ભરબપોરે કોણ સૂરજને છળે છે?
કાળ થઈ આ વાદળાં તડકો ગળે છે.
– કિરણ જોગીદાસ ‘રોશન’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મહેન્દ્ર વ્યાસ ‘અચલ’

મહેન્દ્ર વ્યાસ ‘અચલ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(ગીત) – મહેન્દ્ર વ્યાસ ‘અચલ’

કોઈ પ્રીત કરી તો જાણે !
અંતરમાં આ શીતળ અગનને કોઈ ભરી તો જાણે ! કોઈo

દિવસ ઊગ્યે બેચેન રહેવું,
રાત પડ્યે મટકું ના લેવું,
ખોવાયા ખોવાયા જેવી,
પળપળને વિસરાવી દેવી;
જીવતેજીવત આમ જીવનમાં કોઈ મરી તો જાણે ! કોઈo

દુનિયાની તીરછી દૃષ્ટિમાં,
વેધક વાણીની વૃષ્ટિમાં,
મસ્ત બનીને ફરતા રે’વું,
મનનું કૈં મન પર ના લેવું;
ખુલ્લે પગ કંટકભર પથ પર કોઈ ફરી તો જાણે ! કોઈo

મોજાંઓની પછડાટોથી,
ઝંઝાનિલના આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે
સાગર જ્યાં રૂઠી પણ જાયે;
એવા ભવસાગરમાં ડૂબી કોઈ તરી તો જાણે !

કોઈ પ્રીત કરી તો જાણે !

-મહેન્દ્ર વ્યાસ ‘અચલ’

પ્રેમ વિશે આપણે આજ સુધીમાં જે જે કંઈ ધાર્યું છે- શીતળ અગ્નિ, દિલનું ચેન ને રાતની ઊંઘનું હરાઈ જવું, મરીને જીવવું, ડૂબીને તરવું- એ બધી જ અભિવ્યક્તિઓ અહીં એક સાથે દરિયાના મોજાંની જેમ ભરતીએ ચડી આવી છે. પણ જે મજા અહીં છે એ આ ગીતના લયની છે, સંગીતની છે. વાંચતાની સાથે આ ગીત ગણગણાઈ ન જાય તો વાંચવાની રીત ખોટી એમ જાણજો…

Comments (3)