વિચાર્યું હોત તો – પ્રણય જામનગરી
મન તો મન છે, મનને માર્યું હોત તો ?
જે મળ્યું, એને સ્વીકાર્યું હોત તો ?
તીર પાછું કઈ રીતે વાળ્યું વળે ?
છોડતાં પહેલાં વિચાર્યું હોત તો ?
ઘર ખરેખર ઘર મને પણ લાગતે
કોઈ મારે ત્યાં પધાર્યું હોત તો ?
ભારેલા અગ્નિ સમું ધખતું રહ્યું,
એવું મન, ક્યારેક ઠાર્યું હોત તો ?
આજીવન, જીવન બની રહેતે જીવન:
આપણે સાથે ગુજાર્યું હોત તો.
પ્રેમ નફરતમાં કદી પલટાત ના,
આપણું વર્તન સુધાર્યું હોત તો.
રણ તો આખર હોય છે રણ આમ પણ,
એટલું તેં પણ વિચાર્યું હોત તો.
ઘાત ગઈ તારા હૃદય પરથી ‘પ્રણય’
હળવું-મળવું તેં વધાર્યું હોત તો ?
– પ્રણય જામનગરી
ગુજરાતી ભાષામાં સૌથી વજનદાર શબ્દ કયો એમ કોઈ પૂછે તો હું ‘તો’ને આગળ ધરું. રુઢિપ્રયોગોમાં પણ ‘તોંતેર મણનો તો’ જાણીતો છે. ‘તો’ મૂકાઈ જાય એટલે આખી વાતનો અર્થ બદલાઈ જાય, અને કવિએ તો આખી ગઝલ જ એને ધરીમાં રાખીને રચી છે. મોટાભાગના શેરોમાં સરળ રોજબરોજની વાતો જ છે. મનનીય થઈ શકેલા શેરોની વચ્ચે ક્યાંક ક્યાંક ધાર્યું તીર નિશાને લાગ્યું ન હોય એવા શેર પણ આવી ગયા છે. કવિએ એ શેર પડતા મૂકવાનું વિચાર્યું હોત તો આખી ગઝલ સંઘેડા ઉતાર થઈ શકી હોત.
