‘મરીઝ’, ‘શૂન્ય’, ‘અસદ’, ‘મીર’માં નથી મળતી,
સમયના દર્દની કોઈ દવા નથી મળતી.
વિવેક મનહર ટેલર

આ સમય છે… – ઉર્વીશ વસાવડા

આ સમય છે, ઘાવ પણ આપી શકે,
ને રીઝે સરપાવ પણ આપી શકે.

એક દર્શક જેમ હાજર હોય પણ,
એ અચાનક દાવ પણ આપી શકે.

જે લખે છે યુગ યુગાંતરની કથા,
પત્ર કોરો સાવ પણ આપી શકે.

ઝાંઝવાની પોઠ લઈ આવ્યા પછી,
તપ્ત રણમાં વાવ પણ આપી શકે.

ભરબજારે જાતના લીલામમાં,
સાવ સાચા ભાવ પણ આપી શકે.

– ઉર્વીશ વસાવડા

સમયની મજાની વાત લઈને માંડેલી આ ગઝલ નાની અને ભાવી જાય એવી છે. આજે પરિસ્થિતિ એવી છે કે તમે કદાચિત્ સાચું પણ બોલો તો કોઈ માને નહીં. આવી પરિસ્થિતિમાં શક્ય છે પોતાને વેચવા નીકળેલો કોઈ જણ પોતાનો ભાવ સાચો પણ આપતો હોય… પણ માનશે કોણ? જૂનાગઢના રેડિયોલોજીસ્ટ શબ્દોના એક્ષ-રે અને સોનોગ્રાફી પણ સરસ કરી જાણે છે.

6 Comments »

  1. ધવલ said,

    January 14, 2007 @ 12:20 AM

    ભરબજારે જાતના લીલામમાં,
    સાવ સાચા ભાવ પણ આપી શકે.

    – સરસ વાત !

  2. Jayshree said,

    January 14, 2007 @ 11:35 AM

    આ ગઝલ પણ એટલી જ સરસ છે…

  3. sagarika said,

    March 20, 2007 @ 12:44 PM

    સમય ઘાવ પણ આપે અને સરપાવ પણ આપે ખૂબ સરસ વાત.

  4. PIYUSH M. SARADVA said,

    September 25, 2009 @ 6:35 AM

    સરસ.

  5. Hema said,

    March 14, 2010 @ 12:52 AM

    સાચા ભાવ માટે લિલામ જ થવુ પડે…બહુ જ સરસ

  6. Dr.m.m.dave. said,

    September 21, 2011 @ 2:27 PM

    સાહેબ,તમારી વાત સાચી છે, આજના સાંપ્રત સમય માં સાચા ને પણ પરીક્ષા આપવી પડે તેવી પરિસ્થિતિ છે,તમે આપણા જુનાગઢ નું ગૌરવ છો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment