ક્યાં ફૂલો પધરાવશો ‘ઈર્શાદ’નાં ?
ઝાંઝવામાં કાંઈ પણ તરતું નથી.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

આપણી યાદગાર ગઝલો : ૧૦ : ખ્યાલ પણ નથી – હરીન્દ્ર દવે

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

મારું સ્વમાન રક્ષવા જાતાં કદી કદી,
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

વાતાવરણમાં ભાર છે મિત્રોનાં મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

– હરીન્દ્ર દવે
(1930 – 1995)

સ્વર-સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

[audio:http://tahuko.com/gaagar/layastaro/Harindra Dave – Aansu ne Pee Gayo Chhun.mp3]

1962માં લખાયેલી આ ગઝલનો “ગયો છું, મને ખ્યાલ પણ નથી” જેવો લાંબો રદીફ ગઝલનાં ભિન્ન ભિન્ન શેરનાં અલગ અલગ ભાવજગતને જબરદસ્ત રીતે જકડી રાખે છે. અને સાથે જ અનેક અર્થો, શક્યતાઓ અને સંભાવનાઓનું આકાશ પણ ઉઘાડી આપે છે.  પ્રેમમાં ભૂલી-કરગરી-કહી “ગયો છું” જેવું કહીને કરેલા સહજ સ્વીકારની સાથે જ કવિની આ બધું કર્યાનો તો “મને ખ્યાલ પણ નથી” જેવી બાળ-સહજ અભિવ્યક્તિ બિલકુલ એક ગીતની ધ્રુવપંક્તિ જેવી લાગે છે… અને એનાથી જ કવિ ગઝલનાં મિજાજનું સુંદર રીતે જતન કરીને ગઝલને ગરિમા બક્ષે છે.  પ્રેમમાં મજબૂરીથી પોતાના પ્રિયજનને ભૂલી જવાના પ્રયત્નો કરવા જતા ઘણીવાર ખરેખર ‘એમને ભૂલી ગયા છે’ ની હકિકતનો ખ્યાલ પણ રહેતો નથી, કારણ કે ખાસ તો ‘પ્રિયજનને ભૂલી જવાની વાત’ જ બિલકુલ ભૂલાતી નથી. ભૂલવાની વાત તો ઘૂંટાયા કરે છે અને આમ પ્રેમનું ચક્ર ફર્યા જ કરે છે. ઘણીવાર પ્રેમમાં સ્વમાન અને સમર્પણ વચ્ચેની પાતળી ભેદરેખા પરખાતી નથી, અને સર્મપણની જગ્યાએ પ્રિયજનની આગળ પ્રેમી ક્યારે પોતાના સ્વમાનને ઠોકરને મારી દે છે એનો ખ્યાલ પણ એને નથી રહેતો.  કરગરવું એ પ્રેમની દર્દનાક અવસ્થા છે.  પ્રેમમાં કરગરવું પડે એવી પરીસ્થિતિ જ પ્રેમની ગરિમાને ઝાંખી પાડે છે અને એનો ખ્યાલ કવિને છે જ, પરંતુ કરગરવાની ક્રિયા ક્યારે થઈ જાય છે, બસ એનો ખ્યાલ નથી રહેતો.  જીવનમાં ઘણા સંબંધો ફૂલો જેવા હોય છે, જે અનુકૂળ વાતાવરણમાં આપોઆપ મ્હોરે છે. પરંતુ ઘણા સંબંધો કંટકો જેવા હોય છે જેને દુનિયાદારી નિભાવવા માટે પણ ક્યારેક નિભાવવા પડે છે અને એની માવજત પણ કરવી જ પડે છે.  આવી દુનિયાદારી નિભાવવામાં આપણે જ્યારે ગળાડૂબ હોઈએ ત્યારે ઘણીવાર આપણને ખ્યાલ પણ નથી રહેતો કે ફૂલ જેવાં કોઈ સુગંધિત સંબંધની સાવ નજીક પહોંચી જઈને અજાણ્યે એને સ્પર્શી પણ લઈને પછી એમાં બંધાયા વગર અજાણ્યે જ આપણે પાછા વળી જઈએ છીએ. અને એ ફૂલ જેવા સંબંધમાં ન બંધાઈ શકવાની ખબર હોવી કે ન હોવી, બંને પરીસ્થિતીમાં પ્રાધાન્ય તો લાચારીનું જ છે… જે ‘મને ખ્યાલ પણ નથી ‘ દ્વારા છતી થાય છે.  છેલ્લા શેરમાં કવિએવાતાવરણમાં મિત્રોનાં મૌનનાં ભાર તરફ આંગળી ચીંધીને પોતાના મિત્રોની થોડી ફરિયાદ પણ કરી લીધી. પરંતુ મિત્રો આખરે તો અંગત અને પ્રિય છે, એટલે ફરી અહીં કવિએ “હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી” કહીને મિત્રોની વાતને મોઘમ જ રાખી અને આમ એમણે મિત્રતા પણ નિભાવી લીધી.  વર્ષો પહેલા લખાયેલી આ ગઝલમાં કવિએ એવી ચમત્કૃતિ સર્જી છે કે આજે વર્ષો પછી પણ આ ગઝલ એટલી જ તરોતાજા લાગે છે.

9 Comments »

  1. અનામી said,

    December 9, 2008 @ 4:12 AM

    સરસ ગઝલ.

    આ શેર ઘણો ગમ્યોઃ

    કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
    ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

  2. સુનિલ શાહ said,

    December 9, 2008 @ 11:30 AM

    દસેદસ સુંદર..ઉત્તમ ગઝલો માણી અનેરો આનંદ થયો.
    થેંક્સ લયસ્તરો..!

  3. Jayshree said,

    December 9, 2008 @ 12:24 PM

    હરીન્દ્ર દવેની મારી ઘણી ગમતી ગઝલ.. એમ પણ હરીન્દ્ર દવે મારા અતિપ્રિય કવિ.. અને ઊર્મિ, સરસ રસદર્શન કરાવ્યું.. મઝા આવી..!

  4. ધવલ said,

    December 9, 2008 @ 12:39 PM

    સરસ આસ્વાદ… ગઝલ તો શ્રેષ્ઠ છે જ !

  5. વિવેક said,

    December 10, 2008 @ 6:35 AM

    નિઃશંકપણે હ.દ.ની શ્રેષ્ઠ ગઝલ… એક-એક શેર પાણીદાર થયા છે…

  6. Deejay said,

    June 18, 2011 @ 6:56 PM

    ખૂબ સરસ મઝા આવી ગઇ.આભાર.

  7. PIYUSH M. SARADVA said,

    December 3, 2011 @ 6:29 AM

    ખૂબ જ સરસ ગઝલ.

  8. Rajesh Thakor said,

    July 9, 2012 @ 8:25 PM

    વાહ !!! મજા આવી ગઇ…

  9. AMIT said,

    December 6, 2013 @ 8:52 AM

    TU GAJANI BANI GAYO 6.
    TANE KHYAL J NATHI.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment