મહોબ્બત પ્રથમ ધર્મ છે જિંદગીનો, મહોબ્બત વિના કોઈ આરો ન આવે,
સતત ચાલવું જોઈએ એ દિશામાં, જો થાકી ગયા તો ઉતારો ન આવે.
ગની દહીંવાળા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for એમ. ડી. હેર્ટર નોર્ટન

એમ. ડી. હેર્ટર નોર્ટન શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




અમારા વૉર્ડન – આલ્બ્રેશ્ટ હૌસહૉફર (અનુ. વિવેક મનહર ટેલર)

અમારા જેલવાસનો હવાલો જેમના હાથમાં સોંપવામાં આવ્યો છે એ વૉર્ડન સારા વ્યક્તિઓ છે. એમની રગોમાં ખેડૂતોનું લોહી છે. પોતાના ગામડાંઓના રક્ષણથી વિચ્છિન્ન થઈ અજાણ્યા, ન સમજી શકાય એવા વિશ્વમાં તેઓ આવી પડ્યા છે.

તેઓ ભાગ્યે જ બોલે છે. ફક્ત એમની આંખો જ સમય સમય પર વિનમ્રતાથી બોલે છે, જાણે કે જે વાત તેમનું હૃદય કદી અનુભવવા તૈયાર નહોતું એ તેઓ જાણવા ન માંગતા હોય – માતૃભૂમિનું એ દુર્ભાગ્ય જે તેઓની છાતી પર ચડી બેઠું છે.

એ લોકો ડનુબેના પૂર્વીય વિસ્તારોમાંથી આવે છે જે યુદ્ધના કારણે ક્યારના નાશ પામી ચૂક્યા છે. એમના પરિવારોમાં કોઈ જીવતું બચ્યું નથી. એમની માલ-મત્તા બધું જ સાફ થઈ ગયું છે.

કદાચ તેઓ હજી પણ જિંદગીની કોઈ એક નિશાનીની પ્રતીક્ષામાં છે. તેઓ ચુપચાપ કામ કરે છે. કેદીઓ છે – તેઓ પણ ! પણ શું એ લોકો આ સમજી શક્શે ? આવતી કાલે ? પછીથી ? કદી પણ ?

– આલ્બ્રેશ્ટ હૌસહૉફર
(અંગ્રેજી અનુ: એમ. ડી. હેર્ટર નોર્ટન)
(અનુ. વિવેક મનહર ટેલર)

*

મૃત્યુનો અનુભવ ફર્સ્ટ હેન્ડ કોઈ કહી શકતું નથી પરંતુ મૃત્યુની પ્રતીક્ષાનો રંગ મૃત્યુના ઉંબરે આવી ઊભેલા ઘણા બધા કવિઓએ પોતપોતાની રીતે આલેખ્યો છે. આપણે ત્યાં રાવજી પટેલ અને જગદીશ વ્યાસના કાવ્યો આંગણે આવી ઊભેલા મૃત્યુના રંગોથી રંગાયેલા જોવા મળે છે. જર્મન ભૂગોળવિદ્ આલ્બ્રેશ્ટ હૌસહૉફર નાઝીઓ સામેના વિરોધના કારણે બર્લિનના મુઆબિત જિલ્લાની જેલમાં નિશ્ચિત મૃત્યુની અનિશ્ચિત રાહ જોતા હતા ત્યારે માંડ મળી શકેલા કાગળો પર જેલની અંદરની અને બહારની દુનિયા ઉતારતા રહ્યા.. 23 એપ્રિલ, 1945ના રોજ સૉવિયેટ સૈનિકોએ બર્લિન પર કબ્જો મેળવ્યો ત્યારે જેલના અધિકારીઓએ કેદીઓને છોડી મૂક્યા પણ જેલની બહાર જ સૈનિકો એમની રાહ જોતા હતા. એક નિર્જન જગ્યા પર લઈ જઈને તમામને ગોળી મારી દેવામાં આવી. ત્રણ અઠવાડિયા પછી કવિના નાના ભાઈને એમનું શબ જડ્યું ત્યારે કવિનો જમણો હાથ કોટની અંદર પાંચ કાગળોને હૃદયસરખો દાબીને પડ્યો હતો. આ પાંચ કાગળમાંથી જડી આવેલા એંસી સોનેટ્સ મુઆબિત સૉનેટ્સ તરીકે જાણીતા થયા. આ કવિતાઓએ વિશ્વને ખળભળાવી મૂક્યું. આ એંસી સોનેટ્સ મૃત્યુ અને અન્યાય સામે લખાયેલી આજ પર્યંતની શ્રેષ્ઠ કવિતાઓમાં સ્થાન પામ્યાં છે…

*

આ સૉનેટ વાંચો. રૂંવાડા ઊભા ન થઈ જાય તો કહેજો… જેલમાં કેદીઓની રખેવાળીએ કરતા વૉર્ડન પોતે પણ એક જાતના કેદીઓ જ છે એ વાત આ સૉનેટમાં કેટલી સરળ પણ વેધક ભાષામાં રજૂ થઈ છે ! છેલ્લા વાક્યમાં એક પછી એક આવતા ચાર પ્રશ્ન જાણે મશીનગનમાંથી છૂટેલી ચાર ગોળીઓ છે જે તમને આરપાર વીંધી નાંખે છે…

Comments (9)