દુ:ખની ધરતીના અમે છોડવા – ભનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’
દુ:ખની ધરતીના અમે છોડવા,
સુખ કાજ તાકીએ અંકાશ;
પવન લહરે લાગીએ ડોલવા;
સુખના કેવા આભાસ ? દુ:ખની 0
લીલાં લીલાં અમારાં પાંદડાં,
જોઈને મરકીએ મન માંહ્ય,
ઝૂમીએ ધરીને માથે ફૂલડાં,
સપનાં કે સુરભિ સદાય ! દુ:ખની 0
ધરતી છોડીને કોણ કદી ક્યાં ગયાં
ઉપર ઊંચે આકાશ ?
સુખ તે સદાનાં કોને સાંપડ્યા ?
આ તે કેવા વિશ્વાસ ? દુ:ખની 0
નિતની વિપત કરી વેગળી
માનવી શી વિધ સરજ્યે જાય ?
જાગે જગાડે નવી જિન્દગી
સુખની ભારે નવાઈ ! દુ:ખની 0
– ભનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’
દુ:ખની ધરતીના અમે છોડવા એટલે કે આપણે, મનુષ્યો. મનુષ્યનાં ઘડતર અને વિકાસમાં દુ:ખનું યોગદાન મહત્તમ હોય છે. દુ:ખની ઘટમાળમાંથી પણ મનુષ્ય સુખ મેળવવાનાં રસ્તા આખરે શોધી જ લે છે. મનુષ્યની લીલપરૂપી તાજગી, ફુલડારૂપી આનંદ અને સુંગધિત સપનાંઓનો મૂલાધાર છે, દુ:ખની ધરતી. દુ:ખ મનુષ્યને સુખની આશા અને એના આવવાની શ્રદ્ધા આપે છે. સુખનો સાચો આધાર દુ:ખ જ છે…