પાણી ભરેલ વાદળોને ખેંચી લાવવા,
ઓછાં પડે છે, દોસ્ત ! આ શહેરોને ઝાડવાં.
વિવેક મનહર ટેલર

દરવાજો ખોલ – મનોજ ખંડેરિયા

કૈં ઝળહળ ઝળહળ જેવું છે, દરવાજો ખોલ
આ મરવું ઝાકળ જેવું છે દરવાજો ખોલ

બ્હાર પવન સૂસવાતો એમાં ઊડી જશે
આ જીવતર કાગળ જેવું છે, દરવાજો ખોલ

આ ખુલ્લા આકાશ તળે બે શ્વાસ ભરી લે
ઘર સમજણનું છળ જેવું છે, દરવાજો ખોલ

તેજ હશે કે ઝરમર? સૌરભ? કોણ હશે આ?
કૈં નમણી અટકળ જેવું છે, દરવાજો ખોલ

શબ્દો સાંકળ ખખડાવે છે કૈં વર્ષોથી
લે કામ જરા પળ જેવું છે, દરવાજો ખોલ

– મનોજ ખંડેરિયા

રવિવારે બારણું બંધ કરવાની વાત કરતું ગીત આવ્યું એટલેદરવાજો ખોલવાનું કહેતી આ ગઝલ યાદ આવી ગઈ. (હવે ખરેખર બારણું ખોલવું કે પછી બંધ રાખવું એ પાછા મને ન પૂછતા ! 🙂

અંતરમનના દરવાજાને ખોલવાનું આવાહન કરતી ગઝલ બહુ ઊંડી વાત લઈને આવે છે.  મરણના ઝાકળસમ પાતળા પોતને ઓળંગીને ઝળઝળ તેજ તરફ બોલાવતો પહેલો શેર આપણા શ્રેષ્ઠ શેરમાંથી એક છે. પહેલા જ શેરથી જે વાતાવરણ બંધાય છે એને કવિ છેલ્લે સુધી જાળવીને બતાવે છે. જીવનની ભંગૂરતા, સમજણનું છીછરાપણું, અગમ્યના કૌતુહલનો રોમાંચ – બધુ એક પછી એક આવે છે. છેલ્લો શબ્દમહિમાનો શેર ગઝલને ચરમસિમા પર લઈ જાય છે.

11 Comments »

  1. Jayshree said,

    January 5, 2011 @ 12:10 AM

    વાહ મનોજભાઇ વાહ…
    ક્યા બાત હૈ..! દરેક શેર એકદમ મજાના…

    Thank you ધવલભાઇ.. આખા દિવસનો થાક આ ગઝલ વાંચતા ગાયબ.. 🙂

  2. વિવેક said,

    January 5, 2011 @ 2:15 AM

    જયશ્રી સાથે સહમત…

    મજાની ગઝલ… વાંચો તો ગમે, માણો તો ઓર ગમે…

  3. Kiran Panchal said,

    January 5, 2011 @ 6:52 AM

    Really, amazing…..no words for it….

  4. deepak said,

    January 5, 2011 @ 8:40 AM

    ખુબજ સરસ ગઝલ…

    વારંવાર વાચવાનુ મન થાય એવી ગઝલ..

  5. pragnaju said,

    January 5, 2011 @ 8:42 AM

    સુંદર ગઝલના સહેજે ગમી જાય તેવા શેર
    કૈં ઝળહળ ઝળહળ જેવું છે, દરવાજો ખોલ
    આ મરવું ઝાકળ જેવું છે દરવાજો ખોલ

    બ્હાર પવન સૂસવાતો એમાં ઊડી જશે
    આ જીવતર કાગળ જેવું છે, દરવાજો ખોલ
    ઘણીવાર આ આધ્યાત્મિક વાતો મિથ્યા લાગે છે મૃત્યુ વિષે એ વધુ સારી રીતે લખી શકે જેણે પ્રિયજનના મૃત્યુને નજીકથીથી જોયું છે, જેણે નિશ્ચેષ્ટ શરીર પર આંગળીઓ ફેરવી છે અને એ મૃત શરીરમાં કોઈ સ્પંદન અનુભવ્યું નથી- એ માણસે મૃત્યુની વિભીષિકાને સ્પર્શ કર્યો છે. પગની બર્ફીલી ઠંડક. વધેલા નખ. ધ્રુજતા હાથથી બંધ કરેલાં બંને આંખોનાં પોપચાં. જીભ પથ્થર જેવી સખ્ત અને સ્થિર બની ગઈ છે.એક આંખ એક અંધને દૃષ્ટિ આપશે, બીજી આંખ બીજી અંધ વ્યક્તિને દુનિયા બતાવશે, જે દુનિયા કદાચ એણે ક્યારેય જોઈ નથી. કોઈક બે અનામ ચહેરાઓમાં આ બે આંખો જીવતી રહેશે.મરણં પ્રકૃતિઃ શરીરિણામ્. ધર્મ પાસે કોઈ ચિકિત્સા નથી, અને ધર્મનું નિદાન પણ ભ્રામક છે. સાંત્વન એક અસહાય સમાધાન છે. પ્રિયજનના શરીરને અગ્નિને સોંપી દેવું, અમેરિકામાં ‘ક્રિમેઈન્સ’કહે છે.તે મરેલાની જીવતાને ભેટ છે.હવે આવતી કાલ નથી.
    સત્ય એ છે કે અવાજ જે સંભળાતો હતો, હજી પણ વચ્ચે વચ્ચે સંભળાઈ જાય છે.એ અવાજ નથી, એનો પડઘો નથી, એ નથી. જે ધૂન, જે ટયુન, જે લય સંભળાતી હતી, એ ગીતનું ગણગણાવું, એ ગીત ગાયબ છે.
    શબ્દો સાંકળ ખખડાવે છે કૈં વર્ષોથી
    લે કામ જરા પળ જેવું છે, દરવાજો ખોલ

  6. વિહંગ વ્યાસ said,

    January 5, 2011 @ 9:14 AM

    વાહ…!

  7. dHRUTI MODI said,

    January 5, 2011 @ 3:07 PM

    સરસ ગઝલ.

  8. Pinki said,

    January 6, 2011 @ 12:37 AM

    વાહ્.. !

    ધવલભાઇ કહે છે, હવે ખરેખર બારણું ખોલવું કે પછી બંધ રાખવું એ પાછા મને ન પૂછતા.:)

    જેને જે ખોલવું હોય એ ખોલજો જ …બારી હોય કે બારણાં , બંધ ના કરતાં,
    કારણ વાત તો ખોલવાની છે… જાતને ખોળવાની છે… 🙂

  9. nirlep - doha said,

    January 6, 2011 @ 9:15 AM

    wonderful…what a way to express intricacies & complexities of momentary life & our being…!!.deep philosophy interewoven in lines, which cites divinity of & after death. speechless.

  10. ur veesh said,

    January 8, 2011 @ 12:08 PM

    સામાન્ય રીતે બીજો કોઇ પણ ગઝલકાર દરવાજો ખોલ રદિફ લઈને ગઝલ લખે તો કાફિયા ક્રિયા૫દ સ્વરુપે આવવાના ૫ણ મનોજભાઈ જળ ઝાકળ જેવા નામપ્રધાન કાફિઆ લઈ આવે
    છે એ એમની ખુબી છે.

  11. Dr.Pravinaben Pandya said,

    January 19, 2011 @ 6:08 AM

    very effective. આહા મનને સ્પર્શે દિલને ગમે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment