લીટી એકાદ નીરખી ‘ઘાયલ’
હલબલી જાય આદમી તે ગઝલ.
ઘાયલ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જયંતિલાલ આચાર્ય

જયંતિલાલ આચાર્ય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મારા અંતરના અંતરમાં – જયંતિલાલ આચાર્ય

મારા અંતરના અંતરમાં વિરાજેલા દેવ હે !
ધરવી શી મારે તમને અંજલી જો?

મારા હૃદીયાના તારે તારે ગાનો ઝંકારતાં,
ધરવી શી ગીતો કેરી અંજલી જો?

મારા નયનોની કીકી કેરાં નૂર છો જો,
ત્યારે શીદને અંધારે અમને અથડાવા દ્યો છો દેવ?
ક્યારે અજવાળે અમને દોરશો જો?

મારા કર્ણોની શ્રુતિ કેરા સૂર છો જો,
ત્યારે શીદને કોલાહલમાંથી ઉગારી લ્યો ના દેવ?
ક્યારે અનાહત નાદે પ્રેરશો જો?

મારા મુખની વાણીના રસ, રૂપ છો જો,
ત્યારે શીદને આ વૈખરીમાં વિખરાવા દ્યો છો દેવ?
ક્યારે નીરવમાં સંચારશો જો?

મારા મનની નૌકાના તમે ધ્રુવ છો જો,
ત્યારે શીદને ભમાવી મારી ભટકાવા દ્યો છો દેવ?
ક્યારે ગહનમાં હંકારશો જો?

જાગો ! જાગો ! સૂતેલા દેવ!
જગવો ! જીવન ઘોર.
આ મંગળ ઘડીએ આવો મ્હાલતા જો!

– જયંતિલાલ આચાર્ય

સદ્ ગત શ્રી જયંતિલાલ આચાર્ય મારા પિતાશ્રીના મિત્ર હતા. તે જમાનામાં અમારા સમાજમાં શાંતિનિકેતન જઇ ગુરૂદેવ ટાગોર પાસે ભણ્યા હોય તેવી તે વિરલ વ્યક્તિ હતા. અમદાવાદની લબ્ધ પ્રતિષ્ઠીત ‘શ્રેયસ’ શાળામાં ગુજરાતીના આ શિક્ષકે કોઇ પુસ્તક પ્રસિધ્ધ કર્યું ન હતું. પણ તેમની આ સ્તુતિ અમારા ઘરમાં અવારનવાર ગવાતી.

આપણી અંદર જ રહેલા, આપણા કણ કણને સંચાલતા, પણ સૂતા પડીને રહેલા, તત્વને જગાડવાનું આ આવાહન મને સૌથી વધી ગમતી સ્તુતિ છે.

Comments (1)