બળતરા, જરા જેવી કળતર.. નિસાસો,
ગળે શ્વાસને, જાણે અજગર નિસાસો.
ગળે હાર હીરાનો સૌને દીસે છે,
ન દેખાય ભીતરનું જડતર – નિસાસો
– નેહા પુરોહિત

શબ્દોત્સવ – ૩: સૉનેટ: સખી મેં કલ્પી’તી – ઉમાશંકર જોશી

સખી મેં કલ્પી’તી પ્રથમ કવિતાના ઉદય શી,
અજાણી ક્યાંથીયે ઊતરી અણધારી રચી જતી
ઉરે ઊર્મિમાલા, લયમધુર ને મંજુલરવ,
જતી તોયે હૈયે ચિર મૂકી જતી મોદમદિરા.

સખી મેં ઝંખી’તી જલધરધનુષ્યેથી ઝૂલતી,
અદીઠી શી મીઠી અવનવલ રંગોની લટ શી.
પ્રતિબિંબે હૈયે અણુ અણુ મહીં અંકિત થતી,
સ્ફુરંતી આત્મામાં દિનભર શકે સ્વપ્નસુરભિ.

સખી મેં વાંછી’તી વિરલ રસલીલાની પ્રતિમા,
સ્વયંભૂ ભાવોના નિલય સરખી કોમલતમ,
અસેવ્યાં સ્વપ્નોના સુમદલ-રચ્યા સંપુટ સમી,
જગે મર્દાનીમાં બઢવતી જ ચિત્તે તડિત શી.

મળી ત્યારે જાણ્યું : મનુજ મુજ શી, પૂર્ણ પણ ના.
છતાં કલ્પ્યાથીયે મધુરતર હૈયાંની રચના.

– ઉમાશંકર જોશી
(‘નિશીથ’)

આ ઉમાશંકરના શ્રેષ્ટ સોનેટમાંથી એક છે. સખીનું અદભૂત વર્ણન તો સુંદર છે જ. પણ આ સોનેટને યાદગાર બનાવે છે એનો સંદેશ – પ્રિયજનની અપૂર્ણતા પણ એની મધુરતા છીનવી શકતી નથી !

1 Comment »

  1. jyot said,

    January 30, 2009 @ 12:12 AM

    વસ્ન્ત ના આગમન નિ નોધ જો લય્સ્તરો મ ન લેવય તો ક્યા લેવસે કોઇ ને મનોજ ખન્દેરિયા ની પેલી ગઝ્લ પગલા વસન્ત ના મલે તો પોસ્ત કરજો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment