મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વસંત પરીખ

વસંત પરીખ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




નવનિર્માણ – રૂમી – અનુ-વસંત પરીખ

આતમનો મારગ પ્રથમ તો
દેહનો ભાંગીને ભૂકો કરે છે
અને પછી તેને નવી તાજગીથી બેઠો કરે છે.
જેના પાયામાં ખજાનો દટાયો છે
તે મકાનને પહેલાં તો જમીનદોસ્ત કરવામાં આવે છે
અને પછી
એ ખજાનાથી એનું નવનિર્માણ કરવામાં આવે છે !

હીરાના તેજને નિખારવા માટે
તેને ખૂબ ઘસવો પડે છે.
એમ આત્માની શુદ્ધિ માટે
કષ્ટોમાંથી ગુજારવું પડે છે.
પણ એ કષ્ટની સાધક જો ફરિયાદ કરે છે
તો મને નવી લાગે છે કે એ શુદ્ધિનો આગ્રહ જ
કેમ રાખે છે ?
પ્રેમ-ન્યાયાલયમાં દાખલ થયેલો છે દાવો,
અને ત્યાં છે પીડા એ જ પુરાવો.
જો તમે એ પુરાવો રજૂ નહીં કરી શકો,
તો તમે દાવામાં સફળતા ક્યાંથી મેળવશો?
કાજી જયારે પુરાવો માગે
ત્યારે તમે અકળાતા નહીં.
કરી લેજો સાપને પણ ચુંબન
અને મેળવી લેજો મહામૂલું પ્રેમધન.

સંકટોનો પ્રહાર તમારી નબળાઈ પર છે,
નહીં કે તમારા પર.
ગાલીચાને કોઈ સખ્તાઈથી ઝાપટે છે ત્યારે
એ પ્રહારો ગાલીચાને દંડવા માટે નથી હોતા,
એ તો હોય છે તેમાં ભરાયેલી ધૂળની સામે.

– જલાલુદ્દીન રૂમી

અહીં જે પીડામાંથી પસાર થવાની વાત છે તે બંને ક્ષેત્રમાં લાગુ પડે છે – બાહ્ય અને આંતરિક. બાહ્ય પીડાની વાત સમજી શકાય તેમ છે પરંતુ આંતરિક વેદના ઘણી વધારે પડકારજનક હોય છે. આપણાંથી આપણી એક સામાન્ય માન્યતા બદલી શકાતી નથી હોતી, તો સમગ્ર આંતરિક ઢાંચો કે જે સંપૂર્ણપણે વિચાર-ભૂતકાળની યાદો-મગજની તિકડમબાજી પર અવલંબિત છે તેને ધ્વસ્ત કરવો કેટલો કઠિન હશે ! અને આ ઢાંચાની નિરર્થકતાનું સુપેરે જ્ઞાન હોવા છતાં તેને તોડી ન શકવાની સ્થિતિમાં જે guilt ઉદભવે છે તે એથી વધુ કષ્ટદાયક હોય છે. આ એક વિષચક્ર છે જે સાધકને કદી જંપવા નથી દેતું.

Comments (8)

અપ્રતિમ – રૂમી – અનુ. વસંત પરીખ

તે અપ્રતિમનાં કાર્યોને કોણ વર્ણવી શકે ?
હું તો એટલું જ કહી શકું,
જેટલું મારું મર્યાદિત મન પામી શકે.
છે તેની અકળ ગતિ.
ક્યારેક વર્તે એક રીતે તો
ક્યારેક તેનાથી સાવ વિપરીત.
તેનો તાગ ક્યાંથી લઈ શકે આપણી મતિ ?
ઈમાન કે મજહબનું સાચું રહસ્ય છે
સતત પ્રગટતું આશ્ચર્ય !
પણ એનો અર્થ એવો નથી
કે એ આશ્ચર્યમાં અંજાઈને
તમે તેનાથી ભાગો દૂર.
તેનો અર્થ તો એ છે કે
તે ચકાચોંધ આનંદમાં ચકનાચૂર
થઇ તમે ખુદમાં ડૂબી જાઓ
અને નશા-એ-ઇશ્કમાં ખોવાઈ જાઓ.

 

आश्चर्यवत पश्यति कश्चित् एनम
आश्चर्यवत वदति तथैव चान्य:
आश्चर्यवत च एनम अन्य: श्रुणोति
श्रुत्वा अपि एनम न चैव कश्चित् .
– ભગવદ ગીતા અધ્યાય ૨ શ્લોક ૨૯

કોઈ વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે તેમ જ બીજો કોઈ મહાપુરુષ જ આત્મતત્વને આશ્ચર્યની જેમ વર્ણવે છે તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આને આશ્ચર્યની પેઠે સાંભળે છે કોઈ તો સાંભળીને પણ આને જાણતો નથી.

આથી વધુ શું પ્રમાણ હોઈ શકે કે તમામ ધર્મ,તમામ ફિલસુફી એક જ વાત કહે છે !

Comments (2)

પ્રેમ અને તર્ક – રૂમી – અનુ.વસંત પરીખ

હે પ્રિય !
પ્રેમ એકલો જ તમામ દલીલબાજીને છેદી નાખે છે,
કારણ કે
જયારે દ્વિધા – વિવાદ ને સંકટ સમયે
તું મદદ માટે પોકારી ઉઠે છે,
ત્યારે કેવળ પ્રેમ જ એકલો તને ઉગારે છે.
પ્રેમની સામે મુખરતા થાય છે સ્તબ્ધ !
ત્યાં વાચાળ બનવાનું સાહસ થઈ શકે નહીં.
કારણ કે –
પ્રિયતમને લાગે છે ડર
કે જો આપીશ હું ઉત્તર
તો અંતરનિગૂઢ પ્રેમાનુભૂતિનું મોતી
મોંમાંથી બહાર ફેંકાઈ જશે,
વેડફાઈ જશે.

 

રૂમી કવિ નહોતો-નખશિખ સૂફી હતો……એ જે બોલતો તે કવિતા થઈ જતી ! એણે હજારોની સંખ્યામાં ગદ્ય-પદ્ય રચનાઓ લખી છે. સરળ વાણીમાં ભારોભાર ગૂઢાર્થ સંતાયેલા હોય છે તેની રચનાઓમાં.

દલીલ એટલે reaction . પ્રેમ એટલે pure effortless action.

Comments (5)