તું મારામાં કેમ ન આવે ?
જો પથ્થર પર કૂંપળ આવે.
ભાવિન ગોપાણી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રેમાનન્દ

પ્રેમાનન્દ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સુદામાચરિત્ર – કવિ પ્રેમાનંદ

કડવું – ૦૯
(રાગ મલાર)

ગોવિન્દે માંડી ગોઠડી, કહો મિત્ર અમારા, (ટેક)
અમો સાંભળવા આતુર છઉં સમાચાર તમારા ગો. ૧

શું દુઃખે તમો દૂબળા? એવી ચિંતા કેહી ?
પૂછે પ્રીતે વળી શામળિયો, મારા બાળસનેહી! ગો. ૨

કોઈ સદગુરુ તમને મળ્યો, શું તેણે કાન ફૂંકયો ?
શું વેરાગી ત્યાગી થયા, કે સંસાર જ મૂકયો ? ગો. ૩

શરીર પ્રજાળ્યું જોગથી ? તેવી દીસે દેહી;
શે દુઃખે દૂબળા થયા, મારા બાળસનેહી ! ગો. ૪

કે શત્રુ કો માથે થયો, ઘણું દુઃખદાતા?
કે ઉપરાજ્યું ચોરીએ ગયું, તેણે નથી શાતા? ગો. ૫

ધાતુપાત્ર મળ્યું નહિ, આવ્યા તુંબડું લેઇ?
વસ્ત્ર નથી શું પહેરવા, મારા બાળસનેહી? ગો. ૬

કે સુખ નથી સંતાનનું, કાંઈ કર્મને દોષે?
કે ભાભી અમારા વઢકણાં, તે શું લોહીડું શોષ? ગો. ૭

કે શું ઉદર ભરાતું નથી, તેણે સૂકી દેહી?
એટલામાં કિયું દુખ છે, મારા બાળસનેહી? ગો. ૮

પછે સુદામોજી બોલિયા, લાજી શીશ નામીઃ
‘તમને શી અજાણી વાત, મારા અંતરજામી! ગો. ૯

છે મોટું દુઃખ વિજોગનું, નહીં કૃષ્ણજી પાસે;
આજ પ્રભુજી મુજને મળ્યા, દેહી પુષ્ટ જ થાશે.’ ગે ૧૦

– પ્રેમાનંદ

પ્રેમાનંદ જેવો આખ્યાનકાર ગુજરાતમાં એના પહેલાં કે પછી કોઈ પાક્યો નથી. કથામાં કવિતા રેડીને કવિતાની કથા એ જે રીતે માણ વગાડતા વગાડતા કરતો હતો એ ન ભૂતો ન ભવિષ્યતિ જેવી અમર ઘટના છે. પ્રેમાનંદના વિખ્યાત ‘સુદામાચરિત્ર’માં કુલ ચૌદ કડવાં છે, જેમાંથી નવમું કડવું અત્રે પ્રસ્તુત છે. સુદામા વર્ષો બાદ પત્નીના કહેવાથી તાંદુલની પોટલી કેડે બાંધીને શ્રીકૃષ્ણને મળવા આવ્યા છે. અને એમને જોતાંની સાથે કૃષ્ણ એના સૂકાઈ ગયેલા દેહ વિશે જે લાગણીથી પૃચ્છા કરે છે, એ મિત્રતાના ઇતિહાસનું સોનેરી પાનું કહી શકાય એમ છે. સુદામા કયા દુઃખે આટલા દૂબળા થઈ ગયા છે એ વિશે એક પછી એક જે અટકળો કૃષ્ણ બાંધે છે, એ જ આ કડવાનો પ્રાણ છે. કૃષ્ણની ઉલટતપાસનો કાવ્યાંતે સુદામા જે જવાબ આપે છે એનાથી ઉત્તમ બીજો કોઈ જવાબ હોઈ શકે ખરો?

Comments (6)

સુદામા નું દ્વારિકા ગમન – પ્રેમાનન્દ

ઋષિ સુદામો સાંચર્યા, વોળાવી વળ્યો પરિવાર;
ત્યાગી વેરાગી વિપ્રને છે ભક્તનો શણગાર.

ભાલ તિલક ને માળા કંઠે, ‘રામ’ ભણતો જાય;
મૂછ- કૂછની જાળ વાધી, કદરૂપ દીસે કાય.

પવન-ઝપટથી ભસ્મ ઊડે, જાણે ધૂમ્ર કોટાકોટ;
થાયે ફટક ફટક ખાસડાં, ઊડે ધૂળ ગોટાગોટ.

ઉપાન–રેણૂએ અભ્ર છાયો, શું સૈન્ય મોટું જાય!
જે પથિક મારગમાં મળે તે જોઇ વિસ્મે થાય.

કૌપીન જીરણ વસ્ત્રનું, વનકૂળ છે પરિધાન;
ભાગ્ય-ભાનુ ઉદે થયો, કરશે કૃષ્ણજી આપ સમાન.

– પ્રેમાનન્દ ( કડવું પાંચ – સુદામા ચરિત )

સુદામા દ્વારિકા ના પંથે નીકળે છે તેનું વર્ણન. જે જમાનામાં કથા, આખ્યાનો, ભવાઇ જેવાં જૂજ મનોરંજનો જ પ્રજા પાસે હતાં તે જમાનામાં, માણના ટકોરા સાથે પ્રેમાનન્દ જાતે આ આખ્યાન કરતા હશે, ત્યારે કથારસ કેવો જામતો હશે, તે આ રચના પરથી કલ્પી શકાય છે.

Comments (4)