જો શાંત થઈ ગયાં તો પછી કંઈ જ ના બચે,
શ્વાસોની આ ગલીમાં તો રમખાણ સઘળું છે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




હરિ ૐ – અંબાલાલ પટેલ

રમું હું તુજમાં, ભમું હું તુજમાં,
પ્રભુ આંનંદુ તુજ આનંદમાં.
તુજ તેજ તરંગ ઝીલી જીવવા,
જનમ્યો જગમાં તુજમાં શમવા.

સઢ કીશ્તી તણા ભવ સાગરમાં,
કુમકુમ વરણે પૂલ નાંગરવા,
તરી પાર જવા, તુજ રૂપ થવા,
લખું મંત્ર નવા ઉર ઉજ્જ્વળવા.

સચરાચર તું પ્રભુ એકજ તું.
નીરખું જ્યાં જ્યાં ત્યાં પ્રભુ તું.
તું રૂપ સહુ, સહુ રૂપ જ તું.
પછી હું થી જુદો પ્રભુ ક્યાં લગી તું.

મુજ હું પ્રભુ એમ તું રૂપ થતાં,
જડ ભીષણ ભેદી દિવાલ જતાં,
જગ લોપ થયું. મુજ હું ય ગયું. 
તુજ સત્ ચિત આનંદ રૂપ રહ્યું.

ભરી ભર્ગ વરેણ્ય તું ૐ બન્યો.
તુજ આદ્ય ધ્વનિ પ્રભુ ૐ સુણ્યો.
એ ૐ મહીં સ્વર સોહમ્ ના,
ઝીલતાં મુજ હું ગળી ૐ થતાં,

હરિ ૐ સુણું હરિ ૐ ભણું,
હરિ ૐ રટે સ્થુળ સુક્ષ્મ અણું
હરિ ૐ વિભુ ૐ પ્રભુ ૐ નમું
રટી ૐ, હરિ ૐ, હરિ ૐ વિરમું

– અંબાલાલ પટેલ

બહુ જાણીતા નહીં તેવા આ સાધક કવિનું એક જ પુસ્તક ‘ વેણુના નાદ’ અમારા ઘરમાં હતું. અમે ભાઇ બહેનો નાના હતા ત્યારે સોનેરી મુખપૃષ્ટ વાળા તે પુસ્તકને અમે બહુ આદરથી જોતા. તેમની સ્તુતિઓ અને ગરબા અમારા કુટુંબોમાં વારંવાર ગવાતા. અમારા ઘરમાં આ સ્તુતિ હજુ પણ ગવાય છે. માત્ર સ્મૃતિ પરથી આ સ્તુતિ લખી છે.

Comments (4)