વધી વધીને બસ, એક કાન કે ખભો દઈ દે,
વધુ તો હોય શું કરવાનું, બોલો, આપ્તજને?
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for માધવ રામાનુજ

માધવ રામાનુજ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેરણાપુંજ : ૦૩ : અંદર તો એવું અજવાળું -માધવ રામાનુજ 

અંદર તો એવું અજવાળું, અજવાળું
સળવળતી હોય આંખ જેને જોવાને,એ મીંચેલી આંખેય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું

ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાંય નહીં તાળું
અંદર તો એવું અજવાળું

સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું

– માધવ રામાનુજ

ખરી પ્રેરણા અને જીવંદિશા પ્રાપ્ત કરવા બહાર ક્યાંય ફાંફા મારવાની કોઈ જરૂર નથી. આપણો ગુરુ, આપણી પ્રેરણા, આપણું અજવાળું આપણી અંદર જ વિદ્યમાન છે. અજવાળાનો ઈતિહાસ નક્કી અંધારું જ હોવું જોઈએ. અંધારા વિના અજવાળાની ઓળખ હોઈ શકે?! પછી એ અંધારું-અજવાળું બહારનું હો કે અંદરનું. ઘોર નિરાશા-હતાશા કે દારુણ દુઃખનું અંધારું ભલે બહારના કારણથી આવ્યું હોય પણ એ પ્રગટે છે અંદરથી જ.  અને એને દૂર કરનારું પ્રેરણાપુંજરૂપી અજવાળું પણ બહાર ક્યાંય નથી હોતું, આપણી ભીતર જ હોય છે. આપણી ભીતરનો ફાયર ઓફ ડિઝાયર જો પ્રબળ હોય તો એ બીજાના અંધારાને દૂર કરનાર સ્પાર્ક પણ બની શકે છે.

હસ્તાક્ષર આલ્બમમાં શુભા જોષીનાં અવાજમાં શ્યામલ-સૌમિલનાં સંગીતમાં આ અજવાળું જાણે આપણા કાનને સ્પર્શતું હોય એવું લાગે છે.  ભીતરનાં આ અજવાળાની અનુભૂતિ માણો, ટહુકો.કૉમ પર.

Comments (1)

પછી પગલામાં ચીતર્યાં સંભારણાં – માધવ રામાનુજ

પછી પગલામાં ચીતર્યાં સંભારણાં.
પહેલું અબોલાના ઓરડાનું અજવાળું, વળતાં ચીતર્યાં રે બંધ બારણાં.

ભીંત્યું ચીતરીને એમાં પૂર્યા ઉજાગરાનાં સોનેરી રૂપેરી રંગ,
પાણિયારું ચીતર્યું ને બેડામાં છલકાવ્યો ધગધગતો તરસ્યો ઉમંગ;
તોરણમાં લીલછોયા ટહુકાના સૂર અને હાલરડે આળેખ્યાં પારણાં.

ફળિયામાં આંબાનો ચીતર્યો પડછાયો ને ચીતર્યું કૂણેરું એક પાન,
ચીતરતાં ચીતરતાં ચીતર્યાં ઝળઝળિયાં ત્યાં નજરનું ખરી ગયું ભાન;
કાળજામાં કોરાતી જાય હજી કૂંપળ ને ઉંબરમાં અમિયલ ઓવારણાં.

– માધવ રામાનુજ

 

Comments (7)

ડૂબ્યા ! – માધવ રામાનુજ

આ સમયને પાર કરવા નીકળ્યા-
ને જુઓ, એની જ પહેલી પળમાં ડૂબ્યા!

સ્વચ્છ, પાવન, પારદર્શી વહેણ કેવું?
દોડતાં પહોંચ્યા અને મૃગજળમાં ડૂબ્યા.

નામ સંબંધોને નહોતું આપવાનું-
નામ દીધું ને જુઓ, અંજળમાં ડૂબ્યા.

જે દીવાએ સ્હેજ અજવાળું વધાર્યું-
એ દીવાની મેશના કાજળમાં ડૂબ્યા.

પ્રેમની વાતોય લાગી પ્રેમ જેવી,
એમ ને એમ જ અમે અટકળમાં ડૂબ્યા.

કોઈ માને કે ન માને, સત્યનું શું?
સ્વપ્ન જે જોયાં હતાં, ઝાકળમાં ડૂબ્યા.

પૂર્વગ્રહની પાર કંઈ જોયું નહીં,
તારનારા સાવ આછા જળમાં ડૂબ્યા!

સાવ પોતાનું જ લાગ્યું હોય એવા,
આંસુ જેવા એ રૂપાળા છળમાં ડૂબ્યા!

આ સમયને પાર કરવા નીકળ્યા,
ને જુઓ, એની જ પહેલી પળમાં ડૂબ્યા!

– માધવ રામાનુજ

[ સૌજન્ય :- inmymindinmyheart.com – ડો. નેહલ વૈદ્ય ]

મૃદુ ભાષામાં તાતા તીર વછોડ્યા છે…..જેમ કે ‘ પૂર્વગ્રહની પાર કંઈ જોયું નહીં, તારનારા સાવ આછા જળમાં ડૂબ્યા! ‘

Comments (3)

લીલાવિશ્વ – માધવ રામાનુજ

સરજન કેવું કર્યું !….
અહીંથી અનંત સુધી કણકણમાં-
લીલાવિશ્વ ભર્યું….

બ્રહ્માંડોના બ્રહ્માંડોમાં રેલાવ્યું અજવાળું,
અજવાળાની આરપાર પ્રસર્યું અંકાશ રૂપાળું-
પાર ન પામ્યું કોઈ આ બધું કેમ કરી અવતર્યું !
સરજન કેવું કર્યું !

એક એક આ પિંડે મૂકી એ જ બ્રહ્મની છાયા,
મનમાં મૂક્યું એ જ અકળ વિસ્મય ને એની માયા-
પાર ન પામ્યું કોઈ આ બધું કેમ કરી ઉતર્યું !
સરજન કેવું કર્યું !

અહીંથી અનંત સુધી કણકણમાં
લીલાવિશ્વ ભર્યું !

– માધવ રામાનુજ

આ કવિની પ્રત્યેક રચનામાં એક માધુર્યસભર સૂફીનાદ હોય છે…….

Comments (2)

સગપણ – માધવ રામાનુજ

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું…

સોણલાંની વાડી ઝાકમઝોળ,
કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે,
મઘમઘ સુવાસે તરબોળ…
એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું!

ક્યાં રે કિનારો ને ક્યાં નાંગર્યા
નજરુંના પડછાયા આમ!
ઊગી ઊગીને અચરજ આથમે
પછી એમ પથરાતું નામ…
એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું!

ઝાકળ સરીખું ઝલમલ બારણું,
પગલે પાંપણનું ફૂલ,
એક રે હોંકારે ઉઘડે આગળા,
ઓળઘોળ આયખાનું મૂલ…

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું!

– માધવ રામાનુજ

સુંવાળી યાદમાં લપેટીને રાખેલા એનાથી ય સુંવાળા સંબંધનું ગીત.

Comments (7)

આ શબ્દ – માધવ રામાનુજ

આ શબ્દ હવે છૂટે તો સારું !
આ મૌન સુધીના મારગ માંડ મળ્યા છે-
વાટ ખૂટે તો સારું…

આ સંબોધનમાં,સંબંધોમાં
માયાની માયામાં,
આ પગલે પગલે શબ્દ અહીં રોકી રાખે છે
એના પડછાયામાં !
આ મનમાં પળપળ ઊગતા રહેતા મોહ
હવે છૂટે તો સારું…

આ ક્યાં અધવચ્ચે,ક્યાં મઝધારે,
ક્યાં અંતરને આરે!
આ ભીતરથી કોઈ સાદ કરે છે :
પાછા ફરશું ક્યારે !
આ જીવતર જેવું જીવતર અટવાયું છે-
જાળ તૂટે તો સારું….
આ શબ્દ હવે છૂટે તો સારું !

– માધવ રામાનુજ

પગથિયા ઉપર પગ મૂકી ઉપર જતા પગથીયું જ પગની બેડી બની જાય તો શું થાય ?……. મૌનથી શરુ થતી યાત્રા શબ્દની પાંખે માંહ્યલાને ફરી મૌનના પ્રદેશમાં લઇ જતી હોય છે,પરંતુ ક્યાંક પાંખ થંભવાનું નામ જ નથી લેતી અને ચકરાવાઓનો કોઈ અંત જ નથી રહેતો….

Comments (7)

યાદગાર ગીતો :૨૬: પાસપાસે તોયે – માધવ રામાનુજ

પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

રાતદીનો સથવાર તે સામે મળવાનું તો
કોઈ દ્હાડે સુખ મળતું નથી,
આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી
ફળિયામાં સળવળતું નથી;
આંસુનેયે દઈ દીધો છે ભવનો કારાવાસ…
પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ !

ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે ?
આપણી વચ્ચે ‘આવજો’ની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે ?
પડખે સૂતાં હોય ને લાગે સમણાંનો સહવાસ !
જેમ કે, ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

– માધવ રામાનુજ

(જન્મ: ૪-૨૨-૧૯૪૫)

સંગીત: શ્યામલ-સૌમિલ મુનશી
સ્વર: ?

[audio:http://urmisaagar.com/saagar/audio/pas-pase-toye-Madhav-Ramanuj.mp3]

માધવ ઓધવજી રામાનુજ. જન્મ અને વતન અમદાવાદ જિલ્લાનું પચ્છમ ગામ. હાલ અમદાવાદમાં. અમદાવાદની સી.એન. કૉલેજ ઑવ આર્ટ્સમાં ચિત્રકળામાં ડિપ્લોમા અને એ જ સંસ્થામાં આચાર્ય તરીકે સેવા અને નિવૃત્તિ. કવિ, નાટ્યકાર, નવલકથાકાર અને અચ્છા ચિત્રકાર. લયમાધુર્ય અને ભાવની લવચીકતા એમની લાક્ષણિક્તા. ગ્રામ્યજીવન, રાધા-કૃષ્ણ અને પ્રકૃતિનું સુરેખ અનવરુદ્ધ રેખાંકન એટલે માધવ રામાનુજ.  (કાવ્યસંગ્રહો: ‘તમે’, ‘અક્ષરનું એકાંત’, ‘કલરવના દેશ’)

આ ગીત કેટકેટલાય લોકોના સાવ ‘અંગત’ દામ્પત્યજીવનનું પ્રતિબિંબ હશે ! પાસે હોવું અને સાથે હોવું એ બે વચ્ચેનો તફાવત કવિએ જે માધુરીથી અહીં આળેખ્યું છે એ કવિતાની ભીતરના આંસુને જાણે હળવાશથી લૂંછી આપે છે.  એક સંબંધ ખરે ત્યારે એ કેટકેટલા દિવસ-રાતના સંભારણાં લઈને ખરતો હોય છે ! ભીંત વળોટીને આરપાર જવું શક્ય નથી હોતું. ઔપચારિક ‘આવજો’ શું આવી જ કોઈ ભીંત નથી હોતી? ખરેલા સંબંધમાં આરપાર જવા માટે યાદની બારી સિવાય અવર શું હોઈ શકે? બાજુમાં જ સૂતેલા વજન પાસે પહોંચવા માટે શમણાંનો સહવાસ યાચવો પડે એ કરુણતાને આપણે શું કહીશું?

Comments (5)

‘આપણું’ ગીત -માધવ રામાનુજ

                                        આપણે તો ભૈ રમતારામ !
          વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ.

વાદળ  કેવું વરહે,  કેવું  ભીંજવે !  એવું ઊગતા દીનું વ્હાલ !
આછેરો આવકાર મળે, બે નેણ ઢળે –
                        બસ, એટલામાં તો છલકી થાઈં ન્યાલ !
મારગે મળ્યું જણ ઘડીભર અટકે, ચલમ પાય
                                   ને પૂછે – કઈ પા રહેવાં રામ?
વાયરો  આવે-જાય,  એણે  ક્યાંય  બાંધ્યાં  ના  હોય  ગામ !

ઓઢવાને હોય આભ, ઉશીકાં હોય શેઢાનાં, પાથરેલી હોય રાત;
સમણાંના શણગાર સજીને ઊંઘ આવે
              ને પાંખડીઓ-શા પોપચે આવે મલકાતું પરભાત,
ઝાકળમાં ખંખોળિયું ખૈ ને હાલતા થાઈં, પૂછતા નવાં નામ…
                                        આપણે તો ભૈ રમતારામ !

-માધવ રામાનુજ

Comments (2)

ઊંઘ – માધવ રામાનુજ

ચાડિયાની આંખ તળે ચકલીનો રાતવાસો,
સીમનું રખોપું કરે રેઢિયાળ ઊંઘ.

અંધકાર ખેડી રહ્યું તમરાંનું તીણું હળ,
કુણાંકુણાં ચાસમાં ઓરાય મીઠી ઊંઘ.

ગાતડીની ગાંઠ વાળી, શિયાળની લાળી ભેળી
રાતરાણી તણી ગંધ લણી રહી ઊંઘ.

ચાકડે ચડીને કૈંક સોણલાં ઉતાર્યા કરે,
નિંભાડામાં ધીરે ધીરે ઠરી જાય ઊંઘ.

ઘોડિયામાં ઘર આખું ઢબૂરીને મેડે ચડી,
………….. મૂંગીમૂંગી શરમાય ઊંઘ.

– માધવ રામાનુજ

માધવ રામાનુજની ગઝલ માટે એક શબ્દમાં કહેવું હોય તો કહી શકો ‘નાજુક’. આ ગઝલમાં પણ કવિએ મઝાના નાજુક કલ્પનોની લાહણી કરી છે.

કવિ ગઝલનો ઉપાડ સીમનું રખોપું કરતી રેઢિયાળ ઊંઘથી કરે છે. અને બીજા શેરમાં તમરાં જાણે હળની જેમ રાતને ખેડે છે અને એ ચાસમાં ઊંઘ ઓરાય છે એવી વાત કરી છે. મનના ચાક્ડે એક પછી એક સપના ઊતર્યા કરે અને પછી ધીમે ધીમે ઠરી જાય એ ઊંઘ – કેવું મઝાનું કલ્પન ! સૌથી સુંદર શેર તો છેલ્લો શેર છે. નાના છોકરાને ઘોડિયામાં સુવાડીને મા, પતિની બાજુમાં મેડે સુવા પડે છે ત્યારે – કદાચ આખા દિવસમાં પહેલી વાર મળેલા – એકાંતમાં એ ઊંઘવાનો ડોળ કરતી મૂંગીમૂંગી શરમાય છે !

Comments (1)

પછી – માધવ રામાનુજ

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં
સૈયરના દાવ નતા ઉતર્યા;
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર-ફેર –
ફેર હજી એય ન’તા ઉતર્યા;
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું
જોબનનું થનગનતું ગાન !
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન.

આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં;
કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને
ભૂલી જવાના વેણ માગ્યાં !
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું
ચોરી ગયું રે કોઈ ભાન !
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

– માધવ રામાનુજ

ગુજરાતી ગીતોના ‘ટોપ ટેન’માં સહેજે સ્થાન પામે એટલું સરસ બન્યું છે આ ગીત. કન્યાવિદાયનો પ્રસંગ છે એટલે વિષાદની ઝાંય તો રહેવાની જ. ( સરખાવો – કન્યા-વિદાય ) પરંતુ અહીં કન્યામાંથી વિવાહિતા બનવાની વાતને વધારે અંગત દ્રષ્ટિકોણથી મૂકી છે. પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું ચોરી ગયું રે કોઈ ભાન ! – કેટલી નાજુક પણ સચોટ પંક્તિ !

Comments (7)

કોમળ કોમળ… – માધવ રામાનુજ

હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ…
          સાથરે ફૂલડાં ઢાળજો રે અમે કોમળ કોમળ…

આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ, 
          રૂંવે રૂંવે કાંટા ઊગિયા રે અમને રૂંધ્યા રગેરગ;
ઊનાં તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ, 
          ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ..

પ્હેર્યાં-ઓઢ્યાંના ઓરતા રે છોગે છેલ ઝુલાબી, 
          આંખમાં રાત્યું આંજતા રે અમે ઘેન ગુલાબી,
કેડિયે કોયલ ગૂંથજો રે અમે કોમળ કોમળ, 
          ફૂમતે મોર ગ્હેકાવજો રે અમે કોમળ કોમળ…

હાથ મૂકી મારે કાળજે રે પછી થોડુંક લળજો: 
          – ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો ! 
          – ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન મળજો !

કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ ! 
          ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ !

– માધવ રામાનુજ

આ ગીતમાં નાયિકા અજબ ખૂમારી, ગૌરવ અને નાજૂકાઈથી મરણપથારી પરથી પોતાના વિતેલા જીવનની વાત કરે છે. દુ:ખ અને અડચણથી ભરેલા જીવનના અંતે નાયિકાને રંજ કે અફસોસ નથી, એની વાત તો તદ્દન અલગ છે – એ કહે છે કે હું એટલી કોમળ છું કે મને હળવા હાથે ઉઠાવજો અને મને ફૂલ પર સુવાડજો. આખી જીંદગી કાંટાઓ પર વિતી છે એનો થાક ઊતારવા ઊના પાણીએ નવડાવજો (અહીં શબને નવડાવવાના રીવાજ તરફ ઈશારો છે.) આખરી સફરમાં નવા, ચમકતા વસ્ત્રો પહેરાવજો. પણ આખરે એ સૌથી મોટી વાત કરે છે – એની ઈચ્છા છે કે ભવ ભવ આવું જ જીવન મળે ! જીવન દુ:ખથી ભરપૂર હતું તો ય એને બદલવું નથી, એવા જીવનનો પણ મનને સંતોષ છે.

આખા ગીતમાં, વિતેલા જીવનની સખતાઈઓની સામે ‘કોમળ કોમળ’ પ્રયોગ અદભૂત રીતે વિષમ ભાવ ઊભો કરે છે. આ ગીતની સાથે થોડા દિવસ પર ટહુકા પર મૂકેલું ગીત માંડવાની જૂઈ પણ જોવા જેવું છે.

Comments (5)

અંદર તો એવું અજવાળું – માધવ રામાનુજ

અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….

ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું
અંદર તો એવું અજવાળું……

સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું…….

– માધવ રામાનુજ

આ ગીતને શુભા જોશીના સૂરીલા કંઠે, અને શ્યામલ- સૌમિલના મધુર સ્વરાંકનમાં સાંભળતાં આપણને પણ આવો અનુભવ એક વાર કરી લેવાનું મન થઇ જાય છે.

આ ગીતમાં જે અનુભવની વાત કરી છે, તે અનુભવ થયેલા અગણિત વ્યક્તિઓએ પોતાનો આ અનુભવ બધાને પણ થાય તેવી ઇચ્છા રાખી છે.

કમભાગ્યે, તેમણે કહેલા માત્ર શબ્દોને જ પકડીને જગતના સર્વ ધર્મો અને સંપ્રદાયો રચાયા છે, અને લાખો લોકોનાં લોહી રેડાયાં છે, અને અગણિત માનવ વ્યથાઓએ જન્મ લીધો છે. અને હજુ પણ આ દારૂણ પ્રક્રિયા ચાલુ જ છે.

માટે જ્યારે કોઇ શબ્દ આપણે વાંચીએ કે સાંભળીએ ત્યારે જે ભાવ કે અનુભવનો તે પડઘો હોય છે, તે મૂળ તત્વ આપણા માનસ પટમાં ઝીલાય, અને આપણે તે ભાવ સાથે તાદાત્મ્ય અનુભવીએ, ત્યારે આપણી સંવેદનશીલતા બરાબર પાંગરી છે, તેમ કહી શકાય.  

 

 

Comments (7)

અમે ઈચ્છયું એવું…….. માધવ રામાનુજ

એક એવું ઘર મળે આ વિશ્વમાં, ,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને;
કોઈપણ કારણ વગર શૈશવ મળે !

એક બસ એક જ મળે એવું નગર;
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;
‘કેમ છો?’ એવુંય ના કહેવું પડે;
સાથ એવો પંથમાં ભવભવ મળે !

એક એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું !
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરના આગમનનો રવ મળે !

તો ય તે ના રંજ કૈં મનમાં રહે –
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…

માધવ ઓધવદાસ રામાનુજ (22-4-1945, પચ્છમ, અમદાવાદ) એટલે ઋજુ ભાવોને ઋજુતાની ચરમસીમાએ અભિવ્યક્ત કરી શકે એવા સશક્ત કવિ. નાટ્યકાર, નવલકથાકાર અને ચિત્રકાર પણ ખરા. એમના કાવ્યોમાં ગ્રામ્યજીવનનાં તળપદાં સંવેદનો અને આધુનિક જીવનની સંકુલતા સમાનાકારે ધબકે છે. શીર્ષકમાં શિખરણી છંદના આભાસ સાથે શરૂ થતા આ કાવ્યમાં સમગ્ર ઇબારત ગઝલની રહી છે, અને પંક્તિ-આયોજન સૉનેટના ઢાંચાનું સ્મરણ કરાવે છે. કાવ્યસંગ્રહ: ‘તમે’ અને ‘અક્ષરનું એકાંત’.

Comments (4)

એક ક્ષણ -માધવ રામાનુજ

એક ક્ષણ જો યુધ્ધ અટકાવી શકો –
ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં…

– માધવ રામાનુજ

Comments (2)