તસવીરમાં છે હાથ મિલાવેલી એક ક્ષણ
ને એ જ ક્ષણમાં દૂર હંમેશાં જવા મળ્યાં !
– ભરત વિંઝુડા

હું પહેલો મળી જઈશ – જવાહર બક્ષી

ભલે હમણાં તો હું થાકેલી પાંપણમાં ઢળી જઈશ,
કોઈ દી તો પરોઢી સ્વપ્નની જેમ જ ફળી જઈશ.

નહીં જીવવું પડે ભ્રમના ચહેરાઓની આડશમાં,
હરણનાં શિંગડાંઓ તોડીને હું નીકળી જઈશ.

સમયનો બાદશાહ ! ક્યારેક બિનવારસી મરી જાશે,
સવારે ખૂલશે દરવાજા, ને હું પહેલો મળી જઈશ.

પછી અંધારિયો ગઢ કાંગરા સાથે તૂટી પડશે,
કોઈ વેળા હું સૂરજનાં ટકોરા સાંભળી જઈશ.

– જવાહર બક્ષી

માત્ર ચાર શેરોમાં કદાચ ચાર વેદો જેટલો સંદેશ કવિએ ઠાંસી ઠાંસીને ભર્યો છે.  પરોઢી સ્વપ્નની જેમ ફળવાની આશા લઈને થાકેલી પાંપણમાં ઢળવું એ ખરી જાગૃતિ.  બીજો શેર ખૂબ જ ગહન છે… હરીન્દ્રભાઈ દવેનાં શબ્દોમાં કહું તો; “ભ્રમની સૃષ્ટિમાં જીવવું – એટલે જ થાકની સૃષ્ટિમાં જીવવું.  આપણે ભ્રમનાં ચહેરાઓ વચ્ચે જીવીને થાકી જતાં હોઈએ છીએ.  જીવવાનો થાક ક્યારેય કોઈને લાગ્યો નથી, પણ જીવવાના અભિનયનો થાક લાગે છે. અને આપણે થોડી જ ક્ષણોમાં જીવીએ છીએ, બાકીને ક્ષણોમાં અભિનય જ કરીએ છીએ.  આ ભ્રમના ચહેરાઓની વચ્ચેથી નીકળવા માટે હરણનાં શિંગડાઓ તોડવા પડે છે.  હરણનો સંબંધ મૃગજળ જોડે છે તો સુવર્ણમૃગ જોડે પણ છે અને આ છલનાની સૃષ્ટિ શિંગડા જેવી નક્કર લાગે તો પણ એ શિંગડા વચ્ચેનાં પોલાણ જેવી પોકળ છે.”  અહીં તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ? કહેતાં કવિ આપણને કહી દે છે કે એ સૌથી પહેલા મળશે, જો સમયથી પર રહીને એમને મળી શકાય તો.  સૂરજનાં ટકોરા સાંભળવાની વાત એટલે કે તમસો મા જયોતિર્ગમય…

8 Comments »

  1. bharat vinzuda said,

    April 7, 2011 @ 10:50 AM

    ગઝલમાં રદીફ કાફિયામાં પ્રિંટ ક્ષતિ જેવું લાગે છે.
    એમ ના હોય તો છંદ દોષ છે..

  2. jyoti hirani said,

    April 7, 2011 @ 11:51 AM

    વાહ્ ખુબ સરસ ગઝલ્ દરેક શેર ગહન ફિલ્સુફિ ભરેલો, તારાપણાના શહેરમા પુસ્તક દરેક કાવ્ય પ્રેમિ એ વસાવવા જેવુ

  3. Bharat Trivedi said,

    April 7, 2011 @ 12:49 PM

    ક્યા બાત કહી !

  4. pragnaju said,

    April 7, 2011 @ 1:06 PM

    મઝાની ગઝલ
    ભલે હમણાં તો હું થાકેલી પાંપણમાં ઢળી જઈશ,
    કોઈ દી તો પરોઢી સ્વપ્નની જેમ જ ફળી જઈશ.
    વાહ્

    યાદના જલતા દીવાઓથી વધ્યું અંધારું
    હું નર્યા મીણનો માણસ છું1 ઓગળી જઈશ
    છું હવા, ને હવાને વળી વિસ્તાર કયો ?
    નમતી પાંપણમાં થઈ સ્વપ્ન હું ઢળી જઈશ

  5. DHRUTI MODI said,

    April 7, 2011 @ 1:27 PM

    ચાર જ શે’રની પણ ઘણી જ સુંદર ગઝલ.

  6. MAHESHCHANDRA NAIK said,

    April 7, 2011 @ 9:16 PM

    સરસ, ચાર શેરની ગઝલ, પણ છેલ્લા શેરમા સુરજ દ્વારા કવિશ્રીએ આશાવાદી થવાનો ઈશારો કરી દીધો છે,

  7. ધવલ said,

    April 8, 2011 @ 2:17 PM

    સમયનો બાદશાહ ! ક્યારેક બિનવારસી મરી જાશે,
    સવારે ખૂલશે દરવાજા, ને હું પહેલો મળી જઈશ.

    બિનવારસી સમયના વારસ થવાની વાત …. વાહ !

  8. વિવેક said,

    April 9, 2011 @ 2:13 AM

    ભરત વિંઝુડાની વાત સાચી છે…

    સમયનો બાદશાહ ! ક્યારેક બિનવારસી મરી જાશે – આ પંક્તિમાં પણ છંદની ગરબડ લાગે છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment