ગઝલ – ઉર્વી પંચાલ ‘ઉરુ’
ચોઘડિયાંઓ જોતો રહેશે,
માણસ તોયે રોતો રહેશે.
સુખનો સૂરજ ઊગે તોયે,
દુઃખનો ડુંગર મોટો રહેશે.
સંબંધોના સરવાળામાં,
આગળ પાછળ ખોટો રહેશે.
ફૂલોના રંગોને ચૂમે,
ભમરો તોયે ભોંઠો રહેશે.
દુનિયા આખી ભરચક માણસ,
પણ માણસનો તોટો રહેશે.
મિલકતમાં ‘ઉરુ’ મારી પાછળ
યાદો દેતો ફોટો રહેશે.
-ઉર્વી પંચાલ ‘ઉરુ’
માણસોથી ઉભરાતી આ દુનિયામાં ‘માણસ’ની હંમેશા ખોટ પડવાની આ વાતને કવયિત્રીએ ખૂબ સાલસતાથી કરી છે અને સુખના સૂરજના અનુસંધાનમાં દુઃખના પહાડની કરેલી વાત પણ ખૂબ મોટા ગજાની છે.