કોનામાં લીલો મોલ લચી પડશે - શી ખબર !
સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં.
રમેશ પારેખ

લાગે – હેમન્ત દેસાઇ

કહું જો વાત મારી તો ખરે એ વારતા લાગે;
પ્રસંગો રાતરાણીની સુગંધે ઠારતા લાગે !

જગતના મંચ પર હું ફૂલશો ઊભો, કદી કિન્તુ,
ઊઘડવું કષ્ટ લાગે, ફોરવું નિસ્સારતા લાગે!

ન તોડું મૌનની આ વાડ , – પણ શેં કેદ પણ વેઠું?
નથી શ્રધ્ધા છતાં શબ્દો મને વિસ્તારતા લાગે!

અકિંચન છું પરંતુ રાજરાજેશ્વર સમું જીવતો,
નગરના લોક શું રસ્તાય સૌ સત્કારતા લાગે!

કદી ના કોઇ આલંબન લઉં, વિહરું સ્વયં નિત્યે,
છતાં દુર્ભાગ્ય કે મિત્રો મને શણગારતા લાગે!

કશામાં હું નથી એવી ચઢી મસ્તી, નશામાં છું,
હું ડૂબું છું, મને કો હાથ દરિયો તારતા લાગે!

ઊઠી જાઉં થતું કે મ્હેફિલેથી જામ ફોડીને;
વિખૂટા સાથી જન્મો જન્મના સંભારતા લાગે!

– હેમન્ત દેસાઇ

3 Comments »

  1. Jayshree said,

    September 28, 2006 @ 11:37 AM

    Very Nice…!!

    કદી ના કોઇ આલંબન લઉં, વિહરું સ્વયં નિત્યે,
    છતાં દુર્ભાગ્ય કે મિત્રો મને શણગારતા લાગે!

  2. ધવલ said,

    September 29, 2006 @ 11:30 PM

    ન તોડું મૌનની આ વાડ , – પણ શેં કેદ પણ વેઠું?
    નથી શ્રધ્ધા છતાં શબ્દો મને વિસ્તારતા લાગે!

    – સરસ વાત !

  3. ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો » Blog Archive » સમાચાર - ગુજરાતી સારસ્વત પરિચય said,

    May 27, 2007 @ 6:03 AM

    […] – ફાધર વાલેસથી જે યાત્રા પ્રારંભી – અને જાણે નરસિંહરાવ દિવેટીયાએ મંગળ મંદિર ખોલ્યા. – ત્યાં તો દલપતરામે ઋતુઓનું વર્ણન કર્યુ. – ‘ગની’ દહીંવાલાએ નિષ્ફળ નિષ્ફળ રમતા શીખવ્યું. – અમૃત ‘ઘાયલ’ એ શાનદાર જીવ્યા નો દાખલો આપ્યો. – દૂધમાં સાકરની જેમ ઉમાશંકર જોશીએ પરિચય આપ્યો. – મરીઝએ ધીમા પ્રવાસનું ભાન કરાવ્યું. – ‘શૂન્ય’ પાલનપુરીએ મંદિરમાં દેવોના દર્શન આપ્યો. – ધૂમકેતુ “મરિયમ ન મળી, કાગળે ન મળ્યો.” ના દુ:ખદ સંદેશા લાવ્યા – ગુજરાતનો નાથ કનૈયાલાલ મુન્શી પાસેથી મળી આવ્યો. – ઝવેરચંદ મેઘાણીએ લગાડ્યો કસુંબીનો રંગ. – સરસ્વતીચન્દ્ર આપી ગોવર્ધનરામ ત્રિપાઠીએ ધન્ય કર્યા. – રમણલાલ દેસાઈએ દેખાડ્યું, કેમ આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની ગયું! – ખબરદારએ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! દાખવ્યું. – બોટાદકર, સાચે જ જનનીની જોડ જગે નહીં જડે રે, લોલ! – છ અક્ષરનું નામ પણ રમેશ પારેખ ઘણું કહી ગયા. – બાલાશંકર કંથારીયા એ જીવન મંત્ર આપ્યું – ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે. ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણે લેજે .” – રાવજી પટેલએ મારી આંખે કંકુના સૂરજ આથમ્યાથી હ્રદય કંપાવી દીધુ – ઈન્દુલાલ ગાંધીએ આંધળી માનો પત્ર પ્હોચાડયો. – અખો તમે મૂરખ બન્તાં બચાવ્યા. “એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ.” – સુંદરજી બેટાઈએ પ્રોસાહન આપ્યું “જાવું જરૂર છે. બંદર છો દૂર છે.” – રાજેન્દ્ર શુકલના પ્રશ્નનો નથી જવાબ હજી – કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે? – નરસિંહ મહેતા સાથે વૈષ્ણવજન થયા અને પીડ પરાઈ જાણી. – હેમન્ત દેસાઇને મનગમતું ગમયું – “બૂટ બાટા સિવાયના, કઠોળ ચણાદાળ સિવાયનાં, શાક રીંગણ સિવાયનાં અને કપડાં ખાદી સિવાયનાં કોઇ પણ મને ગમે.” – માણસમાં રાખ્યા જયંત પાઠકએ ”રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે. હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે,” – બાલમુકુન્દ દવે એ સમજાવી દીધું સાનમાં – કૃષ્ણલાલ શ્રીધરાણી સાચી પૂજા શીખવી. ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય; ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય; ન નૈવેદ્ય તારું આ ! પૂજારી પાછો જા ! – “પાન લીલું જોયું ને હરીન્દ્ર દવે યાદ આવ્યાં. ” – પ્રીતમનો હરીનો મારગ શૂરાનો છે. – મકરન્દ દવેનો ગુલાલ તો કદી ગુંજે નહીં ભરાઇ ” ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીયે,ગમતાંનો કરીએ ગુલાલ.” – ચંદ્રકાન્ત બક્ષીનું આ વાક્ય બહુ મોડુ વાચ્યું “ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવી જોઈએ કે જેથી મધ્યવયમાં છોડી શકાય !” – સુરેશ દલાલ, તમે વાતો કરો તો થોડું સારું લાગે – “હું તો બસ ફરવા આવ્યો છું!” નિરંજન ભગત સાથે ફરવાની મજા આવી. – ” ‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું? નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.” – જયંતિ દલાલનું સચોટ વાક્ય ”સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી. “ – કુન્દનિકા કાપડિયા સાથે સાત પગલાં આકાશમાં ભરયા. – “ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? કહશો રાજેન્દ્ર શાહ – ખરેખર શયદા, “તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે. – પિનાકિન ઠાકોર સાથે પોકારું, “હે ભુવન ભુવનના સ્વામી,” – કલાપી તમને શું કહુ, જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની, – કુમારપાળ દેસાઇ એ દર્દ અને દયાનો ભેદ દાખવ્યો. ‘મારી આંખોમાં દર્દ છે, દયાની ભીખ નથી.’ – “યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.” ખરું કહ્યું નર્મદે – શ્યામ સાધુજી ” બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી. ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં.” – કરસનદાસ માણેક, તમારું જીવન અંજલિ થયું – મનોજ ખંડેરિયા તમે કહેશો કેમ આમ બને કે પકડું કલમને, ને હાથ આખેઆખો બળ છે? – ‘સૈફ’ પાલનપુરી તમે તો છો ગઝલ સમ્રાટના શિષ્ય મને બનવું તમારી શિષ્ય – નાથાલાલ દવે, ” કામ કરે ઇ જીતે રે માલમ ! કામ કરે ઇ જીતે. “ – દિનકર જોશી સાહેબ, ‘ પ્રકાશના કાંઇ પડછાયા હોય ? “જુદી જિંદગી છે મિજાજે – મિજાજે, સરોદજી! – ઘણીવાર વિચારું જગદીશ જોષીજી “ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં પણ આખા આ આયખાનું શું? – “માથું અરીસામાં જ રહ્યું. ને બહાર નીકળી પડી હું, સંસ્કૃતિરાણી દેસાઇ તમે કદાચ મળી જશો. – તમારી વાત સાવ સાચી હિમાંશી શેલતજી , “જીવીએ પહેલાં પછી લખાય તો ઠીક છે, ન લખાય તો વસવસો નથી” – “હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.” તારક મહેતા સાહેબનું રામબાણ અકસીર છે. – ચન્દ્રકાન્ત શેઠ “કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં.” અને લોકો સુધી પ્હોચાડે છે બ્લોગ દ્વારા. – અશોક દવે, તમારે તો ” લખવાના કારણે બપોરનાય ઉજાગરા થાય છે.” […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment