પુસ્તક ઊઘાડતાં શું જૂનું ગુલાબ મહેકે?
ના, ફૂલ એ સૂકું નહિ, પણ યાદ એક ચહેકે.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હરિવલ્લભ ભાયાણી

હરિવલ્લભ ભાયાણી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




તૃપ્ત કરે જળકૂપ – બાણભટ્ટ (અનુ. હરિવલ્લભ ભાયાણી)

કરે ચૂંચવતો રહેંટ
ઘટિકાચક્ર ચક્રભ્રમણે ફરી ઠલવે ધડધડ વારિભાર
સ્ફટિક મુશળ શી ધાર સ્ફાર
ઊછળી પછડાટે વેરછેર
છંટાતો શીકરનિકરનો મોતીફુવાર
જળપૂરે ખળખળ ઊભરાતી વેગે વહત પ્રણાલ :
.                          વનસીમાન્તે કરે ભલેરો આ જળકૂપ
શ્રાન્ત, પિપાસુ ગ્રીષ્મ-પથિકનાં
.                         લોચન, કંઠ, શ્રવણ સંતૃપ્ત

– બાણભટ્ટ (અનુ. હરિવલ્લભ ભાયાણી)

સાતમી સદીમાં રાજા હર્ષવર્ધનના શાસનમાં રાજકવિ તરીકે સ્થાન પામેલ બાણભટ્ટનું આ નાનકડું કાવ્ય કવિતાના પ્રાણને સમજવામાં મદદરૂપ થઈ શકે એમ છે. એક સફળ કવિતા શી રીતે બને છે? શબ્દોની ગોઠવણી કે પ્રાસગુંથણીથી ? મને લાગે છે કે કવિતાનો ખરો પ્રાણ એ કવિની દૃષ્ટિ છે. જે વસ્તુ આપણે સહુ રોજબરોજની જિંદગીમાં જોતા રહીએ છીએ એ જ વસ્તુ પર કવિની નજર પડે છે ત્યારે ફરક સમજાય છે.

વનના સીમાડે કૂવામાંથી પાણી ખેંચવા માટેનો રહેંટ ફરતો જાય અને ધડધડ પાણી પછડાતાં ઉડતી રહેતી વાંછટનું સાવ સીધુંસાદું દૃશ્ય કવિની નજરમાં ચડે છે તો કવિતા બની જાય છે… શરૂઆતની પંક્તિઓમાં કવિ એક મજાનું શબ્દચિત્ર ઊભું કરે છે અને અંતે છેલ્લી બે લીટીના આઠ શબ્દોમાં કવિતાનું સર્જન કરે છે… ઉનાળાના તાપથી તપેલા, થાકેલા, તરસ્યા ઉનાળુ માટે આ રહેંટ શું છે?  પાણીની સાચી તાકાત શી છે? છેલ્લા ત્રણ શબ્દ પર નજર નાંખીએ અને વિચારીએ…

*

રહેંટ = કૂવામાંથી પાણી ખેંચવાને માટે કરેલી ઢોચકાંવાળા ચક્કરની યોજના; ઘટીચક્ર
શીકરનિકર = પાણીની છાંટનો ઢગલો
પ્રણાલ = પરનાળ; ખાળ; નીક; પાણી નિકળવાનો માર્ગ; ધોરિયો
શ્રાન્ત = થાકેલું

Comments (9)

પત્રલેખા – (સંસ્કૃત) અનુ. હરિવલ્લભ ભાયાણી

પત્રલેખા – ૧

બસ થયું !
પત્રલેખન રહ્યું –
લેખિની બોળવાને સખીએ નમાવેલ
કાંડાથી જે સરી પડ્યું કંકણ
એ જ બસ પ્રિય પ્રતિ મોકલો –
. વિરહનું વેદના-દર્પણ !

***
પત્રલેખા – ૨

જેમ જેમ પત્ર પર અક્ષર અંકાય
તેમ તેમ ટપકતાં આંસુએ ભૂંસાય

(મૂળ સંસ્કૃત)
– અનુ. હરિવલ્લભ ભાયાણી

આજે SMS અને e-mailના યુગમાં પત્રલેખન ઝડપથી ઇતિહાસ બની રહ્યું છે. સંસ્કૃત મુક્તકોમાંથી બે નાનકડા મુક્તક આ જ વિષય ઉપર આજે આપના માટે…

બંને મુક્તકમાં પ્રોષિતભર્તૃકાનો વિરહભાવ વ્યક્ત થયો છે પણ બંનેની વાત જરા અલગ છે… જુદાઈની આગમાં સળગી સળગીને પત્રલેખાની કાયા એટલી કૃશ થઈ ગઈ છે કે કલમ કડિયામાં બોળવા એ કાંડું નમાવે છે તો પાતળા થઈ ગયેલ હાથમાંથી કંગન પણ સરી પડે છે. લખવાની તાકાત પણ નથી એટલે પ્રિયને વિરહ વેદનાના અરીસાસમું એ કંગન જ મોકલી આપવા એ કહે છે… બીજા મુક્તકમાં પણ વિરહ-વ્યથા ચરમસીમાએ છે… જેના માટે પત્ર લખાઈ રહ્યો છે એની જ યાદમાં ટપકતાં આંસુઓ એને ભૂંસી રહ્યા છે…

Comments (9)

ઊઠબેસ – અનામી (અનુ. હરિવલ્લભ ભાયાણી)

આ આવી એ જો !
વસ્ત્રવાઘા ?
શિર પરે રહી જીરણ જર્જર કામળી;
કૈં ભૂષણો ?
નહીં કંઠ મણકા વીશ પૂરા
(વાનથી પણ શામળી) –
ને તોય રસીલી મંડળી
મુગ્ધા-પ્રવેશે
ઊઠબેસે
શી બની ગઈ આકળી.

– અનામી (અપભ્રંશ)
અનુ. હરિવલ્લભ ભાયાણી

સ્ત્રીસૈંદર્ય કોઈ પણ ભાષા અને કોઈ પણ સંસ્કૃતિમાં હંમેશા કેન્દ્રસ્થાને રહ્યું છે. અપભ્રંશ ભાષાના કોઈ એક અનામી કવિની શૃંગારરસની કવિતાનો આ અનુવાદ કેટલા ઓછા શબ્દોમાં આ વાત કેવી ઉજાળી આપે છે ! કવિતાની પહેલી પંક્તિમાં માત્ર ચાર શબ્દો અને પાંચ જ અક્ષરોમાં કવિ એક આખું શબ્દચિત્ર ખડું કરી આપે છે. આ શબ્દની શક્તિ છે…

અને આવનારી સ્ત્રી પણ કેવી? વસ્ત્રોના નામે માથે એક જીર્ણ ફાટેલી કામળી અને ગળામાં પૂરા વીસ મણકાંય ન હોય એવી માળા… વાનેય શામળો પણ તોય એની ઊઠબેસ મંડળી પર કેવી અસર છોડી જાય છે!

Comments (5)

ગોપીસંદેશ – અનુ. ડૉ. હરિવલ્લભ ભાયાણી

ઓ મથુરાપથિક !
જઈને કૃષ્ણ દ્વારે
તારસૂરે
આટલું ઉદ્ગારજે ગોપીવચન :
‘કાલિંદીનાં જળ
કાળી વિષજ્વાળે
ફરી સળગી ઊઠ્યાં…’

-અનુ. ડૉ. હરિવલ્લભ ભાયાણી

ગોપીની વેદનાની ચીસ સમું લઘુકાવ્ય… ગોપી અને કૃષ્ણનો પ્રેમ એટલા માટે ચિરંજીવ થયો કે બેમાંથી કોઈએ મમત્વ ન દાખવ્યું. ગોપીને અણસાર આવી ગયો હતો કે આ તો વિશ્વનો તારણહાર છે એને પાલવડે ન બંધાય. ગોપીએ કૃષ્ણને કોઈ પણ શરત વિના મુક્ત કર્યા અને એટલે કૃષ્ણ જન્મજન્માંતર સુધી એનો બની ગયો… પણ ત્યાગ કંઈ વિરહની ઔષધિ પણ તો નથી ને ! વિયોગ પીડે નહીં તો પ્રેમ કેવો? ગોપી એની સહજ સરળ ભાષામાં મથુરા જતા યાત્રીને કૃષ્ણને માત્ર એટલું જ કહેવા કહે છે કે કાલિંદીના જળ વિરહની વિષજ્વાળાઓથી ફરી સળગી ઊઠયાં છે. કવિતા આ વાત કહેવાની પદ્ધતિમાં છે. વાત તારસૂરે કહેવાની છે જેથી કૃષ્ણને વાતનો મૂળ તંતુ પકડાય. કવિતા જળના સળગવાની વાતમાં છે… કાલીનાગને તો નાથી લીધો, ક્હાન… હવે વિરહના સર્પને શીદ નાથશો?!

Comments (3)

હજીયે સભર – હરિવલ્લભ ભાયાણી

‘અહીં રહી
અહીં કેલી કરી
અહીં રિસાઈ
અહીં મનાઈ –
સૂનું પડ્યું અવ આ મારું ઘર
તોયે પ્રિયાથી હજીયે સભર.’

– હરિવલ્લભ ભાયાણી
(અનુવાદ, મૂળ પ્રાકૃત સુભાષિત પરથી)

Comments (2)