લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ માનશે ?
શૂન્ય પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જગદીશ વ્યાસ

જગદીશ વ્યાસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ના માઉં – જગદીશ વ્યાસ

સાંકડો થઈ માઉં તો છું પણ આમ હું કદી આટલામાં ના માઉં
અસલી મારું રૂપ એવું કે ધરતીના આ માટલામાં ના માઉં.

હાથ અને પગ સાવ નોંધારા લટક્યા કરે, સવ નોંધારું શીશ
ધાવણું બાળક માય, મને તો સાંકડાં પડે ઊપણાં અને ઈસ
ચાર દિશાના ચાર પાયા હો એવડા નાના ખાટલામાં ના માઉં

નીતર્યા નર્યાં નીરમાં મને ઝીલતું તારી આંખનું સરોવર
જોઉં તો લાગે વચમાં રાતું ખીલતું કમળ હોઉં હું બરોબર
આમ તો હું છું એવડો કે બ્રહ્માંડ આખાના ચાટલામાં ના થાઉં

– જગદીશ વ્યાસ

કેન્સરના કારણે અકાળે દુનિયા ત્યજી ગયેલ આ કવિ વિશે વિશે માહિતી આપ અહીં – https://layastaro.com/?p=630 – મેળવી શકશો.

ધરતીના માટલામાં માઈ ન શકે એવું વિરાટ રૂપ એક શ્રીકૃષ્ણ જ ધારી શકે ને બીજો કવિ. ચાર દિશાના પાયાવાળો ખાટલો ને ધરતીનું માટલું સાવ નાનું પડે એવો કવિ પ્રિયજનની આંખના સરોવરમાં કીકીની વચ્ચે કમળ જેવા સૂક્ષ્મ રૂપમાં સમાઈ જાય છે. આ જ પ્રેમની સાચી તાકાત છે.

Comments (1)

કેન્સરના દર્દી તરીકે આઠ વર્ષની દીકરીને સંબોધન – જગદીશ વ્યાસ

(મૃત્યુના દોઢ મહિના પૂર્વે લખેલી ગઝલ)

મઝધારમાં ડૂબી રહ્યું હો વ્હાણ, દીકરી !
એવું જ મારું જીવવું તું જાણ, દીકરી !

હું ક્યાં રમી શકું છું તારી સાથ સ્હેજ પણ
શય્યામાં થનગને છે મારા પ્રાણ, દીકરી !

મારા વિના તું જીવવાનું લાગ શીખવા
ટૂકું છે બહુ મારું અહીં રોકાણ, દીકરી !

ભૂલી નથી શક્તો હું ઘડીકે ય કોઈને,
જબરું છે બહુ કુટુંબનું ખેંચાણ, દીકરી !

સાકાર હું કરતો હતો એક સ્વપ્ન આપણું,
એમાં પડ્યું છે અધવચે ભંગાણ, દીકરી !

જો પ્રાર્થના કરે તો તું એમાં ઉમેરજે:
મારું પ્રભુ પાસે બને રહેઠાણ, દીકરી !

૧૮-૮-૧૯૫૯ના રોજ સુરેન્દ્રનગર ખાતે જન્મીને માત્ર ૪૭ વર્ષની નાની વયે કેન્સરની આગમાં ખૂબ તવાઈને  ૧૬-૧૨-૨૦૦૬ના રોજ એક મહિના પહેલાં જ ડ્વાર્ટે, કેલિફૉર્નિયામાં મૃત્યુ પામેલા યુવાન કવિ જગદીશ વ્યાસ કવિ, ગઝલકાર અને વિવેચક તરીકે સદૈવ જાણીતા રહેશે. મૃત્યુ વિશે કવિતા કરવી અને મૃત્યુને જીવનના આંગણે પ્રતિપળ ટકોરા મારતું દેખીને કવિતા કરવા વચ્ચે કદાચ જમીન આસમાનનો ફરક છે. મૃત્યુશૈયા પર બેસીને લખેલી આ ગઝલ ની લગોલગ જ એમના મૃત્યુની વાસ્તવિક્તા અને જીવનની સ્થૂળતા વિશેના થોડા શેર પણ જોઈએ:

જગદીશ નામે ઓળખાયું ખોળિયું ફકત
બાકી હતો ક્યાં કાળ અને સ્થળનો જીવ હું
***
શું રમે પળ વિશે હવે જગદીશ
મેં મહાકાળને ઉરે ચાંપ્યો.
***
ગગનની વીજળી ધરતી ઉપર અંતે હું લઈ આવ્યો
અને થઈ ભસ્મ કિંમત ચૂકવી એ વિજય માટે
***
ઊક્લે ત્યાં જ અક્ષર ઊડી જાય છે
કંઈ અજબ હસ્તપ્રત લઈને બેઠા છીએ.
***
ગમે તે થાય પણ જગદીશ અંતે જીવવાનું છે
મરીને સો વખત હું સો વખત જન્મીશ મારામાં.
***
શરૂમાં શૂન્ય હતું, શૂન્ય આખરે પણ છે
કહો જગદીશ શું રાખે હિસાબ રસ્તામાં
***
નહીં સમજે તું મારું આમ તરફડવું,
તને મારી તરસ તો સાંપડી ક્યાં છે ?
***
થઈ શકે તો જીવવું એવી અનોખી રીતથી
દબદબાથી પામવું ને દબદબાથી પર થવું.
***
કેટલું નહિ તો હું કરવાનો હતો !
જાઉં છું સઘળું હવે ચૂકી પ્રિયે !
***
ઈચ્છું છું તોય તુજને રમાડી શકું છું ક્યાં ?
રમ તું હવે જાતે જ રમતિયાળ દીકરા ! (ચાર વર્ષના દીકરા માટે)

કાવ્યસંગ્રહ : પાર્થિવ (૧૯૯૪), સૂરજનું સત (૨૦૦૬)

Comments (5)