અફસોસ કેટલાય મને આગવા મળ્યા
ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા !
– ભરત વિંઝુડા

હું નથી -અહમદ ‘ ગુલ’

પાથરું છું ફૂલ, કાંટા વેરનારો હું નથી,
શાંત જળમાં પથ્થરોને ફેંકનારો હું નથી.

ફાયદો જોયા જ કરવાની છે આદત એમની,
ભાવતાલોથી સંબંધો જોડનારો હું નથી.

મૌન પણ ક્યારેક તો પડઘાય છે મ્હેફિલ મહીં,
શબ્દના ઘોંઘાટ થઇને નાચનારો હું નથી.

માંગવા છે જો ખુલાસા, રૂબરૂ આવી મળો,
કાગળો કે કાસીદોને માનનારો હું નથી.

બસ હવે આ ‘હું’પણાની જેલમાંથી નીકળી,
એમ જીવી જાઉં જાણે, હું જ મારો ‘હું’ નથી.

એમ તો મેં પણ દીધું છે રક્ત વારંવાર ‘ગુલ’
તે છતાં એની નજરમાં કેમ સારો હું નથી.

અહમદ ‘ ગુલ’

તેમના કાવ્યસંગ્રહ ‘મૌન પડઘાયા કરે’ ના નામને સાર્થક કરતી આ રચના તેમના સ્વગત સંવાદનો પડઘો પાડે છે.

2 Comments »

  1. nilam doshi said,

    March 22, 2007 @ 10:59 AM

    ભાવતાલોને જોડનારો હુ નથી..ખૂબ સરસ .

  2. Pragna said,

    October 23, 2007 @ 4:34 AM

    ફાયદો જોયા જ કરવાની છે આદત એમની,
    ભાવતાલોથી સંબંધો જોડનારો હું નથી.

    મૌન પણ ક્યારેક તો પડઘાય છે મ્હેફિલ મહીં,
    શબ્દના ઘોંઘાટ થઇને નાચનારો હું નથી.

    એમ તો મેં પણ દીધું છે રક્ત વારંવાર ‘ગુલ’
    તે છતાં એની નજરમાં કેમ સારો હું નથી.

    આ ત્રણ શેરો ખરેખર દિલને સ્પર્શી ગયા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment