ કોઠાસૂઝમાં પી.એચ.ડી.! ગુજરાતે એમને ગઝલસમ્રાટના બિરૂદથી સર્વોચિત સન્માનેલા. પ્રિયાના પગ પખાળવા માટે આંસુના ઝરણા તો એ જ વહેવડાવી શકે જે પ્રિયાના રટણમાત્ર છૂટી જવાના ભયથી પગદંડી ચૂકી જતા હોય!  

1 Comment »

  1. RAZIA said,

    April 19, 2008 @ 5:53 AM

    ને આવ્યો બુલાવો, ખુદા નો જ્યારે,
    ધરતી થી મારું શરણ છુટ્યું……..

    “શયદા સાહેબ ની આ રચના વર્ષો પછી જોવા મળી
    આભાર,

    રઝિયા મિર્ઝા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment