ઓગળે દેહ ના અમસ્તો કંઈ,
શ્વાસ નક્કી અગનપિછોડી છે!

મોતને આપવા જીવન પાસે,
જાતની એક ફુટલી કોડી છે!
– હર્ષા દવે

વાંચે છે – અનિલ ચાવડા

શબ્દે શબ્દે તેજ ખરે છે, કવિ કવિતા વાંચે છે,
ઇશ્વર પોતે કાન ધરે છે, કવિ કવિતા વાંચે છે.

રતુંબડા ટહુકાઓ પ્હેરી આવી બેઠાં પંખીઓ સૌ,
ટહુકાઓ ઇર્ષાદ કરે છે, કવિ કવિતા વાંચે છે.

એકેક પાંદડે જાણે કે હરિયાળીની મ્હેંદી મૂકી,
ડાળે ડાળે સ્મિત ઝરે છે, કવિ કવિતા વાંચે છે.

આગ, પવન, જળ, આભ, ધરા આ પાંચે જાણે,
આવ્યા થઈ મહેમાન ઘરે છે, કવિ કવિતા વાંચે છે.

ભીતરથી ભીંજાવાની એ ટપાલ સહુને વ્હેંચે છે,
શ્વાસે શ્વાસે ભેજ ભરે છે, કવિ કવિતા વાંચે છે.

– અનિલ ચાવડા

કવિતા વિશે તો ઘણા કવિઓ કવિતા કરી ગયા, કરતા રહેશે પણ કવિ કવિતા વાંચતો હોય એ ધન્ય ઘડીએ ખુદ ઇશ્વર કાન લગાવી ઊભો રહે અને પંચત્ત્વ આતિથ્ય સ્વીકારતા હોય એવી કલ્પના તો અનિલ જેવો નસ નસમાં મૌલિકતા લઈ જન્મેલો કવિ જ કરી શકે. વાંચીએ, ગણગણાવીએ અને ભીતરથી ભીંજાઈએ…

19 Comments »

  1. perpoto said,

    January 4, 2013 @ 2:09 AM

    ઇશ્વરની તો ખબર નથી પણ ભાવકો તો કાન દઇને સાંભળશે જ….

    કથ્થઇ થડે
    ડાળીઓ લીલી લીલી
    રંગારો મૌજી

  2. Rina said,

    January 4, 2013 @ 3:05 AM

    Beautiful. .

  3. J.k said,

    January 4, 2013 @ 4:17 AM

    આગ, પવન, જળ, આભ, ધરા આ પાંચે જાણે, ઓચિંતા
    આવ્યા થઈ મહેમાન ઘરે છે, કવિ કવિતા વાંચે છે.

  4. ડૉ.મહેશ રાવલ said,

    January 4, 2013 @ 6:49 AM

    તમે સાચું જ કહ્યું વિવેકભાઇ, આ અનિલ ખરેખર નસ નસમાં મૌલિકતા લઈ જન્મેલો કવિ જ છે….
    આખેઆખી ગઝલ ઉત્તમ કવિતામાં અપેક્ષિત, તમામ પાસાને ઉજાગર કરે છે-અભિનંદન અનિલભાઇ

  5. urvashi parekh. said,

    January 4, 2013 @ 8:20 AM

    ખુબજ સરસ.
    અનીલભાઈ,કેટલુ સરસ લખી શકો છો.
    પાન્ચેય તત્વો કવી ના મોઢે કવીતા સામ્ભળવા આવ્યા,
    આવુ તો તમે જ વીચારી શકો, ખુબ ગમ્યુ.
    અભીનન્દન.

  6. nehal said,

    January 4, 2013 @ 9:47 AM

    આગ, પવન, જળ, આભ, ધરા આ પાંચે જાણે,
    આવ્યા થઈ મહેમાન ઘરે છે, કવિ કવિતા વાંચે છે.

    ભીતરથી ભીંજાવાની એ ટપાલ સહુને વ્હેંચે છે,
    શ્વાસે શ્વાસે ભેજ ભરે છે, કવિ કવિતા વાંચે છે.

    ખુબ સુંદર…!

  7. pragnaju said,

    January 4, 2013 @ 1:43 PM

    સ રસ ગઝલનો
    મઝાનો મત્લા
    શબ્દે શબ્દે તેજ ખરે છે, કવિ કવિતા વાંચે છે,
    ઇશ્વર પોતે કાન ધરે છે, કવિ કવિતા વાંચે છે.
    યાદ
    કવિશ્રેષ્ઠ ટાગોર ને નાનકડી નંદિનીએ સંભળાવેલું કાવ્ય
    કૂતરા કરે હાઉ હાઉ..!
    બકરી કરે બેં… બેં…!!
    ગાય કરે ગેં… ગેં…!
    ભેંસ કરે ભ્રેં… ભ્રેં…!!
    બંદર કરે હૂ-ઉ-પ..!!
    રીંછ કરે ચૂ-ઉ-પ..!
    વાઘ કરે ઘરરર હાઉ..!
    સંિહ કરે ખરરર ખાઉં..!!
    કોયલ કરે કૂ-ઉ-હૂ..!
    મોર કરે ટું-ઉં-ઉં..!!
    ચકલી કરે ચીં-ઇં-ચીં…!
    પોપટ કરે પીં..ઈં..પીં..!!
    કરે કાગડો કા-આ-કા..!
    ને ભૂંડ કરતાં ખા-આ-ખા…!!
    ગરદભ કરે હોં-ચીં-હોં..!
    અશ્વ કરે ઇં-હીં-હીં-હીં-હીં..!!
    બિલ્લી કરે મંિ-યા-ઉં..!
    મેના કરે મેં-આ-ઉં..!!
    કલબલ કલબલ કાબર કરે..!
    ચિર્રિક પેલી ખિસકોલી કરે.. !!
    લેલા કરે લે-એ-લે..!
    તેતર કરે તે-એ-તે..!!
    મરઘો કરે કૂ-ક-રે કૂ-ઉ-ક..!
    ગાડી કરે છૂ-ક-રે છૂ-ઉ-ક..!!
    નંદિની તો કવિતા જોડતી રહી જોડતી રહી. જેમ યાદ આવે તેમ આગળ વધે. હજુ કવિતા અઘૂરી જ હતી અને તેણે કવિવરને બતાવી ઃ ‘જુઓ દાદુ!’
    ટાગોર દાદુ એટલા હસ્યા, એટલા હસ્યા! તેમણે કહી જ દીઘું ઃ ‘નંદિની! કૂતરા ભસે તે કવિતા કહેવાય કે નહીં, તેની મને ખબર નથી પણ તેં તો કવિતા ભસી જ દીધી હોં!’

  8. Devika Dhruva said,

    January 4, 2013 @ 2:43 PM

    કવિની કવિતા કવિ લખે, ઇશ્વર સાંભળે,કવિ વાંચે! અને આ બધુ પાછું વાંચક/ભાવક વાંચે !વાહ્…કેવો સરસ સંગમ. અનિલ ચાવડાની રચનાઓ માટે જેટલું લખીએ તેટલું ઓછું છે. આદરણીય પ્રગ્ન્યાજીની કોમેંટ વાંચવાની પણ મઝા આવી.

  9. Maheshchandra Naik said,

    January 4, 2013 @ 2:52 PM

    કવિશ્રીની કવિતા ઈશ્વર સાંભળે એવી કલ્પના કરવી એટ્લે જ પ્રભુ ભક્તિ અને ઈશ્વરની પ્રાર્થના કરવા બરાબર છે, શ્રી અનિલભાઈને અભિનદન

  10. bhavin gopani said,

    January 5, 2013 @ 5:17 AM

    વાહ ,,,,,અનિલભાઈ ની હંમેશ ની માફક સુંદર ગઝલ ………અદભૂત …..

  11. sanju vala said,

    January 5, 2013 @ 6:15 AM

    સરસ અનિલ.

    જોરદાર મત્લા …. સરસ રદિફ .

    અભિનન્દન.

  12. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,

    January 5, 2013 @ 8:30 AM

    ભીતરથી ભીંજાવાની એ ટપાલ સહુને વ્હેંચે છે,
    શ્વાસે શ્વાસે ભેજ ભરે છે, કવિ કવિતા વાંચે છે.

    અનુભવાતી અનુભૂતી ર્હદ્યથી વહેંચતા કવિર્હદ્ય ને માટે જીવાતા જીવન થી વિશેષ કંઈજ નથી ! આપવાનો આ એકજ વહેવાર એવો છે જેમાં ખરચો એકનો, અને ફાયદો અનેકને અનેક ગણો!!

  13. Sudhir Patel said,

    January 5, 2013 @ 10:48 PM

    ખૂબ સુંદર ગઝલ! મત્લા ગઝલિયતથી તરબતર છે!!
    સુધીર પટેલ.

  14. anil chavda said,

    January 7, 2013 @ 12:12 AM

    આભાર વિવેકભાઈ,
    લયસ્તરોના માધ્યમ દ્વારા આપ મારા જેવા અનેક કવિઓની રચનાઓ વિશ્વના ભાવકો સુધી પહોંચાડી આપો છો…
    કવિતા વાંચીને અનેક ભાવકો પ્રત્યક્ષ અને પરોક્ષ અભિપ્રાય આપે છે, ત્યારે તેનો આનંદ ખરેખ અનહદ હોય છે….

    લયસ્તરોનો આભાર… સાથે સાથે અનેક વાચકોનો પણ હૃદયપૂર્વક આભાર…

  15. jigarjoshi'prem' said,

    January 9, 2013 @ 7:24 AM

    વાહ ! દોસ્ત મજા પડેી… સુઁદર રચના સર્જાઈ છે…. અભિનઁદન

  16. sagar said,

    May 16, 2013 @ 3:03 AM

    વાહ શુ વાત્ મોજ્

  17. Maheshchandra Naik said,

    May 17, 2013 @ 5:53 PM

    ભીતરથી ભિંજાવાની કવિતા, સરસ મઝા આવી ગઈ, આભાર્………………………

  18. jadav nareshbhai said,

    August 4, 2016 @ 5:35 AM

    :ગઝલ : તરહી તા. ૦૩/૦૮/૨૦૧૬
    ( મનહર છંદ )
    કોઈ કોઈ ને આમ જરાય ખોટો ના ધાર તું ;
    બસ પોતે પોતાની જાત ને જ સુધાર તું ;
    આમ કોઈના પર દોષ ઢોળવાથી શું વળે;
    કટાઈ ગયેલા દોષનો કાટ ઉતાર તું ;
    આ જુઠો ,પેલો ખોટો એવું કહેવાથી શું મળે
    પહેલાં પોતાને સાચો પુરવાર કર તું ;
    દેખો તો મૂળના ઊંડાણમાં દોષના બીજ છે ;
    પહેલા પોતાના જ દોષના બીજ કાપ તું ;
    શા માટે રોફ જમાવે છે “જાન” કે હું સાફ છું ;
    પોતાના દોષને ય પોતે જ સાફ કર તું;

    કવિ : જાન
    જાદવ નરેશ
    મલેકપુર – વડ મો.નં. ૯૯૨૪૬૧૦૧૨૪

  19. Lata kanuga said,

    May 13, 2019 @ 6:22 AM

    અનિલભાઈને સાંભળવાની મજા અનેરી જ હોય છે. કવિ પોતે કવિતા વાંચે છે…પણ ખરેખર તો કુદરતના પંચ તત્વને કવિતામાં સુપેરે ગુંથે છે.
    સુંદર આસ્વાદ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment