નથી આજ સુધી ડરી હારથી હું,
છતાં પણ બની ના શકી સારથી હું.
– રેખા જોશી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વિષ્ણુ પંડ્યા

વિષ્ણુ પંડ્યા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સ્વર્ગ – કિમ ચિ હા (અનુ. વિષ્ણુ પંડ્યા)

અન્નનો
એક કોળિયો
એ જ તો છે સ્વર્ગ !
સ્વર્ગમાં તમે
નથી જઈ શક્તા, સાવ એકલા.
એવું જ મુઠ્ઠી ધાનનું છે
તે વહેંચીને ખાવું પડે છે
એટલે તો તે છે સ્વર્ગ સમાન !

જેમ આકાશી તારા
પ્રકાશે છે એકમેકની સંગાથે
અનાજ પણ એમ દીપે છે
સાથે આરોગવાથી.

અનાજ છે સ્વર્ગ.
જ્યારે તે ગળામાંથી પાર થઈ
પહોંચે છે શરીરના કણ સુધી
સ્વર્ગ તમારા દેહમાં વસે છે.

હા, અનાજ છે સ્વર્ગ.

– કિમ ચિ હા (કોરિયા)
(અનુ. વિષ્ણુ પંડ્યા)

કોરિયાના આ કવિની જિંદગી આઝાદ હવામાં વીતી એના કરતાં વધારે જેલમાં વીતી છે. સરકાર સામે થવાના કારણે એને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી જે પછીથી લોક-વિદ્રોહને માન આપીને રદ કરી એમને આઝાદ કરવામાં આવ્યા. પણ જ્યારે એમણે સરકારના દમન અંગે વિધાન કર્યા ત્યારે એમને ફરીથી આજીવન કારાવાસમાં નાંખી દેવાયા. એમણે ‘આત્માનું જાહેરનામું’ કવિતા લખી એ પછી તો એમને એકાંતવાસમાં પણ ખદેડી દેવાયા… કોરિયામાં એ આગ અને શોણિતના કવિ તરીકે જાણીતા છે.

ભૂખમરા અને સત્તાવાદથી પીડાતા કોરિયન લોકો માટેની કવિની વેદના આ કાવ્યમાં ઉપસી આવી છે. અન્નનો કોળિયો જ ખરું સ્વર્ગ છે પણ એ સ્વર્ગ સહિયારું હોય તો જ… અન્ન બ્રહ્મ છે અને સહનૌભુનકતુની આપણી આદિ સંસ્કૃતિ સાથે પણ આ વાત કેવો મેળ ખાય છે !!

Comments (8)

આવશે દિવસો કવિતાના – (રશિયન) મારિના ત્સ્વેતાયેવા (અનુ. વિષ્ણુ પંડ્યા)

આવશે એ દિવસો કવિતાના
જેને મેં સા-વ બચપણમાં લખેલી
હું કવિ-
એવો અહેસાસ તો ક્યાંથી હોય ?
આવશે એ દિવસો
રોકેટના અંગાર અને ફુવારાથી
પથરાતી ધાર સરખી કવિતાના.
તડકો અને આળસના નશામાં ઝૂમતા
મંદિરે પહોંચેલા શિશુ દેવદૂતો જેવી,
યૌવન અને મૃત્યુની
એ કવિતાઓ-
જેનું પઠન કદી થયું નથી
આવશે તેનાયે દિવસો !
દુકાનની ધૂળમાં જળવાયેલી
ખરીદવામાં અસંભવ, મોંઘીદાટ, શરાબની જેમ
દિવસો ઊગશે
મારી કવિતાના !

– મારિના ત્સ્વેતાયેવા (રશિયા)
(અનુ. વિષ્ણુ પંડ્યા)

હયાતીના ઓગણપચાસ ટૂંકા વર્ષોમાં કવિ તરીકે રશિયામાં સતત અવહેલના પામેલ રશિયન કવયિત્રીએ આત્મહત્યા કરી એ બાદ બોરિસ પાસ્તરનાક જેવા દિગ્ગજ કવિએ એમને ‘વીસમી સદીની શ્રેષ્ઠ રશિયન કવયિત્રી’ તરીકે ઓળખાવ્યા.

ઓળખ માટેનો સંઘર્ષ અને ઓળખ માટેની ખાતરી -બંને આ કવિતામાં એક સાથે ઊઘડે છે.

Comments (14)

વિશ્વ-કવિતા:૦૧: મારી કવિતા – (ચેકોસ્લોવેકિયા) યારોસ્લાવ સાઈફર્ત, અનુ. વિષ્ણુ પંડ્યા

દુનિયામાં રચાતી
શતસહસ્ત્રો કવિતામાં
મેંય ઉમેરી છે મારી કવિતા.

જાણું છું-
તમરાંના અવાજ જેટલી યે સાથે નહીં હોય
ચન્દ્રની માટી પર દેખાતા ચિહ્નો
જેવો ચમત્કાર પણ ક્યાંથી વળી?
ના, એટલું અજવાળું પણ નહીં
ને છતાંય મને પ્રિય છે મારી ભાષા.

ભાષાનું એ અદકેરૂં રૂપ
જે ખામોશ હોઠ પર થરથરાટ સર્જે છે
રક્તિત આભાથી ન્હાતાં મેદાનો પરથી
ધી…ર સૂર્યાસ્તના ઉજ્જવળ પ્રકાશે
ચાલ્યે જતા યુવા પ્રણયીઓનાં
ચુમ્બનમાં તે પલટાઈ જશે.
ક્યારની આપણી સંગાથે છે કવિતા
પ્રેમની જેમ.
ભૂખની જેમ.
મહામારી આજે યુદ્ધ સરખી
મૂર્ખતાથી લજ્જિત થઈ અનેકવાર
પણ તેથી શું ?
મારે નથી કરવો ખુલાસો,
હું જાણું છું-
સુન્દર શબ્દોની ખોજ
અનેકગણી બહેતર છે, હત્યાઓથી.

-યારોસ્લાવ સાઈફર્ત (ચેકોસ્લોવેકિયા)
અનુ. વિષ્ણુ પંડ્યા

વિશ્વયુદ્ધોએ માણસને જેટલો તોડ્યો છે, શબ્દોએ એટલો જ જોડ્યો છે. બૉંબ, ગોળીઓ, તોપથી રેડાતા શોણિતની વચ્ચે હતાશા, ભય અને આતંકની પ્રેતછાયાઓ શ્વાસમાં લેતા મનુષ્ય માટે તમરાંના અવાજ જેવી ક્ષીણ અને ચંદ્રયાત્રા જેવા ચમત્કારવિહોણી કે ઘસાઈ-ઘસાઈને પોતાનો પ્રકાશ ગુમાવી ચૂકેલી ભાષા જ એક આશ્વાસન છે અને એટલે જ હજારો લાખો કવિતાઓ લખાઈ ચૂકી હોવા છતાં કવિ એમાં પોતાની કવિતા ઉમેરતા રહે છે. જે મેદાનો પર યુદ્ધમાં રેડાયેલા રક્તની લાલાશ છવાઈ છે ત્યાં જ થશે પ્રેમીજનોના ચુમ્બનોની લાલીનો સૂર્યોદય. પ્રેમ અને ભૂખ એ સૃષ્ટિના તીવ્રતમ સંવેદન છે. કવિ કવિતાના શબ્દને બંનેની જોડાજોડ મૂકે છે કારણ કે એ જાણે છે કે સુંદર શબ્દોની શોધ જ અંતે તો કોઈપણ હત્યાથી અનેકગણી બહેતર છે.

સાઈફર્ટ 1984માં સહિત્ય માટેનું નોબેલ-સમ્માન મેળવનાર પ્રથમ ચેક કવિ હતા. (જન્મ:23-09-1901, મૃત્યુ:10-01-1986)

Comments (3)