હાથ કદી ના છૂટે એનો, નેમ હતી પણ
હાથ ન જોડાયા ભમરાળા વસમી સાંજે.
-પારુલ ખખ્ખર

ખેલ- પ્રફુલ્લ દવે

સાચું ખોટું રમીએ છીએ,
ખાલી થાળી જમીએ છીએ.

ઠંડા શ્વાસો ભરીએ છીએ.
મન માંહે સમસમીએ છીએ.

ક્ષણ માંહે સળગીએ છીએ.
ધીમે ધીમે ઠરીએ છીએ.

ઘા લાગે તરફડીએ છીએ.
પણ મરવાથી ડરીએ છીએ.

કાચના ઘરમાં રહીએ છીએ.
રોજ અજમ્પો સહીએ છીએ.

કેવું કેવું જીવીએ છીએ.
હોઠને કેવા સીવીએ છીએ.

રોજ સરકતા સમયની સાથે,
કાળના મુખમાં સરીએ છીએ.

હર ઘટનામાં જન્મી જન્મી,
હર ઘટનામાં મરીએ છીએ.

પ્રફુલ્લ દવે

વ્યવસાયે ન્યાયાધીશ એવા આ કવિએ માનવ જીવનની નિયતિનું, માનવની અવશતાનું આ ચિત્ર રજુ કર્યું છે. અને માટે જ ‘આ ક્ષણમાં જ જીવવાનો‘ મંત્ર બહુ સૂચક અને મંગળદાયક અર્થ ધારણ કરે છે.

Leave a Comment