મૌનનો પડઘો : ૧૩ : ચિંગ-ટિ’ન્ગ પર્વત પર ઝાઝેન – લી પો
આકાશેથી પક્ષીઓ અદ્રશ્ય થઈ ગયા છે.
છેલ્લું વાદળું વરસી ચૂક્યું છે.
ભેગા બેઠા રહીશું, પર્વત અને હું,
જ્યાં સુધી બાકી રહે માત્ર પર્વત.
– લી પો
ઝેન ઘર્મમાં રોજ ધ્યાનમાં બેસવાનો મહિમા છે. એને ઝાઝેન કહે છે. ઝાઝેનના અનુભવને વર્ણવતું આ ગુરુ લી પો નું કાવ્ય, ઝાઝેનની વિભાવનાને બહુ માર્મિક રીતે સમજાવે છે.
ઝાઝેનના પહેલા સ્તરે પક્ષીઓ અને વાદળો – એટલે કે ખલેલ પહોંચાડે એવું બધું – ચિત્તમાંથી અદ્રશ્ય થઈ જાય છે. મન દરેક જાતના વિક્ષેપને અતિક્રમી જાય છે. એ પછી બચે છે બસ પર્વત અને જાત. અને ઝાઝેનના અંત સુધી એમાંથી માત્ર પર્વત બાકી રહે છે. જાતનો સંપૂર્ણ લોપ થાય છે. દર્શક જાતે જ દ્રશ્યમાં મળી જાય છે. મન જગતને એના સાચા સ્વરૂપે -પોતાની જાતના પણ વિક્ષેપ વિના- જોવા માટે સજ્જ થઈ જાય એ ઝાઝેનનું ધ્યેય છે.