મહોબ્બત પ્રથમ ધર્મ છે જિંદગીનો, મહોબ્બત વિના કોઈ આરો ન આવે,
સતત ચાલવું જોઈએ એ દિશામાં, જો થાકી ગયા તો ઉતારો ન આવે.
ગની દહીંવાળા

ગઝલ – જવાહર બક્ષી

વિસ્મયભર્યું વહેલી પરોઢે ઊઘડ્યું તે કોણ? મીઠી ઊંઘ કે પાંપણ કે હું ?
જાગ્યા પછી પણ સ્વપ્ન તો સ્વપ્ન જ રહ્યું, એવું શું જાગ્યું, સત્ય કે સમજણ કે હું ?

ઊંડે સુધી થઈ શોધ રાત્રિ ને દિવસ, તો હાથ લાગ્યાં તડકો, રેતી ને તરસ
નિર્ણય કરી દે તું જ બસ કે મૃગજળોનાં મૂળમાં છે કોણ ? સૂરજ, રણ કે હું ?

ક્ષણક્ષણ જીવનજળમાં સતત વહી જાઉં છું પણ જ્યાં હતો હું ત્યાંનો ત્યાં રહી જાઉં છું,
આ કોણ વહેતું જાય છે ? કાયા કે પડછાયા કે માયા કે નહિ કંઈ પણ કે હું ?

પ્રત્યેક ઘર કરચોથી વેરણછેર છે ને તે છતાં અકબંધ આખું શહેર છે
આવું અજબ તે એક પળમાં કોણ ફૂટ્યું ? બિંબ કે પ્રતિબિંબ કે દર્પણ કે હું ?

અક્ષર મળ્યો તણખો, પવન લયનો ભળ્યો, જીવન શું ? હું મૃત્યુ પછી પણ રવરવ્યો
ને આમ ઠંડું પડ્યું તે કોણ ? ધૂણી, રાખ કે અંગાર કે ઇંધણ કે હું ?

– જવાહર બક્ષી

લાંબી બહેરની ગઝલોમાં સમાન્યરીતે રદીફ પણ લાં…બી હોય છે જેથી ગઝલકારે દોઢ લીટી જેટલી જ કારીગરી કરવાની રહે પણ જવાહર બક્ષીની આ લાંબી બહેરની ગઝલમાં રદીફ માત્ર બે જ એકાક્ષરી શબ્દો જેટલી ટૂંકી છે. ‘હું’નો પ્રશ્ન જ એવો સનાતન છે કે આપો એટલી જગ્યા એને ઓછી જ પડવાની. જેટલું વધુ મમળાવીએ એટલી વધુ આત્મસાત થતી અનુભવાય એવી ગઝલ…

(રવરવ્યો = ચચરાટ સાથે બળવું, નાદ પ્રગટ કરવો)

10 Comments »

  1. DR PRIYANKA MEHTA said,

    November 10, 2012 @ 1:33 AM

    વિસ્મયભર્યું વહેલી પરોઢે ઊઘડ્યું તે કોણ? મીઠી ઊંઘ કે પાંપણ કે હું ?
    ….રોજ ઉઠી ને અરીસો જોતા સામે નવી જ વ્યક્તિ મળ્યા નો વિસ્મય

  2. dr jagdip said,

    November 10, 2012 @ 3:59 AM

    એક લાં….બી…ફુલ લેન્ગ્થ…..હાં….ફ….ગઝલ..મારા તરફથી…..

    રણની તપતી રેતી માથે માથું મૂકી, મૃગજળના શમણા જોવાને સહુ કોઈ દોડે
    એમજ માનવ, મૃત્યુનો છેડો કળવાને જીવતરના શ્વાસોની સાથે શ્વાસો જોડે

    ભીની ભીની માટીનાં કણ ઝંખે છે એક આઘેરી કૂંપળનો કુમળો ઓછાયો પણ
    ખખ્ખડધજ વડની વડવાયુ ચારે બાજુ ખરબચડા વ્હાણાની વરવી ખાંભી ખોડે

    ઘૂઘવતા દરિયાને કહેજો, મોજાનાં અસવારો આવે હળવે હળવે તટની ઉપર
    પરપોટાની નગરીનો ફોદાનો માણસ ફૂટટી જાશે ધલવલતા તોફાની ઘોડે

    વાદળિયા આકાશે હસતા, સુરજને ખિસ્સામાં મૂકી કીધું કે કાલે આવુ છું
    ચોમાસાનાં સોગન દઈને ઉનાળાએ પગમાં પડતાં માગ્યું કે ભેરુ ને છોડે

    અગ્નિની સાખે ગંગાજળ મોઢામાં મુકીને વીરલો ચાલ્યો’તો નવલા પરદેશે
    પાછળ રહી ગ્યા લોકો વચ્ચે જગજગતા ભાલે કોઈ એને મૃત્યુ નામે તિલક ચોડે

  3. Rina said,

    November 10, 2012 @ 7:57 AM

    Awesome….

  4. Vijay joshi said,

    November 10, 2012 @ 8:05 AM

    Incredibly complex yet deceptively simple, simplicity in multiplicity achieved so effortlessly
    And craftily. Loved it.

  5. PRAHELADPRAJAPATI said,

    November 10, 2012 @ 8:33 AM

    ક્ષણક્ષણ જીવનજળમાં સતત વહી જાઉં છું પણ જ્યાં હતો હું ત્યાંનો ત્યાં રહી જાઉં છું,
    આ કોણ વહેતું જાય છે ? કાયા કે પડછાયા કે માયા કે નહિ કંઈ પણ કે હું ?
    બહઉજ સરસ

  6. સુરેશ જાની said,

    November 10, 2012 @ 8:37 AM

    જવાહર એટલે ગુજરાતી કવિતાનું ઘરેણું. એ સંઘેડા ઉતાર કવિ નથી. એને એથી જ એમની દરેક કવિતામાં નાવીન્ય તો હોય છે; પણ અંતરમાંથી નીકળતો નિનાદ પણ હોય છે.

  7. dr.ketan karia said,

    November 10, 2012 @ 9:22 AM

    લાંબી બહેરમા સૌથી કપરું કામ ગઝલની સરળતા અને ચોટ જાળવવાનું હોય છે, અને આ ગઝલ કોઇ નકશીકામ કરાયું હોય તેવી બની છે. .. મજા પડી ગઇ.

  8. pragnaju said,

    November 10, 2012 @ 10:50 AM

    ક્ષણક્ષણ જીવનજળમાં સતત વહી જાઉં છું પણ જ્યાં હતો હું ત્યાંનો ત્યાં રહી જાઉં છું,
    આ કોણ વહેતું જાય છે ? કાયા કે પડછાયા કે માયા કે નહિ કંઈ પણ કે હું ?

    વાહ વિવેકના રસાસ્વાદની વાત ‘હું’નો પ્રશ્ન જ એવો સનાતન છે કે આપો એટલી જગ્યા એને ઓછી જ પડવાની…ખૂબ ચિંતન માંગે. અહંકાર એ અજ્ઞાનમાંથી આવે છે, તમે જ કેઇ પણ વિચારો છો, જુઓ છો તેમાંથી જ અહંકાર જન્મ લે છે, જેનાથી અજ્ઞાનિ બનાય છે અને પોતાની રીતે વિચારી કરો પછી ભ્રમ ઊભો થાય છે, તેથી અહંકારને ત્યાગી દેશો તો સ્વજ્ઞાનિ બની જશો.
    ………
    સામાન્યરીતે લાંબી બહેરની ગઝલમાં રદીફ લાંબી રાખીને કવિઓ અડધી પંક્તિ લખવામાંથી બચી જવાનું વલણ દાખવતા હોય છે એના બદલે અહીં સાવ એકાક્ષરી રદીફ રાખીને લાંબી બહેર નિભાવવાનો જે પડકાર સફળતાપૂર્વક ઊપાડ્યો જેમકે…
    એક તત્વ દિવ્ય છે./ પ્રેમ
    હુંફાળો સ્પર્શ કાનને કરી અને પછી સુણો ; હું જે કહું છું વાત એમાં ભારોભાર તથ્ય છે.
    સવાલ એ નથી એ માનવી કે કોઇ મત્સ્ય છે ; બધાંની ભિતરે કશેક એક તત્વ દિવ્ય છે,
    શું સર્વતા ને શૂન્યતા, શું અલ્પતા ને ભવ્યતા, શું સ્થિરતા, પ્રવાહિતા શું સામ દામ દંડ ભેદ !?
    ન કૈંજ સ્પર્શ થાય છે, અનોખો અર્થ થાય છે, એ સંત છે ને સંતને ન અંત છે ન મધ્ય છે.
    ‘ભલે હો સૂર્ય જેમ શ્વાસ તોય આખરે જુઓને આથમી જવાનું હોય છે અતિક્રમી બધું,’
    સ્વભાવગત આ વાત છે સ્વિકારવું – નકારવું, કરૂણતાઓથી ભર્યું જિવનનું આ જ સત્ય છે.
    ઘડીક સુખ મળે અને ઘડીક પીડ અવતરે ; ઘડીક કૂંપળો બને, ઘડીકમાં એ પણ ખરે !
    બધું જ એક ચક્ર જેમ કાયમી ફર્યા કરે ; ક્ષણીક હોય છે બધું – અહીં કશું ક્યાં નિત્ય છે ?
    કરૂણતા જુઓ કૃતિ વિશે જ મૌન છે સતત ; વિવેચકોની દ્રષ્ટિઓય લીન છે સ્વરૂપમાં
    છે એજ ધ્યેય આખરી ‘કવિત્વ’ એમાં જોઇએ ; સવાલ એ નથી પછી ‘એ ગદ્ય છે કે પદ્ય છે’ !

  9. perpoto said,

    November 10, 2012 @ 11:28 PM

    જવાહર ,રાજેન્દ્ર શુક્લાની ગઝલો આધ્યાત્મિકતાથી નિતરતી હોય છે…

    પ્રતીભાવો પણ એટલે મંથનનાં આવ્યાં છે.

  10. Maheshchandra Naik said,

    November 30, 2012 @ 2:11 PM

    સરસ ગઝલ, કવિશ્રી જવાહર બક્ષીન અભિનદન,,,,,,,,,,,,,,,,,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment